Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યશાયા 49-53

યહોવાનું પોતાના લોકોને આશ્વાસન

49 હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો!
    હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો,
જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ
    તેણે મને નામ આપ્યું હતું.
તેમણે મારી વાણીને મર્મભેદી તરવાર બનાવી,
    અને મને પોતાના હાથની છાયામાં છુપાવી દીધો.
તેણે મને તીક્ષ્ણ બાણ બનાવી
    અને ભાથામાં સંતાડી દીધો.

તેમણે મને કહ્યું, “તું, ઇસ્રાએલ, મારો સેવક છે,
    તું મારો મહિમા વધારનાર છે.”

પરંતુ હું તો એમ વિચારતો હતો કે, “મારી મહેનત પાણીમાં ગઇ.
    મેં મારી શકિત નકામી,
વ્યર્થ વાપરી. તેમ છતાં,
    મને ખાતરી છે કે,
યહોવા મને ન્યાય આપશે
    અને તે મને બદલો આપશે.”
“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો,
    જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને,
    પાછા એને ચરણે લાવું.
તેણે મારો મહિમા કર્યો
    અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:

“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત
    તું વધારે કામ કરીશ,
પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા
    હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”

જેને લોકો ધૃણાની નજરે જુએ છે,
    જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે,
જે અન્યાયી શાસકોનો ગુલામ છે,
    તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે,
“તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે,
    અને સરદારો પગે પડશે,”

એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.

મુકિતનો દિવસ

યહોવા કહે છે,
“તમારો બચાવ કરવાનો સમય આવશે
    ત્યારે હું તમારા પ્રત્યે ભલાઇ દેખાડીશ
અને તમારા સહાય માટેના પોકારો હું સાંભળીશ,
    હું તમારું રક્ષણ કરીશ અને સર્વ લોકો સાથેના
    મારા કરારના મધ્યસ્થ તમને બનાવીશ,
ઉજ્જડ થયેલી જગામાં
    હું તમને ફરીથી વસાવીશ.
હું બંદીવાનોને કહીશ,
    ‘જાઓ તમે મુકત છો!’
અને જેઓ અંધકારમાં છે તેઓને કહીશ,
    ‘બહાર પ્રકાશમાં આવો!’
તેઓ પર્વત પર ચરનારા ઘેટાં જેવા થશે.
10 તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ;
    તેઓને લૂ તથા તાપ વેઠવા પડશે નહિ.
કારણ કે યહોવા પોતાની ભલાઇથી તેઓને દોરતા રહેશે
    અને તેમને પાણીના ઝરા આગળ લઇ જશે.
11 હું દરેક પર્વતને સપાટ
    રસ્તો બનાવી દઇશ
    અને દરેક માર્ગને પૂરીને સરખો કરીશ,

12 “જુઓ, મારા લોકો ઉત્તરના
    તથા પશ્ચિમના તેમજ દક્ષિણના પ્રદેશોમાંથી પાછા ફરશે.”

13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર;
    હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો,
કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે,
    અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.

14 છતાં સિયોનના લોકો કહે છે, “યહોવાએ અમારો ત્યાગ કર્યો છે,
    અમારો નાથ અમને ભૂલી ગયો છે.”

15 પરંતુ યહોવા કહે છે,
“કોઇ માતા પોતાના બાળકને કઇં રીતે ભૂલી જઇ શકે?
    પોતાના પેટના સંતાનને હેત કરવાનું કઇ રીતે ભૂલી જઇ શકે?
કદાચ માતા ભૂલી જાય,
    પણ હું તને નહિ ભૂલું.
16 જો, મેં તને મારી હથેલી પર કોતરી છે,
    અને યરૂશાલેમ નગરના કોટકાંગરાને હું સતત સંભાર્યા કરું છું.
17 તને ફરી બાંધનારાઓ થોડા જ સમયમાં આવી પહોંચશે.
    અને તારો નાશ કરનારા સર્વને ભગાડી મૂકશે.”
18 જરા ઊંચી નજર કરીને ચારે બાજુ જો!
    તારા લોકો કેવા ભેગા મળીને તારી પાસે પાછા આવે છે!
હું યહોવા, મારા પ્રાણનાં સમ ખાઇને પ્રતિજ્ઞા કરું છું કે,
    “તું તેમને આભૂષણની જેમ ધારણ કરશે,
    અને નવવધૂની જેમ તેમના વડે તારી જાતને શણગારશે.

