Old/New Testament
મંદિરથી વહેતું પાણી
47 પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું. 2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું.
3 હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં. 4 એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં. 5 બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ. 6 તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.”
7 ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં. 8 તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. 9 જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. 10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે. 11 પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે. 12 એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”
કુળસમૂહો માટે ભૂમિના ભાગલા
13 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલના બાર કુળ સમૂહોને જમીન વહેંચવા માટે આ સૂચનો છે: યૂસફના કુળને તેના પુત્રોની જાતિઓ એફ્રાઇમ અને મનાશ્શા માટે બે ભાગ મળશે. 14 સર્વ કુળોને સરખો ભાગ મળશે, કારણ કે તમારા પિતૃઓને આ દેશ આપવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને તેનો વારસો મળશે. તેની હદ આ પ્રમાણે છે:
15 “ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી હેથ્લોન અને સદાદમાંથી પસુર થઇને, 16 હામાથ અનદ દમસ્ક અને હમાથની સરહદ વચ્ચે આવેલાં શેહરો બેરોથાહ અને સિબ્રાઇમ થઇને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાનીકોન સુધી જાય છે. 17 આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે.
18 “પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.
19 “દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.
20 “પશ્ચિમ સરહદે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે અને હમાથના ઘાટ સામેના બિંદુ સુધી એ જ સરહદની ગરજ સારે છે.
21 “ઇસ્રાએલના કુળો મધ્યે આ સરહદોનો વિસ્તાર તમારે વહેંચી આપવો. 22 તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે. 23 વિદેશીઓ જે જાતિ વંશની ભેગા વસતા હોય તેની સાથે તેમને પણ ભાગ મળવો જોઇએ.” આ મારા માલિક યહોવાના વચન છે.
ઇસ્રાએલના કુળસમૂહો માટે ભૂમિ
48 “હવે કુળોનાં નામ અને તેઓને મળનાર પ્રદેશની વિગતો નીચે પ્રમાણે છે. ઉત્તરની સરહદે દાન કુળ; ભૂમધ્ય સમુદ્રની ઇશાનથી હમાથના કાંઠા સુધી, હસાર-એનાન, અને દક્ષિણે આવેલા દમસ્ક અને ઉત્તરે આવેલા હમાથની વચ્ચે સુધી તે પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ તરફની આ સરહદો છે. 2 આશેરનો વિસ્તાર દાનની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો પણ તેના જેવી જ છે. 3 આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો. 4 પછી મનાશ્શા કુળનો પ્રદેશ નફતાલીની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો તેના જેવી જ છે. 5 મનાશ્શાની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો પ્રદેશ છે. 6 એફ્રાઇમની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રૂબેનનો પ્રદેશ છે. 7 રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે.
ભૂમિનો વિશેષ ભાગ
8 “એ પછીનો પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તે પવિત્ર ભૂમિ છે. એ 25,000 હાથ પહોળી અને વંશજોને આપેલા ભાગ જેટલી જ પૂર્વ પશ્ચિમ લાંબી હશે. એની મધ્યમાં મંદિર આવશે. 9 આમાંથી યહોવાને સમર્પણ કરેલો વિસ્તાર 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો હશે. 10 આ પવિત્ર ભૂમિમાંથી યાજકોને એક ભાગ મળશે. ઉત્તરદક્ષિણ 25,000 હાથ અને પૂર્વપશ્ચિમ 10,000 હાથ, એ ભાગના મધ્યસ્થાને યહોવાનું મંદિર આવશે.
11 “આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માર્ગે ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માર્ગે ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી. 12 આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે.
13 “યાજકોના પ્રદેશની સરહદને અડીને લેવીઓનો પ્રદેશ છે, તે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો છે. 14 આ ખાસ પ્રકારની ભૂમિનો કોઇ પણ ભાગ વેચવામા આવશે નહિ, તેમજ વેપાર કરવામાં અથવા વિદેશીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ. કારણ કે આ શ્રેષ્ઠ ભૂમિ યહોવાની છે અને તે પવિત્ર છે.
શહેર સંપતિ માટે ભાગ
15 “બાકી રહેલો 5,000 હાથ પહોળો અને 25,000 હાથ લાંબો ટુકડો પવિત્ર નથી, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે. એની મધ્યમાં શહેર આવી શકે. 16 શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય. 17 નગરની ઉતરથી પશ્ચિમ તરફ 250 હાથ પહોળી ખુલ્લી જમીન રહેશે; તે ઘાસચારાની જમીન બનશે. 18 પવિત્રભૂમિની પાસેના ભાગમાં શહેર બાંધ્યા પછી બાકી રહેલી જમીન 10,000 હાથ પૂર્વમાં અને 10,000 હાથ પશ્ચિમમાં તે શહેરમાં કામ કરતાં લોકો દ્વારા ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવશે. 19 શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે.
