Old/New Testament
યાજકોનાં ઓરડા
42 પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો. 2 ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી. 3 આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો. 4 આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં. 5 ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી. 6 આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો. 7 એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી. 8 બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ 100 હાથ હતી. 9 બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પ્રવેશતા એમની નીચે થઇને પૂર્વ બાજુએ પ્રવેશવાનું હતું. 10 મંદિરની પૂર્વ તરફ આવેલી ઇમારતની દક્ષિણ બાજુએ પણ ઉત્તરના જેવી જ એક બીજી ઇમારત હતી.
11 એની ઓરડીઓ આગળ ઉત્તર બાજુની ઇમારત માફક જ એક પરસાળ હતી. એનું માપ, એની રચના અને એનાં બારણાં ઉત્તર બાજુની ઇમારત જેવા જ હતાં. 12 એ ઇમારતની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાંથી ભીંત શરૂ થતી હતી ત્યાં બહારના ચોકમાં જવાનું બારણું હતું.
13 પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે. 14 મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”
મંદિરનાં બહારનો ભાગ
15 જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો. 16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી. 17 તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે 500 હાથ હતી. 18 તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે 500 હાથ હતી. 19 તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે 500 હાથ હતી. 20 આમ તેણે ચારેબાજુનો વિસ્તાર માપ્યો. એ ભીતથી ઘેરાયેલો ભાગ ચોરસ હતો અને તેની દરેક બાજુ 500 હાથ લાંબી હતી. ભીંત મંદિરના પવિત્ર વિસ્તારને બાકીના વિસ્તારથી જુદી પાડતી હતી.
યહોવાનો મંદિરમાં પુન:પ્રવેશ
43 પછી પેલો માણસ મને પૂર્વ તરફના દરવાજે લાવ્યો, 2 એકાએક ઇસ્રાએલના દેવનો મહિમા પૂર્વ તરફથી દેખાયો, તેમના આગમનનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો અને ભૂમિ દેવના મહિમાથી પ્રકાશતી હતી. 3 જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો. 4 યહોવાનો મહિમા પૂર્વના દરવાજેથી મંદિરમાં આવ્યો.
5 પછી આત્માએ મને ઉચકયો અને અંદરના ચોકમાં લઇ ગયો, અને જ્યાં મેં જોયું તો મંદિર યહોવાના ગૌરવથી ભરાઇ ગયું હતું. 6 મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો. 7 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ મારું સિંહાસન અને પાદપીઠ છે. અહીં હું ઇસ્રાએલીઓ વચ્ચે અનંતકાળ સુધી રહીશ. ઇસ્રાએલના લોકો કે તેમના રાજાઓ હવે પછી કદી બીજા દેવોની પૂજા કરીને કે તેમના રાજાઓના મૃતદેહો દ્વારા મારા પવિત્ર નામને બટ્ટો લગાડશે નહિ. 8 તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં. 9 હવે એ લોકોએ બીજા દેવોની પૂજા કરવાનું છોડી દેવું જોઇએ અને તેમના રાજાઓનાં મૃતદેહોને મારાથી દૂર હટાવી દેવા જોઇએ. જો તેઓ એ પ્રમાણે કરશે તો હું તેમની વચ્ચે સદાકાળ વસીશ.
10 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય, 11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માર્ગો, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે. 12 આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે.
વેદી
13 “પહેલાં વપરાયેલા માપને ધોરણે તો વેદીનું માપ આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી ખાળ હતી. એની બહારની બાજુએ એક વેંત પહોળી કોર હતી. 14 વેદીનો સૌથી નીચેનો ભાગ 2 હાથ ઊંચો હતો. એ પછીનો ભાગ એના કરતાં 1 હાથ અંદર લીધેલો હતો અને તે 4 હાથ ઊંચો હતો એ પછીનો ભાગ પણ 2 હાથ અંદર લીધેલો હતો. 15 વેદીનું મથાળું જેના ઉપર પ્રાણીઓનો બલિ હોમવામાં આવતા હતા તે 4 હાથ ઊંચું હતું. એના ચાર ટોચકાં બાકીના ભાગ કરતાં ઊંચા હતાં. 16 વેદીના મથાળાની લંબાઇ 12 હાથ અને પહોળાઇ 12 હાથ એટલે સમચોરસ હતી. 17 વચલો ભાગ પણ સમચોરસ હતો. તેની દરેક બાજુ 14 હાથની હતી. તેને દોઢ હાથ પહોળી, ફરતી ધાર હતી તેની ખાળ ચોતરફ એક હાથ પહોળી હતી. વેદીના પગથિયાં પૂર્વ બાજુએ આવેલાં હતાં.”
