Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 59-63

પાપ સંબંધી ચેતવણી ને યહોવાની સહાય

59 જુઓ, યહોવાનો હાથ કઇં એવો નિર્બળ નથી કે તે તમારો બચાવ ન કરી શકે અથવા તેનો કાન એવો બહેરો નથી કે સાંભળી ન શકે. પણ તમારા પાપોએ તમારી અને દેવની વચ્ચે આડ ઊભી કરી છે; તમારાં પાપને કારણે તે તેમને દર્શન આપતો નથી કે નથી સાંભળતો. તમારા હાથ લોહીથી, ને અપરાધોથી ખરડાયેલા છે; ને તમારી જીભ જૂઠું બોલે છે અને દગાફટકાથી વાત કરે છે. અદાલતમાં સાચી ફરિયાદ કરવાં કોઇ જતું નથી. સૌ પોકળ દલીલો પર આશા બાંધે છે, ને સૌ કોઇ જૂઠાણું ચલાવે છે. દુષ્ટ મનસૂબા ઘડે છે અને અધર્મ આચરે છે. તેઓ સાપનાં ઇંડા સેવે છે અને કરોળિયાનાં જાળાં ગૂંથે છે; જે એ ઇંડા ખાય છે તે મોતને ભેટે છે, ને જે ઈંડુ ફૂટે છે તેમાંથી સાપ નીકળે છે.

તેમનાં જાળાં કઇં વસ્ત્ર તરીકે કામ આવવાનાં નથી, કોઇ તેને પહેરી શકવાનું નથી.

તેમનાં કર્મો કુકર્મો છે અને તેમના હાથ હિંસા આચરે છે. દુષ્ટ કૃત્યો કરવા તેમના પગ દોડી જાય છે, ને નિર્દોષનું લોહી રેડવા તેઓ ઉતાવળા થાય છે, તેઓ હંમેશા કાવાદાવાના જ વિચાર કરતા હોય છે, અને પોતાની પાછળ વિનાશ અને પાયમાલી મુકતા જાય છે, તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માર્ગો છેતરામણા છે અને એ માર્ગે જનારા કોઇને શાંતિ મળતી નથી.

ઇસાએલના પાપોથી મુશ્કેલીઓનું આવવું

તેથી આપણને ન્યાય મળતો નથી,
આપણી મુકિત હજી દૂર છે.
    અમે અજવાળાની આશા રાખીએ છીએ,
પણ જુઓ અંધકારમાં; તેજ ઝંખીએ છીએ
    અને અંધકારમાં અટવાઇએ છીએ.
10 આપણે અંધજનની જેમ ભીંતે
    હાથ દઇને ફાંફા મારીએ છીએ,
આપણે ભરબપોરે જાણે અંધારી
    રાત્રિ હોય એમ ઠોકર ખાઇએ છીએ;
    જાણે આપણે ભટકતાં મૃત લોકો ના હોઇએ!
11 આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ,
    ને હોલાની જેમ કણીએ છીએ.
આપણે ન્યાયને ઝંખીએ છીએ,
    પણ ન્યાય મળતો નથી,
તારણની આશા રાખીએ છીએ,
    પણ તે અમારાથી દૂર રહે છે.
12 હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે
    અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
અમને અમારા પાપોનું ભાન છે,
    અમારા પાપ અમે જાણીએ છીએ.
13 તારી સામે અમે બળવો કર્યો છે
    અને તારો નકાર કર્યો છે,
અમે તમને,
    અમારા દેવને અનુસરવાનું છોડી દીધું છે,
અમે ઘોર ત્રાસ
    અને બળવાની વાતો કરીએ છીએ,
અમે જૂઠાણાંઓ વિચારીએ છીએ
    અને તેને જ ઉચ્ચારીએ છીએ.
14 અમે ન્યાયને પાછો કાઢીએ છીએ
    અને ધર્મને આઘો રાખીએ છીએ.
ન્યાયીપણું નગરનાં ચોકમાં ઠોકર ખાય છે,
    અને પ્રામાણિકતાને પ્રવેશવા દેવામાં આવતી નથી.
15 હા, સત્યનો સદંતર અભાવ છે,
    અને જે સત્યને વળગી રહેવા પ્રયત્ન કરે છે તેના ઉપર આક્રમણ થાય છે.

