Old/New Testament
સૂકાં હાડકાંઓનું સંદર્શન
37 યહોવાનો હાથ મારા પર આવ્યો અને યહોવાનો આત્મા મને લઇ ગયો અને મને એક મેદાનમાં મૂક્યો, જે મેદાન સૂકાં હાડકાથી ભરેલું હતું, 2 તેમણે મને તે હાડકા વચ્ચે આમતેમ ફેરવ્યો, જોઉં છું તો આખું મેદાન હાડકાંથી છવાયેલું હતું. હાડકાંનો કોઇ પાર નહોતો અને તે બધા તદૃન સુકાઇ ગયેલા હતા.
3 યહોવા મારા માલિકે મને પ્રશ્ર્ન કર્યો; “હે મનુષ્યના પુત્ર, શું આ હાડકાં ફરીથી જીવતા માણસો બની શકે?”
મેં જવાબ આપ્યો, “યહોવા, તમે એકલા જ આ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો.”
4 તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો, 5 યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો. 6 હું તમારા પર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ, અને તમને ચામડીથી આવરી લઇ તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો અને તમને ખાતરી થશે કે હું યહોવા છું.’”
7 તેથી યહોવા મારા માલિકે મને કહ્યું હતું તેમ મેં વચનો ઉચ્ચાર્યાં; હું બોલતો હતો ત્યારે જ ગડગડાટ સંભળાયો અને હાડકાં એકબીજા સાથે જોડાવા લાગ્યાં. 8 હું જોતો હતો તેવામાં હાડકાની આસપાસ સ્નાયુઓ અને માંસ આવી ગયાં. અને તેઓને ચામડી વડે ઢાંકી દેવામાં આવ્યાં. પણ તેઓ હજુ શ્વાસ લેતા નહોતા.
9 પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.’”
10 તેથી તેના કહેવા પ્રમાણે મેં પ્રબોધવાનું શરૂ કર્યું તેમનામાં શ્વાસનો સંચાર થયો અને તેઓ સજીવન થઇને ઉભા થઇ ગયા. જાણે બહુ મોટું સૈન્ય!
11 ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’ 12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ. 13 તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું. 14 પછી હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવશો અને તમે તમારા પોતાના દેશમાં ઘરે પાછા ફરશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ જે તમને વચન આપ્યું હતું તે હું કરી બતાવું છું.’” આ યહોવા મારા માલિકના વચન છે.
યહૂદા અને ઇસ્રાએલ ફરી એક થશે
15 પછી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, 16 “હે મનુષ્યના પુત્ર, એક લાકડી લઇને તેના પર લખ; ‘યહૂદાનું રાજ્ય’. પછી બીજી લાકડી લઇને તેના પર લખ: ‘યૂસફ (એફ્રાઇમ)નું રાજ્ય’. 17 હવે બંનેને જોડીને એક લાકડી બનાવી દે એટલે તારા હાથમાં એક જ લાકડી રહેશે.
18 “તારા દેશબંધુઓ જો તને કહે કે, આથી તમે શું સૂચવવા માંગો છો, 19 ત્યારે તારે તેઓને કહેવું કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે હું યૂસફ (એફ્રાઇમ) લાકડી લઇને હું એને યહૂદાની લાકડી સાથે જોડી દઉં છું. આ રીતે હું બે લાકડીમાંથી એક લાકડી બનાવી દઇશ અને એટલે મારા હાથમાં એક જ લાકડી થઇ જશે.’
20 “બંને લાકડીઓ તારા હાથમાં એવી રીતે પકડી રાખજે કે લોકો તેને જોઇ શકે. અને પછી તું તેમને કહેજે કે આ યહોવા મારા માલિકના વચન છે. 21 ‘ઇસ્રાએલીઓ બીજી પ્રજાઓમાં ચાલ્યા ગયા છે તેમને હું ત્યાંથી લઇ આવીશ, ઠેકઠેકાણેથી એકત્ર કરીને તેમને પોતાની ભૂમિમાં પાછા વસાવીશ. 22 હું મારી પોતાની ભૂમિમાં, ઇસ્રાએલના પર્વત પર તેમને એક જ પ્રજા બનાવીશ અને તે બધાનો એક જ રાજા હશે. તેઓ ફરી કદી બે પ્રજાઓ નહિ રહે કે બે રાજ્યોમાં વહેંચાઇ નહિ જાય. 23 તેઓ મલિન મૂર્તિઓ દ્વારા તથા અપરાધ આચરીને પોતાને અપવિત્ર કરવાનું બંધ કરશે. કારણ કે હું તેઓને સર્વ અશુદ્ધતામાંથી બચાવી લઇશ. ત્યારે તેઓ સાચે જ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ.
