Chronological
કૂશને વિનાશની ચેતવણી
18 અરે! કૂશની નદીઓને પેલે પાર, પાંખોના ફફડાટ વાળા દેશનું દુર્ભાગ્ય! 2 તે દેશ નીલનદીને માર્ગે પાણી પર સરકટનાં વહાણોમાં એલચીઓ મોકલે છે:
વેગવાન કાસદો, તમે એ લોકો પાસે જાઓ,
જે કદાવર અને સુંવાળી ચામડીવાળાં છે,
જેનાથી દૂરનાં અને નજીકના સૌ ડરે છે,
જે બળવાન અને પરાક્રમી છે,
જેના દેશની ભૂમિને અનેક નદીઓ સીંચે છે.
3 હે જગતના સર્વ રહેવાસીઓ, ને પૃથ્વી પર રહેનારાઓ,
જ્યારે યુદ્ધ માટેની મારી ધ્વજા પર્વત પર
ઊંચી કરવામાં આવે ત્યારે ધ્યાન આપજો!
જ્યારે હું રણશિંગડું વગાડું, ત્યારે સાંભળજો,
4 કારણ, યહોવાએ મને આ પ્રમાણે કહ્યું છે, “ગ્રીષ્મના બળબળતા બેઠા તડકાની જેમ, કાપણીની ઋતુંની ગરમીમાં જામતાં ઝાકળની જેમ, હું શાંત બેઠો મારા નિવાસસ્થાનેથી જોયા કરીશ. 5 પરંતુ પછી, કાપણીની ઋતું પહેલાં, ફૂલ બેસતાં બંધ થયાં હોય અને ફૂલની પાકી દ્રાક્ષ થવા માંડી હોય, ત્યારે ધારિયાથી ડાંખળીઓને કાપી નાખવામાં આવે છે અને વધી ગયેલી ડાળીઓને કાપીને લઇ જાય છે. 6 તેમ એ લોકોને કાપી નાખીને પર્વત પર શિકારી પંખીઓને માટે, જંગલી પશુઓને માટે મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે પર ઉનાળો કાઢશે. અને જગતનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.”
7 તે વેળાએ એક પ્રજા, સૈન્યોના દેવ યહોવાના નામ ઉપર, યહોવા માટે અર્પણો લઇને સિયોન પર્વત પરના મંદિરમાં આવશે, તેઓ ઉંચા અને સુંવાળીં ચામડીવાળા લોકો છે, જેમનાથી, દૂર અથવા નજીક રહેતા દરેક ડરે છે, અને જેની ભૂમિને અનેક નદીઓ સીંચે છે.
મિસરના વિનાશની ભવિષ્યવાણી
19 મિસર વિષે દેવવાણી: જુઓ, યહોવા વેગીલા વાદળ પર સવારી કરીને મિસર આવે છે, અને મિસરની મૂર્તિઓ તેને જોઇને ધ્રધ્રૂજવા માંડશે, અને મિસરની હિંમત જતી રહેશે.
2 દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય. 3 મિસર તેને લીધે હિંમત હારી જશે; અને હું તેની યોજના ઊંધી વાળીશ, અને તેઓ મૂર્તિઓને, મૃતાત્માઓને, તાંત્રિકોને અને પ્રેતાત્માઓને પ્રશ્ર્ન પૂછશે.” 4 આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”
5 નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે. 6 નદીઓ ગંધ મારશે; મિસરની નહેરો ખાલી થઇને સુકાઇ જશે; નાળાં સુકાઇ જશે. ગંધાઇ ઊઠશે, અને બરુ અને કમળ ચીમળાઇ જશે. 7 નીલનદીને કાંઠે આવેલી તમામ લીલોતરી અને તેની આસપાસ જે કઇં વાવ્યું છે તે બધું સૂકાઇ જશે. પવનમાં ઊડી જશે. અને તેનું કોઇ નામો નિશાન નહિ રહે.
