Old/New Testament
મૂર્તિપૂજાનો વિરોધ
14 ઇસ્રાએલના કેટલાક આગેવાનો મારે ત્યાં આવીને બેઠા હતા. 2 એ સમયે મારી પાસે યહોવાનું વચન આવ્યું કે, 3 “હે મનુષ્યના પુત્ર, આ માણસોએ પોતાનાં હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, અને જાણી જોઇને પોતાના પતનનો માર્ગ ખુલ્લો કર્યો છે. એવા માણસોના પ્રશ્ર્નનો હું શું જવાબ આપીશ? 4 તેઓને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: ઇસ્રાએલમાં જેઓ અપવિત્ર મૂર્તિઓની પૂજા કરે છે અને પછી મારી મદદને માટે વિનંતી કરવા પ્રબોધક પાસે આવે છે, હું તેમને કહીશ કે તમારી અપવિત્ર મૂર્તિ પાસે મદદ માંગવા જાવ. 5 તેમનાં મનમાં એમ ઠસાવવાનો પ્રયત્ન કરું છું કે, તેઓ તેમની અશુદ્ધ મૂર્તિઓને લીધે મારા માટે અજાણ્યા જેવા બની ગયાં છે.’
6 “તેથી તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારા અધર્મ આચારો છોડી દો. 7 જો કોઇ ઇસ્રાએલી કે તેમના ભેગો વસતો કોઇ વિદેશી મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સ્થાન આપશે અને પોતાના પતનના કારણરૂપ એ મૂર્તિઓનું ધ્યાન ધરશે અને કોઇ પ્રબોધક પાસે આવીને મારી ઇચ્છા જાણવા પ્રશ્ર્ન કરશે તો હું, યહોવા, પોતે તેનો જવાબ આપીશ. 8 હું એ માણસની વિરુદ્ધ થઇ જઇશ: હું તેની એવી દશા કરીશ કે જેથી લોકોને દાખલો બેસે, અને કહેવતરૂપ બને. મારા લોકો વચ્ચેથી હું તેને કાપી નાખીશ. અને તમે જાણશો કે હું યહોવા છું. 9 અને જો કોઇ પ્રબોધક છેતરાઇને સંદેશો આપશે કે મેં યહોવાએ તે પ્રબોધકને છેતર્યો છે તો હું તેની સામે મારો હાથ ઉગામીશ, અને મારા ઇસ્રાએલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ. 10 આ જૂઠા પ્રબોધક અને દુષ્ટ ઢોંગી માણસ બંને સરખા જ દોષિત છે. તેઓને પોતાના પાપોને લીધે શિક્ષા થશે. 11 એટલે પછી ઇસ્રાએલીઓ કદી મારો ત્યાગ નહિ કરે અને, પોતાની મૂર્તિઓ દ્વારા પોતાને અપવિત્ર નહિ કરે. તેઓ મારી પ્રજા થઇને રહેશે અને હું તેમનો દેવ થઇશ.’” આ યહોવા મારા માલિકના વચન છે.
12 મને યહોવાની વાણી સંભળાઇ: 13 “હે મનુષ્યના પુત્ર, જો કોઇ દેશ મારી સાથે વિશ્વાસધાત કરીને પાપમાં પડશે તો હું તેને અન્ન આપવાનું બંધ કરી દઇશ. હું ત્યાં દુકાળ મોકલીશ, ત્યાંના માણસોનો અને પશુઓનો નાશ કરીશ. 14 જો ત્યાં નૂહ, દાનિયેલ, અને અયૂબ એ ત્રણ જણ રહેતા હોય તો તેઓ પોતાના નીતિવંત આચરણથી કેવળ પોતાના પ્રાણ જ બચાવી શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.
15 “જો હું હિંસક જંગલી પશુઓને મોકલું કે આ દેશને વેરાન તથા ઉજ્જડ કરી મૂકે, અને કોઇ માણસ ત્યાંથી પસાર ન થાય. 16 અને જો આ ત્રણ માણસો ત્યાં હોત તો તેઓ પોતાના પુત્ર-પુત્રીઓને બચાવી શક્યા ન હોત. તે ત્રણ માણસો માત્ર પોતાના જીવ બચાવી શક્યા હોત. અને આખો દેશ વેરાન અને ઉજ્જડ થઇ જાત.” એમ યહોવા કહે છે.