24 “‘મારા સેવક દાઉદ જેવો એક રાજા તેમના પર રાજ્ય કરશે. તે જ બધાનો એક માત્ર પાળક હશે. તેઓ મારા નિયમો અનુસાર ચાલશે અને મારી આજ્ઞાઓને માથે ચઢાવી તેનું પાલન કરશે. 25 વળી મારા સેવક યાકૂબને મેં જે ભૂમિ આપી હતી અને જેમાં તમારા પિતૃઓ રહેતા હતા તેમાં જ તેઓ રહેશે, તેઓ અને તેમના બાળકો અને તેમના પણ બાળકો ત્યા કાયમ માટે રહેશે. અને મારા સેવક દાઉદ જેવો રાજા કાયમ તેમના પર શાસન ચલાવશે. 26 હું તેઓની સાથે શાંતિનો કરાર અનંતકાળને માટે કરીશ, હું તેઓને આશીર્વાદ આપીશ. હું તેમને ફરી સ્થાપીશ અને તેમની વંશવૃદ્ધિ કરીશ. અને તેમની વચ્ચે મારા મંદિરની કાયમ માટે સ્થાપના કરીશ. 27 હું મારું નિવાસસ્થાન તેઓની વચ્ચે રાખીશ. અને તેઓનો હું દેવ થઇશ અને તેઓ મારી પ્રજા થશે. 28 જ્યારે મારું મંદિર તેઓ મધ્યે સદાને માટે રહેશે ત્યારે બીજી પ્રજાઓ સમજી જશે કે હું, યહોવા, ઇસ્રાએલને મારી પોતાની પ્રજા ગણું છું.’”
ગોગની વિરુદ્ધ દેવવાણી
38 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, માગોગ દેશમાંના જરોશ, મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ તરફ તારું મુખ રાખ્ અને તેની વિરુદ્ધ પ્રબોધ કર. 3 તેને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ, હું તારી સામે પડ્યો છું. 4 હું તારા જડબામાં આંકડી નાખીને તને પાછો ફેરવીશ; તારા, ભભકાદાર વસ્ત્રો સજેલા ઘોડાને, શસ્ત્રસજ્જ ઘોડેસવારોને અને નાનીમોટી ઢાલોથી સજ્જ અને તરવાર ચલાવતી તારી સમગ્ર સેનાને ઘસડી જઇશ. 5 એ સેનામાં ઇરાનના, કૂશના અને પૂટના માણસો છે અને તે બધા ઢાલ અને ટોપથી સજ્જ છે. 6 તારી સાથે ગોમેર દેશની આખી સેના છે, છેક ઉત્તરના બેથ-તોગાર્માહની સમગ્ર સેના છે અને બીજી અનેક પ્રજાઓના માણસો પણ છે.
7 “‘હે ગોગ, તું તૈયાર રહેજે, તું તેઓનો સરદાર છે, સમગ્ર સેનાને તૈયાર રાખજે. 8 લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે. 9 તું, તારી વિશાળ સેના તથા તારી સાથે લડનારી બીજી પ્રજાઓના લોકો વાવાઝોડાની જેમ આવી પહોંચી દેશમાં વાદળની જેમ છવાઇ જશો.’”
10 યહોવા મારા માલિક ગોગને કહે છે; “એ સમયે તારા મનમાં ભૂંડા વિચારો આવશે અને તું દુષ્ટ યોજના વિચારી કાઢશે. 11 તને થશે, ‘હું આ અરક્ષિત દેશ પર ચઢાઇ કરું અને એના દિવાલો કે દરવાજા કે લોખંડના સળીયા વગરના નગરોમાં અને ગામોમાં શાંતિ અને સલામતીમાં વસતા લોકો પર હુમલો કરું. 12 એકવાર ખંડિયેર થઇ ગયેલા એ નગરોમાં ઘણાં દેશોમાંથી પાછા ફરેલા બધાં ઇસ્રાએલી લોકો વસે છે. હવે તેઓ પાસે પુષ્કળ ઢોરઢાંખર અને વિપુલ સંપત્તિ છે. હવે તેઓ બીજી બધી જાતિઓના કેન્દ્ર સ્થાને છે. હું તેઓ પર હુમલો કરીશ અને ઢોરઢાંખર તથા મિલકત લૂંટી લઇશ અને ખૂબ લૂંટ ભેગી કરીને લઇ જઇશ.’