યહોવાએ સર્વ દુષ્ટતા નિહાળી છે
    અને પાપની વિરુદ્ધ કોઇ પગલું લેવામાં આવ્યું નથી તેથી તે નારાજ થાય છે.
16 યહોવાએ આ જોયું છે અને તે ન્યાયના અભાવથી અપ્રસન્ન થયા છે.
    દીનદલિતોની સાથે થવા કોઇ તૈયાર નથી,
એ જોઇને તે નવાઇ પામ્યા છે.
    આથી તે પોતાના જ બાહુબળથી અને ન્યાયીપણાથી વિજય પ્રાપ્ત કરશે.
17 તે મુકિતનું બખતર ચઢાવશે
    અને માથે વિજયનો ટોપ ધારણ કરશે,
વેરના વાઘા પહેરશે
    અને ઉપર ક્રોધનો ઝભ્ભો ઓઢશે.
18 તે દરેકને તેના કર્મ પ્રમાણે બદલો આપશે.
    શત્રુઓ પર રોષ ઉતારશે,
દુશ્મનોને દંડ દેશે
    અને દૂર દેશાવરના લોકોને પણ સજા કરશે.
19 ત્યારબાદ પૂર્વથી પશ્ચિમ સુધી લોકો યહોવાના નામથી ડરશે
    અને તેના પ્રતાપથી થરથર ધ્રુજશે;
કારણ તે ધસમસતા પૂરની
    અને પ્રચંડ વાયુની જેમ ઘસી આવશે.
20 પણ સિયોનને માટે, પોતાના લોકોમાંથી જેઓ પાપથી પાછા ફર્યા હશે
    તેમને માટે તો તે ઉદ્ધારકરૂપે આવશે. આ યહોવાના પોતાના વચન છે.

21 યહોવા કહે છે કે, “આ મારો તમારી સાથેનો કરાર છે; મેં મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે તારા મુખમાં મૂક્યાં છે તે તારા મુખમાંથી તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનનાં મુખમાંથી હમણાંથી તે સર્વકાળપર્યંત અલોપ થનાર નથી.”

દેવના લોકો માટે ભાવિ મહિમા

60 “હે યરૂશાલેમ, પ્રકાશી ઊઠ! તારા પર
    યહોવાનો મહિમા ઉદય પામ્યો છે
    ને તે ઝળહળી રહ્યો છે.
જુઓ, પૃથ્વી પર હજી અંધકાર છવાયેલો છે
    અને લોકો હજી ઘોર તિમિરમાં છે,
પણ તારા પર યહોવા ઉદય પામે છે
    અને તેનો મહિમા તારા પર પ્રગટે છે.
પ્રજાઓ તમારા પ્રકાશ તરફ આવશે;
    તેમના પરાક્રમી રાજાઓ પણ તમારા ચળકતા ઉજાસને નિહાળવા આવશે.
તું જરા ઊંચી નજર કરીને ચારે તરફ જો;
    બધા ભેગા થઇને તારા તરફ આવે છે.
દૂર દૂરથી તારા પુત્રો આવશે
    અને તારી પુત્રીઓને તેમની આયાઓ તેડીને લાવશે,

