Old/New Testament
11 “‘માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે તેને મદદ કરવા અને તેને શકિતશાળી બનાવવા માટે મને મોકલવામાં આવ્યો હતો.
2 “‘અને હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે. બીજા ત્રણ રાજાઓ ઇરાન પર રાજ કરશે. પછી જે ચોથો રાજા થશે, તે બીજા રાજાઓ કરતાં ઘણો વધારે ધનવાન થશે. રાજકીય ફાયદા માટે પોતાના ધનનો ઉપયોગ કરીને તે ગ્રીસ સામે યુદ્ધ કરવા બધાને ઉશ્કેરશે. 3 ત્યારપછી ગ્રીસમાં એક શકિતશાળી રાજા ઊભો થશે. તે વિશાળ રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે. 4 પણ તેનો સૂર્ય મધ્યાહને તપતો હશે ત્યાં જ તેનું રાજ્ય છિન્નભિન્ન થઇ જશે અને ચારે દિશામાં વહેંચાઇ જશે. પણ તે એના વંશજોને નહિ મળે, તે એના વંશજો કરતા બીજાના જ હાથમાં જઇ પડશે, પણ તેઓ એના જેવી સત્તા ભોગવવા નહિ પામે.
5 “‘દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને સત્તા ભોગવશે. તેની સત્તા મહાન થશે. અને તેનું રાજ્ય પણ મોટું હશે.
6 “‘થોડાં વર્ષો પછી અરામ અને મિસરના રાજાની વચ્ચે કરાર થશે. મિસરના રાજાની પુત્રીના લગ્ન શાંતિના પ્રતીક તરીકે અરામના રાજા સાથે કરવામાં આવશે. પણ આ કરાર લાંબો સમય ટકશે નહિ અને તે, તેનું સંતાન તેમજ સાથે ગયેલા તેના સર્વ ચાકરોને શત્રુના હાથમાં સોંપી દેવામાં આવશે.
7 “‘પરંતુ તેના કુટુંબીજનોમાંથી જ એક જણ મિસરનો રાજા બનશે. તે અરામના રાજાની વિરૂદ્ધ એક સૈન્ય ઊભું કરશે અને તેની સામે જશે, ને તેને હરાવશે. 8 વળી, તે મિસર પાછો ફરશે ત્યારે તેઓની ધાતુની મૂર્તિઓ અને મૂર્તિઓને અપેર્લાં સોનાના તથા ચાંદીના અસંખ્ય પાત્રો પોતાની સાથે લઇ જશે. અને થોડાં વર્ષ સુધી તે ઉત્તરના રાજા ઉપર હુમલો કરવાનું બંધ રાખશે. 9 ત્યારબાદ ત્તરનો રાજા દક્ષિણના રાજ્ય ઉપર ચઢી આવશે, પણ તેને પોતાના દેશમાં પાછા જવું પડશે.
10 “‘તેના પુત્રો યુદ્ધની તૈયારી કરશે અને મોટી સેના ભેગી કરશે. તેઓમાંનો એક તો ઘસમસતા પૂરની જેમ ઘસી જઇને દુશ્મનના ગઢ સુધી પહોંચી જશે. 11 પછી મિસરનો રાજા ભારે ક્રોધમાં અરામના મોટા સૈન્યની સામે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે. 12 આ મહાન વિજયને કારણે અભિમાનમાં આવી જઇને તે પોતાના હજારો દુશ્મનોને મારી નાખશે, પણ તેનો વિજય થોડા સમયનો હશે. આખરે તેમનો પરાજય થશે; 13 કારણ, ઉત્તરનો અરામનો રાજા ફરી પહેલા કરતા પણ મોટી સેના ઊભી કરશે અને થોડાં વર્ષો બાદ તે મોટું સૈન્ય અને પુષ્કળ સામગ્રી લઇને ચઢી આવશે.
