Old/New Testament
દર્શનમાં તીડો
7 યહોવા દેવે મને આ દ્રશ્ય બતાવ્યું: પ્રથમ લણણી પછી પહેલો પાક રાજાને કર તરીકે અપાતો, જ્યારે બીજો પાક ફૂટી નીકળતો. યહોવાએ તીડનું[a] સર્જન કર્યું. 2 તે તીડો ખેતર પરનું ઘાસ ખાઇ ગયા ત્યારે મે કહ્યું, “હે સૈન્યોનો દેવ યહોવા અમને માફ કરો. આ પછી ઇસ્રાએલીઓ કેવી રીતે જીવતા રહી શકે? કેમકે તેઓ નાના છે તે માટે.”
3 તેથી યહોવાને આ વિષે પશ્ચાત્તાપ થયો; તેમણે મને કહ્યું, “હું તે થવા દઇશ નહિ.”
દર્શનમાં અગ્નિ
4 સૈન્યોનો દેવ યહોવાએ મને આ બીજું દ્રશ્ય બતાવ્યું: સૈન્યોનો દેવ યહોવા અગ્નિપરીક્ષા કરવા બોલાવતાં હતાં. તેણે મોટા સાગરને સૂકવી નાખ્યો અને જમીનને ભસ્મિભૂત કરી દીધી. 5 ત્યાં મેં કહ્યું, “હે યહોવા દેવ, કૃપા કરીને તેમ થવા દેશો નહિ. તમે જો તેઓની વિરૂદ્ધ થાઓ તો તેઓ પાસે બીજી કઇ આશા છે? ઇસ્રાએલ ઘણું નાનું છે.”
6 યહોવાને એ વિષે પશ્ચાતાપ થયો, યહોવા દેવ કહે છે, “એ પણ થશે નહિ.”
દર્શનમાં ઓળંબો
7 પછી યહોવાએ મને દ્રશ્ય બતાવ્યું. પોતે હાથમાં ઓળંબો પકડીને ભીંત પાસે ઊભા છે. દીવાલની સપાટી માપવા માટે ઓળંબો વપરાય છે. 8 યહોવાએ મને પુછયું, “આમોસ, તને શું દેખાય છે?”
મેં કહ્યું, “એક ઓળંબો.”
યહોવાએ કહ્યું, “હું મારા લોકોની આ ઓળંબાથી પરીક્ષા લઇશ, હું તેઓના ખોટા કાર્યોની સજા આપ્યા વગર જવા દઇશ નહિ. 9 ઇસહાકનાઁ વંશજોના થાનકો ખેદાનમેદાન થઇ જશે. ઇસ્રાએલનાઁ પવિત્રસ્થાનો ખંડેર થઇ જશે. યરોબઆમના વંશને હું તરવારને ઘાટ ઉતારીશ.”
અમાસ્યાએ આમોસને ભવિષ્યકથન કરવા બદલ રોકવાનો પ્રયત્ન કર્યો
10 પછી બેથેલના યાજક અમાસ્યાએ આમોસના વચનો સાંભળ્યાં ત્યારે તેણે યરોબઆમ રાજા પર ઝડપથી સંદેશો મોકલ્યો: “આપણા દેશમાં આમોશ રાજદ્રોહી છે, અને તમારા મરણ માટે કાવતરું ઘડે છે. આ બાબત અસહ્ય છે. તેના લીધે કદાચ દેશમાં બળવો ફાટી નીકળશે. 11 તે કહે છે કે, ‘યરોબઆમ યુદ્ધમાં માર્યો જશે, અને ઇસ્રાએલના લોકોએ નિશ્ચિત તેઓનો દેશ છોડવો પડશે અને દેશવટો લઇ જવું પડશે.’”
