Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
2 રાજાઓનું 9-11

યેહૂનો રાજયાભિષેક

આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા. તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે. પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”

તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો. તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા.

તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.”

યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”

પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું. તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે. હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ. નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ. 10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.’”

પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.

યેહૂને રાજા ઘોષિત કરતા નોકરો

11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”

યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”

12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, “તેના કેહવાનો સાર આ હતો: ‘તેણે કહ્યું, આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’”

13 વાત સાંભળીને તે લોકોએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”

યિઝએલ જતો યેહૂ

14 આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ-ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.

15 પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”

16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.

17 યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમાં એક ટૂકડી આવતી દેખાય છે.”

ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”

18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?’”

યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?”

આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”

19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”

યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”

20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”

21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”

અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.

22 યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”

યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”

23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”

24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.

25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે; 26 ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમાં ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”

27 યહૂદાના રાજા અહાઝયાએ જ્યારે આ બધું જોયું કે તરત જ તે બેથ-હાગ્ગાનને રસ્તે ભાગી ગયો. પણ યેહૂએ તેનો પીછો પકડયો. અને કહ્યું, “એને પણ મારી નાખો.”

યિબ્લઆમ પાસે આવેલા ગૂરના ચઢાવ આગળ તેઓએ તેને તેના રથમાં મારી નાખ્યો; તેણે મગિદૃોમાં આશરો લીધો. અને તે ત્યાં મૃત્યુ પામ્યો. 28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમાં દફનાવ્યો.

29 આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.

ઈઝેબેલનું ભયંકર મૃત્યુ

30 યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી. 31 જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”

32 યેહૂએ બારી તરફ ઊંચું જોયું અને કહ્યું, “મારા પક્ષે કોણ છે? કોઈ છે?”

બેત્રણ અમલદારોએ ઉપરથી તેના તરફ જોયું. 33 એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”

તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી. 34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”

35 જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું. 36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે; 37 ‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.’”

યેહૂ સમરૂનના અમલદારોને લખે છે

10 આહાબને 70 પુત્રો હતા જે સમરૂનમાં રહેતા હતા. યેહૂએ સમરૂન શહેરના અમલદારોને, વડીલોને અને આહાબના વંશજોના વાલીઓને લખ્યું; “તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે. એટલે આ પત્ર પહોંચતાં જ તમારા ધણીના વંશજોમાંથી જે સૌથી સારો અને લાયક હોય તેને તેના પિતાની રાજગાદીએ બેસાડો અને તમારા ધણીના વંશ માટ યુદ્ધે ચડો.”

પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?”

આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”

આહાબનાં સંતાનો મારતા સમરૂનના વડીલો

ત્યારે યેહૂએ તેમને બીજો પત્ર લખ્યો અને જણાવ્યું, “જો તમે મારે પક્ષે હો, અને મારું કહ્યું કરવા તૈયાર હો, તો આવતી કાલે આ વખતે તમારા રાજાના પુત્રોનાં માથા લઈને યિઝએલમાં મારી સમક્ષ હાજર થઈ જાઓ.”

રાજાના 70 રાજકુમારો શહેરના મુખ્ય માણસોનાં હવાલામાં હતાં જેઓ તેમની સુખાકારી માટે જવાબદાર હતાં. જયારે આ પત્ર તેમને પહોંચ્યો ત્યારે તેમણે રાજાના 70 રાજકુમારોને મારી નાખ્યા, અને તેમનાં માથાં ટોપલીઓમાં ભરીને યેહૂને યિઝએલ મોકલી આપ્યાં. સંદેશવાહકે આવીને યેહૂને ખબર આપી કે, “એ લોકો રાજકુંવરોનાં માથાં લઈ આવ્યા છે.”

ત્યારે તેણે કહ્યું, “બે ઢગલા કરીને તે માથાં કાલ સવાર સુધી શહેરના દરવાજા આગળ રહેવા દો.”

