Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઓબાદ્યા

અદોમ સજા પામશે

આ ઓબાદ્યાનું સંદર્શન છે. પ્રભુ યહોવા અદોમ વિષે આમ કહે છે:

યહોવા દેવ તરફથી અમને સંદેશો મળ્યો છે.
    દેવે એલચી મોકલ્યો છે અને રાષ્ટ્રો માટે આ સંદેશો આપ્યો છે.
ઉભા થાઓ, “ચાલો આપણે અદોમની સામે યુદ્ધે ચઠીએ.”

યહોવા અદોમને કહે છે

“હું તને રાષ્ટ્રો વચ્ચે સૌથી નાનું બનાવીશ.
    તું અતિશય ઘૃણિત છે.
ઓ ઊંચા પહાડો પર
    અને ખડકોની બખોલમાં વસનાર,
    તારા અંતરના અભિમાને તને ભરમાવ્યો છે.
તું તારા મનમાં એમ વિચારે છે કે,
    ‘મને કોણ ભોંય પર પછાડી શકે એમ છે?’”

અદોમને નીચું પાડવામાં આવશે

“ગરૂડની જેમ તું ઘણે ઊંચે ચઢીશ
    અને તારાઓ મધ્યે તારો માળો બાંધીશ તો,
    ત્યાંથીય હું તને નીચે પાડીશ એમ યહોવા કહે છે.
જો ચોરો તારી પાસે આવ્યા હોત તો ઘણું સારું થાત.
    ધાડપાડુઓ રાતે આવ્યા હોત તો વધારે સારું થાત.
તેઓએ ફકત તેઓને સંતોષ થાય ત્યાં જ સુધી લીધું હોત.
    જો દ્રાક્ષ વહેરવા વાળાઓ તારી પાસે આવ્યાં હોત.
તેઓએ તારા માટે વેરણ છોડી રાખ્યું હોત,
    પણ તારો સંપૂર્ણ નાશ થશે.
એસાવનો દેશ કેવો લૂંટાઇ ગયો!
    તારા છૂપા ભંડારોય રહેવા ન પામ્યા!
તારી સાથે મૈત્રી કરાર કર્યો છે,
    તેઓ તને સરહદ બહાર કાઢી મુકશે.
તેઓ તને છેતરશે.
    તારા બધા મિત્રો તને હરાવશે.
તેઓ તારો રોટલો તારી નીચે
    જાળની જેમ રાખે છે.
‘તને તેની સમજ નહિ હોય.’”

