Old/New Testament
હઝકિયેલે કરાવેલું મુંડન ‘જાહેર નમૂના’
5 “હે મનુષ્યના પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર લઇ તારુ માથું અને દાઢી મૂંડી નાખ. પછી ત્રાજવા લઇને તેં ઉતારેલા વાળના ત્રણ સરખા ભાગ કર. 2 તેં દોરેલા યરૂશાલેમના નકશાના મધ્યભાગમાં ત્રીજા ભાગના વાળ મૂક, ઘેરો પૂરો થયા પછી તેને ત્યાં બાળી નાખ. બીજા એક તૃતીયાંશ ભાગને તારા નકશા પરના યરૂશાલેમ નગરની આસપાસ તરવારથી કાપી નાખ, વાળના છેલ્લા ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દે. કારણ કે હું મારા લોકોનો તરવારથી પીછો પકડીશ. 3 એ વાળમાંથી થોડા લઇને તારા ઝભ્ભાની ચાળમાં વીંટી દેજે. 4 તેમાંથી થોડા વાળ લઇને દેવતામાં નાખી બાળી મૂકજે. એમાંથી અગ્નિ પ્રગટી સમગ્ર ઇસ્રાએલી પ્રજામાં વ્યાપી જશે.”
5 યહોવા મારા માલિક કહે છે: “યરૂશાલેમને જુઓ, તેને મેં પૃથ્વીની મધ્યમાં ગોઠવી છે અને બીજા દેશો એની આજુબાજુ આવેલા છે. 6 પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”
7 આથી યહોવા મારા માલિક કહે છે, “તમારી બાજુના પડોશીઓ કરતાં તમે વધારે દુષ્ટ છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી; મારા નિયમોનું પાલન કર્યું નથી; તમે તમારી આજુબાજુની બીજી પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું.” 8 તેથી, યહોવા મારા માલિક, કહે છે કે, “હું પોતે તમારી વિરુદ્ધ છું: હું બધાની હાજરીમાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ. 9 તમારા બધા ધૃણાજનક આચારોને કારણે હું તમને એવી સજા કરીશ જેવી મેં કદી કરી નથી, ને ભવિષ્યમાં કદી કરવાનો નથી. 10 પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.”
11 યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ. 12 તમારી વસ્તીનો ત્રીજો ભાગ રોગચાળાથી અને ભૂખમરાથી માર્યો જશે અને ત્રીજો ભાગ શહેરની ફરતે યુદ્ધમાં તરવારથી કપાઇ જશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને ઉઘાડી તરવારથી તેમનો પીછો કરીશ. 13 એ રીતે મારો ક્રોધ શમી જશે. હું તેમના પર મારો રોષ વરસાવીશ, ત્યારે જ મને શાંતિ વળશે. મારો ક્રોધ હું તેમના પર પૂરેપૂરો ઉતારીશ ત્યારે એમને ખબર પડશે કે, હું યહોવા પુણ્યપ્રકોપથી આ બોલ્યો હતો.”
14 દેવ કહે છે, “હું તમને ખંડિયેરનો ઢગલો બનાવી દઇશ અને આસપાસની પ્રજાઓ અને જતાઆવતા લોકો તમારી હાંસી ઉડાવશે. 15 હું જ્યારે તને રોષે ભરાઇને સજા કરીશ ત્યારે આજુબાજુની પ્રજાઓ ભયથી થરથર કાંપશે અને તું એમને માટે હાંસીપાત્ર બની જઇશ અને તેમના માટે ચેતવણી રૂપ તથા અચંબારૂપ થઇ જઇશ; હું યહોવા આમ બોલ્યો છું. 16 હું મારા દુકાળરૂપી જીવલેણ બાણો છોડીશ; તે તમારો જીવ લઇ લેશે, હું મારા જીવલેણ બાણો છોડ્યા કરીશ અને તમારા અનાજના ભંડારો ખાલી કરીને તમારી વચ્ચે ભૂખમરો વધારીશ. 17 હું તમારી સામે દુકાળને અને જંગલી પશુઓને મોકલીશ, તેથી તમારા પર મોત અને ખૂનરેજી ફરી વળશે; તમે મારી તરવારનો ભોગ બનશો, આ હું યહોવા બોલ્યો છું.”