“એ જોઇને તમારી આંખો ખુશીથી ચળકશે
    અને તમારાં હૃદયો પ્રફુલ્લિત થશે,
સમુદ્રની સંપત્તિ તમારી પાસે આવશે,
    દૂર દેશાવરોની સમૃદ્ધિ તમને અપાશે.
ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે.
    તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે,
શેબાથી પણ બધાં આવશે;
    સોનું અને લોબાન લઇને આવશે,
    યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.
કેદારના અને નબાયોથનાં બધાં ઘેટાંબકરાં
    તારા વિધિવત યજ્ઞ માટે લાવવામાં આવશે
અને યહોવાની યજ્ઞ વેદી પર
    તેને પ્રસન્ન કરવા બલિ તરીકે હોમાશે
અને તે એના મહિમાવંતા
    મંદિરનો મહિમા વધારશે.
વાદળની જેમ
    અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની
    જેમ ઊડતાં આ શું જાય છે?
હા, એ તો દૂર દેશાવરના વહાણ ભેગાં થઇને આવે છે
    અને તાશીર્શના વહાણો એમાં આગળ છે.
તેઓ તમારા દેવ યહોવાને નામે,
    તને મહિમાવંત બનાવનાર ઇસ્રાએલના પરમપવિત્ર દેવને નામે,
તારા સંતાનોને સોનાચાંદી સાથે
    દૂર દૂરથી પાછાં આવે છે.”
10 યહોવા યરૂશાલેમને કહે છે,
“વિદેશીઓ આવશે અને તારા નગરોના કોટને ફરી બાંધશે.
    અને તેમના રાજાઓ તારા ગુલામ બનશે.
કારણ ક્રોધ ચઢતાં મેં તને પ્રહાર કર્યો હતો.
    પણ હવે હું મારી કૃપામાં
    તારા પર દયા કરીશ.
11 તારા દરવાજા સદાય ખુલ્લા રહેશે,
    રાતે કે દિવસે કદી બંધ થશે નહિ,
    જેથી તેમાં થઇને વિદેશી રાજાઓ પોતાની સમૃદ્ધિ લઇને આવે.
12 પરંતુ જે પ્રજા કે રાજ્ય તારી તાબેદારી સ્વીકારવાની ના પાડશે તેનો નાશ થશે,
    તે ખેદાનમેદાન થઇ જશે.
13 લબાનોનનાં ગૌરવરૂપ ચિનાર,
    સરળ અને સરુનું કિમતી લાકડું મારા પવિત્રસ્થાનની શોભા વધારવા,
મારી પાદપીઠનો મહિમા કરવા
    તારી પાસે લાવવામાં આવશે.
14 જેઓએ તારા પર ત્રાસ કર્યો તેઓના પુત્રો તારી પાસે નમતા આવશે;
    અને જેઓએ તને તુચ્છ માન્યું તેઓ સર્વ
તારા પગનાં તળિયાં સુધી નમશે;
    અને તેઓ તને ‘યહોવાનું નગર’,
‘ઇસ્રાએલના પવિત્ર દેવનો મહિમાવંત
    પર્વત એવા નામથી તેઓ સંબોધશે.’

15 “તું એક નગરી હતી જે ત્યકતા અને તિરસ્કૃત હતી,
    કોઇ તારામાંથી પસાર થતું નહોતું;
પણ હું તને કાયમ માટે માનવંતી
    અને આનંદના ધામરૂપ બનાવીશ.
16 વિદેશી ભૂમિઓ અને તેના રાજામહારાજાઓ
    તારું પોતાની માતાની જેમ પાલન કરશે,
ત્યારે તને ખબર પડશે કે હું,
    યહોવા તારો તારક છું,
    હું યાકૂબનો મહાબળવાન દેવ, તારો રક્ષક છું.

17 “હું તમને કાંસાને બદલે સોનું
    અને લોખંડને બદલે ચાંદી
તેમજ લાકડાને બદલે કાંસુ
    અને પથ્થરને બદલે લોઢું આપીશ.
તારા પ્રશાસક શાંતિ
    અને ન્યાયપૂર્વક શાસન ચલાવે એમ હું કરીશ,
18 તારી ભૂમિમાં હિંસાનું, વિનાશનું
    કે પાયમાલીનું નામ સાંભળવા નહિ મળે.
તમારી ભીતો ‘તારણ’ કહેવાશે
    અને તમારા દરવાજાઓ ‘સ્તુતિ’ કહેવાશે.

19 “હવે પછી તને દિવસ દરમ્યાન પ્રકાશ માટે સૂર્યની કે રાત્રે પ્રકાશ માટે ચંદ્રની જરૂર નહિ રહે,
    કારણ, હું તારો દેવ યહોવા,
તારો શાશ્વત પ્રકાશ બની રહીશ,
    અને તારો દેવ તારો મહિમા હશે.
20 તારો સૂર્ય હવે કદી આથમશે નહિ
    કે તારો ચંદ્ર છુપાશે નહિ,
કારણ, હું યહોવા તારો શાશ્વત પ્રકાશ બની રહીશ
    અને તારા દુ:ખના દિવસોનો અંત આવશે.