યહોવા કહે છે, “તે દિવસે આખા અદોમમાં એક
    પણ શાણો માણસ હશે નહિ કારણકે
    હું એસાવ પર્વત પરના સર્વ શાણા માણસોનું શાણપણ હરી લઇશ.
હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે
    અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ
    અને સંહાર કરવામાં આવશે.
10 હે અદોમ, તારા ભાઇ યાકૂબ પર
    થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઇ જઇશ
    અને તારો સદાને માટે નાશ થશે.
11 જે દિવસે દુશ્મન પરદેશીઓ
    યરૂશાલેમનાં દરવાજાઓમાં પ્રવેશ્યા
અને તેની સંપત્તિ કબજે કરી
    અને ચિઠ્ઠીઓ નાખી તેના ભાગ કર્યા,
    તું જોતો ઉભો રહ્યો અને તેઓમાંનો એક બન્યો.
12 પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઇ જવાયો હતો
    ત્યારે તારે ખુશ થવું જોઇતું ન હતું,
યહૂદાના નાશના દિવસે
    તારે આનંદ માણવો જોઇતો ન હતો,
જ્યારે તેઓ પિડીત હતા,
    ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઇતી ન હતી.
13 તારે મારા લોકોની આપત્તિને દિવસે એમના શહેરનાં
    દરવાજામાં દાખલ થવું જોઇતું નહોતું.
તેમની મુશ્કેલીના સમયે તારે તેમની વિપત્તિ વિષે ખુશ થવું જોઇતું ન હતું.
    તેમની મુશ્કેલીના સમયે તારે તેમની સંપત્તિ લુંટવી જોઇતી ન હતી.
14 તારે તારા ભાગી જતા ભાઇઓની હત્યા કરવા
    રસ્તાના ફાંટા આગળ ઊભા રહેવું જોઇતું નહોતું.
    મુશ્કેલીનાં સમયમાં તારે બચેલા લોકોને બંદીવાન કરી લેવા જોઇતા ન હતાં.
15 યહોવા ટૂંક સમયમાં જ
    સર્વ રાષ્ટ્રો પર વેર લેશે.
તમે જેવું ઇસ્રાએલ સાથે કર્યું તેવું જ તમારી સાથે થશે.
    તમારા કૃત્યો તમારા જ માથાં પર પાછા અફળાશે.
16 જેમ તેઁ મારા પવિત્ર પર્વત પર પીધું,
    તેથી બધાં રાષ્ટ્રો પણ સતત પીશે અને ગળશે,
જ્યાં સુધી તેમનું અસ્તિત્વ
    સમાપ્ત થાય ત્યાં સુધી.
17 પરંતુ સિયોનના પર્વત પર જેઓ બચી રહેલા હશે,
    અને તે પવિત્ર થશે,
યાકૂબના વંશજો પોતાનો
    વારસો પાછો મેળવશે.
18 યાકૂબનું કુટુંબ અગ્નિ જેવું
    અને યૂસફનું કુટુંબ જવાળા જેવું બનશે.
તેઓ એસાવના વંશજોને
    સૂકા ખેતરની જેમ સળગાવી અનેનષ્ટ કરશે.
કોઇ પણ અદોમથી પલાયન થશે નહિ.”
    કારણકે યહોવાએ તેમ કહ્યું છે.
19 દક્ષિણ યહૂદાના લોકો એસાવના પર્વતનો કબજો લેશે;
    પશ્ચિમની તળેટીના લોકો પલિસ્તીયોનો કબજો લેશે;
તેઓ એફ્રાઇમના અને સમરૂનના પ્રદેશનો પણ કબજો લેશે.
    બિન્યામીનના લોકો ગિલયાદનો કબજો લેશે.
20 ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે.
    કનાનથી સારફત સુધીના લોકો વચ્ચે,
અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે,
    તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે.
21 ઉધ્ધારકો સિયોન પર્વત પર જશે
    અને એસાવના પર્વતનો ન્યાય કરશે
    અને યહોવા પોતે રાજા બનશે.

પ્રકટીકરણ 9

પાંચમા દૂતે રણશિંગડું વગાડ્યું

તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો. તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી. જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે. પછી તે તારાએ અસીમ ઊંડાઈ તરફ દોરતા ખાડાને ઉઘાડ્યો. તે ખાડામાંથી મોટી ભઠ્ઠીનાના ધૂમાડા જેવો ધુમાડો નીકળ્યો; ખાડામાથી નીકળતા ધુમાડાને કારણે સૂયૅ અને આકાશમાં અંધારાં થયાં.

પછી ધુમાડામાથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં. તેઓને વીંછુઓ જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી હતી. તીડોને પૃથ્વી પરના ઘાસને કે કોઈ છોડને કે વૃક્ષને નુકસાન નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફક્ત જે લોકોની પાસે તેમના કપાળ પર દેવની મુદ્રા ન હોય એ લોકોને જ ઈજા કરવાની હતી. આ તીડોને લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ આપવામા આવી હતી. પરંતુ તીડોને લોકોને મારી નાખવાની શક્તિ આપવામાં આવી નહોતી. અને પીડા જે લોકોએ અનુભવી તે વીંછુ વ્યક્તિને કરડે અને જે પીડા થાય તેવી હતી. તે દિવસો દરમિયાન લોકો મરવાનો રસ્તો શોધશે પણ તેઓને તે જડશે નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.

