Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 10-13

યહોવા અને દેવ મૂર્તિઓ

10 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો; તે કહે છે,

“બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ,
    તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે.
તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ.
    કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે.
તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી,
    તે તો જંગલમાંથી કાપી આણેલું લાકડું છે;
    કારીગરે તેને પોતાના ઓજારોથી કોતરી છે.
અને પછી સોનારૂપાથી શણગારી છે.
    તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે,
    જેથી પડી ન જાય.
ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ
    તેઓના દેવ ત્યાં ઊભા રહે છે!
તે બોલી શકતા નથી,
    તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે.
આવા દેવોથી ડરશો નહિ,
    તે કશી ઇજા કરી શકે તેમ નથી,
તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.”

હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી.
    તમે કેવા મહાન છો
    અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે!
હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે?
    તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ.
સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં
    અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી.

મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે.
    તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.
તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી
    સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને
એને શણગારે છે અને જાંબુડિયાં
    અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે.
    એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે.
10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે,
    એ જીવતાજાગતા દેવ છે,
    શાશ્વત અધિપતિ છે.
તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે;
    પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી.

11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો:
    “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી,
    તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.”

12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી,
    પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી,
    પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ.
13 તોફાની વાદળોની ગર્જનાઓથી
    તેમના અવાજનો પડઘો પડે છે,
તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે.
    જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે
    અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે.

14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ
    અને અજ્ઞાની થઇ ગયા છે.
દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે,
    કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે,
15 નકામી છે, હાંસીપાત્ર છે.
    દેવ તેમને સજા કરશે
    ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.
16 પણ યાકૂબનો દેવ એવો નથી;
    તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે,
અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે.
    તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.”

વિનાશ આવી ગયો

17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે,
તેઓ તમારો સામાન બાંધો
    અને હવે જવાને માટે તૈયાર રહો.”
18 કારણ કે તે એમ કહે છે કે,
“આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ
    અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ,
    એક પણ માણસ બચવા પામશે નહિ.”

19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે,
    તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે;
આતો ફકત એક બિમારી જ છે
    અને અમે આ સહન કરી શકીશું.”
20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે,
    એનાં દોરડાં તૂટી ગયા છે;
અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે;
    એક પણ રહ્યો નથી;
અમારો તંબુ ફરી ઊભો કરનાર
    કે એના પડદા બાંધનાર કોઇ નથી!
21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે;
    તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી.
અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની
    જેમ વેરવિખેર થઇ ગયા છે.
22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો,
    તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની
    કોતરોમાં ફેરવી નાખશે.

23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી.
    તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
24 તેથી હે યહોવા, તમે અમને સાચે માર્ગે વાળો.
    અમને પ્રમાણસર શિક્ષા કરો,
રોષમાં આવીને નહિ,
    નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું.
25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો,
    જે લોકો તમને માનતા નથી,
    તમારું નામ લેતાં નથી. કારણ,
તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે,
    તેમણે તેમનો અંત આણ્યો છે,
    અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.

યહોવા સાથેના કરારનું સ્મરણ

11 ફરીથી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ, “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ. તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’ જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.

“તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”

પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”

ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં આ સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા આ કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો. આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો, પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”

ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે. 10 તેઓ પાછા પોતાના પિતૃઓના પાપ કરવા લાગ્યા છે અને તેમની જેમ મારું કહ્યું સાંભળવાની ના પાડે છે, તેઓ બીજા દેવોને માને છે અને તેમની પૂજા કરે છે. ઇસ્રાએલે અને યહૂદિયાએ મેં એમના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”

11 તેથી યહોવા કહે છે, “હું તેઓ પર વિપત્તિઓ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ, તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓની વિનંતીઓ સાંભળીશ નહિ. 12 એટલે યહૂદિયાના ગામોના અને યરૂશાલેમના વતનીઓ જઇને જે મૂર્તિઓને તેઓ ધૂપ બાળે છે તેમને મદદ માટે ઘા નાખશે, પણ આફતને વખતે તે દેવો તેમને કોઇ પણ રસ્તે ઉગારવાના નથી.