18 યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ‘હું તને કહું તે ધ્યાનથી સાંભળ, વેદી જ્યારે બંધાઇ રહે ત્યારે એના ઉપર બલિ હોમીને અને બલિના પશુઓનું લોહી છાંટીને તારે એને સમર્પિત કરવી.’” 19 યહોવા મારા માલિક કહે છે, “લેવી કુળના સાદોક કુટુંબના યાજકો મારી હજૂરમાં સેવા માટે પાસે આવે છે. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેમને એક વાછરડો આપવો. 20 તારે એનું થોડું લોહી લઇને વેદીના મથાળાના ચારે શિંગડાને અને વેદીના વચલા ભાગના ચારે ખૂણાને અને ફરતી કોરને લગાડવું. આ રીતે તારે વેદીની શુદ્ધિ કરવી અને તેને બલિદાન મેળવવા તૈયાર કરવી. 21 ત્યાર પછી પાપાર્થાર્પણનો બળદ લઇને અને તેને મંદિરની બહારને માટે નક્કી કરેલી જગ્યાએ સળગાવી દેવો.
22 “બીજે દિવસે તમારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ધરાવવો અને તેના વડે વાછરડાથી શુદ્ધ કરી હતી તેમ વેદીને શુદ્ધ કરવી. 23 વેદીને પૂરેપૂરી શુદ્ધ કરી રહ્યા પછી તમારે એક ખોડખાંપણ વગરનો વાછરડો અને ખોડખાંપણ વગરનો મેંઢો લઇને અર્પણ કરવા. 24 તેઓને યહોવા સમક્ષ રજૂ કરવા અને યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમને યહોવાના દહનાર્પણ તરીકે અર્પણ કરવા. 25 સાત દિવસ સુધી દરરોજ તમારે ખોડખાંપણ વિનાનો એક જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે બલિદાન કરવો વળી ખોડખાંપણ વિનાનું એક વાછરડું અને એક ઘેટો અર્પણ કરવા. 26 સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમર્પિત કરવી. 27 સાત દિવસ પછી આઠમા દિવસથી દરરોજ યાજકો વેદી પર લોકોના દહનાર્પણો અને આભારસ્તુતિનાં અર્પણો બલિદાન કરે અને હું તેમનો સ્વીકાર કરીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.
બહારનો દરવાજો
44 તે માણસ મને પાછો મંદિરની પૂર્વ બાજુએ આવેલા બહારના દરવાજા આગળ લઇ આવ્યો. એ દરવાજો બંધ હતો. 2 યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રાખવામાં આવશે. એને કદી ઉઘાડવો નહિ. કોઇ માણસે એમાં થઇને દાખલ ન થવું, કારણ, ઇસ્રાએલના દેવ યહોવા એમાં થઇને દાખલ થયેલા છે, એને બંધ જ રાખવો. 3 રાજકુમાર અને કેવળ રાજકુમાર જ ત્યાં બેસીને યહોવા સમક્ષ ભોજન લઇ શકે, તેણે ઓસરીને માર્ગે જ અંદર આવવું અને બહાર જવું.”
મંદિરની પવિત્રતા
4 પછી તે માણસ ઉત્તરના દરવાજેથી મંદિરની સામે આવ્યો. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. હું ભૂમિ પર ઊંધો પડ્યો. 5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું જે કઇં જુએ, ને સાંભળે છે ત્યાં ધ્યાન કેન્દ્રીત કર હું તને યહોવાના મંદિરના નિયમો અને ધારાધોરણો કહું છું. મંદિરના પ્રવેશદ્વાર અને પવિત્રસ્થાનના બધા બહાર નીકળવાના સ્થાન પર ખાસ ધ્યાન આપ. 6 અને આ બંડખોર ઇસ્રાએલી લોકોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: હે ઇસ્રાએલ, તમે ઘણા ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે: 7 મને રોટલી ભેદ અને રકત અર્પણ કરતી વખતે તમે વિદેશીઓને, જેઓ હૃદયમાં અને શરીરમાં બેસુન્નત છે, એવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લઇ આવ્યા છો. આમ કરીને તમે મંદિરને અશુદ્ધ કર્યું છે અને મારા કરારનો ભંગ કર્યો છે અને તમારા બીજા સર્વ પાપોની સાથે આ પાપનો વધારો કર્યો છે. 8 મારા મંદિરમાં જાતે ઉપાસના કરવાને બદલે તમે એ માણસોને એ કામ સોંપી દીધું છે.’”