19 “તું ખેદાન-મેદાન થઇ ગઇ હતી,
    તું ખંડેરની ભૂમિ બની ગઇ હતી એ સાચું,
પણ હવે તારા વતનીઓ માટે તારી સરહદ અત્યંત સાંકડી પડશે.
    અને તને ખેદાન-મેદાન કરી નાખનારાઓ તો દૂર ચાલ્યા ગયા હશે.
20 દેશવટાના દિવસોમાં જન્મ ધારણ કરનારાં બાળકો પાછાં આવશે અને તેને કહેશે,
    ‘અમારે વધારે જગાની જરૂર છે!
    કેમ કે આ જગા તો ખીચોખીચ ભરાઇ ગઇ છે!’
21 પછી તું મનમાં વિચાર કરશે,
    હું તો સંતાન વિહોણી ત્યકતા હતી,
આ બધા બાળકો મને થયા શી રીતે?
    ‘હું તો એકલીઅટૂલી હતી,
ત્યારે એમને ઉછેર્યા કોણે?
    એ આવ્યાં ક્યાંથી?’”

22 યહોવા મારા દેવ કહે છે,
“જુઓ, હું વિદેશીઓ તરફ મારો હાથ ઊંચો કરીશ,
    અને લોકો તરફ મારો ધ્વજ રાખીશ.
અને તેઓ તારા પુત્રોને પોતાના ખોળામાં ઊંચકીને
    અને તારી પુત્રીઓને ખભા પર
    બેસાડીને તારી પાસે પાછા લાવશે.
23 રાજાઓ તેમના પાલકપિતા થશે
    અને તેમની રાણીઓ તેમની ધાવ થશે.
તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે
    અને તમારા ચરણની રજ ચાટશે;
ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે
    તેઓ કદી જ નિરાશ થશે નહિં.”

24 શકિતશાળી માણસના હાથમાંથી શિકારને
    કોણ પાછો ઝૂંટવી શકે?
અત્યાચારી રાજવી પાસે બંદીવાનોને મુકત
    કરાવવાની માગણી કોણ કરી શકે?
25 પણ યહોવા કહે છે કે,
“જોરાવરના હાથમાંથી લૂંટનો માલ ઝૂંટવી લેવાશે જ,
    અને દુષ્ટના હાથમાંથી કેદીને છોડાવાશે જ.
તારી સામે જેઓ લડતા હશે તે બધાની સાથે
    હું લડીશ અને તારાં બાળકોને હું પોતે બચાવીશ.
26 હું તારા દુશ્મનોને તેમનું પોતાનું માંસ ખવડાવીશ
    અને જાણે દ્રાક્ષારસ પીધો હોય એમ તેઓ પોતાનું જ લોહી પીને છાકટા બનશે,
    અને આખી માનવજાતને ખાતરી થશે કે હું,
યહોવા તારો તારક અને ઉદ્ધારક
    અને યાકૂબનો મહાન પરાક્રમી દેવ છું.”

યહોવાનો આજ્ઞાધીન સેવક

50 યહોવા પૂછે છે,
“શુ મેં તમને મારા લેણદારોને વેચી દીધા છે?
    તેને લીધે શું તમે અહીં આવ્યા નથી?
મેં તમારી માતાને છૂટાછેડા આપીને કાઢી મૂક્યાનું ફારગતીપત્ર ક્યાં છે?
    ના, તમારા અપરાધોને લીધે જ તમે પોતાને વેંચી દીધા હતા
અને તમારું દેવું ચૂકવવાને માટે જ તમારી માતાને
    પણ કાઢી મૂકવામાં આવીં હતી.
હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો,
    ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ?
મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો?
    શું તમને એમ લાગ્યું કે,
મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી!
    શું મારામાં તમને બચાવવાની શકિત નથી?
જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે,
    અને ઝરણા રણ બની જાય છે.
તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે
    અને તરસે મરી જાય છે.
આકાશ જાણે શોક પાળતું હોય તેમ,
    હું તેને અંધકારથી આચ્છાદિત કરુ છું.”