13 “હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.

14 “તેથી, હે યર્મિયા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમના તરફથી કોઇ વિનંતી કે આજીજી કરીશ નહિ, કારણ કે સંકટના સમયે તે લોકો ઘા નાખશે તે હું સાંભળવાનો નથી.”

15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા,
    તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે.
તને અહીં શો અધિકાર છે?
    તું શું સમજે છે?
પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન
    તથા આનંદ આપી શકશે?”

16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી
    જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો,
પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું
    અને ડાળીઓને ભાંગી નાખું છું.
17 બઆલની આગળ ધૂપ બાળીને તથા
    બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે
અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે.

યર્મિયા વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ

18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે. 19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.” 20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.

21 તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.” 22 તેથી યહોવા અનાથોથના લોકો વિષે આ પ્રમાણે કહે છે, “હું તેમને સજા કરીશ, તેમના યુવાનો તરવારથી મરશે અને તેમનાં પુત્રપુત્રી દુકાળમાં મરશે. 23 પરંતુ જ્યારે અનાથોથના લોકોને શિક્ષા કરવાનો સમય આવશે, ત્યારે હું તેમના પર આફત ઉતારીશ અને એક પણ વ્યકિત જીવતો રહેવા નહિ પામે.”

યર્મિયાની યહોવાને ફરિયાદ

12 હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું
    ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે.
તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે,
    દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે?
    બદમાશો કેમ નિરાંતે જીવે છે?
તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે.
    અને તેઓનો વેપાર વધતો જાય છે,
તેઓ ઘણો નફો કરે છે.
    અને ધનવાન થાય છે.
    તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી.
હે યહોવા, તમે મને જાણો છો,
    તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે?
તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા,
    અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક.
અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે?
    તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ
પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે!
    વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે.
દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે,
    “આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!”

દેવનો યર્મિયાને જવાબ

યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં
    તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે?
જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો,
    યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે?
અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ
    અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે.
    તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે.
તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે,
    છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”

યહોવાએ પોતાના લોકોનો અને યહૂદાનો ત્યાગ કર્યો

પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો,
    મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે;
મારી અતિપ્રિય પ્રજાને
    મેં શત્રુઓને સ્વાધીન કરી છે.
મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે.
    અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું.
મારા પોતાના લોકો
    કાબરચીતરાં બાજ જેવા છે;
બીજા બધાએ ચારેબાજુએથી તેમના પર હલ્લો કર્યો છે.
    ચાલો, જંગલનાં સર્વ પશુઓ એકઠા થાઓ
    અને મિજબાનીમાં જોડાઇ જાઓ.
10 ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે.
    તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે.
    અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે.
11 તેઓએ આખી ભૂમિને
    વેરાન કરી નાખી છે,
કારણકે ત્યાં રહેતી કોઇ
    પણ વ્યકિત તેની કાળજી લેતી નથી.
12 વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે.
    કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે.
દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી
    બધાના જીવને અશાંતિ છે.
13 મારા લોકોએ ઘઉં વાવ્યા છે
    અને કાંટા લણ્યા છે.
મહેનત તો ઘણી કરી છે,
    પણ કશું પ્રાપ્ત થયું નથી.
મારા ઉગ્ર રોષને લીધે
    તેઓની ફસલ નકામી ગઇ છે.”

ઇસ્રાએલના પડોશીયોને યહોવાના વચન

14 યહોવા કહે છે, “જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇસ્રાએલને આપ્યો છે, તેને જ મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે,” તેથી યહોવા તેઓ વિષે કહે છે, “જુઓ, હું તેઓની ભુમિમાંથી તેઓને ઉખેડી નાખીશ, અને હું તેમના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઇશ. 15 પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ. 16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. 17 પરંતુ જે કોઇ પ્રજા મને આધીન થવાનો ઇન્કાર કરશે, તો હું તેને જડમૂળથી ઉખેડી નાખીશ અને તેનો નાશ કરીશ.” આ યહોવાના વચન છે.

બંદીવાન થવાનો લોકોનો ડર

13 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.”

આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો. યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું, “તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.”

તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો. ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.”

આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો.

પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો, “આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ. 10 તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.” 11 યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીર્તિ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.”

યહૂદાને ચેતવણી

12 “યર્મિયા, તું તે લોકોને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; દ્રાક્ષારસની દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ’ અને તેઓ જવાબ આપશે, ‘અલબત્ત અમે ઘણી સારી રીતે જાણીએ છીએ કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ.’ 13 પણ તું તેઓને કહે; ‘તમે મારા માટે ગેરસમજ કરો છો. મારું કહેવું આ છે, કે દેશના બધાં રહેવાસીઓને એટલે કે, દાઉદના રાજ્યાસન પર બેઠેલા રાજાને, યાજકોને, પ્રબોધકોને અને સર્વ સામાન્ય લોકોને હું છાકટાપણાથી ભરી દઇશ.’” 14 યહોવા કહે છે, “હું તેમને-વડીલોને તેમજ જુવાનોને, એકબીજાની સાથે અથડાવીશ. હું તેઓ પર દયા કે કરૂણા દર્શાવીશ નહિ, પણ હું તેમનો સંપૂર્ણ નાશ કરીશ.” આ યહોવાના વચન છે.

15 યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો,
    સાંભળો, ધ્યાન આપો,
    ગર્વ છોડી દો!
16 અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના
    પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં
    તમારાં દેવ યહોવાને સન્માન આપો,
અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો
    તેને ધૂંધળા પડછાયા
    અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે.
17 શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો?
    તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું
મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે,
    મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે,
કારણ કે યહોવાના
    લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.”
18 યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે;
    નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે.
    હવે તે તમારા નથી રહ્યા.”
19 દક્ષિણનાં શહેરો ઘેરાઇ ગયાં છે;
    કોઇ તે ઘેરાને વીંધીને ત્યાં પહોંચી શકે એમ નથી,
આખા યહૂદિયાના લોકોને દેશવટો દેવામાં આવ્યો છે,
    કોઇ કહેતાં કોઇ બાકી રહ્યું નથી.

20 હે યરૂશાલેમ, આંખો ઊંચી કરીને જો!
    ઉત્તરમાંથી પેલા દુશ્મનો આવી રહ્યા છે,
જે લોકોને મેં તને સોંપ્યા હતા,
    જેને માટે તું ગૌરવ લેતી હતી, તે ક્યાં છે?
21 તારા પડોશી દેશોને જેને તેઁ શીખવાડ્યું હતું
    અને જેમને તેં મિત્રો ગણ્યા હતાં
    તેમને તારા પર રાજકર્તાઓ તરીકે હું બેસાડીશ.
ત્યારે તને કેવું લાગશે?
    સ્ત્રીને પ્રસૂતિની વેદના થાય તેવી વેદના અને કષ્ટ તું અનુભવશે.
22 ત્યારે તને થશે કે,
    “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?”
તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને
    તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે.
    અને તારો નાશ કર્યો છે.
23 હબસી કદી પોતાની ચામડી બદલી શકે?
    અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે?
તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી
    તું સત્કર્મ કરી શકે.

24 “અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે
    તેમ તમને હું વિખેરી નાખીશ.
25 તારા ભાગ્યમાં એ જ છે,
    એ જ મેં તારે માટે નીમ્યું છે,”
    આ હું યહોવા બોલું છું.
“કારણ તું મને ભૂલી ગઇ છે,
    અને તેઁ ખોટા દેવોમાં વિશ્વાસ મૂક્યો છે.
26 હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ
    અને તારાં પાપ ઉઘાડા કરીશ.
27 તારા વ્યભિચાર, તારી કામવેગના હિસોટા,
    તારા જારકર્મો, ડુંગરો પરનાં અને ખેતરોમાંના
તારાં એ અધમ કૃત્યો મેં જોયાં છે.
    હે યરૂશાલેમ, તારું આવી જ બન્યું છે!
    તારે શુદ્ધ થવું જ નથી.
ક્યાં સુધી આમને આમ ચલાવ્યા કરીશ?
    તમારી મૂર્તિઓની પૂજાથી હું વાકેફ છું.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International