8 માછીઓ શોક કરશે, નીલમાં ગલ નાખનારાઓ આક્રંદ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નાસીપાસ થશે. 9 પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નિરાશ થશે. 10 તેણીના (મિસરના) પાયાઓ હચમચી જશે અને બધા કામદારો નિરાશ થઇ જશે.
11 સોઆનના રાજકર્તાઓ બિલકુલ મૂર્ખ છે, ફારુનના ડાહ્યા ગણાતા મંત્રીઓ પણ અક્કલ વગરની સલાહ આપે છે. તેઓ ફારુન આગળ એવું કેવી રીતે કહી શકે કે, “અમે પ્રાચીન કાળના જ્ઞાની પુરુષોના અને રાજાઓના વંશજ છીએ?” 12 હે હારુન, તારા એ જ્ઞાની પુરુષો ક્યાં છે? હોય તો આગળ આવે અને સૈન્યોના દેવ યહોવાએ મિસરનું શું કરવા ધાર્યુ છે, તે તને જણાવે અને સમજાવે.
13 સોઆનના રાજકર્તાઓ બેવકૂફ છે, નોફના રાજકર્તાઓ મમાં છે; મિસરના આગેવાનોએ જ દેશને ખોટે રસ્તે ચડાવ્યો છે. 14 યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે. 15 કોઇપણ વ્યકિત, મહત્વની કે બિન મહત્વની, તે સમયે મિસરને બચાવી નહિં શકે.
16 તે દિવસે મિસરીઓ સૈન્યોના દેવ યહોવાને પોતાની સામે હાથ ઉગામતો જોઇને, સ્ત્રીની જેમ ભયભીત થઇને થથરવા લાગશે. 17 યહૂદાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના દેવ યહોવાએ મિસરના જે હાલ કરવા ધાર્યા છે તેને લીધે યહૂદાનું નામ સાંભળતાં વેંત મિસરીઓ થથરી જશે. 18 તે સમયે મિસરમાં પાંચ નગરો એવાં હશે, જ્યાં કનાની ભાષા બોલાતી હોય અને જ્યાં સૈન્યોના દેવ યહોવાના સોગંદ લેવાના હોય તેમાનું એક “વિનાશનું નગર” કહેવાશે.
19 તે દિવસે મિસર દેશમાં યહોવાની એક યજ્ઞવેદી હશે અને મિસરની સરહદે યહોવાના એક સ્તંભ હશે. 20 એ મિસર દેશમાં સૈન્યોનો દેવ યહોવાની એંધાણી અને સાક્ષીરૂપ બની રહેશે. તેઓ જ્યારે જુલમગારના અન્યાયથી ત્રાસીને યહોવાને ધા નાખશે ત્યારે તેમને એક તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે,
21 યહોવા મિસરીઓને પોતાનો પરચો બતાવશે અને પછી મિસરીઓ તેને પ્રેમ કરશે; અને યહોવાને બલિદાન તથા અર્પણો આપીને તેની ઉપાસના કરશે; અને યહોવાને વચનો આપીને અને તેને પરિપૂર્ણ કરીને તેને પ્રસન્ન કરશે. 22 યહોવા મિસર પર ઘા કરશે. અને પછી ઘાને રૂઝવશે, મિસરીઓ યહોવા તરફ વળશે અને તે તેમની અરજ સાંભળી તેમના ઘા રૂઝવશે.
23 તે દિવસે મિસરથી આશ્શૂર સુધી ધોરી માર્ગ હશે અને આશ્શૂરના લોકો મિસર અને મિસરના લોકો આશ્શૂર આવશે અને મિસરના અને આશ્શૂરના લોકો ભેગા ઉપાસના કરશે. 24 તે દિવસે મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઇસ્રાએલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઇ જશે. 25 સૈન્યોના દેવ યહોવા તેમને એમ કહીને આશીર્વાદ આપશે કે, “મારી પ્રજા મિસર, મારા હાથનું સર્જન આશ્શૂર અને મારું પોતાનું વતન ઇસ્રાએલ, સુખી રહો!”
