Old/New Testament
મીખાહને મળેલ દેવનો સંદેશ
1 યહૂદિયા રાજાઓ યોથામ, આહાઝ અને હિઝિક્યાના શાસન દરમ્યાન સમરૂન અને યરૂશાલેમને વિષે મોરાશ્તીની મીખાહને યહોવા તરફથી સંદેશો મળ્યો તે,
2 હે વિશ્વની સર્વ પ્રજાઓ,
ધ્યાન આપો અને સાંભળો.
દેવ યહોવા પોતાના પવિત્રમંદિરમાંથી,
તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે.
3 જુઓ, યહોવા આવે છે!
તે પોતાનું સ્વર્ગનું રાજ્યાસન છોડીને પૃથ્વી પર આવે છે
અને પર્વતોના શિખરો ઉપર ચાલે છે.
4 તેમના પગ તળે,
પર્વતો અગ્નિ આગળ મીણની જેમ ઓગળે છે
અને ઢોળાવ વાળી જગ્યા ઉપરથી
વહી જતાં પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે.
5 આ બધાનું કારણ છે કે યાકૂબના અપરાધો
અને ઇસ્રાએલના કુળના અપરાધો
સમરૂન પાપનું કારણ
યાકૂબનો અપરાધ છે સમરૂન!
યહૂદિયાનું ઉચ્ચસ્થાન છે યરૂશાલેમ!
6 તેથી સમરૂન નગર પથ્થરોના ઢગલા જેવું
અને ખેડેલા ખેતર જેવું ખુલ્લું થશે જ્યાં દ્રાક્ષાવેલાની રોપણી થશે.
તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઇશ
અને તેના પાયા ને ઉઘાડા કરી દઇશ.
7 તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઇ જશે,
મૂર્તિપૂજા દ્વારા મેળવેલી તેની બધી કમાણી આગમાં ભસ્મ થઇ જશે.
અને તેના બધાં જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ;
કારણ તેણીએ એ બધું મારા પ્રત્યેની
અવિશ્વાસની કમાણી રૂપે મેળવ્યું છે[a]
અને તે અવિશ્વાસુપણાની કમાણી તરીકે જ પાછું જશે.[b]
મીખાહનું મહાન દુ:ખ
8 એટલે મીખાહ બોલ્યો, એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ.
ઉઘાડા પગે નિર્વસ્ર થઇને ફરીશ,
શિયાળવાની જેમ રડીશ,
અને શાહમૃગની જેમ કળ કળીશ.
9 કારણ કે તેનો પ્રહાર, આ ઘાને રૂઝવી શક્યો નથી જે
હવે યહૂદિયા સુધી આવ્યો છે,
મારા લોકો જેઓ યરૂશાલેમમાં રહે છે,
તેમના દરવાજા સુધી આવી પહોંચ્યો છે.
10 ગાથમાં તે કહેશો નહિ,
વિલાપ કરશો નહિ;
બેથલે-આફ્રાહ,
તું ધૂળમાં આળોટ.
11 હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ર થઇને,
ને નામોશી વહોરીને દેશવટાને રસ્તે પડો.
સાઅનાનના રહેવાસીઓ પોતાના ઘરની
બહાર નીકળવાની હિંમત કરી શકતા નથી.
બેથ-એસેલ વિલાપ કરે છે;
તે તમારી પાસેથી પોતાનો આધાર મેળવશે.
12 મારોથના લોકો કંઇ સારાની રાહ
જોવામાં નબળા બની ગયા, કારણકે,
યહોવા તરફથી આફત યરૂશાલેમના
દરવાજા સુધી આવી પહોંચી છે.
13 હે લાખીશના લોકો,
રથને ઘોડા જોડો;
સિયોનની પુત્રી માટે તે પાપની શરુઆત હતી;
અને તમારામાં ઇસ્રાએલના અપરાધ મળ્યા હતા.
14 અને તેથી મોરેશેથ-ગાથને
વિદાય આપવી પડશે.
આખ્ઝીબનાઁ કુળો, ઇસ્રાએલના
રાજાઓ માટે છેતરામણાં હશે.
15 હે મારેશાહના રહેવાસીઓ,
હું તમારા માટે એક વિજેતા લાવીશ,
ઇસ્રાએલનું ગૌરવ અદુલ્લામની
ગુફામાં આશ્રય લેશે.
16 તારાઁ પ્રિય સંતાનોને લીધે તારા માથાના વાળ કપાવ,
ને તારું પોતાનું માથું મુંડાવ;
અને ગીધના જેવા બોડા થઇ જાઓ, કારણ,
તેઓને તમારાથી દૂર લઇ જવામાં આવનાર છે.
લોકોની દુષ્ટ યોજનાઓ
2 જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ
અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે
તેઓને ધિક્કાર છે!
પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.
2 તેઓ ખેતરો મેળવવાની ઇચ્છા રાખે છે
તેથી તેને ઘેરી વળે છે,
તેઓ ઘર મેળવવાની ઇચ્છા રાખે છે
તેથી તેને પડાવી લે છે.
