Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 1-3

બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યર્મિયા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે: યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વર્ષે તેને યહોવાની વાણી સંભળાઇ; વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા.

યર્મિયાને દેવ તરફથી હાકલ

યહોવાએ મને કહ્યું:

“તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં
    મેં તને પસંદ કર્યો હતો;
તું જન્મ્યો તે પહેલાં
    મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો,
    આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.”

મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”

પરંતુ યહોવાએ કહ્યું,

“હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’
    કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે,
    અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવું પડશે.
તે લોકોથી બીશ નહિ, કારણ,
    હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”
આ યહોવાના વચન છે.

પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,

“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું,
    તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે,
વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે,
    બાંધવાનું અને રોપવાનું છે.”

બે સંદર્શન

11 પછી મને યહોવાએ કહ્યું, “યર્મિયા, જો! તું શું જુએ છે?”

મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.”

12 પછી યહોવાએ મને કહ્યું, “તેં જે કઇં જોયું તે બરાબર છે, કારણ, હું તારા પરના મારાં વચનો પૂરાં કરવાની બાબતની ખાતરી કરવા ધ્યાનથી જોઉ છું.”[a]

13 ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?”

મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.”

14 યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં
    સૌ વાસીઓ પર આફત ઉતરશે.
15 હા! જુઓ, હું ઉત્તરમાં બધા રાજ્યોને બોલાવું છું.
    તેમના રાજાઓ યરૂશાલેમના દરવાજા સામે

“તેની ફરતેની દીવાલની સામે,
    તેમ જ યહૂદિયાના બધા નગરોની સામે
પોતપોતાનું સિંહાસન માંડશે.
    આ યહોવાના વચન છે.
16 મારા લોકોના સર્વ દુષ્કૃત્યો બદલ હું
    તેમને સજા ફરમાવીશ.
કારણ, તેમણે મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ કર્યા છે,
    પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા પણ કરી છે.

17 “તારા માટે તારે ઉભા થવું પડશે,
    તારો પોષાક પહેર અને બહાર જા,
અને હું તને જે ફરમાવુ તે
    તું જઇને તેઓને કહે.
તેઓથી ડરીશ નહિ, નહિ તો હું
    તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ.
18 અને તેના બદલે હું તને,
    તે શહેર જેની બાજુએ કિલ્લો હશે તેવો બનાવીશ
અને તને લોખંડી સ્તંભ જેવો
    અને કાંસાની દીવાલ બનાવું છું જેથી તું રાજાઓ, આગેવાનો,
    યાજકો અને યહૂદિયાના બધા લોકો જે તારી વિરુદ્ધ છે,
    તેમની સામે ઊભો રહી શકે.
19 તેઓ તારી સાથે યુદ્ધ કરશે,
    પણ તને હરાવી શકશે નહિ,
કારણ, હું તારે પડખે રહી
    તારું રક્ષણ કરીશ.”
આ હું યહોવા બોલું છું.

ઇસ્રાએલે કરેલો યહોવાનો નકાર

ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ: “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર:

“‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે,
    જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી!
નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી!
    તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.
એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમર્પિત હતી,
    જાણે ફસલની પહેલી ઊપજ.
જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી,
    તેને માથે આફત ઊતરતી.’”
આ હું યહોવા બોલું છું.

હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો,
    યહોવાની વાણીનો સંદેશો સાંભળો.

યહોવા કહે છે,
“તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો
    કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા?
તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા
    અને પોતે વિસાત વગરના થઇ ગયા.
તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે?
    જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા
અને અમને રેતી
    અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં,
જ્યાં સદાકાળ દુકાળ
    અને અંધકાર હોય છે,
    જ્યાં નથી કોઇ માણસના
ક્યારેય પગલાં પડ્યાં
    કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”

યહોવાએ કહ્યું, “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો,
    જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે.
પણ તેમણે તો
    તેમાં પ્રવેશ કરતાં
વેંત તેને અશુદ્ધ બનાવ્યો,
    મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.

“યાજકોએ કદી પૂછયું નથી કે,
    ‘યહોવા ક્યાં છે?’
શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી,
    લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે.
પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી
    અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.”

“આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-
    તેમની અને તેમના વંશજો સામે.
10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ
    કે પૂર્વમાં તપાસ કરો.
ધ્યાનથી જુઓ અને વિચાર કરો,
    આવું કદી બન્યું છે ખરુ?
11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે?
    ભલેને એ પછી નામના હોય?
પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી
    દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે.