યશાયા પ્રબોધકની એંધાણી
20 જે વર્ષમાં આશ્શૂરના રાજા સાગોર્ને મોકલેલા સેનાધિપતિએ આશ્દોહ ઉપર ચઢાઇ કરીને તેણે અને જીતી લીધું. 2 તે સમયે જ યહોવાએ આમોસના પુત્ર યશાયાને કહ્યું હતું, “જા તેં પહેરેલા શોકના વસ્રો ઉતારી નાખ અને તારા પગમાંથી જોડા ઉતારી નાખ.” અને તેણે એ પ્રમાણે કર્યુ હતું, અને તે નવસ્ત્રો તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
3 પછી આશ્દોદ જીતાયું ત્યારે યહોવાએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ પર્યંત મિસર અને કૂશની જે હાલત થવાની છે તેની એંધાણીરૂંપે વસ્ત્ર વિના ફર્યો છે. 4 તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે. 5 જેમણે જેમણે કૂશ અને મિસર ઉપર મદાર બાંધી બડાશ હાંકી હશે, તેઓ ભોંઠા પડશે અને લજવાશે.”
6 અને તે દિવસે આ કાંઠાનો રહેવાસી કહેશે કે, “જુઓ, આપણું આશાસ્પદ, જ્યાં આશ્શૂરના રાજાના હાથમાંથી બચવા માટે આપણે જેની મદદ લેવા દોડી ગયા હતા, તેના આ હાલ થયા! તો આપણે હવે કેવી રીતે બચીશું?”
બાબિલનાં વિનાશનું પુરોદર્શન
21 સમુદ્ર નજીકના વેરાન પ્રદેશને લગતી દેવવાણી:
દક્ષિણમાં વાવંટોળિયાના સુસવાટાની જેમ,
રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી સૈન્ય આવી રહ્યું છે.
2 મેં એક દુ:ખદાયી સંદર્શન જોયું છે;
વિશ્વાસઘાતી છેતરતો જ જાય છે
અને વિધ્વંસી વિનાશ કર્યે જ જાય છે.
કોઇ કહે છે, “હે એલામ, ચઢાઇ કર!
ઘેરો ઘાલ; હે માદાય!
હું બાબિલને આપેલા દુ:ખભર્યા નિ:સાસાનો અંત લાવીશ.”
3 તે જોઇને વેદનાથી મારા અંગો કળે છે,
પ્રસૂતાની પીડા જેવી પીડા મને ઘેરી વળે છે,
હું એવો બાવરો થઇ ગયો છું કે કશું સાંભળી શકતો નથી,
એવો ભયભીત થઇ ગયો છું કે કશું જોઇ શકતો નથી.
4 મારા મગજને ચક્કર આવે છે, હું ભયથી ધ્રૂજુ છું,
જે સંધ્યાને હું ઝંખતો હતો તે જ મને ભયથી થથરાવી રહ્યો છે.
5 ત્યાં જોઉં છું તો ભાણાં પીરસાઇ ગયાં છે,
જાજમ પથરાઇ ગઇ છે,
“લોકો ખાય છે, પીએ છે,”
ત્યાં હુકમ છૂટે છે.
“સરદારો ઊઠો,
યુદ્ધ માટે ઢાલોને તૈયાર કરો.”
6 પછી યહોવા મારા દેવે મને એમ કહ્યું કે, “જા, ચોકીદાર ગોઠવી દે; અને એને કહે કે જે જુએ તેની ખબર કરે. 7 જો તે બબ્બેની હારમાં ઘોડેસવારોને આવતા જુએ, માણસોને ગધેડા પર અને ઊંટ પર બેસીને આવતા જુએ, તો ખૂબ ધ્યાનથી નજર રાખે.”
8 પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો,
“હે યહોવા મારા પ્રભુ, હું આખો દિવસ ચોકીના બુરજ પર ઊભો રહું છું,
આખી રાત હું મારી જગાએ ઊભો રહી ચોકી કરુ છું.
9 જુઓ, આ મનુષ્યોની સવારી,
બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે.”
તેણે ઉત્તરમાં કહ્યું,
“બાબિલ પડ્યું છે, પડ્યું છે;
તેના દેવોની બધી મૂર્તિઓને
તેણે ભાંગી નાખીને ભોંયભેંગી કરી છે.”