20 “આ સમગ્ર વિસ્તાર, પવિત્ર ભૂમિ અને શહેરને પણ સમાવતો સમગ્ર વિસ્તાર, ચોરસ હશે અને તેની દરેક બાજુ 25,000 હાથની જમીન હશે.
21 “આ મોટા વિસ્તારમાંથી પવિત્ર ભૂમિનો પ્રદેશ અને નગર માટેનો પ્રદેશ છોડીને જે ભૂમિ બાકી રહે તે સરદારનો વિસ્તાર ગણાશે. પૂર્વમાં પવિત્ર ભૂમિની 25,000 હાથ લાંબી સરહદથી પૂર્વ દિશાએ આવેલી સરહદ સુધીનો પ્રદેશ અને એ જ પ્રમાણે પશ્ચિમે 25,000 હાથ લંબાઇની સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ આ બંને પ્રદેશો લંબાઇમાં કુળોના પ્રદેશ પ્રમાણે છે અને સરદારની માલિકીના ગણાશે. આ બંને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. 22 રાજાની માલિકીના આ પ્રદેશોની મધ્યમાં ત્યાં લેવીઓનો વિસ્તાર અને નગરનો વિસ્તાર આવશે. રાજકુમારની માલિકીનો આ વિસ્તાર યહૂદા અને બિન્યામીનના પ્રદેશની વચ્ચે હશે.
23 “બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: ઇસ્રાએલ દેશની પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો એક ભાગ બિન્યામીનનો. 24 બિન્યામીનના વિસ્તારની દક્ષિણે આવેલો એક ભાગ શિમયોનનો. બંનેની પૂર્વથી પશ્ચિમની સરહદ એક જ હશે. 25 તેની પાસે ઇસ્સાખારનો વિસ્તાર, પૂર્વથી પશ્ચિમ સુધી શિમયોનની સરહદની દક્ષિણે હશે. 26 ઝબુલોનનો જે પ્રદેશ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી ઇસ્સાખારની સરહદની દક્ષિણે હશે. 27 ગાદનો પ્રદેશ પૂર્વથી પશ્ચિમ સુધી ઝબુલોનની દક્ષિણે હશે.
28 “ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે.” 29 યહોવા મારા માલિકે કહ્યું, “આ રીતે તમારે ઇસ્રાએલના વંશજોને જમીન વહેંચવી જોઇએ અને આ એમના હિસ્સા ગણાશે.
શહેરના દરવાજાઓ
30 “નગરના દરવાજા આ પ્રમાણે છે:
“ઉત્તરની સરહદ 4,500 હાથ લાંબી છે. 31 નગરના દરવાજાના નામ ઇસ્રાએલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવા; ઉત્તરે ત્રણ દરવાજા એક રૂબેનનો દરવાજો, એક યહૂદાનો દરવાજો, અને એક લેવીનો દરવાજો;
32 “પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો.
33 “દક્ષિણ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલોનનો દરવાજો.
34 “પશ્ચિમ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો.
35 “ચારે તરફ દિવાલની લંબાઇ 18,000 હાથ છે, અને તે સમયથી શહેરને ‘યહોવા શામ્માહ’ નામ પડશે જેનો અર્થ છે, ‘યહોવા ત્યાં છે.’”
આપણે દેવનાં છોકરાં છીએ
3 પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ કયો છે! એ જ બતાવે છે કે તેણે આપણને કેટલો પ્રેમ કયો છે! આપણે દેવનાં છોકરાં કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેનાં છોકરાં છીએ. પરંતુ જગતનાં લોકો સમજતા નથી કે આપણે દેવનાં છોકરાં છીએ, કારણ કે તેઓએ તેને ઓળખ્યો નથી. 2 વ્હાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ. અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવો આપણે તેને જોઈશું. 3 ખ્રિસ્ત પવિત્ર છે. અને પ્રત્યેક વ્યક્તિ જેને ખ્રિસ્તમાં આશા છે તે પોતાની જાતને ખ્રિસ્ત જેવી પવિત્ર રાખે છે.
