Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 43-45

43 અને પછી જેવો યર્મિયાએ યહોવા તેમના દેવ તરફથી આવેલો સંદેશો લોકોને કહેવાનું પુરું કર્યુ.

હોશાયાના પુત્ર અઝાર્યાએ અને કારેઆહના પુત્ર યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “‘તું જૂઠું બોલે છે! અમે મિસરમાં જઇએ તેવું અમારા દેવ યહોવાએ તને કહ્યું નથી!’ નેરિયાના પુત્ર બારૂખે અમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે અને આ પ્રમાણે અમને કહેવા તને જણાવ્યું છે, જેથી અમે અહીં વસવાટ કરીએ અને બાબિલનું સૈન્ય આવે ત્યારે તે અમને મારી નાખે અથવા ગુલામો તરીકે અમને બાબિલ લઇ જાય.”

તેથી યોહાનાને, સૈનાનાયકોએ અને સર્વ લોકોએ યહોવાનું કહ્યું કરવાની અને યહૂદિયામાં રહેવાની ના પાડી. આથી યોહાનાન અને સૈનાનાયકોએ યહૂદિયાના બાકી રહેલા લોકોને, એ બધી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અને રાજકુમારીઓ જેને રક્ષકોના નાયક નબૂઝારઅદાને ગદાલ્યાને સોંપ્યાં હતાં, અને પ્રબોધક યર્મિયા, નેરિયાના પુત્ર બારૂખને પણ. તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા.

તાહપાન્હેસમાં યહોવાએ ફરીથી યર્મિયા સાથે વાત કરી, અને કહ્યું: “તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે. 10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ‘સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હું ચોક્કસ અહીં મિસરમાં લાવીશ. કારણ કે તે મારો સેવક છે. આ જે પથ્થરો મેં જડેલાં છે તેના પર હું તેનું સિંહાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો રાજવી મંડપ ઊભો કરશે. 11 તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે. 12 તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે. 13 તે મિસરમાંના બેથ-શેમેશના પૂજાસ્તંભો તોડી પાડશે; અને મિસરના દેવોના મંદિરો બાળી મૂકશે.’”

યહૂદા અને મિસરના લોકોને યહોવાનો સંદેશ

44 મિસરના ઉત્તર ભાગમાં મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથોસના પ્રદેશમાં વસતા યહૂદિયાવાસીઓ વિષે યહોવાનો સંદેશો યર્મિયા પાસે આવ્યો. “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: યરૂશાલેમ અને યહૂદિયાના બધા નગરો પર મેં જે આફત ઉતારી છે તે તમે જોઇ છે. આજે પણ એ નગરો ખંડેર હાલતમાં અને વસ્તી વગરના છે. જે ‘દેવો’ ને તેઓએ કે તમે તમારા પિતૃઓમાંથી પણ કોઇએ જાણ્યા નથી, તે દેવોની તેઓએ પૂજા કરી; તેથી હું તેઓ પર અતિ કોપાયમાન થયો. મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’ પરંતુ તમારા વડવાઓએ સાંભળ્યું નહિ, અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફર્યા નહિ; તેઓએ તો આ ‘દેવો’ આગળ પોતાના બલિદાનો ચઢાવવાનું ચાલું જ રાખ્યું. આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો અને તે શહેરો ખંડેર અને વેરાન થઇ ગયાં, આજે પણ તેમની એ જ દશા છે, ઉજ્જડ પડેલાં છે.”

અને હવે હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું: “આવી સમસ્યાઓ તમે તમારે માથે શા માટે નોતરો છો? તમે શા માટે યહૂદિયાના સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને ધાવણાં બાળકોનો વિનાશ થવા દો છો? તમે શા માટે તમારીં પાછળ કોઇને બાકી રહેવા દેતા નથી? તમે મૂર્તિઓ બનાવી છે અને અહીં મિસરમાં તેઓની પૂજા કરીને તેઓની આગળ બલિ ચઢાવી ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને વધુ કોપાયમાન કર્યો છે અને તમારો સંપૂર્ણ વિનાશ કરવા તથા તમને પૃથ્વીના સર્વ દેશોમાં શાપરૂપ તથા નિંદારૂપ કરવા તમે મને ફરજ પાડી છે. તમારા પિતૃઓના પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ, અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરૂશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલા પાપ શું તમે ભૂલી ગયા? 10 આજપર્યંત તમે તે માટે પશ્ચાતાપ કર્યો નથી, કે મેં તમારી અને તમારા પિતૃઓની આગળ રજૂ કરેલા નિયમો અને કાયદાઓનું પાલન કર્યું નથી.”

11 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે: “જુઓ, હું તમારી પર ભયાનક મુસીબતો મોકલવા માટે અને યહૂદિયાના લોકોનો જડમૂળથી નાશ કરવા માટે કૃત નિશ્ચયી છું. 12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 13 યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ. 14 તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઇને વસવાની આશાએ મિસરમાં જઇને વસ્યા છે તેમાંથી કોઇ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી, કારણ, થોડા ભાગી છૂટેલા સિવાય કોઇ મારા કોપમાંથી બચી શકવાના નથી.”