દેવના સેવક દેવના ભરોસે

યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે. યહોવા મારા દેવે મારા કાન ઉઘાડ્યા છે, મેં નથી આજ્ઞાભંગ કર્યો કે, નથી પાછા પગલા ભર્યા. મારનાર તરફ મેં પીઠ ધરી છે અને વાળ ખેંચી કાઢનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનાર અને થૂંકનારથી મેં મારુ મુખ સંતાડ્યું નથી. પરંતુ યહોવા મારા માલિક મારી સહાયમાં ઊભા છે, તેથી કોઇ અપમાન મને નડતું નથી. મેં મારું મુખ પથ્થર જેવું દ્રઢ અને મજબૂત કર્યું છે; મને ખાતરી છે કે મારી લાજ નહિ જાય.

મને ન્યાય આપનાર નજીકમાં છે; હવે મારી સામે યુદ્ધ કરવાની હિંમત કોણ કરી શકે? ક્યાં છે મારા દુશ્મનો? તેમને મારી સામે આવવા દો! જુઓ, યહોવા મારા દેવ મને સહાય કરશે, પછી મને અપરાધી ઠરાવી શકે એવો કોણ છે? જેમ જીવાત જૂના કપડાંને ખાઇ જાય છે, તેમ મારા સર્વ શત્રુઓનો નાશ થશે!

10 તમારામાંથી એવો કોઇ છે જે યહોવાનો ડર રાખતો હોય? તેના સેવકની આજ્ઞા પાળતો હોય? જે અંધારામાં દીવા વગર ચાલતો હોય તોતે યહોવાના નામ પર શ્રદ્ધા રાખે, અને તેનો આધાર લે.

11 “પણ તમે બધા તો અગ્નિ પેટાવો છો અને ઝાડના કૂંઠા બાળો છો. તો જાઓ, અગ્નિની જવાળાની વચ્ચે અને તમે જાતે સળગાવેલાં ઝાડના ઠૂંઠા વચ્ચે ચાલો. યહોવાને હાથે તમારી આ દશા થવાની છે. તમે દુ:ખમાં જ સબડવાનાં છો અને વિપત્તિમાં જ પડ્યા રહેવાના છો.”

યહોવાના લોકો અને દેવનો ભય

51 યહોવા કહે છે, “હે ન્યાયની અપેક્ષા રાખનારાઓ, મને પ્રાપ્ત કરવા ઇચ્છનારાઓ. મારુ કહ્યું સાંભળો! જે ખડકમાંથી તમને તોડી નાખવામાં આવ્યા છે તેનો ખ્યાલ કરો, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે, તેનો વિચાર કરો. અને હા, તમારા પૂર્વજો ઇબ્રાહિમ અને સારાનો વિચાર કરો. મેં જ્યારે તેને બોલાવ્યો ત્યારે તેને એકે સંતાન નહોતું. મેં તેને આશીર્વાદ આપ્યા અને તે એકના અનેક થયા.”

યહોવા સિયોનને-એના ખંડેરમાં વસતા બધા લોકોને સાંત્વના આપવા માગે છે. તે તેની ઉજ્જડ થઇ ગયેલી ભૂમિને એદન જેવા ઉપવનમાં ફેરવી નાખશે. ત્યાં આનંદોત્સવ વ્યાપી જશે અને સ્તુતિનાં ગીતો સંભળાશે.