9 યહોવા મારા માલિક કહે છે: “હૃદય અને શરીરમાં બેસુન્નત એવા કોઇ પણ વિદેશીઓને અને ઇસ્રાએલીઓ ભેગો વસવાટ કરતા વિદેશીઓ સુદ્ધાંને મારાં મંદિરમાં પ્રવેશ કરવાનો નથી. 10 જ્યારે ઇસ્રાએલીઓ દેવથી દૂર જઇને મૂર્તિઓ પાછળ ભટકી ગયા ત્યારે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો. તેઓને તેમની બેવફાઇ માટે શિક્ષા થવી જ જોઇએ. 11 તો પણ તેઓ દરવાજાઓની ચોકી કરી શકે અને મંદિરના પરચુરણ કામો કરે. તેઓ દહનાર્પણ માટે લાવવા પ્રાણીઓનો વધ કરી શકે અને લોકોની સહાય કરવા હાજરી આપી શકે. 12 પણ તેઓએ ઇસ્રાએલના લોકો તરફથી મૂર્તિની પૂજા કરી હતી અને એમ કરીને લોકોને પાપમાં નાખ્યાં હતાં તેથી હું, યહોવા મારા માલિક, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ‘તેમણે તેમનાં પાપોની સજા ભોગવવી પડશે.’”
13 “તેઓ યાજકો તરીકે મારી સમક્ષ આવીને મારી સેવા નહિ કરી શકે, તેઓ મારી પવિત્ર વસ્તુઓની પાસે કે ગર્ભગૃહમાં નહિ આવી શકે. તેમણે કરેલાં ધૃણાપાત્ર કૃત્યોની આ સજા છે. 14 તેઓ મંદિરની કાળજી રાખનારા, પરચુરણ કામો કરનારા અને લોકોને મદદ કરનારા થશે.
15 “લેવી વંશના સાદોકના કુળના યાજકોએ ઇસ્રાએલીઓ જ્યારે મારાથી વિમુખ થઇ ગયા હતા ત્યારે પણ મંદિરમાં મારી સેવા કરવાનું ચાલું રાખ્યું હતું એટલે તેઓ જ મારી સેવા કરવા માટે મારી પાસે આવી શકશે. તેઓ ચરબી અને લોહી ધરાવવા માટે મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે. 16 “તેઓ મંદિરમાં દાખલ થઇ, મારી વેદી પાસે આવી, મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે. 17 “તેઓ જ્યારે મંદિરના અંદરના ચોકમાં પ્રવેશે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો જ ધારણ કરે. મંદિરના અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનના વસ્ત્રો પહેરે નહિ. 18 તેઓએ માથે શણની પાઘડી પહેરવી અને શણની ઇજાર પહેરવાં. જે વસ્ત્રો પહેરવાથી પરસેવો થાય તેવાં વસ્ત્રો તેમણે પહેરવાં નહિ. 19 રી ઉપાસના પૂરી કરીને તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય ત્યારે તેમણે ઉપાસના કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઊતારીને તેમને માટે ઠરાવેલી ઓરડીમાં મૂકી દેવા અને બીજા વસ્ત્રો પહેરવાં, જેથી એમનાં પવિત્ર વસ્ત્રો દ્વારા લોકોમાં પવિત્રતા ફેલાય નહિ.
20 “તેમણે માથે મુંડન પણ ન કરાવવું તેમ વાળ લાંબા વધવા પણ ન દેવા. તેમણે ટૂંકા વાળ રાખવા. 21 મંદિરના અંદરના ચોકમાં પ્રવેશતા પહેલાં કોઇ પણ યાજકે દ્રાક્ષારસ પીવો નહિ. 22 તે છૂટાછેડા લીધેલી સ્ત્રી કે વિધવા સાથે લગ્ન કરી શકે નહિ. કેવળ ઇસ્રાએલી કુમારિકા સાથે અથવા યાજકની વિધવા સાથે લગ્ન કરી શકે.
23 “યાજકોએ મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો ભેદ સમજાવવો અને તેમણે શુદ્ધ શું અને અશુદ્ધ શું છે તે સમજાવવું. 24 જ્યારે કોઇ ઝઘડો ઊભો થાય ત્યારે તેમણે મારા કાયદા અનુસાર ન્યાય ચૂકવવો. તેમણે મારાં ધારાધોરણો મુજબ બધા તહેવારો ઉજવવા અને વિશ્રામવારની પવિત્રતા જાળવી પાળવો, અને તે માટે કાળજી રાખવી. 25 યાજકો પોતાના પિતા, માતા, બાળક, ભાઇ અથવા કુંવારી બહેનના અપવાદ સિવાય બીજી કોઇ પણ વ્યકિતના મૃતદેહ પાસે જાય નહિ અને પોતાને અશુદ્ધ કરે નહિ. 26 શુદ્ધિ પછી તેમણે સાત દિવસ જવા દેવા. પછી જ તે મંદિરમાં પોતાની સેવા ફરીથી બજાવી શકે. 27 અને ત્યાર પછી અંદરના ચોકમાં જઇ પાપાર્થાર્પણ ચઢાવવો, જેથી તેઓ ફરી મંદિરમાં ઉપાસના કરી શકે.” આ યહોવા મારા માલિક બોલે છે.