10 હે મારા ઝુડાયેલા લોકો, તમને ઝુડવામાં અને ઝાટકવામાં આવ્યા છે, પણ હવે સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના દેવ પાસેથી મેં જે સાંભળ્યું છે, મેં તે જ તમને જણાવ્યું છે.
અદોમ માટે દેવનો સંદેશ
11 દૂમાહને લગતી દેવવાણી.
મને કોઇક આદોમથી વારંવાર પૂછી રહ્યું છે,
“હે ચોકીદાર, આજે રાત્રે શું બની રહ્યું છે?
હે ચોકીદાર, આજે રાત્રે શું બની રહ્યું છે?”
12 ચોકીદારે કહ્યું,
“સવાર થાય છે, ને રાત પણ,
જો તમારે પૂછવું જ હોય
તો પૂછો; પાછા આવો.”
અરબસ્તાન માટે દેવનો સંદેશ
13 અરબસ્તાન વિષે દેવવાણી:
હે દેદાનના કાફલાઓ, તમે અરબસ્તાનના
ઝાંખરાઓ વચ્ચે રાત પસાર કરશો.
14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો;
ભાગી આવેલાઓને સામે જઇને રોટલો આપો!
15 કારણ, એ લોકો તરવારથી, તાતી તરવારથી,
ખેંચેલા ધનુષ્યથી અને ભીષણ
યુદ્ધથી ભાગીને આવ્યા છે.
16 પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે. 17 અને કેદારના શૂરવીર ધનુર્ધારીઓમાંના થોડા જ બાકી રહેશે.” આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે.
યરૂશાલેમ વિષે ભવિષ્યવાણી
22 સંદર્શન ખીણને લગતી દેવવાણી:
દરેક માણસો ક્યાં જઇ રહ્યાં છે?
તેઓ પોતાના ઘરની ટોચ પર કેમ દોડી ગયાં છે?
2 અરે, શોરબકોરથી ભરપૂર,
ઘોંઘાટ કરનાર નગર,
મોજીલા નગર,
તારા નિવાસીઓ જેઓ મૃત્યુ પામ્યા છે,
તેઓ તરવારથી નથી મરાયા
અને તેઓ યુદ્ધમાં પણ માર્યા ગયા નથી.
3 તમારા સર્વ સેનાપતિઓ
તેઓ વધારે દૂર પહોંચે તે પહેલા
તેમના શત્રુઓએ તેમને ધનુષ્ય
બાણ વાપર્યા વગર પકડી પાડ્યા છે.
4 એટલે હું કહું છું કે, “મને એકલો રહેવા દો,
મને દુ:ખમાં રડવા દો,
મારા પોતાના લોકોના વિનાશ માટે
મને દિલાસો આપવાની તસ્દી ન લેશો.”
5 કારણ કે, આ સૈન્યોના દેવ યહોવાએ મોકલેલો ભયનો, વિનાશનો અને અંધાધૂંધીનો દિવસ છે. સંદર્શનની ખીણમાં આવેલો કોટ તોડી પાડવામાં આવ્યો છે. અને મદદ માટે ઊઠેલા પોકારના પડઘા પર્વતોમાં ગાજી ઊઠયા છે. 6 એલામના લશ્કરે બાણોથી સજ્જ થઇને ઘોડા તથા રથો તૈયાર કર્યા છે. કીરના યોદ્ધાઓએ પોતાની ઢાલો ધારણ કરી છે. 7 યહૂદાની સૌથી રળિયામણી ખીણો રથોથી ભરાઇ ગઇ છે અને ઘોડેસવારો યરૂશાલેમના દરવાજા આગળ આવી ઊભા રહ્યા હતા. 8 યહૂદા રક્ષણ વગરનું નિરાધાર થઇ ગયું. અને તે દિવસે તમે શસ્ત્રાગારમાં સંઘરેલા શસ્ત્રો તપાસી જોયાં.