15 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલી ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેમને તેમ જ મિસરમાં પાથોસમાં વસતાં બધા માણસોને યર્મિયાએ કહ્યું, 16 “તું અમારા માટે દેવનો સંદેશ લાવે છે, પણ અમે એ સાંભળવાનાં નથી. 17 અમે જે જે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે જ અમે ચોક્કસ કરીશું. અમે અને અમારા વડીલો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો જેમ યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમમાં થાય છે, તેમ આકાશની સમ્રાજ્ઞીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવતા રહીશું. તે વખતે અમને જોઇએ તેટલું ખાવા મળતું હતું, અમે ઘણા સુખી અને સમૃદ્ધ હતા. 18 પરંતુ જ્યારથી અમે આકાશની સામ્રાજ્ઞીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, યુદ્ધનો કે દુકાળનો અમે ભોગ થઇ પડ્યા છીએ.”

19 સ્ત્રીઓ બોલી ઊઠી, “શું તું એવું ધારે છે કે અમારા પતિઓની સંમતિ વગર, તેઓની મદદ વિના ‘આકાશની સામ્રાજ્ઞી’ ની પૂજા કરતા હતાં અને તેને પેયાર્પણ ચઢાવતા હતાં તેમ જ તેની મુદ્રાવાળી રોટલીઓ તૈયાર કરી તેને અર્પણ કરતા હતાં? ના, એવું નથી.”

20 પછી યર્મિયાએ એવો ઉત્તર આપનારા સૌ કોઇને, સ્ત્રીઓને અને પુરુષોને કહ્યું, 21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમજ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતાં, તને લાગે છે કે તેને તે યાદ નથી? ચોક્કસ, તે આ બધું તેના મનમાં રાખે છે. 22 તમે જે દુષ્કર્મો કરતા હતા તે યહોવા વધુ વખત સહન કરી શક્યા નહિ; તેથી તેમણે તમારો દેશ જેમ આજે છે તેમ ઉજ્જડ, વેરાન, શ્રાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. 23 તમારા પર આ આફત આવી છે અને આજે પણ કાયમ છે તેનું કારણ, તમે એ અપીર્ને યહોવાનો અપરાધ કર્યો, તેનું કહ્યું કર્યુ નહિ કે તેના નિયમો, કાયદાઓ અને આજ્ઞાઓનું પાલન પણ ન કર્યું.”

24 પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, “મિસરમાં વસતા યહૂદિયાના નાગરિકો તમે સર્વ યહોવાનું વચન ધ્યાનથી સાંભળો! 25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, ‘જ્યા સુધી આ બાબત તને અને તારી પત્નીને લાગુ પડે છે, તેં એ જ કર્યુ છે જે તે કહ્યું હતું, “તે કહ્યું હતું, અમે સ્વર્ગની રાણીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવીને અમારી પ્રતિજ્ઞા ચોક્કસ પાળીશું તેથી કોઇ પણ ભોગે તમે તમારી પ્રતિજ્ઞાઓ પૂરી કરો.”’ 26 પણ મિસરમાં વસતા બધાં યહૂદીઓ, તમે મારા વચન ધ્યાનથી સાંભળો; હું મારા મોટા નામનાં સમ ખાઇને કહું છું. ‘આ હું યહોવા બોલું છું, કે આખા મિસરમાં હવે કોઇ પણ યહૂદી મારું નામ લઇ શકશે નહિ. કોઇ પણ યહૂદી “યહોવાના સમ કહીને સમ લઇ શકશે નહિ.” 27 સાવધાન, હું તમારા પર મારી નજર રાખીશ પણ તમારા ભલા માટે નહિ! તમારા પર આફત આવે તેવું હું કરીશ, અને તમે બધાં યુદ્ધ અને દુકાળથી સમાપ્ત થઇ જશો. કોઇ પણ બચવા નહિ પામે. 28 તેમ છતાં મિસરમાં વસતાં થોડા યહૂદીઓ મોતમાંથી ઊગરી જશે અને તેઓ યહૂદિયા પાછાં જશે. ત્યારે બચવા પામેલા લોકોને ખબર પડશે કે કોના વચન સાચાં છે, મારાં કે તેમના. 29 હું તને આ પ્રમાણે નિશાની આપીશ કે, તેથી હું તને મિસરમાં શિક્ષા કરીશ, કે જેથી તને ખબર પડે કે હું તારી પર ખરેખર ભયાનક વિપત્તિ લાવીશ.’ 30 યહોવા કહે છે: ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના દુશ્મનના હાથમાં, તેનો જીવ લેવાની શકિત લોકોના હાથમાં સોંપીશ.’”

બારૂખને યહોવાનો સંદેશ

45 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યર્મિયાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા. ત્યારબાદ યર્મિયાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.’” યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ. તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.’”

હિબ્રૂઓ 5

પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.

કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું,

“તું મારો પુત્ર છે;
    આજે હું તારો પિતા બન્યો છું.” (A)

અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે,

“તું મલ્ખીસદેક[a] ની માફક
    સનાતન યાજક રહીશ.” (B)

ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી. ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. 10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું.

પતનની વિરુંદ્ધ ચેતવણી

11 આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી. 12 જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો. 13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. 14 પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International