Old/New Testament
13 તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.
કોઇ પણ જૂઠા પ્રબોધકો નહિ
2 “અને તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામોનિશાન સંપૂર્ણપણે મિટાવી દઇશ. મૂર્તિઓને કોઇ યાદ નહિ કરે. પ્રત્યેક જૂઠા પ્રબોધક અને અશુદ્ધ આત્માને દૂર કરવામાં આવશે. 3 એ પછી જો કોઇ પ્રબોધકની જેમ વર્તશે તો તેને જન્મ આપનારા તેના માબાપ તેને કહેશે કે, તને જીવવાનો અધિકાર નથી, કારણ, ‘તું યહોવાને નામે જૂઠું બોલે છે.’ અને પ્રબોધક તરીકે વર્તવા માટે તેને જન્મ આપનારા તેના માબાપ જ તેને વીંધી નાખશે. 4 તે દિવસે કોઇ પ્રબોધકને સંદર્શન થશે તો તે શરમાશે, અને લોકોને ઠગવા માટે પ્રબોધકનો પોશાક નહિ પહેરે, 5 અને તે કહેશે, ‘ના હું પ્રબોધક નથી, હું ખેડુત છું. મારી જુવાનીના સમયથી જ હું જમીન ઉપર ગુજારો કરતો આવ્યો છું.’ 6 અને તેને જો કોઇ એમ પૂછશે કે, ‘તારી છાતી પર આ ઘા શાના છે?’ તો તે કહેશે કે, ‘એ ઘા તો મને મારા મિત્રોના ઘરમાં પડ્યા હતા.’”
7 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ. 8 અને સમગ્ર ઇસ્રાએલ દેશની વસ્તીના બે તૃતીયાંશ લોકો સંહાર પામીને માર્યા જશે. પરંતુ એક તૃતીયાંશ બચી જશે. 9 અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો,’ અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.’”
નિર્ણયનો દિવસ
14 જુઓ, યહોવાનો એક દિવસ આવશે, જ્યારે યરૂશાલેમમાંથી લીધેલી લૂંટ તમારા દેખતાં વહેંચી લેવાશે. 2 કારણકે યહોવા બધી પ્રજાઓને યરૂશાલેમ સામે યુદ્ધે ચઢવા ભેગી કરશે, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓને ષ્ટ કરવામાં આવશે; અડધું નગર દેશવટે જશે, પરંતુ બાકીના લોકો નગરમાં જ રહેશે. 3 ત્યારબાદ યહોવા પોતે લડાઇને માટે સુસજ્જ થઇને તે દેશોની વિરુદ્ધ લડવા માટે જશે. 4 તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ. 5 તમે પર્વતોની વચ્ચેની ખીણમાં થઇને નાસી જશો. તમારા વડવાઓ યહૂદિયાના રાજા ઉઝિઝયાના અમલ દરમ્યાન ધરતીકંપ વખતે ભાગી ગયેલા જેવા તમે લાગશો.
6 ત્યારબાદ તમારા દેવ યહોવા પોતાની સાથે સર્વ પવિત્ર લોકોને લઇને આવશે. 7 તે દિવસે એ ખૂબ મહત્વનો દિવસ હશે, દિવસ પણ નહિ અને રાત પણ નહિ, ફકત યહોવા જ જાણે છે કે તે કેવી રીતે બનશે, સાંજે પણ અજવાળું હશે. 8 તે દિવસે યરૂશાલેમમાંથી ઝરણું વહેવા માંડશે; અડધું પૂર્વ સમુદ્રમાં જશે અને અડધું પશ્ચિમ સમુદ્રમાં જશે. એ ઉનાળામાં તેમ જ શિયાળામાં પણ સતત વહેતું જ રહેશે. 9 પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે. 10 યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે. 11 લોકો ત્યાં રહેવા માટે જશે. એના ઉપર પછી કદી શાપ ઉતરશે નહિ. યારૂશલેમ સહીસલામત રહેશે.
12 યરૂશાલેમ સામે યુદ્ધે ચઢનાર બધી પ્રજાઓમાં યહોવા આવો એક રોગ ફેલાવશે; તેઓ ઊભા હશે ત્યાં જ તેમનું માંસ સડી જશે, તેમની આંખો તેમના ગોખલામાં સડી જશે, અને તેમની જીભ તેમના મોઢામાં જ સડી જશે. 13 તે વખતે યહોવા તેમને એવા તો ભયભીત તથા બેબાકળા બનાવી દેશે કે દરેક જણ પોતાની પાસેનાનો હાથ પકડી તેને મારવા લાગશે. તેઓ એકબીજા સાથે લડશે.
14 ત્યારે યહૂદિયા યરૂશાલેમની સામે થશે, આમ બનશે, જ્યારે બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને કપડાં એકઠા કરવામાં આવશે. 15 આ મરકીનો રોગ દુશ્મનોની છાવણીના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં અને બીજા બધા જ પ્રાણીઓને લાગુ પડશે. 16 ત્યારબાદ યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી બચવા પામેલા માણસો વર્ષોવર્ષ યહોવાની ઉપાસના કરવા અને માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જશે. 17 અને પૃથ્વી પરની કોઇ પણ પ્રજા સૈન્યોનો દેવ યહોવાની ઉપાસના કરવા ત્યાં જશે, નહિ તો તેના દેશમાં વરસાદ નહી વરસે. 18 પરંતુ જો મિસરના લોકો યરૂશાલેમ જવા અને પ્રાર્થનામાં ભાગ લેવા ના પાડશે તો તેઓને મોત ભોગવવું પડશે. માંડવા પર્વની ઉજવણીમાં ભાગ ન લેવા માટે લોકો દુ:ખી થશે. 19 મિસર અને બીજા સર્વ દેશો જેઓ માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જવા ના પાડે છે, તેઓ સર્વને આ શિક્ષા કરવામાં આવશે.