મૂર્તિપૂજા વિરુદ્ધ યહોવાનો પ્રબોધ
6 યહોવાની વાણી મને ફરીથી સંભળાઇ: 2 “તેણે કહ્યું હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને તેમને મારા વચનો સંભળાવ: 3 ‘હે ઇસ્રાએલના પર્વતો, યહોવા મારા માલિકનો સંદેશો સાંભળો, યહોવા મારા માલિક પર્વતોને અને ડુંગરોને અને ખીણોને કહે છે; હું યહોવા તમારા પર યુદ્ધ લાવીશ અને તમારા ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ. 4 તમારી વેદીઓ તોડી પાડવામાં આવશે અને તમારી ધૂપવેદીઓ ભાંગી નાખવામાં આવશે. અને હું તમારા મૃતદેહોને તમારી અપવિત્ર મૂર્તિઓ આગળ નીચે પાડી દઇશ. 5 હું ઇસ્રાએલનાં લોકોના મૃતદેહો તેમની અશુદ્ધ મૂર્તિઓ સમક્ષ નાખીશ અને તેમના હાડકાંને તેમની વેદીઓની આસપાસ વિખેરી નાખીશ. 6 ઇસ્રાએલના સર્વ નગરોને ખંડિયેર બનાવી દેવામાં આવશે અને તમારા મૂર્તિપૂજાના થાનકોને ભોંયભેંગા કરવામાં આવશે; તમામ વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે અને ધુપદાનીઓને તોડી નાખવામાં આવશે; તમારી એકેએક વસ્તુનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે. 7 તમારી ચારેબાજુ હત્યા થશે, ત્યારે જેઓ બચી જશે તેઓ જાણશે કે હું યહોવા છું.’”
8 દેવે કહ્યું, “પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઇશ, તેઓ હત્યામાંથી બચી જશે. 9 અને પછી તેઓ વિદેશી પ્રજાઓમાં વેરવિખેર થઇ દેશવટો ભોગવશે. ત્યાં તેઓ મને યાદ કરશે અને તેમને સમજાશે કે તેમના હૃદયો દગાબાજ નીવડી મૂર્તિઓ ઉપર મોહી પડ્યા હતાં તેથી તેમને શરમાવવા માટે મેં તેમને સજા કરી હતી. આમ, પોતે કરેલાં ધૃણાજનક કૃત્યો બદલ તેમને પોતાના પર તિરસ્કાર થશે. 10 અને તે રીતે તેઓને ખાતરી થશે કે હું એકલો જ યહોવા છું; અને હું તેઓને કહેતો હતો કે આ સર્વ વિપત્તિઓ તમારા પર લાવીશ. તે મેં અમસ્તુ કહ્યું ન હતું.”
11 યહોવા મારા માલિકે કહ્યું, “ઇસ્રાએલના લોકોએ તિરસ્કૃત દુષ્કૃત્યો કર્યા છે માટે હાથ અફાળીને, પગ પછાડીને ઘૃણાથી બડબડાટ કરો, એ લોકો યુદ્ધથી, ભૂખમરાથી અને રોગચાળાથી મૃત્યુ પામશે. 12 જેઓ બંદીવાસમાં છે તેઓ માર્યા જશે, જેઓ ઇસ્રાએલ દેશમાં છે તેઓ યુદ્ધમાં માર્યા જશે અને બાકીના જેઓ ઘેરાબંધીની અંદર છે તેઓ દુકાળમાં માર્યા જશે. અને તેથી આમ હું તેમના પર મારો ગુસ્સો ઉતારીશ. 13 મૂર્તિઓની ફરતે વેદીઓની આસપાસ એકેએક પર્વતની ટોચ પર, એકેએક ઘટાદાર ઝાડ નીચે, એકેએક વૃક્ષ નીચે, ટૂંકમાં જ્યાં જ્યાં તેઓ મૂર્તિને બલિ ચઢાવે છે ત્યાં ત્યાં તેમના કપાઇને પડેલા મડદાં રઝળશે. 14 ત્યારે હું તેમને શિક્ષા કરીશ અને તેમના સમગ્ર પ્રદેશને વેરાન વગડો બનાવી દઇશ. રણમાં આવેલા રિબ્બાથી માંડીને દરેક પ્રદેશ જ્યાં તેઓ રહ્યાં હતાં તેનો વિનાશ થશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
ઇસ્રાએલ પર દેવનો રોષ
7 યહોવાએ મને એક વધુ સંદેશો આપ્યો; 2 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે,
“તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ,
ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો
અંત આવ્યો છે.