14 “‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે. 15 ત્યારબાદ ઉત્તરનો અરામનો રાજા અને તેની સાથે કરારથી જોડાયેલ રાજ્યો આવશે, અને મિસરના કિલ્લાવાળા નગરને ઘેરો ઘાલશે અને કબજો મેળવશે. દક્ષિણનું સૈન્ય અથવા તેના ચુનંદા લડવૈયાઓ પણ ટકી શકશે નહિ, કારણ, તેમનામાં એટલું બળ જ નહિ હોય.
16 “‘પણ એની સામે ચઢી આવેલો અરામનો રાજા કોઇ પણ જાતના અવરોધ વગર આગળ વધશે, કોઇ તેને રોકી શકશે નહિ; અને તે ઇસ્રાએલની મહિમાવાન ભૂમિમાં દાખલ થશે અને તેનો કબજો મેળવશે. 17 પછી સમગ્ર મિસરને સર કરવા માટે તે યોજનાઓ ઘડશે અને તેની સાથે સંધિ કરશે, તે તેના રાજ્યનો નાશ કરવા માટે તેને એક કુંવરી પરણાવશે, પણ એ યોજના કામ નહિ આવે અને તેથી એને કશો લાભ નહિ થાય.
18 “‘તે પછી તે સમુદ્ર તટના નગરો ઉપર હુમલો કરશે અને ઘણા પ્રદેશો કબજે કરશે. પણ એક સેનાપતિ તેના અત્યાચારનો અંત લાવશે, જો કે, તે એવું કરશે કે, અત્યાચારના બદલામાં અત્યાચાર ન કરી શકે.
19 “‘એ પછી તે પોતાના દેશના ગઢ તરફ જવા પાછો ફરશે, પણ ઠોકર ખાઇને પડશે અને ફરી કદી નજરે નહિ પડે.
20 “‘તેના પછી એક બીજો એવો રાજા ઊભો થશે, જે રાજવી સંપત્તિ વધારવા માટે એક માણસને જબરદસ્તીથી કર ઉઘરાવવા મોકલશે. પણ થોડાં વર્ષોમાં તેનો પણ અંત આવશે, પણ ક્રોધ કે, યુદ્ધના કારણને લીધે નહિ.
21 “‘તેના પછી એની જગ્યા પર એક તિરસ્કારપાત્ર પુરુષ આવશે. જેને રાજ્યસત્તા પામવાનો અધિકાર નહિ હોય, તે અચાનક આવશે અને તરત શાસન મેળવશે. 22 પૂરના પાણીની જેમ, તે તેની આગળ આવતાં સૈન્યોને પાછા તાણી જશે, અને તેમનો સંહાર કરશે, કરારના લોકોનો નેતા પણ નાશ પામશે. 23 તે સંધિ કર્યા પછી છળકપટ કરશે અને તે થોડા માણસોની મદદથી બળવાન બની જશે.
24 “‘તે શાંતિના સમયમાં તે પ્રદેશના સમૃદ્ધ ભાગમાં ચેતવણી આપ્યા વગર ચઢાઇ કરશે અને તેના પિતૃઓએ કદી કર્યું નહોતું એવું તે કરશે; તે ધનવાનોનું ધન અને સંપતિ લઇ જશે અને તેના પોતાના સાથીઓમાં વહેંચી દેશે. તે કિલ્લેબંદીવાળા નગરો ઉપર ચઢાઇ કરવાની યોજના કરશે પણ તે થોડા સમય માટે જ.