28 “તેઓને ભાગે ઇસ્રાએલમાં કોઇ વારસાગત મિલકત આવેલી નથી. હું જ તેમની મિલકત છું, વારસો છું અને તે તેઓને માટે પૂરતું છે. 29 ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ અને દોષાર્થાર્પણ બલિ એ જ તેમનો ખોરાક છે, અને ઇસ્રાએલમાં મને અર્પણ કરેલું સર્વ કઇં તેમને મળશે. 30 પહેલી ઊપજનો ઉત્તમ ભાગ અને મને ધરાવેલી તમામ વસ્તુઓ યાજકને મળે. અને જ્યારે તમે નવા અનાજની રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યાજકને અર્પવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ ઊતરે. 31 યાજકોએ કદી પણ કુદરતી રીતે મૃત્યુ પામેલા અથવા હિંસક પ્રાણીનો શિકાર બની મૃત્યુ પામેલા કોઇ પણ પશુ કે પંખીનું માંસ ખાવું નહિં.
1 હવે અમે તમને જગતના આરંભકાળ પહેલા જે કોઈ વસ્તુઓનું અસ્તિત્વ હતું તે વિષે કહીએ છીએ આ અમે સાંભળ્યું છે, અમે પોતાની આંખો વડે જોયું છે, અમે નિહાળ્યું છે, અમે અમારા હાથે સ્પર્શ કર્યો છે. અમે તમને તે શબ્દ (ખ્રિસ્ત) જે જીવન આપે છે તે વિષે લખીએ છીએ. 2 તે જીવન અમને બતાવ્યું છે. અમે તે જોયું છે. અમે તે વિષે સાક્ષી આપી શકીએ છીએ. હવે અમે તમને તે જીવન વિષે કહીએ છીએ. તે જીવન જે અનંતકાળનું છે. આ તે જીવન છે જે દેવ બાપ સાથે હતું. દેવે આપણને આ જીવન બતાવ્યું છે. 3 હવે અમે તમને જે કંઈ જોયું છે અને સાંભળ્યુ છે તે કહીએ છીએ. શા માટે? કારણ કે અમે તમને અમારી સાથે ભાગીદાર બનાવવા ઈચ્છીએ છીએ. જેથી દેવ બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે અમને જે આનંદ અને સંગત મળ્યાં છે તેના તમે પણ ભાગીદાર બનો. 4 અમે તમને આ બાબત લખીએ છીએ તેથી તમારો પણ આનંદ અમારી સાથે સંપૂર્ણ થાય.
દેવ આપણા પાપો માફ કરે છે
5 અમે દેવ પાસેથી સાચો સંદેશો સાંભળ્યો છે. હવે અમે તે તમને કહીએ છીએ દેવ પ્રકાશ છે. દેવમાં અંધકાર નથી. 6 તેથી જો આપણે કહીએ કે આપણને દેવ સાથે સંગત છે અને આપણે અંધકારમાં જીવીએ તો પછી આપણે જૂઠાં છીએ. આપણે સત્યને અનુસરતા નથી. 7 દેવ પ્રકાશમાં છે. આપણે પણ પ્રકાશમાં જીવવું જોઈએ, જો આપણે પ્રકાશમાં જીવીએ તો, પછી આપણે એકબીજાની સાથે સંગતંમાં છીએ. અને જ્યારે આપણે પ્રકાશમાં જીવીએ છીએ, તો તેના પુત્ર ઈસુનું રકત આપણને સધળાં પાપમાંથી શુદ્ધ કરે છે.
8 જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી. 9 પણ જો આપણે આપણાં પાપો કબૂલ કરીએ છીએ, તો દેવ આપણાં પાપ માફ કરશે. આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ. દેવ જે સત્ય છે તે જ કરે છે. આપણે કરેલા બધાં ખોટાં કામોમાંથી દેવ આપણને શુધ્ધ કરે છે. 10 જો આપણે કહીએ કે આપણે પાપ કર્યું નથી, તો આપણે દેવને જૂઠાં ઠરાવીએ છીએ આપણે દેવનાં સાચા વચનનો સ્વીકાર કરતાં નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International