12 વળિ અમાસ્યાએ આમોસને કહ્યું, “ઓ થઇ પડેલા દ્રષ્ટા, ભાગ! યહૂદિયાના દેશમાં ચાલ્યો જા! અને ત્યાં તારો પ્રબોધ કર. અને રોટલો ખા. 13 પણ હવે પછી તારા દર્શનોથી અહીં બેથેલમાં પ્રબોધ કરીશ નહિ. કારણકે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”
14 પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું. 15 હું ઘેટાઁનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, ‘જા અને મારા ઇસ્રાએલના લોકોને પ્રબોધ કર.’ 16 એટલે હવે તું યહોવાના વચન સાંભળ: ‘તું મને એમ કહે છે કે, તું ઇસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરૂદ્ધ બોલીશ નહિ.’ 17 પરંતુ યહોવાનો સંદેશો આ છે, ‘અમાસ્યા, તારી પત્ની શહેરની વારાંગના બનશે, અને તારા સંતાનોની હત્યા થશે. તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે, તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, ને ઇસ્રાએલી લોકોને કેદ પકડી તેમના દેશમાંથી તેમને દેશવટો દેવામાં આવશે.’”
ફળની ટોપલીનું દર્શન
8 પછી સૈન્યોનો દેવ યહોવાએ મને દર્શનમાં પાકેલાં ફળોથી ભરેલો એક ટોપલી બતાવી. 2 તેમણે મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?”
મેં કહ્યું, “પાકા ફળોની ટોપલી.”
પછી યહોવાએ કહ્યું, “આ ફળો મારા ઇસ્રાએલી લોકોને રજૂ કરે છે. તેઓને શિક્ષા કરવાનો સમય પાકી ચૂક્યો છે, હું ફરી કદી તેમને માફ નહિ કરું. 3 મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે અને આંસુ સારશે. સર્વત્ર શબો પડ્યાં હશે તેથી શાંત રહો! હું યહોવા બોલ્યો છું,”
ઇસ્રાએલના વેપારી ફકત કમાવામાં પડ્યાં
4 વેપારીઓ તમે સાંભળો, તમે ગરીબોને લૂંટો છો
અને લાચારને કચડી રાખો છો.
5 તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના
દિવસો પૂરા થવાની રાહ જુઓ છો,
જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો
અને તમારાં ખોટાં ત્રાજવાં
અને વજનીયાનો ઉપયોગ કરી
છેતરપિંડી કરી શકો;
6 એક જોડી પગરખા માટે,
ગરીબો અને દરિદ્રોને
પૈસાથી ખરીદો છો,
કાપણી વખતે જમીન
પર વેરાયેલા ઘઉંને
પણ વેચો છો.
7 યહોવાએ ઇસ્રાએલના ગૌરવના સમ ખાધા છે કે,
“નિશ્ચે હું કદી એ લોકોનાં કુકર્મો ભૂલીશ નહિ.
8 એ પાપોને લીધે ધરતી ધ્રુજી ઊઠશે,
એના ઉપર રહેનારા સૌ શોકમાં ડૂબી જશે,
આખી પૃથ્વી ઉપર આવશે,
તે ખળભળી જશે અને પછી
નાઇલ નદીની જેમ મંદ પડી જશે.
9 “તે દિવસે હું ખરે બપોરે સૂર્યાસ્ત કરીશ.
અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર પાથરી દઇશ.
10 તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ
અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ.
તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય
તેમ તમે ટાટ પહેરશો
અને શોકની નિશાની તરીકે
માથાના વાળ મુંડાવશો;
તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”
દેવની દુનિયાને ભયંકર ભૂખમરો
11 આ યહોવાના વચન છે:
“જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે
હું દેશમાં દુકાળ મોકલીશ.
લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ;
તરસ લાગશે પણ પાણીની નહિ,
યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.
12 ત્યારે લોકો સમુદ્રથી સમુદ્ર સુધી
અને ઉત્તરથી પૂર્વ સુધી યહોવાના
વચનોની શોધમાં ભટકશે.
તેની શોધમાં તેઓ અહીં તહીં દોડશે
પણ તે તેઓને મળશે નહિ.