17 “અથવા, જો હું એ દેશમાં યુદ્ધ મોકલું અને કહું કે, જા, એ દેશમાં બધે ફરી વળ અને માણસોનો અને પશુઓનો સંહાર કર, 18 તો એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય તોયે, હું યહોવા મારા માલિક, મારા જીવના સમ ખાઇને કહું છું કે, તેઓ પોતાના બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; તેઓ ફકત પોતાના જ પ્રાણ બચાવી શકશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
19 “અથવા જો હું તે દેશમાં રોગચાળો મોકલું અને રોષમાં અને રોષમાં માણસોનો અને પશુઓનો સંહાર કરું. 20 જો નૂહ, દાનિયેલ અને અયૂબ એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય, તોયે હું, સર્વસમર્થ યહોવા, મારા પ્રાણના સોગંધ ખાઇને કહું છું કે, તેઓ પોતાનાં બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; પોતાના નીતિવંત આચરણથી તેઓ ફકત પોતાના પ્રાણ બચાવી શકશે.”
21 યહોવા મારા માલિક કહે છે: “એ કેટલું વધારે ભયંકર હશે, જ્યારે હું મારી ચારે ચાર આકરામાં આકરી શિક્ષાઓ યરૂશાલેમના માણસોનો અને પશુઓનો સંહાર કરવા માટે મોકલીશ- યુદ્ધ, દુકાળ, રોગચાળો, અને જંગલી પશુઓ. 22 છતાં તેઓમાંથી થોડા છટકી જવા પામશે અને તે પુત્ર પુત્રીઓને બંધકો તરીકે બાબિલમાં લઇ જવાશે અને તેઓ તમારી સાથે જોડાશે. ત્યારે તમે તેઓની ખરાબ વર્તણૂંક તમારી પોતાની આંખે નિહાળશો. ત્યારે તમે મારો યરૂશાલેમનો વિધ્વંસ તથા જે પ્રત્યેક શિક્ષા મેં ત્યાં મોકલી તે વિષે સમજશો. 23 કારણ કે તેઓ કેવા દુષ્ટ છે તે જોઇને તમને ખાતરી થશે અને તમને સમજાશે કે મેં જે કઇં કર્યું છે તે વગર કારણે કર્યું નથી.” આ યહોવા મારા માલિકના વચન છે.
યરૂશાલેમ-દ્રાક્ષાવેલાનું રૂપક
15 ત્યાર બાદ મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, દ્રાક્ષાવેલાનું લાકડું જંગલમાંની ઝાડની ડાળીના લાકડાં કરતાં કઇ રીતે સારું ગણાય? 3 એના લાકડામાંથી શું કશું બને છે? માણસ એમાંથી એક ખીંટી પણ બનાવી શકે છે, જેના પર કશું લટકાવી શકાય? 4 એને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે તેના બંને છેડા સળગવા લાગે છે અને વચ્ચેનો ભાગ ખાખ થઇ જાય છે. પછી એ શા કામમાં આવે? 5 બળતણ તરીકે વપરાયા અગાઉ પણ તે બિનઉપયોગી હતું, હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે? 6 આથી યહોવા મારા માલિક કહે છે; જેમ મેં દ્રાક્ષાવેલને લાકડા કરતાં વધારે બિનઉપયોગી બનાવ્યું છે, અગ્નિમાં ઇંધણ તરીકે વપરાતા કોઇ પણ લાકડાં કરતા પણ બિન ઉપયોગી, તે પ્રમાણે હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ. 7 હું તેઓની વિરુદ્ધ થઇ જઇશ, તેઓ એક આગમાંથી બચી જશે તોપણ તેઓ બીજી વારની આગમાં બળી મરશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું. 8 એ લોકો મને વિશ્વાસઘાતી નીવળ્યા છે, તેઓ મૂર્તિઓની પૂજા કરે છે માટે હું તેઓના દેશને ઉજ્જડ કરી નાખીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.
બધા લોકોને પ્રેમ કરો
2 મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે. 2 ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે. 3 તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!” 4 આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.
5 મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે. 6 પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે. 7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.
8 જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”(A) એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો. 9 પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.
10 કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે. 11 દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”(B) તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”(C) માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો.
12 તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે. 13 હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.
વિશ્વાસ અને સારા કાર્યો
14 મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના! 15 ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય. 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે. 17 એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.
18 કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે, તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ. 19 દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.
20 ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે. 21 આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો. 22 તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો. 23 આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”(D) ઈબ્રાબિમને “દેવનો મિત્ર”(E) કહેવામા આવ્યો. 24 તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.
25 તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.
26 કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International