25 “‘પછી તે પોતાની બધી શકિત અને હિંમત ભેગી કરીને મિસરના રાજાની સામે એક મોટું સૈન્ય ઊભું કરશે. પણ મિસરનો રાજા પણ એક મોટું અને બળવાન સૈન્ય ઊભું કરશે. પણ તે ટકી નહિ શકે, કારણકે તેની વિરૂદ્ધ કરેલાં કાવતરાં સફળ થશે. 26 જે તેની સાથે પોતાના મેજ ઉપર જમશે તે તેનો નાશ કરશે, તેનું સૈન્ય વિખેરાઇ જશે અને તેના ઘણા સૈનિકો રણભૂમિમાં સાફ થઇ જશે. 27 એ બે રાજાઓ એક જ મેજ પર જમવા બેસશે. પણ તેઓ મનમાં એકબીજાને થાપ આપવાની ઇચ્છા સેવતા ભેગા જમવા બેસશે અને એકબીજા આગળ જૂઠું બોલશે, પણ તેમની ઇચ્છા પૂર્ણ થશે નહિ, કારણ, તેમના અંતનો સમય નક્કી થઇ ગયો છે.
28 “‘પછી તે પુષ્કળ દ્રવ્ય લઇને પોતાને દેશ પાછો જશે; પણ અંત:કરણમાં પવિત્ર કરાર પ્રત્યે દ્વેષ હશે, તે મરજીમાં આવે તેમ વર્તશે અને પોતાને દેશ પાછો ચાલ્યો જશે.
29 “‘પછી તે ફરીથી અગાઉથી નક્કી કરેલા સમયે ચેતવણી આપ્યા પ્રમાણે પોતાના સૈન્યોને દક્ષિણ તરફ લઇ જશે, પણ આ વખતે પહેલાના બે પ્રસંગો કરતાં કાઇંક જૂદું જ બનશે. 30 કારણકે પશ્ચિમમાંથી આવતાં રોમન યુદ્ધના વહાણો તેની વિરૂદ્ધ આવશે; તેથી તે ગભરાઇને પાછો જશે, ને પવિત્ર કરાર વિરૂદ્ધ તેને ક્રોધ ચઢશે, અને રોષે ભરાઇ પવિત્ર કરાર ઉપર દાઝ ઉતારશે. પાછા ફર્યા પછી તે પવિત્ર કરારને છોડીને જનાર પ્રત્યે દયા રાખશે. 31 તેના લશ્કરના માણસો યરૂશાલેમમાં આવીને મંદિરને અને તેના ગઢને ષ્ટ કરશે. અને નિત્યનું દહનાર્પણ બંધ કરાવશે અને ત્યાં વેરાનકારક મૂર્તિની સ્થાપના કરાવશે.
32 “‘વળી જેમણે પવિત્રકરારનો ભંગ કર્યો છે તેને ધર્મષ્ટ કરશે; પરંતુ દેવને ઓળખનારા લોકો તો મક્કમ રહીને પગલાં ભરશે.
33 “‘લોકોમાં જે જ્ઞાની હશે તેઓ ઘણા લોકોને સમજાવશે, જો કે, થોડા દિવસ સુધી તો તેમણે આગ, તરવાર, કેદ અને લૂંટફાટનો ભોગ થવું પડશે. 34 હવે જ્યારે તેઓને શિક્ષા થશે, ત્યારે તેઓને થોડીઘણી સહાય કરવામાં આવશે; પણ ઘણાઓ આજીજી દ્વારા તેઓની સાથે જોડાશે. 35 કેટલાક ડાહ્યાં લોકો અંતનો સમય આવે ત્યાં સુધી લોકોને પવિત્ર કરવા, અને ઊજળા બનાવવા ખપી જશે, કારણ, તે સમય આવવાને હજી વાર છે.
આત્મપ્રશંસક રાજા
36 “‘તે રાજા પોતાને મન ફાવે તે રીતે વર્તશે અને સર્વ દેવો કરતાં પણ પોતાને મોટો માનશે, અને દેવાધિદેવને વિષે પણ આભા થઇ જઇએ એવા નિંદાવચનો બોલશે. તેની સજાનો સમય આવે ત્યાં સુધી તો તે સુખસમૃદ્ધિ ભોગવશે. પણ જે નિર્માયું છે તે સાચું પડશે જ.