12 “આ જોઇને આઘાત પામો.
    ઓ સ્વર્ગ આઘાત પામો,
અને સંપૂર્ણ વિનાશ પામો.”
    આ યહોવાની વાણી છે.
13 મારા લોકોએ બે પાપ કર્યા છે;
    તેમણે મારો ત્યાગ કર્યો છે,
    જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે,
અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા
    તેઓએ પોતાને માટે બાંધ્યા છે.

14 “ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે?
    શા માટે તેને બંદીવાન બનાવી
    દૂર દેશમાં લઇ જવામાં આવી છે?
15 તરૂણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે,
    તેઓ ઘુરઘુરાટ કેમ કરે છે?
એની ભૂમિ વેરાન કેમ થઇ ગઇ છે?
    એનાં શહેરો બળીને ખાક કેમ થઇ ગયા છે, ઉજ્જડ કેમ છે?
16 અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી.
    તારું માથું વાઢી નાંખશે.
17 શુ આ સાચું નથી?
    કે તું જ આ દશા તારી પર લાવ્યો છે?
    તેં આવું તારા યહોવા દેવને છોડી દઇને કયુઁ છે,
જયારે તે તને માર્ગમાં દોરી રહ્યો હતો.
18     અને હવે નીલ નદીનાં પાણી પીવા મિસર જવાનો શો અર્થ છે?
    અને ફ્રાંત નદીનાં પાણી પીવા આશ્શૂર જવાનો શો અર્થ છે?
19 તારા પોતાનાંજ દુષ્કૃત્યોના
    પરિણામ તું ભોગવશે,
તારા પોતાના જ ધર્મથી વિમુખ
    થવાની સજા તું ભોગવી રહ્યો છે,
તારી જાતે જો અને જાણ કે મારાથી,
    તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું
અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ
    અને નુકશાનકારક છે.”
    આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

20 “હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી.
    અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા
    અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’
અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે
    તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે.
21 મેં તો તને ઉત્તમ દ્રાક્ષલત્તા માની,
    જાતવાન રોપો માની રોપી હતી,
પણ તું તો ષ્ટ માણસોની આવી
    દુષ્ટ પેઢી જેવી કેવી રીતે બની?
22 સાબુ તથા ખારો મોટા પ્રમાણમાં વપરાય તોપણ
    તે તમને શુદ્ધ કરી શકશે નહિ,”
યહોવા દેવ કહે છે કે,
    તારા અપરાધોના ડાઘ સદા મારી આંખો સમક્ષ છે.

23 “તું કેવી રીતે કહી શકે કે,
    ‘મેં મારી જાતને ષ્ટ નથી કરી અને, હું બઆલ દેવની પાછળ નથી દોડી?’
પેલા કોતરમાં તું શી રીતે વર્તી હતી તે યાદ કર,
    અને તેં જે કર્યું તે કબૂલ કર.
તું તો ઋતુમાં આવેલી સાંઢણી જેવો છે,
    જે ગાંડી થઇને ગમે તેમ દોડે છે.
24 તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે,
    જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે,
    વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે?
કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી.
    વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે.
25 જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય,
    જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે!
પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું
    મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે
    અને મારે તેમની પાછળ જ જવું છે.’

26 “જેમ ચોર પકડાય ને ફજેત થાય,
    તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો,
તમે બધા જ તમારા રાજાઓ,
    આગેવાનો, યાજકો અને પ્રબોધકો,
27 તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો,
    ‘તમે અમારાં માબાપ છો.’
તમે મારી તરફ પીઠ ફેરવી છે,
    ‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’
પણ આફત આવે છે
    ત્યારે મને હાંક મારો છો,
    ‘યહોવા આવો, અમને બચાવો!’
28 તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી?
    જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે.
હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે
    તેટલાં દેવોની મૂર્તિઓ છે.”

29 યહોવા કહે છે, “મારી વિરુદ્ધ તમે શા માટે ફરિયાદ કરો છો?
    મારી સામે તો તમારા માંના બધાએ બળવો કર્યો છે.
30 મેં તમારા બાળકોને માર્યા કે તમને સજા થાય
    પણ તે વ્યર્થ ગયું.
તમારામાં કોઇ સુધારો થયો નથી.
    તમારી જ તરવાર ભૂખ્યા સિંહની જેમ
    તમારા પ્રબોધકોને ભરખી ગઇ.”
31 હે મારા લોકો, તમે તે કેવા છો?
    મારી વાત ધ્યાનથી સાંભળો!