13 તે દિવસે રૂપવતી અક્ષતા કન્યાઓ
અને યુવાન માણસો તરસને કારણે બેભાન થઇ જશે.
14 જેઓ સમરૂનના દેવોના નામે પ્રતિજ્ઞા કરે છે.
‘તેઓ હે દાન, તારા દેવના નામે વચન આપું છું’,
એમ કહીને પ્રતિજ્ઞા લે છે.
તેઓ બધા ઢળી પડશે
અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”
દર્શનમાં યહોવા વેદી સમક્ષ ઊભા રહ્યાં
9 મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા, તેઓ બોલ્યા,
“બુરજોની ટોચ પર એવો મારો
ચલાવો કે મંદિર હલી ઊઠે
અને તેના થાંભલાઓ તૂટી પડે
અને સાથે તેની છત નીચે
બેઠેલા લોકો પર તૂટી પડે.
તેમનામાંથી જે બાકી રહ્યા હશે
તેમને હું તરવારથી પૂરા કરીશ.
કોઇ તેમાંથી છટકી જવા પામશે નહિ.
2 તેઓ ઊંડે ખોદતાં ખોદતાં પાતાળમાં ઊતરી જાય
તો પણ હું તેમને પકડીને બહાર લઇ આવીશ.
તેઓ જો આકાશમાં ચઢી જશે,
તો પણ હું તેમને ત્યાંથી નીચે ખેંચી લાવીશ.
3 તેઓ જો કામેર્લની ટોચના ખડકોમાં સંતાઇ જાય,
તોપણ હું તેમને ત્યાંથી શોધી કાઢી પકડી પાડીશ.
જો તેઓ મારાથી સંતાઇને દરિયાને તળીયે પણ હશે,
તો ત્યાં રહેતાં સર્પને જે ત્યાં રહે છે તેઓને કરડવા માટે આદેશ આપીશ.
4 અને જો તેઓ પોતાના દુશ્મનોના હાથે બંદીવાન થઇ દેશપાર થશે તોપણ
હું તરવારને આજ્ઞા કરીશ કે
તે તેમનો સંહાર કરે.
હું તેમના પર નજર રાખીશ કે
જેથી તેઓનું ભલું નહિ
પણ ભૂંડુ જ થાય.”
દેશના લોકોને સજા નષ્ટ કરશે
5 યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે.
તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે.
અને તેમાં વસનારા સર્વ શોક કરે છે,
તે પૃથ્વી ઊપર આવે છે
અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.
6 એ યહોવા છે કે તેનું ઘર આકાશમાં બાંધે છે
અને તેના ઘુમ્મટનો પાયો પૃથ્વી ઉપર નાખે છે,
તે સમુદ્રના પાણીને બોલાવીને
પૃથ્વીના પડ ઉપર રેડી દે છે.
તેનું નામ યહોવા છે.
યહોવાએ ઇસ્રાએલને સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા કરી
7 આ યહોવાના વચન છે,
“હે ઇસ્રાએલના લોકો, શું તમે મારે મન ‘કૂશના’ લોકો જેવા નથી?
હું જેમ તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી લાવ્યો હતો,
તેમ પલિસ્તીઓને કાફતોરથી
અને અરામીઓને કીરમાંથી લાવ્યો નહોતો?”
8 જુઓ, યહોવા મારા માલિકની દ્રષ્ટિ પાપી ઇસ્રાએલની
પ્રજા ઉપર છે;
“હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ.
તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરું.
9 હું આજ્ઞા કરીશ કે,
જેવી રીતે અનાજને ચારણીમાં ચાળવામાં આવે;
તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો
પણ નીચે પડશે નહિ,
તે રીતે બીજા રાષ્ટ્રો દ્વારા ઇસ્રાએલ પરતંત્ર થઇ જાય.
10 “પણ મારા લોકોમાંના બધા પાપીઓ,
જેઓ એમ કહે છે કે,
‘અમને કોઇ આફત સ્પશીર્ શકે એમ નથી કે અમારી સામે આવી શકે એમ નથી.’