37 “‘તે પોતાના પિતૃઓના દેવ અને સર્વ દેવોની તે અવગણના કરશે. કારણ, તે કહેશે કે, તેઓ સર્વના કરતાઁ તે પોતે મહાન છે. 38 તે દેવોને બદલે તે કિલ્લાના દેવની પૂજા કરશે, જેને તેના પિતૃઓ કદી જાણતા નહોતા, તે કિલ્લાના દેવનું તે ભજન કરશે અને તેને સોનું, ચાંદી તેમજ કિમતી ભેટસોગાદો અર્પણ કરશે.
39 “‘આ વિદેશી દેવની મદદ વડે તે મજબૂત કિલ્લાઓ ઉપર હુમલો કરી તેમને જીતી લેશે. તેને આધીન થનારાઓને તે મોટું માન આપશે. તેઓને મોટી સત્તાઓ આપશે અને પૈસાના બદલે જમીન વહેંચી આપશે.
40 “‘પછી તેના અંતના સમયે દક્ષિણનો મિસરનો રાજા ફરીથી તેની ઉપર હુમલો કરશે. અને ઉત્તરનો અરામનો રાજા રથો, ઘોડેસવારો અને અનેક વહાણો લઇને તેના ઉપર પ્રચંડ વંટોળની જેમ ઘસી આવશે અને તેના પ્રદેશમાં દાખલ થઇ, પૂરના પાણીની જેમ બધે ફરી વળી પાર નીકળી જશે. 41 તે રસ્તામાં રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે; હજારો માણસો માર્યા જશે, પણ અદોમ, મોઆબ, અને આમ્મોનનો મુખ્ય ભાગ તેના કબજામાંથી બચી જશે. 42 તે વારાફરતી એક પછી એક દેશ તરફ પોતાનો હાથ લંબાવશે અને મિસર પણ બચવા નહિ પામે. 43 મિસરના સોનાચાંદીના ભંડારો અને બધી કિંમતી વસ્તુઓ તેના કબજામાં આવશે અને લિબિયાના તથા કૂશના લોકો તેના ચાકરો બની તેની પાછળ પાછળ ચાલશે. 44 પરંતુ પૂર્વ અને ઉત્તર તરફથી આવતા સમાચારોથી તે ભયભીત થઇ જશે અને ઘણા બધાનો નાશ કરવા, તેમનું નિકંદન કાઢી નાખવા ભારે રોષમાં ઘસી જશે. 45 તે યરૂશાલેમ અને સમુદ્રની વચ્ચે પોતાના બાદશાહી તંબૂઓ નાખશે. પરંતુ તે ત્યાં હશે તેવામાં જ તેનો સમય એકાએક પૂરો થશે અને તેને મદદ કરનાર કોઇ જ નહિ હોય.’”
12 “‘તે સમયે તારા દેશબંધુઓની રક્ષા કરનાર મહાન દેવદૂત મિખાયેલ ઊભો થશે. પ્રજાઓ ઉત્પન્ન થઇ ત્યારથી અત્યાર સુધીમાં કદી ન આવ્યો હોય એવો ભારે સંકટનો સમય યહૂદીઓ માટે આવશે, તેમ છતાં જેનું નામ જીવનનાઁ પુસ્તકમાં લખાયેલું છે એવા તારા લોકમાંના દરેક જણનો બચાવ થશે. 2 જેઓ ધરતીની ધૂળમાં પોઢી ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને શાશ્વત જીવન મળશે અને કેટલાકને અનંતકાળ સુધી શરમ અને તિરસ્કારના ભોગ બનવું પડશે. 3 જેઓ દેવના લોકો છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે અને જેમણે ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.
4 “‘પણ હે દાનિયેલ, તું આ વચનોને ગુપ્ત રાખજે, અને અંતકાળ આવે ત્યાં સુધી આ પુસ્તકને મહોર મારી રાખજે, આ સમય દરમ્યાન ઘણાં લોકો જ્યાં-ત્યાં દોડશે અને જાણકારીમાં વધારો થશે.’