તેઓ વ્યકિતને તેની સંપતિ માટે છેતરે છે,
તેઓ વારસદારને તેના વારસા માટે ઠગે છે.
લોકોને સજા કરવાની યહોવાની યોજના
3 તેથી યહોવા કહે છે કે,
“જુઓ, હું આ કુળ ઉપર આફત નાખવાનો વિચાર કરું છું,
એમાંથી તમે તમારી જાતને નહિ બચાવી શકો,
ને તમે હવે હોશીયારીથી ચાલી શકશો નહિ,
કારણકે તે ભયાનક સમય હશે.
4 તે દિવસે તેઓ તમને મહેણાં ટોણાં મારશે
અને તમારે માટે દુ:ખના ગીતો ગાઇને કહેશે કે,
‘આપણે તો સંપૂર્ણ રીતે પાયમાલ થઇ ગયા છીએ,
તે અમારી જમીન બદલી નાખે છે અને જે મારી છે
તે લઇ લે છે અને તે અમારા ખેતરો
અમને દગો આપનારા વચ્ચે વહેંચી આપે છે.
5 જ્યારે યહોવા લોકોની જમીનના ભાગ પાડશે,
ત્યારે તમને તે નહિ મળે.’”
મીખાહને ઉપદેશ માટે ના પાડવી
6 લોકો મને કહે છે, “તમારે પ્રબોધ કરવો નહિ,
તમે આવી વસ્તુઓ પ્રબોધવા માટે નથી,
આપણી ઉપર અવકૃપા નહિ આવે.”
7 હે યાકૂબના કૂળસમુહો,
શું આવું કહેવાશે?
કે યહોવાનો આત્મા સંકોચાયો છે?
આ શું તેનાઁ કાર્યો છે?
જેઓ નીતિમત્તાથી ચાલે છે
તેમના માટે મારા શબ્દો સારા નથી?
8 પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ વર્તી રહ્યાં છે.
તમે પસાર થતાં શાંત લોકોના કપડાં ઉતારી નાખો છો,
જેઓ એમ વિચારે છે કે તેઓ યુદ્ધમાંથી
પાછા ફરતાં લોકોની જેમ સુરક્ષિત છે.
9 મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓનાં
આરામદાયક મકાનોમાંથી કાઢી મૂકો છો;
અને તેમનાં બાળકો પાસેથી મારું ગૌરવ
તમે સદાને માટે હળી લો છો.
10 ઊઠો, ચાલ્યા જાઓ,
કારણકે આ તમારું વિશ્રામસ્થાન નથી.
અશુદ્ધિ ભયંકર વિનાશ
સાથે સંહાર કરે છે.
11 જો કોઇ અપ્રામાણિકતા
અને અસત્યની પ્રકૃતિવાળી વ્યકિત એમ કહેતી આવે કે,
“હું તમને પુષ્કળ દ્રાસારસ અને મધ વિષે ઉપદેશ આપીશ,
તો તે આ લોકોનો જ પ્રબોધક હશે.”
યહોવા પોતાના લોકોને ભેગા કરશે
12 હું ચોક્કસપણે તમને બધાને, યાકૂબના લોકોને ભેગાં કરીશ.
હું કાળજીપૂર્વક ઇસ્રાએલના બચેલાઓને ભેગાં કરીશ.
હું તેમને વાડાના ઘેટાંની જેમ
તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ ભેગાં કરીશ.
ચારેબાજુથી બધા લોકોના આવાજથી
ત્યાં ઘોંઘાટ મચી જશે.
13 પછી એક “ઘસી પડનાર” તેમની આગળ આવશે
અને તેઓ દરવાજો તોડીને તેમાંથી પસાર થશે,
રાજા તેમની પહેલાં પસાર થઇ ગયો છે,
યહોવા તેમનો આગેવાન છે!
ઇસ્રાએલના પ્રશાસકો દુષ્ટતાના અપરાધી
3 મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇસ્રાએલ દેશના શાસકો,
હવે આ શું તમારા માટે ન્યાયને જાણવાની જગ્યા નથી?
2 પણ તમે ન્યાયને ધિક્કારો છો, ને અન્યાય પર પ્રેમ રાખો છો!
તમે મારા લોકોના શરીર પરથી ચામડી
અને તેના હાડકાં ઉપરથી માંસ ઊતારી લો છો.
3 તમે મારા લોકોનું માંસ ખાઓ છો,
તેમના શરીર ઉપરથી ચામડી ઉઝરડી નાખો છો,
તેમના હાડકાં ભાંગીને ચૂરાં કરી નાંખો છો અને તેને માંસની જેમ રાંધવા માટે તમે તેને કઢાઇમાં પાથરી દો છો.
4 અને પછી સંકટના સમયે મદદ માટે તમે યહોવાને વિનંતી કરો છો!
પરંતુ તે તમને જવાબ નહિ આપે.
તમે અનિષ્ટ કામો કર્યા છે,
તેથી તે તમારાથી મોઢું ફેરવી લેશે.”