તેઓ તરવારથી નાશ પામશે.”
દેવે રાજ્યને ફરી સ્થાપીત કરવાની પ્રતીજ્ઞા કરી
11 “તે દિવસે હું દાઉદના ખખડી ગયેલા ઝૂંપડા જેવા રાજ્યને ફરી
બેઠું કરીશ અને તેમાં પડેલી ફાટો સાંધી દઇશ.
તેના ખંડેરો સમાં કરીશ,
તે પહેલાં જેવું હતું તેવું નગર નવેસરથી બાંધીશ;
12 હું તેમ કરીશ જેથી ઇસ્રાએલના લોકો અદોમના બાકી રહેલા પ્રાંતો
અને બીજા બધા દેશો જે પહેલાં મારા હતા
તેને શાસનમાં લઇ શકે.”
આ સર્વનો કરનાર હું યહોવા બોલું છું.
13 જુઓ યહોવા કહે છે, “એવા દિવસો આવી રહ્યાં છે.
ખેડૂતો બીજી તરફ ધાન્યની
વાવણી કરવાનું શરુ કરે છે કે,
તે સમયે પણ ધાન્યની પહેલી
લણણીનું કામ પૂરું નહિ થયું હોય.
ઇસ્રાએલના પર્વતો ઉપર દ્રાક્ષના
બગીચામાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.
14 હું મારા ઇસ્રાએલી લોકોને
બંદીવાસમાંથી પાછા લાવીશ.
તેઓ તારાજ થયેલાં નગરોને ફરીથી બાંધશે
અને તેમાં વસશે.
તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે
અને તેનો દ્રાક્ષારસ પીશે
તથા બગીચા તૈયાર કરશે
અને તેના ફળ ખાશે.”
15 પછી તમારા દેવ યહોવા કહે છે:
“હું તેમને તેમની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ
અને તેમને મેં જે ભૂમિ આપી છે તેમાંથી કોઇપણ તેઓને ખસેડી શકશે નહિ.”
સાતમી મુદ્રા
8 જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. 2 અને મેં દેવ આગળ ઊભા રહેનારા તે સાત દૂતોને જોયા. તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા હતાં.
3 ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી. 4 દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. 5 પછી દૂતે ધૂપદાનીને વેદીના અગ્નિથી ભરી. તે દૂતે ધૂપદાની જમીન પર ફેંકી દીધી. પછી ત્યાં વીજળીઓના ચમકારા, ગર્જનાઓઅને વાણીઓ સાથે ધરતીકંપ થવાં લાગ્યાં.
તે સાત દૂતો તેમનાં રણશિંગડા ફૂંકે છે
6 પછી જેમની પાસે સાત રણશિંગડાં હતાં. તે સાત દૂતો તેમના રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા.
7 પ્રથમ દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી રક્તમિશ્રિત કરા તથા અગ્નિ પૃથ્વી પર ફેંકવામાં આવ્યાં; અને પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું જ લીલું ઘાસ બળી ગયું.
8 બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો, 9 જેથી સમુદ્રમાંના જીવતાં પ્રાણીઓનો ત્રીજો ભાગ મૃત્યુ પામ્યો; અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.
10 તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો. તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો. 11 તે તારાનું નામ કડવાદૌના[a] છે; અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો. ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં.
12 તે ચોથા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી સૂર્યના ત્રીજા ભાગ પર અને ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, તેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરુંપ થાય. દિવસ અને રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થાય.
13 જ્યારે મેં જોયું તો અંતરિક્ષમાં ઊંચે ઊડતાં એક ગરુંડને સાંભળ્યું, તે ગરુંડે મોટે સાદે કહ્યું કે, “અફસોસ! અફસોસ! પૃથ્વી પર રહેનારાં લોકોને માટે અફસોસ! બીજા ત્રણ દૂતો વગાડશે અને તેઓનાં રણશિંગડાના અવાજ પછી આફતો આવશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International