બીજે દિવસે દરવાજામાંથી બહાર આવીને લોકોને કહ્યું, “તમારો કોઈ દોષ નથી. એ તો હું છું કે જેણે મારા ધણીની સામે કાવતરું કરીને તેને મારી નાખ્યો; પણ આ બધાને કોણે મારી નાખ્યા? 10 તમે એ જરૂર સમજી લો કે, યહોવાએ આહાબના કુટુંબ વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા છે અને તેણે જે કહ્યું છે એ બધું જ બનશે. યહોવાએ પોતાના સેવક એલિયા મારફતે સંદેશો મોકલ્યો હતો અને તેણે જે કહ્યું હતું તે સાચું કરી બતાવ્યું છે.”

11 ત્યાર પછી યેહૂએ આહાબના વંશના યિઝએલમાં બાકી રહેલા સૌને તેમજ તેના ઉમરાવોને, નિકટના મિત્રોને અને તેના યાજકોને મારી નાખ્યા, કોઈને જીવતો જવા ન દીધો.

અહાઝયાના સબંધીઓ મારતો યેહૂ

12 પછી યેહૂ સમરૂન જવા નીકળ્યો. 13 રસ્તામાં તેને અહાઝયાના (સબંધીઓ) મળ્યા, તેણે તેમને પૂછયું, “તમે કોણ છો!”

તેમણે કહ્યું, “અમે અહાઝયાના સબંધીઓ છીએ અને અમે રાજાનાં અને રાણીનાં સંતાનોને મળવા જઈએ છીએ.”

14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.”

તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.

યહોનાદાબને મળતો યેહૂ

15 ત્યાંથી નીકળીને તે જવા લાગ્યો, ત્યારે સામેથી રેખાબનો પુત્ર યહોનાદાબ તેને મળવા આવતો હતો. તેમણે એકબીજાની કુશળતા પૂછી. પછી યેહૂએ તેને કહ્યું, “હું તારા પ્રત્યે જેવો વિશ્વાસુ છું તેવો તું મારા પ્રત્યે છે?”

યહોનાદાબે કહ્યું, “હા છું.”

પછી યેહૂએ કહ્યું, “તારો હાથ મને આપ.”

અને યેહૂએ તેને રથમાં પોતાની બાજુએ ખેંચી લીધો.

16 યેહૂએ તેને જણાવ્યું, “તું મારી સાથે ચાલ, અને યહોવાને માટે મેં શું શું કર્યુ છે તે જો!”

પછી તેણે યહોનાદાબને પોતાની સાથે રથમાં બેસાડી દીધો. 17 સમરૂનમાં દાખલ થતાં જ તેણે ત્યાં બચવા પામેલા આહાબના કુટુંબીજનોની હત્યા કરી, અને આમ, યહોવાએ એલિયાને કહ્યું હતું તે મુજબ તેના વંશનો નાશ કર્યો.

બઆલના સેવકોને બોલાવતો યેહૂ

18 પછી યેહૂએ બધાં લોકોને ભેગા કરીને કહ્યું, “આહાબે તો બઆલ દેવની થોડી સેવા કરી હતી, પણ યેહૂ તેની ઘણી વધારે સેવા કરનાર છે. 19 બઆલના તમામ પ્રબોધકો અને યાજકોને બોલાવો. તેઓની સાથે તેઓના બધા જ અનુયાયીઓને પણ હાજર રાખો. એક પણ વ્યકિત બાકી રહેવો જોઈએ નહિ. કારણ કે આપણે, બઆલના ભકતોએ ભેગા થઈને તેની પૂજા માટે મોટી ઉજવણી કરવાની છે. બઆલના માણસોમાંનો જે કોઈ અહીં નહિ આવે તેને મારી નાખવામાં આવશે.”

પણ બઆલના ભકતોને મારી નાખવા માટેનું યેહૂનું આ ષડયંત્ર હતું. 20 યેહૂએ હુકમ કર્યો. “બઆલને માટે એક પવિત્ર મેળો બોલાવો.” અને મેળો બોલાવવામાં આવ્યો. 21 યેહૂએ પોતે સમગ્ર ઇસ્રાએલમાં સંદેશવાહકો મોકલ્યા અને બઆલના બધા જ સેવકો ભેગા થયા. એક પણ માણસ આવ્યા વગર રહ્યો નહિ. તે બધા બઆલના મંદિરમાં એક છેડાથી બીજા છેડા સુધી ભરાયા.

22 પછી યેહૂએ પૂજાનાં વસ્ત્રોના ભંડારીને કહ્યું, “બઆલના બધા સેવકો માટે વસ્ત્રો લાવ.” એટલે તે લઈ આવ્યો.