4 જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દેવના નિયમને તોડે છે. હા, પાપ કરવુ તે દેવના નિયમ વિરુંધ્ધ જીવવા જેવું છે. 5 તમે જાણો છો કે ખ્રિસ્ત લોકોનાં પાપોને દૂર કરવા આવ્યો હતો. ખ્રિસ્તમાં કોઈ પાપ નથી. 6 તેથી જે વ્યક્તિ ખ્રિસ્તમાં જીવે છે તે પાપ કરતો નથી. જે કોઈ વ્યક્તિ પાપ કરે છે, તે ખરેખર ખ્રિસ્તને સમજ્યો નથી અને કદી તેણે ખ્રિસ્તને ઓળખ્યો નથી.
7 વહાલાં બાળકો, કોઈ તમને ખોટા રસ્તે દોરે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે. ખ્રિસ્તની જેમ સારા થવા માટે, વ્યક્તિએ જે ન્યાયી છે તે કરવું જોઈએ. 8 શેતાન આરંભકાળથી જ પાપ કરે છે જે વ્યક્તિ પાપ કરવાનું ચાલુ રાખે છે તે શેતાનનો છે. દેવનો પુત્ર શેતાનનાં કામોનો નાશ કરવા માટે આવ્યો.
9 જ્યારે દેવ એક વ્યક્તિને તેનો બાળક બનાવે છે, ત્યારે તે વ્યક્તિ પાપ કરવાનું ચાલું રાખતો નથી. શા માટે? કારણ કે દેવે તેનામાં જે બીજ રોપ્યું છે તે તેની અંદર રહે છે અને તે પાપ કરી શકતો નથી. કારણ કે તે દેવથી જન્મેલો છે. 10 તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.
આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ
11 આરંભથી જે ઉપદેશ તમે સાંભળ્યો છે તે આ જ છે: આપણે એક બીજા પર પ્રેમ કરવો જોઈએ. 12 કાઈન[a] જેવા ન થાઓ. કાઈન દુષ્ટનો હતો. કાઈને તેના ભાઈ હાબેલને મારી નાખ્યો? કારણ કે કાઈનનાં કામો ભુંડાં હતાં અને તેના ભાઈ હાબેલનાં કામો સારાં હતાં.
13 ભાઈઓ અને બહેનો, આ જગતના લોકો જ્યારે તમને ધિક્કારે ત્યાંરે નવાઈ પામશો નહિ. 14 આપણે જાણીએ છીએ કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યાં છીએ. આપણે આ જાણીએ છીએ કારણ કે આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરીએ છીએ. જે વ્યક્તિ પ્રેમ કરતો નથી તે હજુ મરણમા છે. 15 પ્રત્યેક વ્યક્તિ જે તેના ભાઈનો દ્રેષ કરે છે તે ખુની છે. અને તમે જાણો છો કે કોઈ ખુનીમાં અનંતજીવન રહેતું નથી.
16 એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ. 17 ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી. 18 મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોમાં અને વાતોમાં હોવો જોઈએ નહી. ના! આપણો પ્રેમ સાચો પ્રેમ હોવો જોઈએ. આપણે આપણો પ્રેમ આપણાં કાર્યો દ્વારા દર્શાવવો જોઈએ.
19-20 તેથી આ એ જ રસ્તો છે જે આપણે જાણીએ છીએ કે આપણે સત્ય માર્ગના છીએ. અને જ્યારે આપણે આપણું હૃદય દોષિત ઠરાવે છે, છતાં દેવ આગળ આપણને શાંતિ મળી શકે છે. શા માટે? કારણ કે દેવ આપણા હ્રદય કરતાં મહાન છે. તે દેવ બધુંજ જાણે છે.
21 મારા વહાલા મિત્રો, જો આપણું અંત:કરણ આપણને દોષિત ન ઠરાવે તો જ્યારે આપણે દેવ પાસે આવીએ છીએ ત્યારે આપણે નિર્ભય થઈ શકીએ છીએ. 22 અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે આ વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ. 23 દેવે આપણને જે આજ્ઞા કરી છે તે આ છે કે, “આપણે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ અને આપણે એકબીજાને પ્રેમ કરીએ.” તેણે જે આજ્ઞા કરી છે તે આ છે. 24 તે વ્યક્તિ જે દેવની આજ્ઞાઓનુ પાલન કરે છે તે દેવમાં રહે છે. અને દેવ તે વ્યક્તિમાં રહે છે. આપણે કેવી રીતે જાણીએ કે દેવ આપણામાં રહે છે? દેવે આપણને જે આત્મા આપ્યો છે તેના કારણે આપણે જાણીએ છીએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International