20 તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ ઉપર લખેલું હશે, યહોવાને સમર્પિત અને યહોવાના મંદિરમાં સામાન્ય વાસણો વેદી આગળનાં વાસણો જેવા પવિત્ર હશે; 21 અને યહૂદિયા અને યરૂશાલેમનું એકેએક વાસણ સૈન્યોનો દેવ યહોવાને માટે પવિત્ર થશે.
ભકિત કરવા આવનાર સૌ કોઇ બલિદાનને બાફવા માટે તેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે; અને તે વખતે સૈન્યોનો દેવ યહોવાના મંદિરમાં કોઇ વેપારી નહિ હોય.
નવું યરૂશાલેમ
21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. 2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. 4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. 7 તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. 8 પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”
9 સાત દૂતોમાંથી એકે આવીને મને કહ્યું, “આ તે દૂતો હતા જેઓની પાસે છેલ્લાં સાત અનર્થોથી ભરેલાં સાત પ્યાલાં હતા.” તે દૂતે કહ્યું કે, “મારી સાથે આવ. હું તને તે કન્યા, હલવાનની વહુ બતાવીશ.” 10 તે દૂતે મને આત્મા દ્ધારા ઘણા મોટા અને ઊંચા પહાડ પાસે લઈ ગયો. તે દૂતે મને પવિત્ર શહેર યરૂશાલેમ બતાવ્યું તે શહેર દેવ પાસેથી આકાશમાંથી બહાર નીચે આવી રહ્યું હતું.
11 તે શહેર દેવના મહિમા સાથે પ્રકાશતું હતું. તે અતિ મૂલ્યવાન કિંમતી પથ્થર યાસપિસ જેવું ચમકતું તેજ હતું. તે સ્ફટિકના જેવું નિર્મળ હતું. 12 તે શહેરને એક મોટી અને ઊંચી બાર દરવાજા વાળી દિવાલ હતી. દરેક દરવાજા પાસે બાર દૂતો હતા. દરેક દરવાજા પર ઈસ્ત્રાએલ પુત્રોના બાર કુળોનાં નામ લખેલા હતા. 13 ત્યાં પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા, અને પશ્વિમમાં ત્રણ દરવાજા હતા. 14 શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.
15 તે દૂતે જેણે મારી સાથે વાત કરી. તેની પાસે માપ લેવા માટે સોનાની છડી હતી. તે દૂત પાસે તે શહેર, તેના દરવાજાઓ એને તેની દિવાલો માપવા આ છડી હતી. 16 તે શહેર ચોરસમાં બાંધવામાં આવ્યું હતું. તે દૂતે માપવાની છડી વડે શહેરને માપ્યું. તેની લંબાઇ તેની પહોળાઇ જેટલી હતી. તે શહેર 12,000 સ્ટેડીયા[a] લાંબુ, 12,000 સ્ટેડીયા પહોળું અને 12,000 સ્ટેડીયા ઊંચું હતું. 17 (તે દૂતે તેની દિવાલ માપી. તે 144 હાથ ઊંચીં લોકોના માપ પ્રમાણે હતી. તે માપનો ઉપયોગ દૂત કરતો હતો.) 18 તે દિવાલ યાસપિસની બનેલી હતી. તે શહેર નિર્મળ કાચના જેવું શુદ્ધ સોનાનું બનેલું હતું.
19 નગરની દિવાલમાં પાયાના પથ્થરોમાં દરેક જાતના કિંમતી પથ્થરો હતા. પ્રથમ પાયાનો પથ્થર યાસપિસ હતો, બીજો નીલમ હતો, ત્રીજો પાનું, ચોથો લીલમ હતો. 20 પાંચમો અકીક હતો, છઠો લાલ હતો. સાતમો પીળો તૃણમણિ હતો આઠમો પિરોજ હતો, નવમો પોખરાજ હતો. દશમો લસણિયો હતો. અગિયારમો શનિ હતો, બારમો યાકૂવ હતો. 21 ત્યાં બાર દરવાજા અને બાર મોતી હતાં, દરેક દરવાજો એક એક મોતીમાંથી બનાવ્યો હતો. તે શહેરની શેરી શુદ્ધ સોનામાંથી બનાવાઈ હતી. સોનું નિર્મળ કાચના જેવું હતું.
22 મેં શહેરમાં મંદિર જોયું નહિ કારણ કે તે પ્રભુ દેવ સર્વશક્તિમાન અને હલવાન (ઈસુ) એ જ મંદિર છે. 23 તે શહેર પર સૂર્યને કે ચંદ્રને પ્રકાશવાની જરૂર નથી. દેવનો મહિમા શહેરને પ્રકાશ આપે છે. તે હલવાન શહેરનો દીવો છે.
24 દુનિયાના લોકો તેના પ્રકાશમાં ચાલશે. પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ શહેરમાં લાવશે. 25 તે શહેરના દરવાજાઓ દિવસ દરમ્યાન કદાપિ બંધ રહેશે નહિ. કારણ કે ત્યાં રાત્રિ નથી. 26 સર્વ પ્રજાઓનું ગૌરવ અને સન્માન શહેરમાં લવાશે. 27 શહેરમાં કદાપિ અશુદ્ધ પ્રવેશ કરશે નહિ. જે વ્યક્તિ શરમજનક કાર્યો કરે છે અથવા જૂઠું બોલે છે તે આ શહેરમાં પ્રવેશ કરશે જ નહિ. ફક્ત તે જ લોકો જેઓનાં નામો હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International