5 “ત્યારબાદ મેં દાનિયેલે જોયું તો, બીજા બે માણસોને ઊભેલાં જોયાં, એક જણને નદીને આ કિનારે અને બીજાને સામે કિનારે. 6 હવે શણના વસ્ત્ર પહેરેલો માણસ નદી ઉપર ઊભો હતો. પેલા બેમાંથી એક જણે તેને પૂછયું, ‘આ ભયંકર ઘટનાઓનો અંત આવતાં કેટલો સમય લાગશે?’
7 “ત્યારે શણના વસ્ત્ર પહેરી ઉપરવાસ ઊભેલા માણસે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને દેવના સમ ખાઇને કહ્યું, ‘કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. જ્યારે પવિત્રપ્રજાની સતામણીનો અંત આવશે, ત્યારે આ બધી ઘટનાઓનો અંત આવશે.’
8 “તેણે કહ્યું તે મેં સાંભળ્યું ખરું પણ મને સમજાયું નહિ એટલે મેં પૂછયું, ‘હે યહોવા, આ સર્વ બાબતોનું શું પરિણામ આવશે?’
9 “તેણે જવાબ આપ્યો, ‘દાનિયેલ, હવે તું અહીંથી ચાલ્યો જા, કારણ, આ વચનો અંતકાળ સુધી ગુપ્ત અને સીલ કરેલાં રહેવાના છે. 10 ઘણા લોકો પવિત્ર, ડાઘ વિનાના અને ફરીથી શુદ્ધ થશે, પણ દુષ્ટો તેઓની દુષ્ટતામાં જ ચાલુ રાખશે. અને તેઓમાંનો કોઇ સમજશે નહિ. ફકત જેઓ જ્ઞાની છે તેઓ જ સમજવા પામશે.
11 “‘પ્રતિદિન અપાતાં અર્પણો બંધ કરવામાં આવશે અને વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ સ્થાપન કરવામાં આવશે, તે સમયથી તે 1,290 દિવસો હશે. 12 અને જે માણસ 1,335 દિવસ સુધી ટકી રહે અને રાહ જુએ તેને પરમસુખી જાણવો! ને ધન્ય છે તેઓને.
13 “‘પરંતુ અંત સમય આવે ત્યાં સુધી તું તારે રસ્તે પડ. તું ચિરનિંદ્રામાં પોઢી જશે અને જાગ્યા પછી મુદતને અંતે તું તારો ભાગ મેળવીશ.’”
1 દેવનું નિમંત્રણ પામેલા જે કોઇ ઈસુ ખ્રિસ્તની સુરક્ષા માટે રાખવામાં આવ્યા હોય તે સર્વ વિશ્વાસીઓ અને તેડવામાં આવેલાઓ જોગ લખિતંગ, ઈસુ ખ્રિસ્તનો સેવક. યાકૂબનો ભાઈ યહૂદા.
2 તમારા પર કૃપા, શાંતિ તથા પ્રેમ પુષ્કળ થાઓ.
ખોટુ કરનારા લોકોને દેવ શિક્ષા કરશે
3 વહાલા મિત્રો, હું આપણાં તારણ વિષે તમારા પર લખવા માટે ઘણો આતુર હતો. પરંતુ બીજું કશુંક તમને લખવાની મને જરુંર લાગી: દેવે તેના સંતોને વિશ્વાસ આપ્યો છે તે માટે તથા તે વિશ્વાસ ચાલુ રાખવા સખત સંઘર્ષ કરવા પ્રોત્સાહિત કરવાની મારી ઈચ્છા છે. દેવે આ વિશ્વાસ એક વખત આપ્યો છે, તે બધા સમય માટે સારોછે. 4 કેટલાએક લોકો ગુપ્ત રીતે તમારા સમૂહમાં પ્રવેશ્યા છે. તેઓ જે કામ કરી રહ્યા છે તે માટે તે લોકોનો ન્યાય હમણા જ થયો છે ને તેઓને દોષિત ઠરાવેલ છે. ઘણા લાંબા સમય પહેલાં પ્રબોધકોએ આ લોકો વિષે લખ્યું હતું. આ લોકો દેવની વિરુંદ્ધ છે. તેઓએ આપણાં દેવની કૃપાનો ઉપયોગ ખોટી રીતે પાપ કરવા માટે કર્યો છે. આ લોકો ઈસુ ખ્રિસ્તને, આપણો એકલો સ્વામી અને પ્રભુ તરીકે સ્વીકારવા ના પાડે છે.