તે તીડો યુધ્ધ માટે તૈયાર કરેલા ઘોડાઓના જેવા હતા. તેઓના માથાં પર તેઓએ સોનાના મુગટો જેવી વસ્તુઓ પહેરી હતી. તેઓના મુખ માણસોના મુખ જેવા હતાં. તેઓના કેશ સ્ત્રીઓના કેશ જેવા દેખાતા હતા. તેઓના દાંતો સિંહના દાંતો જેવા હતા. તેઓની છાતીઓ લોખડનાં બખતર જેવી દેખાતી. તેઓની પાંખોનો અવાજ લડાઈમાં દોડતા ઘણા ઘોડા અને રથોના ગડગડાટ જેવો હતો. 10 તીડોને વીંછુઓના ડંખ જેવી, ડંખવાળી પૂંછડીઓ હતી, તેઓની પૂંછડીઓમાં પાંચ મહિના સુધી લોકોને પીડા આપવાની શકિત હતી. 11 તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે. હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોન[a] છે, ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે.

12 પ્રથમ મહાન મુસીબત પૂરી થઈ ગઈ છે. હજુ પણ બે મહાન મુસીબતો છે જે આવનાર છે.

છઠ્ઠા દૂતે રણશિંગડું વગાડ્યું

13 તે છઠ્ઠા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી દેવની આગળની સોનાની વેદીનાં રણશિંગડાંમાંથી મેં એક વાણી સાંભળી. 14 તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, “મહાનદી યુફ્રેટિસ પર જે ચાર દૂતોને બાંધેલા છે તેઓને છોડી મૂક.” 15 આ ચાર દૂતોને આ વર્ષના આ મહિનાના આ દિવસના અને આ કલાક માટે તૈયાર રાખેલા હતા. આ દૂતોને પૃથ્વી પરના ત્રીજા ભાગના લોકોને મારી નાખવા મુક્ત કરવામાં આવ્યાં. 16 મેં સાંભળ્યું હતું તેઓના લશ્કરમાં ઘોડેસવારોની કેટલીક ટુકડીઓ હતી. તેઓ 20,00,00,000 (વીસ કરોડ) હતા.

17 મેં મારા દર્શનમાં ધોડાઓને તથા તેઓ પર બેઠેલા સવારોને જોયા. તેઓ આવા દેખાતા હતા: તેઓના બખતર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડા તથા ગંધક જેવા પીળા હતાં. તે ઘોડાઓના માથાં સિહોંના માથાંઓ જેવા દેખાતાં હતાં. તે ઘોડાઓનાં મોંમાથી અગ્નિ, ધુમાડો તથા ગંધક નીકળતા હતા. 18 આ ઘોડાઓના મુખમાથી બહાર નીકળતી ત્રણ ખરાબ વસ્તુઓ અગ્નિ, ધુમાડો તથા ગંધકથી પૃથ્વી પરના બધા લોકોના ત્રીજા ભાગને મારી નાખવામાં આવ્યા હતા. 19 કારણ કે ઘોડાઓનું સાર્મથ્ય તેના મોંઢાંમા અને પૂંછડીઓમાં છે. લોકોને ઇજા કરવા અને કરડવા માટે તેઓને સાપના જેવી પૂંછડીઓ અને પૂંછડીઓને માંથાં હોય છે.

20 પૃથ્વી પરના બીજા લોકોને આ ખરાબ વસ્તુઓથી મારી નાખવામાં આવ્યાં નહિ. છતાં આ લોકોએ હજુ પણ પસ્તાવો કર્યો નથી. અને તેઓ પોતાના હાથની બનાવેલી કૃતિઓ તરફથી પાછા ફર્યા નહિ. તેઓએ ભૂતોની તથા સોનાચાંદી, પિત્તળ, પથ્થરની મૂર્તિઓ અને લાકડાની વસ્તુઓ જે જોવા કે સાંભળવા કે ચાલવા શક્તિમાન નથી, તેઓની પૂજા કરવાનું બંધ કર્યુ નથી. 21 આ લોકોએ પસ્તાવો કર્યો નહિ. તેઓએ બીજા લોકોને મારી નાખવાનું બંધ કર્યુ નથી. તેઓએ તેમની દુષ્ટ જાદુક્રિયા, પોતાના વ્યભિચારનાં પાપો અને પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International