“હે મારા લોકો, મારી વાત ધ્યાનથી સાંભળો! હે મારી પ્રજા,
    મારી વાત કાને ધરો! કારણકે, હું મારો નિયમ પ્રજાઓને સંભળાવું છું, અને મારો ન્યાયચુકાદો તેમને પ્રકાશ આપશે.
હું તમને મુકિત આપવા આવી રહ્યો છું;
    મારો વિજય હાથવેંતમાં છે, હું પ્રજાઓ પર શાસન કરીશ;
તે દરિયા કિનારાના દેશો મારી વાટ જોશે,
    અને મારા આગમનની તેઓ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરશે.
ઊંચે આકાશ તરફ જુઓ
    અને નીચે પૃથ્વી તરફ નજર કરો!
આકાશ ધુમાડાની જેમ અલોપ થઇ જશે,
    અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઇ જશે,
અને તેના લોકો મચ્છરની જેમ મરી જશે.
    પરંતુ મારું તારણ સદાકાળ રહેશે,
    મારા ન્યાયનો ક્યારેય અંત નહિ આવે;
ધર્મને ઓળખનારાઓ, મારા નિયમોને હૈયે રાખનારાઓ,
    મારું કહ્યું સાંભળો!
લોકોના મહેણાં ટોણાંથી ગભરાશો નહિ,
    લોકનિંદાથી ડરશો નહિ,
માટે જેમ જીવાત કપડાંનો નાશ કરે છે
    અને કંસારી ઊનને કોતરી કાઢે છે.
તેમ તેઓનો નાશ થશે, પણ મારો ન્યાય સદાકાળ ટકી રહેશે
    અને મારું તારણ પેઢી દર પેઢી રહેશે.”

દેવનું સાર્મથ્ય તેના લોકોની રક્ષા કરે છે

હે યહોવાના બાહુ, જાગૃત થાઓ!
    ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં,
સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો.
    જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા,
અને જેણે અજગરને વીંધ્યો,
    તે જ તું નથી?
10 જેણે સાગરને, તેનાં અગાધ જળને સૂકવી નાખ્યાં,
    જેણે તારણ પામેલાઓને પાર ઉતારવા માટે સાગરનાં
    ઊંડાણોમાં થઇને માર્ગ કરી આપ્યો, તે જ તું નથી?
11 હવે એવો સમય આવશે જ્યારે
    યહોવા દ્વારા ઉગારાયેલા સર્વ લોકો ફરીથી ગાતાં ગાતાં સિયોન પાછા આવશે.
તેઓ અનંત આનંદ તથા હર્ષથી ભરપૂર થશે;
    દુ:ખ તથા શોક સર્વ જતાં રહેશે.

12 યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું.
    ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી
    ભયભીત થવાનું શું કારણ છે?”

13 તમે તમારા સર્જનહાર યહોવાને ભૂલી ગયા છો,
    જેણે આ આકાશનો વિસ્તાર કર્યો છે
    અને પૃથ્વીનો પાયો નાખ્યો છે!
હજી તમે આખો વખત તમારો નાશ કરવા તૈયાર
    થયેલા જુલમગારના રોષથી શા માટે ફફડ્યા કરો છો?
એ જુલમગારનો રોષ
    તમને શું કરવાનો હતો?

14 જેઓ બંધનમાં છે તેઓ જલદીથી મુકત થશે,
    તેઓ કબરમાં મરવા નહિ પામે.
    તેમ તેમને કદી રોટલાની ખોટ નહિ પડે.

15 “હું તમારો દેવ યહોવા છું,
    હું સાગરને ખળભળાવીને ગર્જના કરતા મોજાં પેદાં કરું છું.”
    મારું નામ સૈન્યોના દેવ યહોવા છે.

16 “મેં આકાશને વિસ્તાર્યું છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે અને સિયોનના લોકોને કહ્યું છે કે, તમે મારી પ્રજા છો. મેં તમારા મોઢામાં મારી વાણી મૂકી છે અને મારા બાહુની છાયામાં તમને આશ્રય આપ્યો છે.”

દેવે ઇસ્રાએલને સજા કરી

17 હે યરૂશાલેમ જાગૃત થા, જાગૃત થા,
    તેં યહોવાને હાથે તેના રોષનો પ્યાલો પીધો છે,
તું એ પ્યાલો પૂરેપૂરો પી ગયો છે
    અને લથડે છે.