23 પછી યેહૂ અને રેખાબનો પુત્ર યહોનાદાબ લોકોને સંબોધન કરવા મંદિરના અંદરના ભાગમાં ગયા; તેઓએ કહ્યું, “જેઓ બઆલનું ભજન કરે છે તેઓ જ અહીં હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં રાખજો. જેઓ યહોવાનું ભજન કરે છે તેઓમાંનો કોઈ અહીં હોવો જોઈએ નહિ!” 24 પછી તે યજ્ઞો અને દહનાર્પણો આપવા અંદર ગયો.

યેહૂએ 80 માણસોને બહાર ગોઠવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, “હું તમને સોંપી દઉં છું. એમાંના કોઈને પણ તમારામાનો જે કોઈ જીવતો જવા દેશે તે પોતે જીવતો નહિ રહે.”

25 દહનાર્પણ પછી તેણે નાયકો અને ચોકીદારોને કહ્યું, “અંદર જાઓ અને બધાંને મારી નાખો, એકનેય જવા દેશો નહિ.”

ચોકીદાર અને નાયકોએ અંદર જઈને એકેએકની હત્યા કરતાં કરતાં છેક બઆલના મંદિરના ગર્ભગૃહ સુધી પ્રયાણ કર્યું. 26 બઆલના મંદિરમાં જે સ્તંભ હતો તેને તેઓ બહાર લઇ આવ્યા અને તેને બાળી મૂકયો. 27 આ રીતે તેઓએ બઆલના સ્તંભનો વિનાશ કરી નાખ્યો. તેઓએ બઆલના દેવનું મંદિર તોડી પાડ્યું અને તે જગ્યાને જાહેર શૌચાલય બનાવી દીધું જે આજે પણ છે.

28 આ રીતે યેહૂએ ઇસ્રાએલમાંથી બઆલને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી નાખ્યું. 29 જે ઇસ્રાએલ પાસે પાપ કરાવતો હતો તે નબાટના પુત્ર યરોબઆમને ફકત યેહૂ રોકી ન શક્યો. બેથેલ અને દાનમાં ચાલતી સોનાના વાછરડાને પધ્રૂજવાની પ્રણાલીને તે બંધ ન કરી શક્યો.

યેહૂનું ઇસ્રાએલ પર રાજ

30 પછી યહોવાએ યેહૂને કહ્યું, “આહાબના પરિવારનો નાશ કરવા માટેની મારી આજ્ઞાનું પાલન તેઁ કર્યું છે તેથી હું તારા પુત્રને, પૌત્રને અને પ્રપૌત્રીને એમ ચોથી પેઢી સુધી તારા વંશજોને ઇસ્રાએલની ગાદી પર બેસાડીશ.”

31 પણ યેહૂએ યહોવાના આદેશોનું હૃદયપૂર્વક પાલન ન કર્યું. યરોબઆમ ઇસ્રાએલ પાસે જે પાપ કરાવતો હતો તે કરવામાંથી પોતે દૂર રહી શક્યો નહિ.

ઇસ્રાએલને હરાવતો હઝાએલ

32 તે દિવસોમાં યહોવાએ ઇસ્રાએલને નાનું બનાવવાની શરુઆત કરી. હઝાએલે તેમને તેમના પોતાનાજ પ્રદેશમાં હરાવીને તેમની ભૂમિ કબજે કરી. 33 યર્દનથી પૂર્વ તરફ, આનોર્ન નદી પાસે અરોએર સુધી, આખો પ્રદેશ જીતી લીધો, તેમાં ગિલયાદ અને બાશાનનો પ્રદેશ જેમાં ગાદના રૂબેનના અને મનાશ્શાના કુળસમૂહોના લોકો રહેતા હતા, તે આવી જતો હતો.

યેહૂનું મૃત્યું

34 યેહૂના રાજયનાં બીજાં બનાવો અને કાર્યો ઇસ્રાએલના રાજાઓનાઁ કાળ વૃત્તાંતમાં નોંધેલા છે. 35 પછી યેહૂ પિતૃલોકને પામ્યો, અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. 36 તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ ગાદીએ આવ્યો. યેહૂએ ઇસ્રાએલ પર સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું હતું.

યહૂદાની અથાલ્યાનું શાસન

11 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.

