Old/New Testament
નવા મંદિરનું સર્જન
40 અમારા દેશવટાના પચ્ચીસમે વર્ષે એટલે કે શહેરનો નાશ થયા પછી ચૌદમે વર્ષે, વર્ષની શરુઆતમાં, મહિનાના દશમાં દિવસે યહોવાનો હાથ મારી પર આવ્યો અને તે મને ત્યાં લઇ ગયા.
2 સંદર્શનમાં યહોવા મને ઇસ્રાએલ દેશમાં લઇ ગયા અને ઊંચા પર્વત પર મને બેસાડ્યો, ત્યાંથી દક્ષિણે મેં એક નગરમાં હોય તેવા મકાનો જોયા. 3 તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો. 4 તેણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ધારીને જો, અને ધ્યાન દઇને સાંભળ, હું તને જે કઇં બતાવું તેના પર બરાબર ધ્યાન આપ, કારણ, તને એટલા માટે જ અહીં લાવવામાં આવ્યો છે. તું જે જુએ તે બધું ઇસ્રાએલીઓને જણાવજે.”
5 એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં “લાંબો હાથ”[a] વાપરતાં, 6 હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી.
6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી. 7 રક્ષકોની ઓરડી એક દંડ લાંબી અને એક દંડ પહોળી હતી. રક્ષક ઓરડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું અને મંદિર તરફ જતી અંદરની પરસાળ એક દંડ લાંબી હતી. 8 તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી. 9 તે 8 હાથ લાંબી હતી અને તેના થાંભલા 2 હાથ જાડા હતા, આ ઓસરી મંદિર તરફ જતી હતી. 10 પરસાળની બન્ને બાજુ સરખા માપની ત્રણ ત્રણ ઓરડીઓ હતી અને તેમની વચ્ચેની ભીંતો પણ બધી સરખી જાડાઇની હતી. 11 તે પછી એણે દરવાજાના પ્રવેશ ભાગની લંબાઇ પહોળાઇ માપી, તેની પહોળાઇ 10 હાથ તથા લંબાઇ 13 હાથ હતી. 12 દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી.
13 એ પછી તેણે એક ઓરડીની પાછલી ભીંતથી સામેની ઓરડીની પાછલી ભીત સુધીનું અંતર માપ્યું તો એક દરવાજાથી સામેના દરવાજા સુધી 25 હાથ હતું. 14 ને પછી, તેણે બહારના થાંભલેથી માંડીને દરવાજા પાસેના બીજા થાંભલા સુધી માપ લીધું અને તે 60 હાથ હતું. 15 પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી. 16 પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી.
બહારનું મેદાન
17 ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી. 18 એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો. 19 થોડે ઊંચે એક દરવાજો હતો, તેમાંથી અંદરના ઓરડામાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે 100 હાથ હતું. ઉત્તર અને પૂર્વ દિશાનું માપ સરખું હતું.
20 ત્યાર બાદ તે માણસે બહારના ચોકમાં જવાનો ઉત્તર તરફનો દરવાજો માપ્યો. 21 આ દરવાજામાં પણ દરેક બાજુએ ત્રણ રક્ષક ઓરડીઓ હતી, આ દરવાજાની રક્ષક ઓરડીઓના, તેમની વચ્ચેની ભીંતના અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, દરવાજાની લંબાઇ 50 હાથ હતી, બંને તરફની રક્ષક ઓરડીઓની છત વચ્ચેની પહોળાઇ 25 હાથ હતી. 22 આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું. 23 પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું.
24 પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લઇ ગયો, તેણે તેના માપ લીધાં અને તે પણ ઉપર પ્રમાણે પૂર્વના અને ઉત્તરના દરવાજાઓના માપ જેટલા જ હતાં. 25 બીજા દરવાજાઓની માફક આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજો એકંદરે 50 હાથ લાંબો અને 25 હાથ પહોળો હતો. 26 સાત પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું, અને એનો મોટો ખંડ પણ ચોકની સામે જ આવેલો હતો. ઓસરીમાં પડતી ભીંતો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. 27 અહીં પણ અંદરના ચોકમાં જવા માટે એક દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ થયું.