“શું હું તમારા માટે વેરાન વગડા જેવો
    કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો!
મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ;
    હવે અમે તેમની સાથે
    કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’
32 શું કોઇ કન્યા કદી પોતાનાં ઘરેણાં ભૂલે?
    કોઇ નવવધૂ પોતાના કમરપટા ભૂલે?
તેમ છતાં હે મારી પ્રજા,
    ગણ્યા ગણાય નહિ એટલા દિવસોથી તું મને ભૂલી ગઇ છે.

33 “પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે.
    તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે!
34 તારા વસ્ત્રોનો પાલવ લોહીથી ખરડાયેલો છે, નિર્દોષ ગરીબોના લોહીથી!
    તે કંઇ એ લોકોને તારા ઘરમાં ખાતર પાડતાં પકડ્યા નહોતા.
35 ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી.
    મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’
તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’,
    માટે હું તને આકરી શિક્ષા કરીશ.
36 તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે?
    જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે
    તેમ મિસર પણ તમને નીચા પાડશે.
37 તેથી તું પણ મિસરની બહાર તારો હાથ
    તારે માથે મુકીને આવીશ કારણ કે
મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર
    તે વિશ્વાસ મૂક્યો હતો.
    તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.”

યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય
    અને બીજા માણસને પરણે,
    તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો?
ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી?
    હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે!
    અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?
જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો,
    એવી કોઇ જગ્યા છે જ્યાં
તું વેશ્યાની માફક ન વર્તી હોય?
    ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ
તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે,
    અને તેં તારા અધમ વ્યભિચારથી
    અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.
આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે
    અને ત્યાં પાછલો વરસાદ
પણ વરસ્યો નથી;
    પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.
હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી,
    ‘પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો,
    તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો?’
શુ તમે મારા પર
    સદાય રોષમાં રહેશો?

“તેં મને આમ કહ્યું હતું,
    પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.”

બે દુષ્ટ બહેનો ઇસ્રાએલ અને યહૂદિયા

યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વર્તી. મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે,’ પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે. તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો. અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે. 10 આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે.

11 વળી યહોવાએ મને કહ્યું કે, “બેવફા યહૂદિયાની તુલનામાં બેવફા ઇસ્રાએલ તો ઓછી દોષપાત્ર લાગે છે. 12 તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે,

‘અવિશ્વાસુ ઇસ્રાએલને મારી પાસે પાછા આવવા માટે કહે.’
    એવું યહોવા કહે છે.
‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ,
    કેમકે હું દયાળુ છું’
એવું યહોવા કહે છે.
‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં.
13 ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં,
    તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે,
    પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે
પારકા દેવોની મૂર્તિઓની
    તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે.
તેં મારો સાદ સાંભળ્યો નથી.’
    આ યહોવાના વચન છે.

14 “પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ, “હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ. 15 ત્યાં હું મને મનગમતાં રાજકર્તાઓ તમને આપીશ; ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે. 16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે.

“તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ; 17 તે વખતે યરૂશાલેમ ‘યહોવાનું રાજસિંહાસન’ કહેવાશે. અને ત્યાં સર્વ પ્રજાઓ યહોવાની પાસે આવશે અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને આધીન થવાની હઠ કદી કરશે નહિ, 18 તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.”

19 યહોવા કહે છે,

“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું
    અને તને એક રળિયામણી ભૂમિ,
    આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’
મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે
    અને મારાથી કદી વિમુખ નહિ થાય.
20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે.
    તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો.
અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો.
    વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.”
આ યહોવાના વચન છે.
21 “હું ઊંચા પર્વતો પર રૂંદન
    અને દયા યાચનાનો અવાજ સાંભળું છું.
યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી
    લોકોનો તે અવાજ છે.”

22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો!
    હું તમારી બેવફાઇ દૂર કરીશ.”

અને લોકો જવાબ આપે છે,
“હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ,
    કારણ, તમે જ અમારા યહોવા દેવ છો.
23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર
    અને પર્વતો પર જૂઠાં દેવોની કોલાહલ પૂર્વક પૂજા કરવી વ્યર્થ છે,
માત્ર અમારા યહોવા દેવ પાસેથી જ ઇસ્રાએલને મદદ મળી શકે છે
    અને ઇસ્રાએલનું તારણ ફકત અમારા યહોવા દેવ તરફથી જ શક્ય છે.
24 અમે અમારા બાળપણથી જોયું છે.
    અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં,
ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું.
    ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે.
25 અમે લજ્જિત થયા છીએ
    અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ,
કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ
    અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે;
અને અમે તેમને આધીન થયા નથી,
    અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International