પણ રાજકુમારોની હત્યા ચાલતી હતી ત્યાં અહાઝયાની બહેન અને રાજા યોરામની પુત્રી યહોશેબાએ અહાઝયાના પુત્ર યોઆશને અને તેની દાસીને લઇ જઇને શયનખંડમાં પૂરી દીધાં આમ, તેણે તેને અથાલ્યાથી છુપાવી દીધો અને તેનો વધ થતો રહી ગયો,

તે છ વર્ષ સુધી દાસી સાથે યહોવાના મંદિરમાં છુપાઈ રહ્યો અને એ દરમ્યાન અથાલ્યા દેશ પર રાજ કરતી રહી.

સાતમે વર્ષે મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.

“તમારે આ પ્રમાણે કરવાનું છે: તમારી પાસે સૈન્યની ત્રણ ટૂકડી છે, જેઓ વિશ્રામવારે ફરજ પર આવે છે. તેમાની એક ટૂકડીએ મહેલની ચોકી કરવાની છે. બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો. જેઓને વિશ્રામવારે રજા છે તે બે ટુકડીઓએ યહોવાના મંદિરે પહેરો ભરી પોતપોતાનાં શસ્રો સાથે રાજાનું રક્ષણ કરવાનું છે. જે કોઈ તમારી હરોળને ભેદવાનો પ્રયત્ન કરે તેને મારી નાખવાનો છે. રાજા જયાં જયાં જાય કે આવે, ત્યાં ત્યાં તમારે તેની સાથે રહેવાનું છે.”

તેથી અધિકારીઓએ યહોયાદાની આજ્ઞાનું પાલન કર્યું, તેમણે વિશ્રામવારે કામ ન કરતા પોતાના બધા માણસોને એકઠા કર્યા અને તેમને લઈને તેઓ યાજક યહોયાદા પાસે આવ્યા. 10 યાજકે સો સૈનિકોની ટૂકડીના નેતાને રાજા દાઉદના ભાલા અને ઢાલ આપ્યાં જે યહોવાના મંદિરમાં રખાયા હતાં. 11 પછી એ રક્ષકો શસ્ર સજીને મંદિરના દક્ષિણ ખૂણાથી તે ઉત્તર ખૂણા સુધી, વેદીને અને યહોવાના મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવાઈ ગયા. 12 પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”

13 લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ. 14 જઈને જોયું તો, લોકો ટોળે વળ્યાં હતાં અને રીતરિવાજ મુજબ રાજા મંચ પર ઊભો હતો, અને બધાં દેશજનો હર્ષના પોકારો કરીને રણશિગડાં વગાડતાં હતા. અથાલ્યાએ રોષમાં આવી પોતાનાં કપડાં ફાડી નાખ્યાં અને તે જોરથી બૂમ પાડી ઊઠી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”

15 યાજક યહોયાદાએ સેનાના નાયકોને હુકમ કર્યો, “એને મંદિરની બહાર લઈ જાઓ, યહોવાના મંદિરમાં એનો વધ કરવો નહિ, અને જે કોઈ એની સાથે આવે તેની હત્યા કરો.”

16 તેથી તે લોકોએ તેને પકડી લીધી અને ઘોડાને દરવાજેથી તેને રાજમહેલમાં લઈ ગયા; ત્યાં તેનો વધ કર્યો.

17 યહોયાદા રાજાએ, યહોવા અને પ્રજા વચ્ચે કરાર કર્યો કે તેઓ બધા યહોવાને વિશ્વાસુ રહેશે. તેણે રાજા અને પ્રજા વચ્ચે પણ કરાર કર્યો.

18 પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો.

યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા. 19 પછી રાજાના અને મહેલના રક્ષકદળના નાયકોને તથા દેશના બધા લોકોને સાથે લઈ રાજાને યહોવાના મંદિરમાંથી રક્ષકોને દરવાજે થઈને રાજમહેલમાં પહોંચાડી દીધો. યોઆશે રાજ સિંહાસન પર આસન લીધું. 20 અથાલ્યાનો રાજમહેલમાં વધ કરવામાં આવ્યો હતો એટલે દેશના બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા, અને શહેરમાં સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ.

21 યોઆશ જ્યારે રાજ કરવા આવ્યો ત્યારે તેની ઉંમર સાત વર્ષની હતીં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International