Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
મિખાહ 4-5

શાંતિના શાસનનું આગમન

હવે પાછલા દિવસોમાં યહોવાના મંદિરનો પર્વત બીજા
    બધા પર્વતો કરતાં ઊંચો કરવામાં આવશે,
જે બીજાં બધાં શિખરો પર થશે,
    તે બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે.
ઘણાં જુદા જુદા દેશના લોકો ત્યાં ચાલ્યાં આવશે અને કહેશે કે,
    “ચાલો આપણે યહોવાના પર્વત ઉપર,
    યાકૂબના વંશના દેવનામંદિરે જઇએ;
જે આપણને તેના પોતાના જીવનમાર્ગ વિષે શીખવશે
    અને પછી આપણે તેના માર્ગે ચાલીશું.”

કારણકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી બહાર પડશે
    અને યહોવાનાં વચન યરૂશાલેમ તરફથી પ્રગટ થનાર છે.
તે ઘણા લોકોને ન્યાય કરશે,
    દૂરના બળવાન લોકો માટે નિર્ણયો કરશે;
ત્યારે લોકો પોતાની તરવારો
    ટીપીને હળની કોશો બનાવશે;
    અને ભાલાઓનાં દાંતરડા બનાવશે.
પ્રજાઓ એકબીજા સામે તરવાર ઉગામશે નહિ કે
    ફરીથી કદી યુદ્ધનું પ્રશિક્ષણ લેશે નહિ.
પણ પ્રત્યેક મનુષ્ય પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે
    તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે;
અને તેમને કોઇનો ભય રહેશે નહિ,
    કારણ કે આ સૈન્યોનો દેવ યહોવાના મુખના વચન છે.

પ્રત્યેક પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે,
    અને અમે પણ સર્વકાળ હંમેશા, અમારા સૈન્યોનો દેવ યહોવા દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.

આ રાજ્યને પાછું લાવવું છે

યહોવા કહે છે કે,
“તે દિવસે જેમને મેં હાંકી
    કાઢીને દુ:ખી કર્યા છે,
જેઓ અપંગ થઇ ગયા છે
    તે મારા લોકોને હું એકત્ર કરીશ.

“હું અપંગોને અતિજીવી બનાવીશ
    અને દૂર હાંકી કઢાયેલાઓમાંથી
એક શકિતશાળી રાષ્ટ બનાવીશ
    અને યહોવા સદાકાળને માટે
સિયોનના પર્વત ઉપરથી
    તેમના ઉપર સર્વકાળ સુધી રાજ્ય કરશે.
અને તમે, ટોળાંના બૂરજો,
    સિયોનની પુત્રીના શિખર,
તમે તમારી શકિત પાછી મેળવશો
    અને અગાઉનું રાજ્ય
    યરૂશાલેમની પુત્રી પાસે પાછું ફરશે.”

ઇસ્રાએલીઓને ખરેખર શા માટે બાબિલ પાસે જવું જોઇએ?

હવે તું શા માટે મોટેથી બૂમો પાડે છે?
    તારે ત્યાં રાજા નથી?
તારા સલાહકારો નાશ પામ્યા છે કે,
    તું આમ પ્રસુતાની જેમ પીડાય છે, હે યરૂશાલેમ?
10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ
    તું તરફડજે અને ચીસો પાડજે;
કારણકે હવે તું યરૂશાલેમમાંથી દૂર થઇ જશે,
    ને સીમમાં રહેશે,
ને બાબિલમાં પણ જશે;
    ત્યાં તને છોડાવવામાં આવશે;
ત્યાં યહોવા તને તારા શત્રુઓના
    હાથમાંથી છોડાવશે.

યહોવા બીજી પ્રજાને સમાપ્ત કરશે

11 હવે ઘણી પ્રજાઓ તારી સામે ભેગી થઇ છે
    અને કહે છે કે, “ભલે તેણી ષ્ટ થાય જેથી આપણી
    આંખો સિયોનને જોઇ શકે.”

12 પરંતુ તેઓ યહોવાના વિચારોને જાણતા નથી.
    તેઓ યહોવાની યોજના સમજતા નથી,
તેણે તેમને અનાજની જેમ ભેગા કર્યા છે
    અને તેમને ઝૂડવા માટેની જમીન પર લાવીને મૂક્યા છે.

