Old/New Testament
યહોવા પોતાના લોકોને પાછા લાવવા ઇચ્છે છે
1 દાર્યાવેશના અમલના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદૃોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા દ્વારા યહોવાનો સંદેશો મળ્યો હતો.
2 તું એ લોકોને કહે કે, યહોવા તમારા પિતૃઓ પર રોષે ભરાયો હતો; 3 તેથી તું તેઓને કહે કે, સૈન્યોના દેવ યહોવા કહે છે કે, જો તમે પાછા મારે શરણે આવો તો હું તમારી પાસે આવીશ.
4 તમે તમારા વડીલો જેવા ન થશો, જેઓને પહેલાના પ્રબોધકોએ સાદ પાડીને કહ્યું હતું કે, “સૈન્યોનો દેવ યહોવા તમને તમારાં ખોટા માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા વાળવા માગે છે. પણ તેમણે ન તો મારું સાંભળ્યું કે ન તો મારા કહેવા પર ધ્યાન આપ્યું.
5 “તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે? 6 પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.’”
ચાર ઘોડાઓ
7 દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા મહિનાની, એટલે શબાટ મહિનાની, ચોવીસમી તારીખે ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાએ બીજો સંદેશો આપ્યો.
8 તે એ કે મને રાત્રે સંદર્શન થયું, એક માણસ રાતા ઘોડા પર સવાર થયેલો હતો. તે એક ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો, અને તેની પાછળ બીજા રાતા; કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા, હું બોલી ઊઠયો. 9 “આ શું છે, મારા યહોવા?”
એટલે તે દેવદૂતે મને કહ્યું, “એ શું છે એ હું તને જણાવીશ.”
10 ત્યારબાદ મેંદી વચ્ચે ઊભેલા માણસે ઉત્તર આપ્યો, “એમને તો યહોવાએ પૃથ્વી પર ફરીને શું ચાલે છે તે જોવા મોકલેલા છે.”
11 અને તેણે મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાના દેવદૂતને કહ્યું, “અમે આખી પૃથ્વીની ચારેતરફ ફરી આવ્યાં છીએ અને સાચે જ આખી દુનિયા શાંતિમાં છે.”
12 ત્યારે યહોવાનો દેવદૂત બોલ્યો, “હે સૈન્યોનો દેવ યહોવા, સિત્તેર વર્ષથી તમે યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો ઉપર રોષે ભરાયેલા છો. ક્યાં સુધી તમે એમના પર દયા નહિ કરો?”
13 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ મમતા અને આશ્વાસનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો,
14 અને તે દેવદૂતે મને કહ્યું: તું જાહેર કર કે, સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે,
“મને યરૂશાલેમ અને સિયોન ઉપર એકનિષ્ઠ પ્રેમ છે.
15 જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે
તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું,
મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો
અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”
16 તેથી યહોવા કહે છે કે, “હું ફરીથી યરૂશાલેમ પર
દયા દર્શાવીશ અને મારું મંદિર ત્યાં જરૂર બંધાશે,
અને યરૂશાલેમમાં ત્યાં ફરી બાંધકામ શરૂ થશે.”
17 ફરીથી પોકારીને સૈન્યોનો દેવ યહોવા જાહેર કરે છે,
“મારા નગરો ફરીથી પ્રગતિ કરશે અને ચોતરફ વૃદ્ધિ પામશે;
અને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે,
ને હજી પણ તે યરૂશાલેમને પસંદ કરશે.”
ચાર શિંગડાં અને ચાર કામદાર
18 પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને પ્રાણીઓના ચાર શિંગડાં દેખાયાં! 19 એટલે મારી સાથે વાત કરી રહેલા દેવદૂતને મેં પૂછયું, “આ શું છે?”
તેણે મને જવાબ આપ્યો, “એ તો યહૂદિયા, ઇસ્રાએલ અને યરૂશાલેમના લોકોને વેરવિખેર કરી નાંખનાર શિંગડાં છે.”
20 ત્યારબાદ યહોવાએ મને ચાર લુહારો બતાવ્યાં; 21 મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?”
યહોવાએ કહ્યું, “આ શિંગડાઓએ યહૂદિયાને એવી રીતે વેરવિખેર કરી નાખ્યું હતું કે કોઇ માણસ પોતાનું માથું ન ઊંચકી શકે; અને આ લોકો યહૂદિયાની ભૂમિને અને પોતાનું માથું ઊંચુ કરનાર પ્રજાઓને ત્રાસ આપવા અને નાશ કરવા આવ્યા છે.”
યરૂશાલેમની માપણી
2 મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો. 2 મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?”
ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”
3 પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો. 4 બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,
‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે
તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’
5 કારણ, યહોવા કહે છે કે,
‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું
મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’”
દેવ પોતાના લોકોને ઘેર બોલાવે છે
6 યહોવા કહે છે;
“જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો.
આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે.
7 બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
8 સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે
અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે,
કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે.
9 જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ
અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે,
અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો
દેવ યહોવાએ મને મોકલ્યો છે.”
10 યહોવા કહે છે,
“સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ,
હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.
11 તે દિવસે ઘણી પ્રજાઓ
યહોવાની સાથે સંબંધ બાંધશે,
અને તેઓ એની પ્રજા થશે
અને યહોવા તેમની વચ્ચે વસશે,”
અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ
મને તમારી પાસે મોકલ્યો છે.
12 અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે.
અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.
13 યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ,
તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.
પ્રમુખ યાજકના અભિષેકનું દર્શન
3 ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો. 2 યહોવાના દેવદૂતે શેતાનને કહ્યું, “યહોવા તને ઠપકો આપો, ઓ શેતાન! યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ઠપકો આપો! આ માણસ અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણાઁ જેવો નથી?”
3 યહોશુઆ ગંદા વસ્ત્રો પહેરીને દેવદૂત પાસે ઊભો હતો. 4 દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.”
5 પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો. 6 ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,
7 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે:
“જો તું મારા માર્ગ પર ચાલશે
અને મારી આજ્ઞા માથે ચડાવશે,
તો તું મારા મંદિરનો
તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે
અને જેઓ મારી આગળ ઊભા છે,
તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.
8 હે પ્રમુખ યાજક યહોશુઆ,
તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ,
તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો.
જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
9 હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું.
તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત
આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ.
આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”
10 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“તે દિવસે તમારામાંનો એકેએક
જણ પોતાની દ્રાક્ષની વાડી
અને અંજીરના ઝાડ નીચે
પોતાના પડોશી સાથે સુખશાંતિમાં રહેશે.”
દીપવૃક્ષનું સંદર્શન
4 પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો. 2 પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?”
મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે. 3 દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.” 4 મારી સાથે વાત કરનાર દેવદૂતને મેં પૂછયું, “હે મારા યહોવા, તેનો અર્થ શું થાય છે?”
5 ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?”
મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”
6 પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.’ 7 યહોવા કહે છે, ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.”
8 વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો; 9 “ઝરુબ્બાબેલને હાથે આ મંદિરનો પાયો નંખાયો છે અને તેને હાથે જ તે પૂર્ણ થશે. ત્યારે લોકોને ખાતરી થશે કે મેં સૈન્યોનો દેવ યહોવાએ તને તેમની પાસે મોકલ્યા છે. 10 આરંભમાં થોડું થોડું કામ થતું જોઇને જેઓ એનો તિરસ્કાર કરતા હતા તેઓ ઝરુબ્બાબેલને હાથે તેની પૂર્ણાહુતિ થતી જોઇને ખૂબ હરખાશે, આ સાત દીવા પ્રતીકરૂપે દર્શાવે છે કે, યહોવાની આંખો સમગ્ર પૃથ્વી પર સર્વત્ર સઘળું નિહાળે છે.”
11 પછી મેં તેને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તે શું છે?” 12 વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?”
13 તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?”
મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
14 પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.”
બાબિલોનનો વિનાશ
18 પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી નીચે આવતા જોયો. આ દૂત પાસે વધારે સત્તા હતી. તે દૂતના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તે દૂતે મોટા શક્તિશાળી અવાજ સાથે બૂમ પાડી કે:
“તેનો વિનાશ થયો છે!
તે મોટા શહેર બાબિલોનનો નાશ થયો છે!
તે ભૂતોનું ઘર બન્યું.
તે શહેર દરેક અશુદ્ધ આત્માઓને રહેવા માટેનું સ્થળ બન્યું છે.
તે બધી જાતના અશુદ્ધ પક્ષીઓથી ભરેલું શહેર બન્યું છે.
તે બધા અશુદ્ધ તિરસ્કૃત પ્રાણીઓનું શહેર બન્યું છે.
3 પૃથ્વી પરના બધા લોકોએ તેના વ્યભિચારના પાપનો તથા દેવના કોપનો દ્રાક્ષારસ પીધો છે.
પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા છે
અને પૃથ્વી પરના વેપારીઓ તેની સમૃદ્ધ સંપત્તિ અને મોજશોખમાંથી શ્રીમંત થયા છે.”
4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:
“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો,
જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ.
પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.
5 તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે.
તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.
6 તે શહેરને એટલું ભરી આપો, જેટલું તેણે બીજાઓને ભરી આપ્યું છે.
તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો;
તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.
7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા,
તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો;
તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું.
હું વિધવા નથી,
હું કદી ઉદાસ થનાર નથી.’
8 તેથી એક દિવસમાં આ બધી
ખરાબ બાબતો મૃત્યુ, શોક અને દુકાળ તેની પાસે આવશે.
તેનો અગ્નિથી નાશ થશે,
કારણ કે પ્રભુ દેવ જે તેનો ન્યાય કરે છે તે શક્તિશાળી છે.”
9 પૃથ્વીના રાજાઓ, જેમણે તેની સાથે વ્યભિચારનાં પાપ કર્યા અને તેની સંપત્તિમાં ભાગ પડાવ્યો તેઓ તેની આગનો ધૂમાડો જોશે. પછી તે રાજાઓ તેના મૃત્યુને કારણે રડશે અને દુ:ખી થશે. 10 તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર,
બાબિલોનનું બળવાન નગર!
તારી શિક્ષા એક કલાકમાં થઈ!”
11 અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી. 12 તેઓ સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, સુંદર બારીક શણના કપડાં, જાંબુડી કાપડ, રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટ, હાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની, પિતળની, લોઢાની તથા સંગેમરમરની, સર્વ જાતની વસ્તુઓ વેચતાં. 13 તે વેપારીઓ, તજ, તેજાનાં, ધૂપદ્ધવ્યો, અત્તર, લોબાન, દ્ધાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, ઘઉં, તથા ઢોરઢાંકર, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ, પણ તેઓ વેચતા. તે વેપારી માણસો રડશે અને કહેશે કે:
14 “ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે.
તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે.
તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.”
15 તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે. 16 તેઓ કહેશે કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર!
બારીક શણનાં, જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત
અને સોનાથી, કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત
મહાન નગરને હાય હાય!
17 આ બધી સંપતિ એક કલાકમાં નષ્ટ થઈ!”
સર્વ નાખુદા, બધા લોકો જે વહાણોમાં સફર કરનારા છે, બધા જ ખલાસીઓ અને તે બધા લોકો જે સમુદ્ર માર્ગે પૈસા કમાનારા છે તેઓ બાબિલોનથી દૂર ઊભા રહ્યા. 18 તેઓએ તેના બળવાનો ધૂમાડો જોયો. તેઓએ મોટે સાદે કહ્યું કે: “ત્યાં આના જેવું મહાન નગર કદાપિ હતું નહિ!” 19 તેઓએ પોતાનાં માથાં પર ધૂળ ફેંકી. તેઓ રડ્યા અને વિલાપ કરવા લાગ્યાં. તેઓએ મોટા સાદે કહ્યું કે:
“અરેરે! ભયંકર! કેવું ભયંકર તે મહાન નગર!
તે બધા લોકો જેમની પાસે સમુદ્ર પર વહાણો છે, તેઓ તથા તેની સંપતિને કારણે તેઓ ધનવાન થયા.
પરંતુ તેનો વિનાશ એક કલાકમાં થયો!
20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ.
સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો.
તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”
21 પછી એક શક્તિશાળી દૂતે એક મોટો પથ્થર ઉઠાવ્યો. આ પથ્થર ઘંટીના પડ જેવો મોટો હતો. તે દૂતે તે પથ્થરને દરિયામાં નાખી દીધો અને કહ્યું કે:
“તે મહાન નગર બાબિલોનને એટલી જ નિર્દયતાપૂર્વક નીચે ફેંકી દેવામાં આવશે.
તે શહેર ફરીથી કદી જોવામાં નહિ આવે.
22 વીણા વગાડનારા, ગાનારા, બીજા વાજીંત્રો વાંસળી અને રણશિગડું વગાડનારા લોકોનું સંગીત તારામાં ફરી કદી સંભળાશે નહિ.
પ્રત્યેક કસબી જે કાંઇ કામ કરતો હોય.
ફરીથી કદી તારામાં જોવામાં આવશે નહિ.
ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ.
23 તારામાં દીવાનો પ્રકાશ ફરી કદી પ્રકાશશે નહિ.
તારામાં વર કન્યાનો અને વરરાજાનો અવાજ ફરી કદી સંભળાશે નહિ
કારણ કે તારા વેપારીઓ દુનિયાના મહાન માણસો હતા.
તારી જાદુઈ યુક્તિઓથી બધા દેશો ભ્રમમાં પડ્યા.
24 બધા લોકો જેઓને પૃથ્વી પર મારી નાખવામાં આવ્યા હતા,
બધા પ્રબોધકો અને સંતોનું લોહી વહાવવા માટે તે (બાબિલોન) દોષિત છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International