13 “શેબા અને દેદાનના લોકો તથા તાશીર્શના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી ઉપાડી જવા માટે અને ઢોરઢાંખર અને માલસામાન ઉઠાવી જવા અને ભારે સંપત્તિ લૂંટી જવા માટે સેના ભેગી કરી છે?’”
14 તેથી દેવ કહે છે, “હે મનુષ્યના પુત્ર, તું ગોગને મારી વાણી સંભળાવ, અને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘જે વખતે મારા લોકો ઇસ્રાએલીઓ શાંતિ અને સુરક્ષિત રીતે રહેતા હશે. 15 તું ઉત્તરના છેડામાં આવેલા તારા સ્થાનેથી અનેક પ્રજાઓમાંથી એકઠા કરેલા વિશાળ અને પરાક્રમી ઘોડેસવાર સૈન્યને લઇને આક્રમણ કરવા આવશે. 16 તું મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર ચઢી આવશે અને આખા દેશ ઉપર વાદળની જેમ છવાઇ જશે. હવે પછી હું તને મારા દેશ ઉપર ચઢાઇ કરવા માટે મોકલીશ, જેથી હે ગોગ, તારી મારફતે મેં બતાવેલો મારી પવિત્રતાનો પરચો જોઇને બધી પ્રજાઓ જાણે કે હું કોણ છું.’
17 “ભૂતકાળમાં મારા સેવકો ઇસ્રાએલના પ્રબોધકો મારફતે મેં જ્યારે એવી વાણી ઉચ્ચારાવી હતી કે, હું કોઇ પાસે ઇસ્રાએલ ઉપર હુમલો કરાવીશ, ત્યારે મારા મનમાં તું જ હતો.” આ યહોવા મારા માલિકના વચન છે.
18 યહોવા મારા માલિક કહે છે: “તે દિવસે, જ્યારે ગોગ ઇસ્રાએલ પર ચઢાઇ કરશે, ત્યારે મારો રોષ ભભૂકી ઊઠશે. 19 મારા પુણ્યપ્રકોપમાં અને મારા ક્રોધાજ્ઞિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇસ્રાએલમાં ભયંકર ધરતીકંપ થશે. 20 મને જોઇને દરિયાની માછલીઓ, આકાશના પંખીઓ, જંગલના પ્રાણીઓ અને પેટે ચાલનારા જીવો તેમજ પૃથ્વી પરનાં બધાં માણસો ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે, અને ખડકો ધસી પડશે અને ભીંતો ભોંયભેગી થઇ જશે.”
21 યહોવા મારા માલિક કહે છે, “હું ગોગને બધી જાતની આફતોથી ખડભડાવી મૂકીશ. આ હું યહોવા તમારો માલિક બોલું છું. તેના માણસો અંદરો અંદર તરવાર ચલાવશે. 22 હું તેની સાથે, તેના સૈન્ય સાથે અને તેની સાથેના બધા લોકો ઉપર રોગચાળા અને મૃત્યુથી, મૂશળધાર વરસાદથી, કરાંના તોફાનોથી અને તેમની ઉપર ગંધક બાળીને, ન્યાય કરીશ. 23 આ રીતે હું તમામ પ્રજાઓને બતાવીશ કે હું કેવો મોટો અને પવિત્ર છું અને ત્યારે તેમને જાણ થશે કે હું યહોવા છું.
ગોગ અને તેના સૈન્યનું મૃત્યુ
39 “હે મનુષ્યના પુત્ર, તું ગોગની વિરુદ્ધ પ્રબોધ કર અને કહે: યહોવા મારા માલિક તને આ કહે છે, ‘હેરોશ, મેશેખ તથા તુબાલના રાજકર્તા ગોગ, હું તારી વિરુદ્ધ છું. 2 હું તને ધૂમાવીને આગળ ધકેલી દઇશ. તને ઠેઠ ઉત્તરમાંથી દોરીને ઇસ્રાએલના ડુંગરો પર ચઢાઇ કરવાને લવાશે. 3 હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણાં હાથમાંથી તીર છીનવી લઇશ. 4 તું અને તારી સમગ્ર સેના તથા તારી સાથેની બધી પ્રજાઓ ઇસ્રાએલના ડુંગરો પર મૃત્યુ પામશો અને શિકારી પંખીઓ અને જંગલી પ્રાણીઓ તમને ખાઇ જશે. 5 તમે ખુલ્લી જમીન પર પડ્યાં રહેશો.’” આ યહોવા મારા માલિક બોલે છે.