જૂઠા પ્રબોધકો
5 હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માર્ગે લઇ જાઓ છો:
“તમને ખોરાક આપે તેઓને તમે શાંતિ થાઓ એમ કહો છો
અને જેઓ નથી આપતા તેઓને તમે ધમકાવો છો.
તમારા માટે દેવનો આ સંદેશો છે.
6 “તમારા ઉપર રાત્રીના ઓળાં ઊતરશે;
તમને કોઇ સંદર્શન નહિ થાય,
તમારા ઉપર અંધારા ઊતરશે,
તમે કોઇ ભવિષ્ય ભાખી શકશો નહિ,
તમારો સૂર્ય આથમી જશે
અને તમારો દિવસ
અંધારમય થઇ જશે.
7 દ્રષ્ટાઓ લજ્જિત થશે,
અને ભવિષ્યવેત્તાઓ ગૂંચવાઇ જશે,
તેઓ બધા પોતાના હોઠ ઢાંકી દેશે;
કારણકે દેવ તરફથી કઇં પણ ઉત્તર મળતો નથી.”
મીખાહ દેવનો નિખાલસ પ્રબોધક
8 પરંતુ જ્યારે મારા માટે,
યાકૂબને તેના અપરાધ વિષે અને ઇસ્રાએલને
તેના પાપો વિષે જણાવવા માટે યહોવાના આત્માએ મને સાર્મથ્ય,
ન્યાય અને શકિતથી ભરી દીધો છે.
ઇસ્રાએલના આગેવાનો જવાબદાર
9 હે યાકૂબના વંશના નેતાઓ અને ઇસ્રાએલના કૂળના શાસકો,
જેઓ ન્યાયને ધિક્કારો છો,
અને સર્વ નીતિમત્તાને ઉલટાવો છો,
હવે ધ્યાનથી સાંભળો.
10 તમે સિયોનને હિંસાથી
અને યરૂશાલેમને અન્યાય દ્વારા બાંધ્યા છે.
11 તેના આગેવાન નેતાઓ
લાંચ લઇને ન્યાય કરે છે.
ને તેના યાજકો પગાર લઇને બોધ કરે છે
અને તેના પ્રબોધકો
પૈસા લઇને ભવિષ્ય ભાખે છે.
એમ છતાં પણ તેઓ
યહોવા પર આધાર રાખે છે,
અને કહે છે, “શું યહોવા આપણી પાસે નથી?
આપણા પર કોઇ આફત આવશે નહિ.”
12 આથી, તમારે કારણે સિયોનને
ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે,
અને યરૂશાલેમ કાટમાળનો ઢગલો થઇ જશે;
અને ટેકરી ઉપરનું મંદિર ઝાડી ઝાંખરાથી ઢંકાઇ જશે.
બે સાક્ષીઓ
11 પછી મને ચાલવા માટેની લાકડી જેટલો લાબો એક માપદંડ આપવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે, “જા અને દેવના મંદિરનું અને વેદીનું માપ લે, અને ત્યાં ઉપાસના કરનારા લોકોની ગણતરી કર. 2 પણ મંદિરની બહારના આંગણાનું માપ લઈશ નહિ. તે એકલું છોડી દે. તે જે લોકો યહૂદી નથી તેઓને આપવામાં આવેલ છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદી વળશે. 3 અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”
4 આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે. 5 જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે. 6 તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે. આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે. તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે.
7 જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે. 8 તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો. 9 દરેક જાતિઓ, કુળો, ભાષાઓ અને દેશોમાથી આવેલા લોકો બે સાક્ષીઓના મૃતદેહોને સાડા ત્રણ દિવસો સુધી જોશે. લોકો તેઓને દફનાવવાની ના પાડશે. 10 જે લોકો પૃથ્વી પર રહે છે, તેઓ ખુશ થશે. કારણકે આ બે મૃત્યુ પામેલ છે. તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે. તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુ:ખ દીધું છે.
11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો. તેઓ પોતાના પગો પર ઊભા થયા. જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા. 12 પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.
13 તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.
14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)
સાતમું રણશિંગડું
15 સાતમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી આકાશમાં મોટે સાદે વાણીઓ થઈ. વાણીઓએ કહ્યું કે:
“આ જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ, અને તેના ખ્રિસ્તનું છે;
તે સદાસર્વકાળ રાજ કરશે.”
16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે. 17 તે વડીલોએ કહ્યું કે:
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ.
તું તે એક છે, જે છે અને જે હતો.
હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે.
હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!
18 જગતના લોકો ગુસ્સે થયા હતા;
પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે.
હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે.
તારા સેવકોને, તે પ્રબોધકોને
તારા સંતો તથા નાના મોટા લોકોને
જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે,
જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”
19 ત્યાર પછી આકાશમાં દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોશ જોવામા આવ્યો, પછી ત્યાં વીજળીઓના ચમકારા, વાણીઓ, ગજૅનાઓ તથા ધરતીકંપ થયો, તથા પુષ્કળ કરા પડ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International