3 આખો દેશ પુરો થવા બેઠો છે, હવે તારો અંત આવી પહોંચ્યો છે.
મારો રોષ તારા પર ઊતરનાર છે.
હું તારાં દુષ્કર્મોનો હિસાબ માગીશ
અને તારાં ધૃણાજનક કર્મોની ઘટતી સજા કરીશ.
4 હું તારા પર કોઇ દયા બતાવીશ નહિ કે અનુકંપા રાખીશ નહિ.
તારા દુષ્કર્મોની હું તને સજા કરનાર છું.
હું તારા બધાં ધૃણાજનક કૃત્યો માટે હું તારો ન્યાય કરીશ,
જેથી તને ખબર પડે કે હું યહોવા છું.”
5 યહોવા મારા માલિકના આ વચન છે: “એક પછી એક આફત આવી રહી છે. 6 અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે. 7 ઇસ્રાએલના રહેવાસીઓ માટે ભયસૂચક ધ્વની કરવામાં આવી છે, તમારો સજા માટેનો સમય આવી પહોંચ્યો છે. વિપત્તિનો દિવસ નજીક આવી રહ્યો છે. આ દિવસ આનંદના ઉત્સવોનો નહિ પણ ખેદ કરવાનો દિવસ હશે! 8 હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કર્મોનો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું. 9 હું તમારી દયા રાખનાર નથી કે તમારી કરૂણા કરનાર નથી, હું તમને તમારા દુષ્કૃત્યો માટે સજા કરીશ. તમારા ધૃણાજનક કૃત્યો માટે થઇને હું તમારો ન્યાય કરીશ, જેથી તમને ખબર પડે કે હું યહોવા સજા કરું છું.
10 “ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે. 11 હિંસા ક્યારનીયે વધી ગઇ છે અને તેણે દુષ્ટતાનો ટેકો લઇ લીધો છે. એ તેમનામાંથી કે તેમના સંગ્રાહકોમાંથી કે તેમના વિષ્વાસઘાતીઓમાંથી કે તેમના બળવાખોરોમાંથી નથી આવતી.
12 “સમય આવી રહ્યો છે, દિવસ ઉગવાની તૈયારીમાં છે. ખરીદનારે હરખાઇ જવાનું નથી, કે વેચનારે પસ્તાવાનું નથી, કારણ, મારો રોષ બધા પર એકસરખો ઊતરનાર છે. 13 રણશિંગાના વર્ષમાં જ્યારે પાછા આવવાનો સમય થશે ત્યારે પોતે જીવતો હશે તોપણ વેચનાર પોતાના સ્થળે પાછો નહિ આવે. કારણ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરવાના નથી.[a] કોઇ માનવીનું જીવન તેણે કરેલા અનિષ્ટોને કારણે બચશે નહિ.
14 “ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે. 15 કિલ્લાની બહાર તરવાર છે અને અંદર રોગચાળો અને ભૂખમરો છે. જેઓ લડાઇનાં મેદાનમાં છે તેઓ તરવારનો ભોગ બનશે. અને જેઓ નગરમાં છે તેમને રોગચાળો અને ભૂખમરો ગળી જશે.
