Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 48-49

મોઆબના લોકોનું ભાવિ

48 ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે,

“નબોનું આવી બન્યું!
    તે ભોંય ભેંગુ થઇ ગયું છે,
કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે,
    તે જીતાઇ ગયું છે.
તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે!
    હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું!
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી,
    હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે.
    તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’
માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે;
    શત્રુઓની તરવાર તારો પીછો કરશે.
સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે;
    ‘હિંસા, વિનાશ.’
મોઆબ નષ્ટ થઇ ગયું છે,
    સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે.
કારણ કે તેઓ રડતાં રડતાં
    લૂહીથના ઢોળાવો પર ચઢે છે.
અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં
    હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે.
નાસો, તમારો જીવ લઇને નાસો!
    વગડાનાં જંગલી ગધેડા જેવા થાઓ.

“હા, તમે પોતાની સંપત્તિ
    અને આવડત પર નિર્ભર રહ્યાં છો,
તમે પણ નાશ પામશો, તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે,
    તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે.
દરેક નગર પર વિનાશ ઊતરશે,
    એક પણ શહેર બચવા પામશે નહિ.”
આ હું યહોવા બોલું છું.
“મોઆબ માટે મીઠું અલગ
    રાખો કારણકે તે ચોક્કસ પડશે.
તેના નગરો વસ્તી વિનાના
    ઉજ્જડ ખંડેર થઇ જવાના છે.
10 જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ!
    જે માણસ તરવારથી રકતપાત કરતા નથી તેને ધિક્કાર હો!”

11 યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી,
    ને તેને હેરાન કરવામાં આવ્યું નથી,
તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી,
    મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે
કે જેને એક પાત્રમાંથી બીજા
    પાત્રમાં રેડવામાં આવ્યો નથી.
તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે,
    ને તેની સુગંધ બદલાઇ નથી.”
12 યહોવાએ કહ્યું છે કે,
“આ લોકો મોઆબ શહેરને ખાલી કરી
    નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે.
જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે
    તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.”

13 ત્યારે મોઆબનો કમોશદેવ વિષેનો મ ભાંગી જશે, જેમ ઇસ્રાએલનો બેથેલના દેવ વિષે મ ભાંગી ગયો હતો જેના પર તેણે વિશ્વાસ રાખ્યો હતો.

14 “હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા
    એવા સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
‘તમારી હિંમ્મત કઇ રીતે થઇ આવુ કહેવાની.
    કે અમે બહાદુર છીએ, કેળવાયેલા યોદ્ધાઓ છીએ?’
15 મોઆબ અને તેના નગરોનો નાશ થયો છે,
    તેના ચુનંદા જુવાનો રહેંસાઇ ગયા છે.”
આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
16 “હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે,
    એનું પતન વાયુવેગે આવી રહ્યું છે.
17 હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો.
    જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા
    ધૂળધાણી થઇ ગયા છે!

18 “હે દીબોનના લોકો,
    તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરો
અને ભોંય પર ધૂળમાં બેસો.
    કારણ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે.
અને તેણે તમારા કિલ્લાઓનો નાશ કર્યો છે.

19 “હે અરોએરના લોકો,
    રસ્તે ઊભા રહીને ચોકી કરો,
ભાગી જતા લોકોને પૂછો.
    શું થયું છે?

20 “તેઓ તને જવાબ આપશે,
    મોઆબ ખંડેર થઇ ગયું છે;
રૂદન અને શોક કરો.
    આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે,
    મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે!
21 મોઆબના ઉચ્ચ મેદાન પરના નગરો તે હોલોન,
    યાહસાહ, મેફાઆથને સજા કરવામાં આવશે,
22 દીબોન, નબો, બેથ દિબ્લાથાઇમ છે.
23     ક્રિયા-થાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન,
24 કરીઓથ, બોસ્રાહ, અને મોઆબના
    સર્વ નગરો જે નજીકમાં છે
તે તથા જે દૂર આવેલા છે,
    આ બધાને સજા થઇ છે.
25 મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે,
    અને તેની સત્તા ભાંગી નાખવામાં આવી છે.”
આ યહોવાના વચન છે.

26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે.
    એ એની ઊલટીમાં આળોટશે
    અને લોકોની હાંસીનું પાત્ર થશે,
સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે.

27 “શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી?
    શું તેં તેઓને ચોરોની ટોળી માની નહોતી?
હા, જ્યારે પણ તે તેમના વિષે વાત કરી છે,
    ત્યારે તેં તુચ્છકારથી તારુંડોકુ હલાવ્યુ છે.
28 હે મોઆબના લોકો, તમારા નગરોમાંથી ભાગી જાઓ
    અને ઊંડી સાંકડી ખીણોમાં
પોતાના માળા બાંધીને રહેતા
    કબૂતરોની માફક તમે ગુફાઓમાં રહો.

29 “મોઆબ અતિ ગવિર્ષ્ઠ છે.
    અમે તેના અભિમાન,
ઉદ્ધતાઇ અને તુમાખી વિષે સાંભળ્યું છે.”