ઇસ્રાએલ શત્રુઓને હરાવી જીત મેળવશે

13 “હે સિયોનની પુત્રી, ઊઠ, અને ખૂંદવા માંડ!
    હું તારા શિંગડાં લોખંડના અને ખરીઓ કાંસાની બનાવીશ;
અને તું તેના વડે ઘણી પ્રજાઓને
    કચડી નાખીને ચૂરેચૂરા કરી નાખીશ;
અને તેમની પાસેથી લૂંટમાં મળેલી
    સંપત્તિ સમગ્ર પૃથ્વીના યહોવાને સમર્પણ કરીશ.”

હે યરૂશાલેમ, તારી સૈના ભેગી કર,
    દુશ્મનોએ આપણને ઘેરો ઘાલ્યો છે;
તેઓ ઇસ્રાએલના ન્યાયાધીશને
    ગાલ પર સોટી વડે મારશે.

બેથલેહેમનું ગૌરવ

હે બેથલેહેમ એફ્રાથાહ,
    તું યહૂદિયાનું સૌથી
નાનકડું ગામડું છે,
    પણ મને લાગે છે કે,
“ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે,
    જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”
તેથી યહોવા પોતાના લોકોનો ત્યાગ કરશે,
    પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી જ.
ત્યારબાદ તો એ પુત્રના જાતભાઇઓમાંથી બચવા પામેલાઓ
    દેશવટેથી પાછા આવી બીજા ઇસ્રાએલીઓની સાથે ભેગા થશે.
તે યહોવાના સાર્મથ્યસહિત તથા પોતાના દેવ યહોવાના નામના પ્રતાપસહિત ઊભો
    રહીને પોતાના લોકોનું પાલન કરશે. અને તેઓ સુરક્ષામાં રહેશે.
અને તે વખતે તો આખી દુનિયામાં તેમનો પ્રભાવ પડતો હશે,
    અને તે જ શાંતિ ફેલાવશે.
    હવે ત્યાં શાંતિ હશે.

આશ્શૂરી સૈન્ય આપણા વતન વિરુદ્ધ ચઢી આવશે
    અને તે આપણી જમીન ઉપર કૂચ કરશે,
ત્યારે આપણી કાળજી લેવા માટે તે સાત પાળકોની
    અને આપણને દોરવણી આપવા માટે આઠ સરદારોની નિમણૂંક કરશે.
તેઓ આશ્શૂરની ભૂમિ પર તરવારથી
    અને નિમ્રોદની ભૂમિ ઉપર ઉઘાડી તરવારોથી શાસન કરશે,
અને તે આપણને આશ્શૂરથી બચાવશે જે આપણી ભૂમિ પર પ્રવેશ્યા છે
અને જેણે આપણી સરહદોને કચડી નાખી છે.
ઘણી પ્રજાઓમાંથી યાકૂબના બચવા પામેલા
    વંશજો ઘાસ ઉપર વરસતાં ઝાપટાં જેવા બની જશે,
જે માણસ ઉપર આધાર રાખતા નથી, કે
    તેના માટે રોકાતા નથી.
યાકૂબના બચી ગયેલાઓ
    ઘણી પ્રજાઓમાં વનનાં
પશુઓમાં સિંહના જેવા,
    તથા ઘેટાંનાઁ ટોળામાં
સિંહના બચ્ચા જેવા થશે;
    કે જે તેઓમાં થઇને જાય તો
તેમને કચરી નાખે છે,
    ને તેમને ફાડીને ટુકડા કરે છે,
    ને છોડાવનાર કોઇ હોતું નથી.
તારા શત્રુઓ પર તારો હાથ ઉગામાશે
    અને તારા બધા હરીફો નાશ પામશે.