6 દેવ કહે છે, “હું માગોગ પર અને દરિયાકિનારે સુરક્ષિત વસતા તારા સર્વ મિત્ર રાજ્યોના લોકો પર અગ્નિ વરસાવીશ અને તેઓ જાણશે કે હું યહોવા છું. 7 હું જોઇશ કે મારા ઇસ્રાએલી લોકોમાં મારું નામ પવિત્રને જાણીતું થાય, અને એને હું હવે કદી અપમાનિત થવા દઇશ નહિ; અને ત્યારે તમામ પ્રજાઓને જાણ થશે કે હું યહોવા, ઇસ્રાએલનો પરમપવિત્ર દેવ છું. 8 આ બધું બનવાનું જ છે, જરૂર આ પ્રમાણે થશે જ આ યહોવા મારા માલિક બોલે છે, જે ન્યાયનો દિવસ આવશે એમ મેં કહ્યું હતું તે આવવાનો જ છે.
9 “ઇસ્રાએલના નગરોના વતનીઓ બહાર નીકળશે અને પોતાનાં હથિયારોના નાનીમોટી ઢાલ, ધનુષ્ય, બાણ અને ભાલાં બાળીને સળગાવી દેશે અને તે સાત વરસ સુધી ચાલશે. 10 સાત વર્ષ સુધી તેઓને બળતણ માટે બીજું કશું વાપરવું પડશે નહિ, માણસોને લાકડાં વીણવા વગડામાં જવું પડશે નહિ કે લાકડા કાપવા જંગલમાં નહિ જાય, પણ હથિયારથી જ તાપણાં સળગતા રાખશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂટશે અને તેમનું પડાવી લેનારનું તેઓ પડાવી લેશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
11 દેવ કહે છે, “એ દિવસે હું ગોગ માટે ઇસ્રાએલની ભૂમિમાં મૃતસરોવરની પૂવેર્ આવેલી મુસાફરોની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. તે મુસાફરોનો રસ્તો રોકશે કારણ કે ત્યાં ગોગ અને તેના સમગ્ર સૈન્યને દફનાવાશે અને એ ખીણ ‘ગોગના સૈન્યની’ ખીણ કહેવાશે. 12 એ તમામને દફનાવતા અને દેશને સાફ કરતાં ઇસ્રાએલીઓને સાત મહિના લાગશે. 13 પ્રત્યેક ઇસ્રાએલી તેમાં મદદ કરશે. કારણ કે તે દિવસ ઇસ્રાએલ માટે મહિમાવંત વિજયનો દિવસ હશે જ્યારે હું મારો મહિમા પ્રગટ કરીશ.” એવું યહોવા મારા માલિક કહે છે.
14 દેવ કહે છે, “સાત મહિના પછી દેશમાં ફરતા રહી જમીન પર બાકી રહી ગયેલાં શબો શોધી કાઢી અને તેઓને દફનાવીને દેશને સાફ કરવા માટે માણસો પસંદ કરવામાં આવશે. 15 તે સમયે જો કોઇ વ્યકિત મનુષ્યનું હાડકું જુએ તો તેણે હાડકા પાસે ચિહન મૂકવું. પછી કબર ખોદનારાઓ આવીને તેને ગોગના સૈન્યની ખીણમાં દાટી દે. 16 ત્યાં જે નગર છે તે ‘હામોનાહ’ કહેવાશે અને આમ દેશ પાછો સ્વચ્છ થઇ જશે.”
17 આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ! 18 યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના રાજકર્તાઓનું લોહી પીઓ. એ બધા તમારા ઘેટાંબકરાં છે અને બાશાનના માતેલા બળદો છે. 19 તૃપ્ત થાઓ ત્યાં સુધી તમે ચરબી ખાઓ અને જ્યાં સુધી નશો ના ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ. આ બલિદાનયુકત ઉજાણી મેં તમારા માટે જ તૈયાર કરી છે. 20 મારા ભોજનસમારંભની મેજ પર તમે ઉજાણી માણો, ઘોડાઓ, ઘોડેસવારો અને શૂરવીર યોદ્ધાઓની ઉજાણી માણો.’” એમ યહોવા મારા માલિક કહે છે.