અંદરનું મેદાન
28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઇને અંદરના ચોકમાં લઇ ગયો. તેણે તે દરવાજો માપ્યો તો તે બીજા દરવાજા જેટલો જ થયો. તેની રક્ષક ઓરડીઓ, થાંભલા, પરસાળ અને ઓસરીના માપ બીજા દરવાજાઓ જેટલાં જ હતાં. 29 આ દરવાજાની રક્ષક ઓરડીઓને તથા દરવાજાની પરસાળમાં પણ બારીઓ હતી. બીજા દરવાજાની જેમ આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 30 ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી. 31 માત્ર એક તફાવત હતો કે તેના પ્રવેશદ્વાર સુધી પહોંચવા સાતને બદલે આઠ પગથિયાં હતાં, તેના થાંભલાં પર પણ બીજા થાંભલાની જેમ જ ખજૂરીવૃક્ષની કોતરણી હતી.
32 પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો. 33 તેની રક્ષક ઓરડીઓ, મોટો ખંડ અને એની ભીંતો તથા બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજાની કુલ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 34 મોટો ખંડ બહારના ચોકની સામે આવેલો હતો. રસ્તાની બંને બાજુની ભીતો ઉપર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. આઠ પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું.
35 પછી તે માણસ મને અંદરના ચોકમાં જવા માટેના ઉત્તર તરફના દરવાજે લઇ ગયો. તેણે તેના માપ લીધાં, તેના માપ પણ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. 36 તેની રક્ષકઓરડીઓ, થાંભલાં, પરસાળ, અને ઓસરી તથા બારીના માપ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 37 તેની પરસાળ બહારના ચોકની સામે હતી અને તેની બંને તરફની ભીંતો ઉપર ખજૂરીવૃક્ષની કોતરણી હતી. દરવાજે પહોંચવા માટે આઠ પગથિયાં હતાં.
દહનાર્પણ ધોવાની ઓરડી
38 બહારના ચોકમાં અંદરના દરવાજાને અડીને એક નાની ઓરડી હતી જેમાં થઇને ઓસરીમાં જવાતું હતું. અહીં દહનાર્પણ માટેના પશુઓને ધોવામાં આવતા હતાં, 39 મોટાં ખંડમાં ચાર મેજ હતાં-દરેક બાજુએ બબ્બે એની ઉપર દહનાર્પણમાં કે પ્રાયશ્ચિતમાં અથવા દોષપ્રક્ષાલનના બલિના પશુઓને વધેરવામાં આવતાં. 40 ખંડની બહાર પણ ચાર મેજ હતાં-ઉત્તરના દરવાજાની બંને બાજુએ બબ્બે. 41 આમ ખંડની અંદર ચાર મેજ હતાં અને બહાર ચાર મેજ હતાં. એટલે કુલ આઠ મેજ હતાં. જેના ઉપર પશુઓને વધેરવામાં આવતાં. 42 ત્યાં બીજી ચાર પથ્થરની મેજ હતી. તે પર વધ કરવા માટેના છરા હતા. દરેક મેજ દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. 43 પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
યાજકોની ઓરડીઓ
44 પછી પેલો માણસ મને અંદરના ચોકમાં લઇ ગયો. ત્યાં ઉત્તરના દરવાજાને અડીને એક ખાસ ઓરડો હતો. જેનું મોઢું દક્ષિણ તરફ હતું. એવો જ એક ઓરડો દક્ષિણના દરવાજે અડીને હતો. અને તેનું મોઢું ઉત્તર તરફ હતું. 45 પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે. 46 અને દક્ષિણના દરવાજાની ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે. લેવીઓમાંથી માત્ર તેઓ જ યહોવાની સેવા કરવા પાસે જઇ શકે છે.”
47 પછી પેલા માણસે આગળના અંદરના ચોકને માપ્યો. તો તે 100 હાથ લાંબો અને 100 હાથ પહોળો હતો. વેદી મંદિરની સામે ચોકમાં હતી.
મંદિરનો પ્રવેશ- કક્ષ
48 ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં. 49 પરસાળની લંબાઇ 20 હાથ અને પહોળાઇ 11 હાથ હતી. ત્યાં દશ પગથિયાં ચઢીને જવાતું હતું. એના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક થાંભલો હતો.