લોકો દેવના વિશ્વાસે રહેશે

10 વળી યહોવા કહે છે કે,
“તે દિવસે હું તમારી વચ્ચેથી તમારા ઘોડાઓનો વધ કરી નાખીશ
    અને તમારા રથોનો નાશ કરીશ.
11 હું તમારા દેશનાઁ નગરોનો નાશ કરીશ,
    ને તમારા સર્વ કિલ્લાઓ તોડી પાડીશ;
12 વળી હું બધા જાદુગરોનો નાશ કરીશ
    અને બધા ભવિષ્યવેત્તાઓને હાંકી કાઢીશ.
13 હું તમારી સર્વ મૂર્તિઓ અને સ્તુતિસ્તંભો જેની
    તમે ઉપાસના કરો છો તેનો નાશ કરીશ.
    તમારા હાથોએ જે બનાવ્યું છે તેની તમે ફરીથી ભકિત કરશો નહિ,
14 તમારા દેશમાંથી હું અશેરાદેવીની પ્રતિમાઓને ઉખેડી નાખીશ;
    અને તમારી મૂર્તિઓનો નાશ કરીશ.
15 અને મારી આજ્ઞાઓનું પાલન ન કરનાર પ્રજાઓ ઉપર હું
    રોષે ભરાઇને વૈર વાળીશ.”

પ્રકટીકરણ 12

સ્ત્રી અને અજગર

12 અને પછી આકાશમાં એક મોટું આશ્ચર્ય દેખાયું ત્યાં એક સ્ત્રી હતી, જે સૂર્યથી વેષ્ટિત હતી. ચંદ્ર તેના પગ નીચે હતો. તેના માથા પર બાર તારાવાળો મુગટ હતો. તે સ્ત્રી ગર્ભવતી હતી. તેણે પીડા સાથે બૂમ પાડી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

પછી આકાશમાં બીજુ એક ચિન્હ દેખાયું: ત્યા એક મોટો લાલ અજગર હતો. તે અજગરને સાત માથાં પર સાત મુગટ, દરેક માથાં પર એક મુગટ હતો. તે અજગરને દસ શિંગડા પણ હતાં. તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.

તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો. તે સ્ત્રી અરણ્યમાં એક જગ્યા જે દેવે તેના માટે તૈયાર કરી હતી, ત્યાં નાસી ગઈ. ત્યાં અરણ્ય માં 1,260 દિવસો સુધી તેની સંભાળ રાખવામાં આવશે.

પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા. પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું. તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.

10 પછી મેં આકાશમાં મોટા સાદે વાણીને કહેતા સાંભળી કે, “હવે તારણ અને પરાક્રમ અને અમારા દેવનું રાજ્ય અને તેના ખ્રિસ્તની સત્તા આવ્યાં છે; આ વસ્તુઓ આવી છે કારણ કે અમારા ભાઇઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકી દેવામાં આવ્યો છે. 11 અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે. તેઓ પોતાના જીવનને વધારે વહાલું ગણતા નહિ. તેઓ મૃત્યુથી ડરતા નહોતા. 12 તેથી તે બધા જે ત્યાં રહે છે તે સુખી થાઓ. પરંતુ પૃથ્વી અને સમુદ્ર માટે તે ખરાબ થશે કારણ કે શેતાન તમારી પાસે નીચે ઉતરી આવ્યો છે. તે શેતાન ક્રોધથી ભરેલો છે. તે જાણે છે તેની પાસે હવે વધારે સમય રહ્યો નથી.”

13 તે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે. તેથી તે, સ્ત્રીની પાછળ ગયો જેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. 14 પરંતુ તે સ્ત્રીને મોટા ગરૂડની બે પાંખો આપવામાં આવી હતી જેથી તે તે સ્થળેથી ઊડીને અરણ્યમાં જઇ શકે જ્યાં તેના માટે જગા તૈયાર કરવામાં આવી હતી. તે સ્થળેથી તેની સંભાળ સાડા ત્રણ વર્ષ સુધી રાખવામાં આવે છે. અજગર તેની પાસે પહોંચી શકે નહિં. 15 પછી તે અજગરે તેના મોંઢામાથી નદીની જેમ પાણી બહાર કાઢ્યું તે અજગરે તે સ્ત્રીના તરફ પાણી કાઢ્યું તેથી પૂર તેને દૂર તાણી જાય. 16 પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી. પૃથ્વીએ તેનું મોં ખોલ્યું અને નદીને ગળી ગઈ જે અજગરના મુખમાંથી નીકળતી હતી. 17 પછી અજગર તે સ્ત્રી પર ઘણો ગુસ્સે થયો હતો. તે અજગર તેનાં બીજા બાળકો સામે યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યો. (જે દેવની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈસુએ જે ઉપદેશ આપ્યો છે તેના સત્યને વળગી રહે છે, તે લોકો તેનાં બાળકો છે.)

18 તે મોટો અજગર સમુદ્રકિનારે ઊભો રહ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International