5 મારી તમને મદદ કરવાની ઈચ્છા છે. કેટલીક બાબતો યાદ રાખો જે તમે બધીજ રીતે જાણો છો: યાદ રાખો પ્રભુએ તેના લોકોને ઈજીપ્તની (મિસરની) ભૂમિમાંથી બહાર લાવીને તેઓનો બચાવ કર્યો. પરંતુ પાછળથી પ્રભુએ જે લોકો અવિશ્વાસીઓ હતા, તે બધાનો નાશ કર્યો. 6 અને દૂતોને પણ યાદ રાખો જેઓની પાસે અધિકાર હતો પણ તેઓએ તે રાખ્યો નહિ. તેઓએ તેઓનાં પોતાનાં રહેવાનાં સ્થાન છોડ્યાં. તેથી પ્રભુએ આ દૂતોને અંધકારમાં રાખ્યા છે. તેઓએ સનાતન બંધનની સાંકળે બાંધ્યા. તેણે તેઓને મોટા દિવસના ન્યાયીકરણ સુધી રાખ્યા છે. 7 સદોમ અને ગમોરા અને તેઓની આજુબાજુનાં બીજા શહેરોને પણ યાદ રાખો. તેઓ પણ પેલા દૂતો જેવાં જ છે. આ શહેરો એ જ રીતે વ્યભિચારમાં અને અનુચિત દુરાચારમાં ગરક થઈને નિરંતર અગ્નિદંડની શિક્ષા સહન કરે છે. તેઓની શિક્ષા આપણા માટે ઉદાહરણરુંપ છે.
8 એ લોકો સાથે બન્યું છે એ જ રીતે તમારા સમૂહમાં પ્રવેશ્યા છે તેઓ સ્વપ્નોથી દોરાયા છે. તેઓ પાપ વડે તેઓની જાતને ગંદી બનાવી રહ્યા છે. તેઓ દેવના નિયમની અવગણના કરે છે. અધિકાર અને દૂતોના ગૌરવની નિંદા કરે છે. 9 પ્રમુખ દૂત મિખાયેલે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિષે તકરાર કરીને વિવાદ કર્યો, ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહિ. પણ મિખાયેલે કહ્યું કે; “પ્રભુ તને શિક્ષા કરે.”
10 પરંતુ આ લોકો જે વિષે સમજતા નથી તેની ટીકા કરે છે. તેઓ કેટલીક બાબતો સમજ્યા. પણ તેઓ આ વિષે વિચાર કરીને સમજ્યા નહોતા, પરંતુ લાગણીથી, જે રીતે મુંગા પ્રાણીઓ વસ્તુઓ સમજે તેમ સમજ્યા હતા. અને આ બાબતો જ તેઓને તેઓના વિનાશ તરફ દોરી જાયછે. 11 તેઓને અફસોસ! આ લોકો કાઈન જે માર્ગે ગયો તેને અનુસર્યા. પૈસા બનાવવાની ઈચ્છાથી તેઓ પોતે બલામ જે ખોટા માર્ગે ગયો તેની પાછળ ગયા. કોરાહની જેમ આ લોકો દેવની વિરૂદ્ધમાં લડ્યા છે. અને કોરાહની માફક જ, તેઓનો નાશ થશે.