પરમપવિત્ર મંદિર
41 પછી તે મને પવિત્રસ્થાને લઇ આવ્યો અને તેના પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે દરેક બાજુએ 6 હાથ ઊંડી હતી. 2 અને પહોળાઇ 10 હાથ હતી. પ્રવેશદ્વારની બંને બાજુએ ભીતો પાંચ પાંચ હાથ જાડી હતી. પવિત્રસ્થાનની જ્યારે તેણે લંબાઈ માપી તો તે 40 હાથ હતી અને પહોળાઈ 20 હાથ હતી.
મંદિરનું પરમપવિત્રસ્થાન
3 પછી તે પવિત્રસ્થાનની પાછળના અંદરના ભાગમાં એટલે પરમપવિત્ર મંદિરમાં ગયો. તેણે પ્રવેશ આગળના સ્તંભો માપ્યા. તે દરેક 2 હાથ પહોળા હતા. તેનો પ્રવેશ 6 હાથ પહોળો હતો અને તેની બંને તરફની ભીંતો 7 હાથ પહોળી હતી. 4 પછી તેણે પરમપવિત્ર સ્થાનનો ઓરડો માપ્યો તો તે 2 હાથ પહોળો અને 20 હાથ લાંબો હતો. પછી તેણે મને કહ્યું, “આ પરમ પવિત્ર સ્થાન છે.”
મંદિરની ચારેબાજુના બીજા ઓરડા
5 ત્યાર પછી તેણે મંદિરની બહારની ભીતની જાડાઇ માપી તો તે 6 હાથ પહોળી હતી. અને સમગ્ર મંદિરમાં નાની ઓરડીઓ 4 હાથ પહોળી હતી. અને તેની બાજુની ઓરડી બાર ઇંચ પહોળી હતી (મંદિરની આજુબાજુ). 6 એ ઓરડીઓ એક ઉપર એક આવેલી હતી. ત્રણ માળ મળીને કુલ 30 હતી. મંદિરની ભીંતની જાડાઇ દરેક માળે ઓછી થતી જતી હતી એટલે દરેક માળે એ ભીતમાં ખાંચો રહેતો હતો. તેથી ઓરડીઓ મંદિરની ભીંતમાં કાણાં પાડ્યા વગર એ ખાંચાને ટેકે રહી શકતી હતી. 7 આ ઓરડીઓને લીધે મંદિરની બહારની બાજુએથી ભીંતો તળિયાથી તે મથાળા સુધી સરખી જાડાઇની લાગતી હતી. મંદિરની ફરતે બાંધેલી ઓરડીઓની બહારની બાજુએ દાદરો હતો. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઇ શકાતું હતું.
8 મેં જોયું કે મંદિર ઊંચા ઓટલા પર બાંધેલું હતું. ઓરડીઓનો પાયો ઓટલા સાથે સમતલ હતો. ઓટલાની ઊંચાઇ 6 હાથ હતી. 9 આ ઓરડીઓની બહારની ભીંત 5 હાથ જાડી હતી. 10 આ ઓરડીઓની અને યાજકોની ઓરડીઓ વચ્ચે મંદિરની ચારેબાજુ 20 હાથનું અંતર હતું. તે ફાજલ જગ્યા કહેવાતી હતી. 11 ઓરડીઓમાં પ્રવેશવા માટે ફાજલ જગ્યામાંથી એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ તરફ એમ બે પ્રવેશ હતા. ફાજલ જગ્યા સાથે જોડાતા આ બંને પ્રવેશની પહોળાઇ પાંચ પાંચ હાથ હતી.
12 મંદિર પાછળની ખુલ્લી જગ્યાની પશ્ચિમ બાજુએ એક મકાન હતું. તે 70 હાથ પહોળું અને 90 હાથ લાંબું હતું. તેની ચારે બાજુની ભીતો 5 હાથ જાડી હતી. 13 તે માણસે મંદિરની બહારની બાજુનું માપ લીધું તો તે 100 હાથ લાંબું હતું. અને ખુલ્લી જગ્યા, મકાન અને તેની ભીતો કુલ મળીને 100 હાથ થતા હતા. મંદિરની પછી તથા ચોકમાં થઇને પશ્ચિમ છેડાના મકાન સુધીનું અંતર 100 હાથ હતું. 14 મંદિરના આગલા ભાગની લંબાઇ બંને બાજુની ખુલ્લી જગ્યા સહિત 100 હાથ હતી.