18 તારે પેટે જન્મેલા અને તે ઉછરેલા બધા પુત્રોમાંથી એકે એવો નથી જે તારો હાથ પકડી તને માર્ગ બતાવે. 19 વિનાશ અને પાયમાલી, દુષ્કાળ અને યુદ્ધ આ બે આફતો તારે માથે આવી છે ત્યારે કોણ તને દિલાસો આપે? કોણ તને હિંમત આપે?

20 કારણ કે તારા પુત્રો મૂછિર્ત થઇને શેરીઓમાં પડ્યા છે. તેઓ જાળમાં ફસાયેલા હરણાંની જેમ લાચાર થયેલા છે. તારા દેવનો પુણ્યપ્રકોપ તેમના પર પૂરેપૂરો ઊતર્યો છે.

21 માટે, તું જે ઘવાયેલી છે અને દ્રાક્ષારસ ન પીધાં છતાં લથડિયા ખાય છે.

22 પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે. 23 હું તારા ત્રાસગારોના હાથમાં તે આપીશ, જેઓ તને કહેતાં હતાં કે, જમીન પર મોઢું નીચે કરીને સૂઇ જા કે, જેથી અમે તારા ઉપર થઇને જઇએ; તેં તારી પીઠને સપાટ જમીન જેવી અને તેમને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”

યહોવા પોતાના લોકોને પુન:સ્થાપિત કરશે

52 હે સિયોન, જાગૃત થા, જાગૃત થા,
    તારા સાર્મથ્યથી; હે યરૂશાલેમ,
પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો તું પહેર;
    કારણ કે હવે જે લોકોએ દેવ તરફ પૂંઠ ફેરવી છે,
    તે પાપીઓ તારા દરવાજાઓમાં પ્રવેશી શકશે નહિ.
હે યરૂશાલેમ નગરી, ઉભી થા અને તારા પરની ધૂળ ખંખેરી નાખ,
હે સિયોનની બંદીવાન પુત્રી,
    તારી ડોક પરની ગુલામીની ઝૂંસરી કાઢી નાખ.
કારણ કે યહોવા કહે છે કે,
    “તમે વિના મૂલ્ય વેચાયા હતા,
    અને નાણા વિના તમે પાછા લેવાશો.”

કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, “આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો.” અને હવે યહોવા પૂછે છે, “અત્યારે હું અહીં શું જોઉં છું? તમને વિના મૂલ્યે ગુલામ બનાવવામાં આવ્યા છે, તમારા પર શાસન ચલાવનારાઓ ઊંચા સ્વરે બોલે છે અને દિનપ્રતિદિન મારા નામની સતત નિંદા કરે છે.

“પણ એવો દિવસ આવે છે; જ્યારે તમને મારા નામના પરચાની ખબર પડશે અને તેઓને ખાતરી થશે કે તમારી સાથે બોલનાર હું જ છું.”

સુખશાંતિના સંદેશ લાવનારના પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન લાગે છે! તે તારણના શુભ સમાચાર આપે છે અને વિજયની ઘોષણા કરે છે, “તમારા દેવ શાસન કરે છે, એમ તે સિયોન પાસે જાહેર કરે છે.”

નગરના ચોકીદારો ઉંચે સાદે
    એકી સાથે હર્ષનાદ કરે છે.
કારણ, તેઓ યહોવાને સિયોનમાં પાછો આવતો નજરો નજર નિહાળે છે.

હે યરૂશાલેમનાં ખંડેરો, તમે એકી સાથે પોકાર કરો, હર્ષનાદ કરો!
કારણ, યહોવા પોતાના લોકોને સુખના દહાડા બતાવશે અને યરૂશાલેમને મુકિત અપાવશે.
    “તમારા દેવ શાસન કરે છે” એમ તે સિયોન પાસે જાહેર કરે છે.
10 સર્વ પ્રજાઓનાં દેખતાં યહોવાએ પોતાનો પવિત્ર ભુજ લંબાવ્યો છે,
    પૃથ્વી પરની દરેક વ્યકિત આપણા દેવનું તારણ જોશે.