12 આ લોકો તમે જે વિશિષ્ટ ભોજનમાં સાથે સહભાગી બનો છો તેમા ગંદા ડાઘ જેવા છે. તેઓ ભય વિના તમારી સાથે ખાય છે. તેઓ ફક્ત પોતાની જાતની જ સંભાળ રાખે છે. તેઓ વરસાદ વિનાનાં વાદળાં છે. પવન તેઓને આજુબાજુ ઘસડે છે. તેઓ ફળ વિનાનાં વૃક્ષો જેવાં છે. જ્યારે ફળનો સમય આવે ત્યાંરે તેઓને ફળ આવતાં નથી તેથી જમીનમાંથી ઉખેડી કાઢવામાં આવે છે. તેથી તેઓ બે વખત મરણ પામે છે. 13 તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.
14 આદમથી સાતમા પુરુંષ હનોખે આ લોકો વિષે ભવિષ્યકથન કર્યું છે કે: “જુઓ, પ્રભુ હજારોની સંખ્યામાં તેના પવિત્ર દૂતો સાથે આવે છે. 15 પ્રભુ પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે. પ્રભુ બધા લોકોનો ન્યાય કરવા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓને શિક્ષા કરવા આવે છે. તે આ લોકોને દેવની વિરુંદ્ધ તેઓએ કરેલાં દુષ્ટ કાર્યો માટે શિક્ષા કરશે. અને દેવ આ પાપીઓ જે દેવની વિરુંદ્ધ છે તેઓને શિક્ષા કરશે. તે તેઓને તેમણે દેવની વિરૂદ્ધ કહેલાં બધાં સખત ટીકાત્મક વચનો માટે શિક્ષા કરશે.”
16 આ લોકો હંમેશા બીજા લોકોમાં ભૂલો શોધે છે અને ફરિયાદ કરે છે. તેઓ હંમેશા તેઓની ઈચ્છા મુજબ દુષ્ટ કૃત્યો કરે છે. તેઓ પોતાની જાત વિશે દંભ કરે છે. તેઓ ફક્ત પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરવા, સ્વાર્થ સાધવા માટે બીજા લોકો માટે સારું બોલે છે.
ચેતવણી અને કરવાનાં કાર્યો
17 પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ પહેલા શું કહ્યું છે તે યાદ કરો. 18 પ્રેરિતોએ તમને કહ્યું છે, “અંત સમયે દેવના વિશે મશ્કરી કરનારા લોકો ત્યાં હશે.” આ લોકો ફક્ત તેઓની ઈચ્છા મુજબ કરવાનાં કાર્યો જે દેવની વિરૂદ્ધ છે તે જ કરે છે. 19 આ લોકો જ તમારામાં ભાગલા પાડે છે. આ લોકો પોતાની પાપી સ્વાર્થી અધર્મી ઉત્કંઠા પ્રમાણે જ ફક્ત કાર્યો કરે છે. તે લોકોમાં આત્મા નથી.
20 પણ પ્રિય મિત્રો, તમે તમારું જીવન પવિત્ર વિશ્વાસના પાયા પર વધારે દ્રઢ બનાવો અને પવિત્ર આત્મા વડે પ્રાર્થના કરો. 21 તમારી જાતને દેવના પ્રેમમાં રાખો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયા વડે તમને જે અનંતજીવન પ્રાપ્ત થવાનું છે તેની રાહ જુઓ.
22 જેઓને શંકા છે તે લોકોને મદદ કરો. 23 તમારે કેટલાએક લોકોને બચાવવાની જરુંર છે. તમે તેઓને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવશો. પણ જ્યાંરે તમે બીજા લોકો જે પાપીઓ છે તેઓને મદદ કરવા ઈચ્છો છો ત્યારે સાવધ રહો. તેમનાં વસ્ત્રો જે પાપથી ગંદા થયેલાં છે તેને પણ ઘિક્કારો.
દેવની સ્તુતિ થાઓ
24 તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે. 25 તે જ ફક્ત દેવ છે. તે જ એક છે જે આપણો ઉદ્ધાર કરે છે. તેને મહિમા, ગૌરવ, પરાક્રમ તથા અધિકાર, અનાદિકાળથી હમણા તથા સર્વકાળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હોજો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International