9 વળી તમે જોયું કે દાઉદનગરમાં કોટમાં પડેલાં અનેક ભંગાણોની તપાસ કરી. અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું. 10 અને ત્યાર પછી તમે યરૂશાલેમનાં ઘરોની ગણતરી કરી, અને કોટનું સમારકામ કરવા માટે ઘરોને પાડી નાખ્યાં. 11 અને તમે નીચલો કુંડ પાણીથી ભરી લીધો, અને પ્રાચીન પુલની બે દીવાલો વચ્ચે ટાંકી બનાવી પરંતુ આ બધાંનું લાંબા સમય પહેલાં નિર્માણ કરનાર અને તેનું ધ્યાન રાખનાર દેવનો તમે ન તો વિચાર કર્યો કે ન તેને સંભાર્યો.
12 વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા, 13 પરંતુ તેને બદલે તમે તો આનંદોત્સવ કર્યો,
“ઢોર વધેર્યા, ઘેટાં માર્યા, માંસ ખાધું
અને દ્રાક્ષારસ પીધો અને વિચાર્યુ કે,
આજે ખાઇ પી લઇએ,
કારણ, કાલે તો આપણે મરી જવાનું છે.”
14 સૈન્યોના દેવ યહોવાએ મને દર્શન આપીને વચન આપી કહ્યું “તેમના જીવનકાળ દરમ્યાન તે તેમની દુષ્ટતા ને માફ નહિ કરે.” આ સૈન્યોના દેવ યહોવાના વચનો છે.
શેબ્ના માટે દેવનો સંદેશ
15 સૈન્યોના દેવ મારા યહોવા મને કહ્યું, “શેબ્ના, જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઇને તેને કહે કે, 16 અહીં તારે શું કામ છે, તને અહીં શો અધિકાર છે કે તેં તારે માટે પર્વત ઉપર ખડકમાં કબર ખોદાવી છે? હું તને જોરથી ઝાટકી નાખીશ.
17 “હે શૂરવીર માણસ, યહોવા તને કઠોરતાથી હચમચાવવાનાં જ છે. 18 તે તને જરૂર દડાની જેમ લપેટીને વિશાળ પ્રદેશમાં ફેંકી દેશે અને ત્યાં તારું મૃત્યુ થશે. તારાં ભભકાદાર રથો ત્યાં જ રહેશે, તેં તારા ધણીના નામને બદનામ કર્યુ છે.”
19 દેવ કહે છે, “હા, હું તને તારા પદસ્થાન પરથી દૂર હાંકી કાઢીશ, ને તને તારા હોદ્દા પરથી ઉથલાવી નાખીશ. 20 અને તે જ દિવસે હું મારા સેવક હિલ્કિયાના પુત્ર એલ્યાકીમને તેડાવી મંગાવીશ, 21 અને તેને તારો હોદ્દાનો પોશાક આપીશ, તેને તારો કમરબંધ બાંધીશ, અને તારો અધિકાર તેને સોંપીશ. તે યરૂશાલેમના વતનીઓના અને યહૂદાના લોકોના પિતાને સ્થાને ગણાશે.
22 “હું દાઉદના મહેલની ચાવી તેને સુપ્રત કરીશ, તેને તે ઉઘાડશે, તેને કોઇ બંધ નહિ કરી શકે, અને તેને તે બંધ કરશે તેને કોઇ ઉઘાડી નહિ શકે. 23 હું તેને મજબૂત રીતે ખોડેલા ખીલાની જેમ સ્થિરપણે સ્થાપીશ, અને તેના પિતાના કુટુંબને માટે તે ભારે ગૌરવરૂપ બની રહેશે. 24 તેઓ તેના બાપના ઘરના સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલાં જેવા નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે.
25 “સૈન્યોના દેવ યહોવાનું એવું વચન છે કે,એક દિવસ તેને સ્થાને મજબૂત રીતે ખોડેલો ખીલો ઊખડી જશે. અને તેના ઉપર લટકતો બધો ભાર ભોંયભેગો થશે અને તેના ટૂકડે ટૂકડા થઇ જશે.” આ યહોવાના વચન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International