11 બહાર નીકળો,
    બાબિલમાંથી બહાર આવો!
કોઇ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ.
    હે મંદિરની સાધનસામગ્રી ઉપાડનારાઓ,
    તમારી જાતને શુદ્ધ રાખો!
12 તમારે ઉતાવળા થઇને નાસી જવાનું નથી
    અને પોતાનો જીવ બચાવવા અધીરા થવાનું નથી;
કારણ કે યહોવા તમારી આગળ છે.
    ઇસ્રાએલના દેવ તમારું રક્ષણ કરશે.

દેવની યાતના સહન કરતો સેવક

13 “જુઓ, મારો સેવક સમૃદ્ધ થશે; તેને ઊંચેને ઊંચે ચડાવવામાં આવશે, તેની ખૂબ ઉન્નતિ થશે. 14 પહેલાં તેને જોઇને ઘણા હેબતાઇ ગયા હતા; એનું રૂપ એવું તો વિરૂપ થઇ ગયું હતું કે જાણે માણસ જ ન લાગે. 15 પરંતુ હવે અનેક પ્રજાઓ તેને જોઇને આશ્ચર્યચકિત થઇ જશે. અને રાજાઓ આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઇ જશે. કારણ કે અગાઉ કોઇએ કહ્યું ના હોય એવું તેઓ જોશે, અને પહેલાં કદી સાંભળ્યું ન હોય એવું નજરે ભાળશે.”

53 આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?

તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ. લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.

તેમ છતાં તેણે આપણાં વીતકો પોતા પર લઇ લીધાં, આપણી બિમારીઓ પોતે વહોરી લીધી. આપણે તો એમ માન્યું કે તેને સજા થઇ છે, દેવે તેને આઘાત કરીને દુ:ખમાં નાંખ્યો છે; પણ તે તો આપણે કરેલા અપરાધો માટે વિંધાયો હતો અને આપણાં પાપો માટે કચડાયો હતો. એણે ભોગવેલી સજાને કારણે આપણે સુખશાંતિ ભોગવીએ છીએ અને તેને પડેલા ચાબખાથી આપણે સાજાસમાં છીએ. આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.

તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યા અને તેને સંકટમાંથી પસાર થવું પડ્યું; તેમ છતાં તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. તેને હલવાનની જેમ વધ કરવા લાવવામાં આવ્યો; અને જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે, તેમ તેણે પોતાને દોષિત ઠરાવનારની આગળ પોતાનું મોં ખોલ્યું નહિ. તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો. દુષ્ટો વચ્ચે તેની કબર બનાવવામાં આવી હતી અને તેનો મકબરો ધનિકો વચ્ચે મૂકવામાં આવ્યો હતો, જો કે તેણે કોઇ હિંસા આચરી નહોતી, કે કોઇ કપટ ઉચ્ચાર્યું નહોતું.

10 તેમ છતાં તેને કચરવાની અને વિપત્તિઓમાંથી પસાર કરવાની યહોવાની યોજના હતી. પણ જ્યારે તેના આત્માનું દોષાર્થાર્પણ થશે ત્યારે તે પોતાનાં વંશજોને જોવા પામશે, તે લાંબુ જીવન જીવશે અને યહોવાની યોજના તેના દ્વારા સફળ થશે. 11 તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે.

પ્રભુ કહે છે, “આમ મારો નિર્દોષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે. 12 તેથી હું તેને પરાક્રમી તથા મહાન માણસોની જેમ યુદ્ધની લૂંટનો ભાગ વહેંચી આપીશ, કારણ, તેણે પોતાનું જીવન આપી દીધું હતું, અને પોતાની ગણતરી ગુનેગારોમાં થવા દીધી હતી, તેણે અનેકોનાં પાપો પોતાને માથે લઇ લીધાં હતાં અને ગુનેગારોને માટે તેણે પ્રાર્થના કરી હતી.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International