21 “વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે.
    તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે,
કારણ કે હું મારા પોતાના હાથે
    તેઓને ત્યાં સ્થાપીશ;
    અને એમ મારો મહિમા થશે.
22 છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે.
    ને જે નાનકડું ટોળું છે
તે વૃદ્ધિ પામીને પરાક્રમી પ્રજા બનશે.
    હું યહોવા, સમયની સંપૂર્ણતાએ
    તે સર્વ પૂર્ણ કરીશ.”

મુકિતનું સ્વાગત

61 યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે. જે લોકો શોક કરે છે તેઓને એમ કહેવા મને મોકલ્યો છે કે, તમારા માટે યહોવાની કૃપાનો દિવસ આવી પહોંચ્યો છે. અને તમારા શત્રુઓ માટે યહોવાના કોપનો દિવસ આવી પહોંચ્યો છે. તેણે મને સૌ દુ:ખીઓને સાંત્વના આપવા, તેમનો શોક હર્ષમાં ફેરવવા, એમનાં ભારે હૈયાને સ્તુતિનાં ગીતો ગાતાં કરવા મોકલ્યો છે. એ લોકો યહોવાએ પોતાના મહિમા માટે રોપેલાં “ધર્મનાં વૃક્ષો કહેવાશે.”

“પ્રાચીન ખંડેરોનો તેઓ જીણોર્દ્ધાર કરશે, અગાઉ ભોંયભેગા થઇ ગયેલાં મકાનોને ફરી ઊભા કરશે, પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને નવેસરથી બાંધશે.

“હે મારા લોકો, વિદેશીઓ તમારી સેવા કરશે, તેઓ તમારા ઘેટાંબકરાંને ચારશે અને તમારાં ખેતરોમાં મજૂરી કરશે. પરંતુ તમે લોકો ‘યહોવાના યાજકો’ તથા આપણા ‘દેવના સેવકો’ ગણાશો. તમે બીજી પ્રજાઓની સમૃદ્ધિ ભોગવશો અને તેમની સંપત્તિથી શોભશો.

“તમારે બેવડી શરમ અનુભવવી પડી હતી, અપમાન અને તિરસ્કાર વેઠવાં પડ્યા હતાં; તેથી હવે તમને તમારા પોતાના દેશમાં બમણી સંપત્તિ પ્રાપ્ત થશે, અને તમે શાશ્વત આનંદ ભોગવશો. યહોવા કહે છે, હું યહોવા ન્યાયને ચાહું છું, હું લૂંટ અને અયોગ્ય કાર્યને ધિક્કારું છું. હું દુ:ખ સહન કરતા મારા લોકોને વિશ્વાસુપણે બદલો આપીશ અને તેઓની સાથે સદાકાળનો કરાર કરીશ. તેઓના વંશજો સર્વ પ્રજાઓમાં ખ્યાતિ પામશે; અને સર્વ લોકો જાણશે કે, દેવે જેઓને ખૂબ આશીર્વાદિત કર્યા છે તે આ લોકો છે.”

દેવનો સેવક વિનાશમાંથી બચાવ લાવ્યો

10 “યહોવાના ઉપકારોનું સ્મરણ થતાં મારા હૈયામાં આનંદ શમાતો નથી.
    મારા દેવને સંભારતાં મારું હૈયું હર્ષથી ઊભરાય છે; કારણ,
તેણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યા છે
    અને મને ન્યાયીપણાંનો ઝભ્ભો પહેરાવ્યો છે.
લગ્નનાં વસ્ત્રોમાં સજ્જ થયેલા વરરાજા જેવો
    અથવા રત્નાલંકારોથી શણગારાયેલી જાણે વધૂ જેવો હું છું.
11 જેવી રીતે પૃથ્વી તેની વનસ્પતિઓનું નવ સર્જન કરે છે,
    અથવા એક બગીચો તેમાં રોપેલા બીજાને ઉગાડે છે,
યહોવા જગતની પ્રજાઓને પોતાનો ન્યાય
    અને મહિમા બતાવશે.”