15 તેણે પવિત્રસ્થાન પશ્ચિમે આવેલું મકાનનું અને તેની બંને બાજુની ભીતોનું માપ લીધું તો તે 100 હાથ હતું.
16 મંદિરનો પ્રવેશખંડ, મંડપ અને ગર્ભગૃહને બધે જ ભોંયતળિયાથી તે બારીઓ સુધી લાકડાની તકતીઓ જડેલી હતી. એ બારીઓ ઢાંકી દઇ શકાય એમ હતું. 17 મંડપની ભીતો ઉપર બારણાના મથાળા સુધી ખજૂરીના વૃક્ષો અને કરૂબો કોતરેલા હતાં:
18 પહેલાં એક ખજૂરીનું વૃક્ષ અને પછી એક કરૂબ એ ક્રમમાં આખા મંડપની ફરતે કોતરેલું હતું. દરેક કરૂબને બે મોઢાં હતાં. 19 માણસનું મોઢું એક બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું અને સિંહનું મોઢું બીજી બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું. આખી ભીત ઉપર આ પ્રમાણે કોતરેલું હતું. 20 ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી કરૂબો તથા ખજૂરીઓની કોતરણી કરેલી હતી.
21 પવિત્રસ્થાનના બારણાં આગળની બારસાખો ચોરસ હતી. અને તે જ પ્રમાણે પરમપવિત્રસ્થાનના બારણાની બારસાખો પણ ચોરસ હતી. 22 પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે 3 હાથ ઊંચી અને 2 હાથ પહોળી હતી, તેના ખૂણા, પાયા, તથા બાજુઓ લાકડાના બનેલા હતા. તેણે મને કહ્યું કે, “આ યહોવાની સંમુખ રહેનારી મેજ છે.”
23 મંદિરને તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં. 24 પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, ને બીજા બારણાને પણ બે. 25 ભીંતની જેમ મંદિરના બારણાં પર પણ ખજૂરીવૃક્ષ અને કરૂબોની કોતરણી હતી. ઓસરીના બારણા બહાર લાકડાનું એક છાપરૂં હતું. 26 એ ઓસરીની બંને બાજુએ ભીંતોમાં બારીઓ હતી અને બંને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. મંદિરની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતાં.
ઈસુનું આગમન થશે
3 મારા મિત્રો, તમને લખેલ મારો આ બીજો પત્ર છે. તમારા પ્રામાણિક માનસને કઈક સ્મરણ કરાવવા મેં બંને પત્રો તમને લખ્યા છે. 2 પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી.
3 અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે. 4 એ લોકો કહેશે કે, “તેણે આગમનનું વચન આપ્યું હતું. તે ક્યા છે? આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.”
5 પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું. 6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું. 7 અને અત્યારે દેવનું તે જ વચન આકાશ અને પૃથ્વીને ટકાવી રાખે છે કે જે આપણી પાસે છે. આ પૃથ્વી અને આકાશ અગ્નિથી નાશ કરવા માટે ટકાવી રાખવામાં આવ્યા છે. પૃથ્વી અને આકાશ ન્યાયના દિવસ સુધી ટકાવી રખાશે અને પછી તેનો અને જેઓ દેવની વિરુંદ્ધ છે તે બધા જ લોકોનો નાશ થશે.
8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે. 11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ.
14 પ્રિય મિત્રો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તેથી પાપહિન અને ક્ષતિહિન બનવા માટે શક્ય તેટલા વધારે પ્રયત્નશીલ રહો. દેવ સાથે શાંતિમાં રહેવાને યત્ન કરો. 15 યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી. 16 પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે. તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો[a] ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.
17 પ્રિય મિત્રો, તમે આ બધીજ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદઢ વિશ્વાસમાંથી ચલિત ન થાવ. 18 પરંતુ આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન અને કૃપામા તમે વધતા જાઓ. તેને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો! આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International