16 “અને જો કે તેમનામાંથી અમૂક લોકો ભાગી જઇને પર્વતો તરફ દોડી જશે, તેઓ ખીણમાંના પારેવાં જેવા હશે જે દરેક પોતાના પાપને કારણે નિસાસો નાખી રહ્યાં છે. 17 દરેકના હાથ અશકત થઇ જશે અને પગ પાણીની જેમ ઢીંલા થઇ જશે. 18 તેઓ શોકના વસ્ત્રો ધારણ કરશે અને માથાથી તે પગ સુધી ધ્રૂજ્યા કરશે. બધાના ચહેરા પર શરમ અને માથે મૂંડન હશે. 19 તમારા નાણાં, તમારું સોનું અને ચાંદી વિષ્ટાની જેમ રસ્તા ઉપર ફેંકી દો. કારણ યહોવાના કોપને દિવસે તે તમારો બચાવ કરશે નહિ, તે તમારી ભૂખ સંતોષસે નહિ, કે તેનાથી કોઇનું પેટ ભરાશે નહિ.
20 “અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે. 21 હું એ પરદેશી લૂંટારાના હાથમાં દુનિયાના ઉતાર જેવા માણસોના હાથમાં લૂંટ તરીકે સોંપી દેવા ઇચ્છું છું. તેઓ એને ષ્ટ કરશે. 22 તેઓ મારા મંદિરને ષ્ટ કરશે ત્યારે હું તે તરફથી મારું મુખ અવળું ફેરવી લઇશ અને તેઓને અટકાવીશ નહિ, લૂંટારુઓ એમાં પ્રવેશ કરશે અને તેને ષ્ટ કરશે.
23 “મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે. 24 હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ.
25 “જ્યારે ભયનો સમય નજીક આવે ત્યારે, તેઓ નિરાશ થઇ જશે અને લોકો શાંતિ ઝંખશે પણ કદી શાંતિ પામશે નહિ. 26 આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે. 27 રાજાઓ શોક કરશે, અમલદારો પાયમાલીથી ઘેરાઇ જશે, ને લોકો ભયથી કાંપી ઊઠશે. તમારા આચરણ પ્રમાણે હું તમને સજા કરીશ; તથા તેઓના કાર્યો મુજબ હું તેમને ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
આપણે પણ ઈસુના નમૂનાને અનુસરવું જોઈએ
12 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ). 2 આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે. 3 ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો.
દેવ પિતા તૂલ્ય
4 પાપની વિરૂદ્ધ તમારે એટલું બધું ઝઝૂમવું પડ્યું નથી, અને એવી કોઈ આવશ્યકતા ન હતી કે તમારે તમારું લોહી વહાવવું પડે. 5 વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:
“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા,
અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર.
6 દેવ જેને ચાહે છે તે દરેકને શિક્ષા કરે છે,
અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેક માણસને તે શિક્ષા કરે છે.” (A)
7 દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે. 8 જો તમને શિક્ષા થએલ નથી (દરેક પુત્રને શિક્ષા થશે), તો તમે દાસી પુત્રો છો અને ખરા પુત્રો નથી. 9 આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ. 10 પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ. 11 જ્યારે આપણને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તે આનંદકારક લાગતી નથી. તેના બદલે આપણે પીડા ભોગવીએ છીએ. પણ પાછળથી તે શાંતિમય અને પ્રામાણિક જીવનનો રસ્તો આપણને આપે છે. આપણને શિક્ષા દ્ધારા તાલીમ અપાય છે.
કેવી રીતે જીવવું તે વિશે સાવધ રહો
12 તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો. 13 સત્યના માર્ગે ચાલો તો તમે બચી જશો તેમાં તમારે કાંઇજ ગુમાવવાનું નથી.
14 બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ. 15 સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે. 16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને. 17 યાદ રાખો, પાછળથી એસાવે આશીર્વાદ મેળવવા ભારે રુંદન સહિત પસ્તાવો કર્યો પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું અને પિતાએ આશીર્વાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ એસાવે જે કઈ કર્યુ છે તેમાંથી તે પાછો ફરી શકે તેમ નહોતો.
18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવર પહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.”(B) એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.”(C)
22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે.
25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું? 26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.” 27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે.
28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવું અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય. 29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International