યરૂશાલેમ ઉદ્ધાર માટે પ્રાર્થના

62 હું સિયોન પર પ્રેમ કરું છું.
    યરૂશાલેમનો ઉદ્ધાર ન થાય
ત્યાં સુધી હું મૂંગો નહિ રહું.
    તેનો વિજય મશાલની જેમ ભભૂકી ન ઊઠે
ત્યાં સુધી હું દેવને પોકારવાનું બંધ નહિ કરું,
    અને હું વિશ્રામ લઇશ નહિ.
સર્વ પ્રજાઓ તારું ન્યાયીપણું જોશે.
    તારા મહિમાથી તે રાજાઓની આંખો અંજાઇ જશે;
અને યહોવા તને
    એક નવું નામ આપશે.
તું યહોવાના હાથમાં ઝળહળતો તાજ,
    તારા દેવના હાથમાં રાજમુગટ બની રહેશે.
પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે,
    તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે.
પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે,
    અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે,
કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે
    અને તારી ભૂમિનો તે માલિક થશે.
હે યરૂશાલેમ, તારો નિર્માતા (શિલ્પી) જેમ એક યુવાન એક યુવતી સાથે લગ્ન કરે છે,
    તેમ તારી સાથે લગ્ન કરશે,
અને જેમ કોઇ વર કન્યાથી હર્ષ પામે છે,
    તેમ તારો દેવ તારાથી આનંદ પામશે.

હે યરૂશાલેમ, મેં તારા કોટ પર
    પહેરેગીરો ગોઠવ્યા છે,
    તેઓ રાતે કે દિવસે કદી મૂંગા નહિ રહે.

હે યહોવાને યાદ કરાવનારાઓ,
    તમે પોતે જંપશો નહિ,
અને જ્યાં સુધી યહોવા યરૂશાલેમની ફરી પ્રતિષ્ઠા કરી તેને પૃથ્વી પર પ્રશંસાનું પાત્ર ન બનાવે,
    ત્યાં સુધી તેને જંપવા દેશો નહિ.

યહોવા પોતાના સાર્મથ્યથી વચન આપે છે કે,
    “હવે કદી હું તારું ધાન્ય શત્રુઓને ખાવા નહિ આપું.
અથવા વિદેશીઓને તારી મહેનતથી
    બનેલો દ્રાક્ષારસ નહિ પીવાં દઉં.
પરંતુ ધાન્ય લણનારા જ તે ખાઇને મારી સ્તુતિ કરશે,
    અને દ્રાક્ષને ભેગી કરનારા જ મારા મંદિરના ચોકમાં તેનો દ્રાક્ષારસ પીશે.”

10 દરવાજામાંથી જાઓ
    અને લોકો માટે રસ્તો તૈયાર કરો.
રાજમાર્ગ બાંધો,
    ને પથ્થરો હઠાવી દો.
પ્રજાઓ પર ઊંચે ધ્વજ ફરકાવો.

11 જુઓ, પૃથ્વીના છેડા સુધી
    યહોવા ઘોષણા કરે છે,
“યરૂશાલેમના લોકોને જણાવો કે,
    આ તમારો મુકિતદાતા આવે છે,
પોતે મુકત કરેલા
    લોકોને સાથે લઇને આવે છે.”
12 હું તેમને ઘણા ઉપહારો આપીશ,
    અને તેઓ “પવિત્ર પ્રજા” “યહોવાએ મુકત કરેલા લોકો” કહેવાશે.
અને યરૂશાલેમ “ઇપ્સિતા” “અત્યકતા નગરી”
    દેવથી આશીર્વાદિત શોધી કાઢેલી ભૂમિ કહેવાશે.

યહોવાનો પ્રજાઓ પર વિજય

63 અદોમના નગર બોસ્રાહથી આ કોણ આવે છે?
    કિરમજી રંગના શોભાયમાન વસ્ત્રોમાં સજ્જ
    થઇને વીરત્વ ભરી ચાલે આ કોણ આવે છે?
એ તો હું યહોવા છું. “તમારું તારણ પ્રગટ કરું છું.
    તમારો ઉદ્ધાર કરવાને શકિતમાન
    અને સમર્થ એવો હું યહોવા છું.”

“કૂંડીમાં દ્રાક્ષ ગુંદનારા વસ્ત્રની જેમ
    તારાં વસ્ત્રો લાલ કેમ છે?”