21 દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે. 22 તે દિવસથી ઇસ્રાએલીઓ જાણવા પામશે કે હું તેમનો દેવ યહોવા છું. 23 બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલીઓએ પાપ કર્યા હતા, તેઓ મને વિશ્વાસઘાતી નીવડ્યા હતા. માટે તેમને દેશવટે જવું પડ્યું હતું. એથી મેં તેમનાથી વિમુખ થઇને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા, અને તેઓ બધા જ તરવારનો ભોગ બન્યા હતા. 24 તેમનાં ષ્ટાચાર અને પાપોને ઘટે એ રીતે જ મેં તેમની સાથે વ્યવહાર રાખ્યો અને હું તેમનાથી વિમુખ થઇ ગયો હતો.”
25 “પણ હવે, હું યાકૂબના વંશજો ઇસ્રાએલીઓ પર દયા કરી તેમનો ભાગ્યપલટો કરીશ. બંદીવાસનો અંત લાવીશ, અને તેઓની આબાદી પાછી આપીશ; કારણ કે હું મારા પવિત્ર નામની પ્રતિષ્ઠા વિષે જાગૃત છું. 26 તેઓ પાછા પોતાના વતનમાં શાંતિને સલામતીમાં રહેતા થશે. અને તેઓ કોઇનાથી ડરશે નહિ, ત્યારે મારા પ્રત્યે વિશ્વાસઘાતી થવાની સજા અને શરમ પૂરા થશે. 27 હું તેઓને પોતાના શત્રુઓના દેશમાંથી ઘેર પાછા લાવીશ. હું તેમ કરીશ ત્યારે મારો મહિમા સર્વ પ્રજાઓ સમક્ષ દ્રશ્યમાન બનશે. તેમના મારફતે હું બીજી પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઇશ. 28 અને ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો દેવ યહોવા છું, કારણ, મેં તેમને બીજી પ્રજાઓમાં દેશવટે મોકલ્યા હતા. અને હું જ તેમને પોતાના વતનમાં પાછા ભેગા કરનાર છું. એકને પણ બહાર રહેવા દેનાર નથી. 29 અને ઇસ્ત્રાએલી કુળ પર મારો પ્રાણ રેડ્યા પછી ફરી કદી હું તેમનાથી વિમુખ નહિ થાઉં?” આમ યહોવા મારા માલિક કહે છે.
જૂઠાં ઉપદેશકો
2 ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. 2 ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે. 3 આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.
4 જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.
5 જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.
6 દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. 7 પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. 8 લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.
9 હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે.
આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ. 11 ખોટા ઉપદેશકો કરતા દૂતો ઘણા બળવાન અને શક્તિશાળી છે. છતાં દૂતો પણ ખોટા ઉપદેશકો પ્રતિ આક્ષેપ નથી કરતાં કે તેઓની વિરુંદ્ધ પ્રભુની આગળ ખરાબ નથી બોલતા.
12 પરંતુ આ ખોટા ઉપદેશકો તો જે નથી સમજી શક્યાં તેના માટે પણ નિંદા કરે છે. આ ઉપદેશકો પશુઓ સમાન છે કે જે વિચાર્યા વગર કાર્ય કરે છે. જંગલી પશુઓની જેમ તેઓ તો ઝડપાવા તથા નાશ પામવા જ જન્મેલા છે. અને જંગલી જાનવરોની જેમ, આ ખોટા ઉપદેશકોનો વિનાશ થશે. 13 આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે.
આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે. 14 તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. આ ખોટા ઉપદેશકો હંમેશા આ જ રીતે પાપકર્મો કર્યા કરે છે. તેઓ નિર્બળ માણસોને પાપ કરવા લલચાવે છે. તેઓએ તો તેમના પોતાના હદયને સ્વાર્થી બનવાનું શીખવ્યું છે. તેથી તેઓ શાપિત છે.
15 આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો. 16 પરંતુ મૂંગા ગધેડાએ બલામને કહ્યું કે તે ખોટું કરી રહ્યો હતો. અને ગધેડું એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી. પરંતુ તે ગધેડાએ મનુષ્યની વાણીમાં કહ્યું અને પ્રબોધકની (બલામની) ઘેલછાને અટકાવી.
17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે. 18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.
20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે. 21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત. 22 તે લોકોએ જે કર્યું તે આ સત્ય ઉકિત જેવું જ છે: “જ્યારેં કૂતરું ઓકે છે, ત્યારે તે પોતાની ઓક તરફ પાછો ફરે છે,”(A) અને “જ્યારે ભૂંડ સ્વચ્છ બને છે, ત્યારે તે પાછું કાદવમાં જાય છે, અને આળોટે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International