“મેં એકલાએ દ્રાક્ષ ગૂંદી છે.
    મને મદદ કરવા માટે ત્યાં કોઇ ન હતું.
મારા ક્રોધમાં મેં મારા શત્રુઓને દ્રાક્ષાની જેમ ગૂંદી નાખ્યા,
    રોષે ભરાઇને મેં તેમને રોળી નાખ્યા અને તેમના લોહીની પિચકારી
    મારાં વસ્ત્રો ઉપર ઊડી અને મારાં વસ્ત્રો બધાં ખરડાઇ ગયા.
કારણ, શત્રુઓને સજા કરી મારા પોતાના લોકોને મુકત કરવાનો
    મેં નક્કી કરેલો સમય આવી ચૂક્યો છે.
મેં આજુબાજુ નજર નાખી પણ કોઇ મારી મદદે આવ્યું નહિ.
    મારી સાથે આવનાર કોઇ નથી એ જોઇને હું અચંબામાં પડી ગયો.
તેમ છતાં મારા બાહુએ મને વિજય અપાવ્યો,
    મારા ક્રોધમાં મેં વિદેશી પ્રજાઓને કચડી નાખી અને તે સર્વ લથડિયાં ખાઇને જમીન પર પડી ગઇ.”

યહોવા પોતાના લોકો પર દયાળુ રહ્યાં

યહોવાના ઉપકારો હું સંભારીશ
    અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે
તે માટે હું તેના ગુણગાન ગાઇશ.
    પોતાની અપાર કરુણા
અને દયાથી પ્રેરાઇને
    તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.
તેણે કહ્યું, “ખરેખર તેઓ મારી પ્રજા છે,
    મારા સંતાન છે;
    તેઓ મને દગો નહિ દે.”
અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા.
    તેઓને બચાવવા માટે
તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો,
    તે જાતે આવ્યા હતા.
તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય
    તેઓને ઉપાડ્યા કર્યા.
10 આમ છતાં તેઓએ દગો કરીને
    તેમની વિરુદ્ધ બળવો કરી તેમના પવિત્ર આત્માને દુભાવ્યો.
એ પછી તે તેમના દુશ્મન બન્યા
    અને જાતે તેમની સામે યુદ્ધે ચડ્યા.

11 પછી તેમણે તેમના સેવક મૂસાના જૂના
    દિવસો યાદ કર્યા અને કહેવા લાગ્યા,
પોતાના લોકોના આગેવાનને સમુદ્રમાંથી
    પાર ઉતારનાર યહોવા ક્યાં છે?
તેમનામાં પોતાના આત્માનો
    સંચાર કરનાર એ ક્યાં છે?
12 પોતાના સંપૂર્ણ સાર્મથ્યથી મૂસાની સાથે રહેનાર ક્યાં છે?
પોતાના લોકોને માટે જળના બે ભાગ કરી
    તેમને સમુદ્રમાંથી દોરી લાવી અમર કીર્તિ પ્રાપ્ત કરનાર ક્યાં છે?
13 જેણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય
    તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા
    કે અમે ઠોકર ખાધી નહિ, તે ક્યાં છે?
14 ખીણમાં ઊતરી જનારાં ઢોરની જેમ
    તેઓ યહોવાના આત્માથી વિશ્રામ પામ્યા;
તે મુજબ તે પોતાને માટે મહિમાવંત નામ કરવા
    માટે તમારા લોકોને દોર્યા.

15 હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર,
    તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર.
ક્યાં છે તારી શકિત?
    ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા?
ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા?
    એને તું અટકવતો લાગે છે!
16 હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો!
    જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ (યાકૂબ)
    અમારો અસ્વીકાર કરે તોયે,
હે યહોવા, તું અમારો પિતા છે,
    પ્રાચીન સમયથી તું “અમારો ઉદ્ધારક” એ નામથી ઓળખાતો આવ્યો છે.
17 હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા
    અને અમને તમારા માર્ગોથી વાળ્યાં છે?
પાછા આવો, તમારા સેવકોને ખાતર,
    જે કુળો તમારા જ છે.
18 થોડા સમય માટે, તમારા પવિત્ર લોકો તમારા પવિત્ર ધામને ધરાવતા હતાં,
    પણ હવે અમારા શત્રુઓએ તમારા મંદિરને રોળી નાખ્યું છે.
19 અમારા પર તું રાજ્ય
    ન કરતો હોય તે રીતે,
અમે તારી પ્રજા ન હોઇએ તે રીતે,
    અમે ઘણો સમય વિતાવ્યો!

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International