30 યહોવા કહે છે, “મને પોતાને એની ઉદ્ધતાઇની ખબર છે.
    તેની ડંફાસો બધી ખોટી છે,
    અને તેનાં કાર્યો બધા પોકળ છે.
31 અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું.
    સમગ્ર મોઆબ માટે હું પોકે પોકે રડું છું
    અને કીરહેરેસના માણસો માટે હું શોક કરું છું.
32 દ્રાક્ષાવાડીઓથી ભરપૂર સિબ્માહના લોકો,
    હું યાઝેરના કરતાં પણ તમારા માટે વધુ વિલાપ કરું છું.
કારણ કે વિનાશે તમારી ફેલાયેલી ડાળીઓને કાપી નાખી છે
    અને તમારી દ્રાક્ષાઓ તથા ઉનાળાનાં ફળોની ફસલને લઇ લીધી છે.
    તેણે તમને ઉજ્જડ કરી મૂક્યા છે!
33 મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી
    અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે,
દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી.
    દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.”

34 “તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે. 35 યહોવા કહે છે: મોઆબ જૂઠા દેવોની પૂજા કરતું હતું અને મૂર્તિઓ આગળ ધૂપ બાળતું હતું. તે સર્વ મેં બંધ કરાવી દીધું છે.” આ યહોવાના વચન છે.

36 “આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે મારા હૃદયમાં શોક છે. કારણ કે તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે. 37 હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે. 38 મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે.

39 “મોઆબ ભાંગી ગયું! રડો! મોઆબ શરમજનક રીતે પીછેહઠ કરે છે! મોઆબના બધા પડોશીઓ એની હાંસી ઉડાવે છે!” આ યહોવાના વચન છે.

40 કારણ કે આ યહોવા કહે છે, “જો, તેના શત્રુઓ એક ગરૂડની જેમ મોઆબ પર ચકરાવો લે છે,
    અને તેની પર આક્રમણ કરે છે.
41 તેનાં નગરોનો નાશ થશે,
    તેના મજબૂત કિલ્લાઓને કબજે કરવામાં આવશે.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીઓની જેમ
    તેના શૂરવીર યોદ્ધાઓ ભયથી ધ્રૂજશે.
42 પછી મોઆબનું નામોનિશાન મિટાઇ જશે.
    તેની પ્રજા નાશ પામશે, કારણ કે, તેમણે મારો યહોવાનો વિરોધ કર્યો છે.”

43 યહોવા કહે છે કે,
    “અરે મોઆબ, તારા માર્ગમાં ભય, ફાંદો અને ખાડા તારી રાહ જોઇ રહ્યા છે.
44 જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે,
    જે ખાડામાંથી ઊભો થઇને બહાર આવશે તે પકડાઇ જશે,
મોઆબને સજા કરવાનો સમય આવશે
    ત્યારે તેણે આ બધાંનો સામનો કરવો પડશે.”
    આ યહોવાના વચન છે.

45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો
    હેશ્બોનની છાયા તળે વિસામો લે છે,
પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે.
    સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે,
અને એ તોફાનીઓની ભૂમિને,
    મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.
46 હે મોઆબ, આ તે તમારી કેવી દશા!
    હે મોઆબના લોકો!
હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ,
    તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.”

47 પરંતુ યહોવા કહે છે, “ભવિષ્યમાં હું મોઆબનું ભાગ્ય પલટી નાખીશ, હું મોઆબને સંસ્થાપિત કરીશ.”

અહીં મોઆબ અંગેનો ચુકાદો પૂરો થાય છે.

આમ્મોનના લોકોનું ભાવિ

49 આમ્મોનના લોકો વિષે યહોવા આ પ્રમાણે કહે છે,

“ઇસ્રાએલનું રક્ષણ કરનાર
    કોઇ વારસ નથી?
શું તેને કોઇ પુત્રો નથી?
    તો પછી મિલ્કોમદેવના પૂજકોને ગાદનો
પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાં વસવા દે?

“તેથી એવો સમય આવી રહ્યો છે,
    જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં
યુદ્ધનો રણનાદ ગાજી રહેશે
    અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે,
એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે,
    અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે
    કરનારાઓની ભૂમિ કબજે કરશે.”
આ હું યહોવા બોલું છું.

“હે હેશ્બોન, વિલાપ કર.
    આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે!
રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો,
    શોકના વસ્ત્રો પહેરો,
વાડામાં સંતાઇને રડો
    અને પ્રશ્ચાતાપ કરો.
કારણ કે તમારા દેવ મિલ્કોમ,
    તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે.
તમારી ખીણોનું તમને અભિમાન છે,
    પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે.
હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે,
    કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?”
પરંતુ સૈન્યોનો દેવ યહોવા કહે છે કે,
    “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ,
તને આખી દુનિયામાં ચારેબાજુ દેશ નિકાલ માટે હાંકી કાઢવામાં આવશે.
    અને તારા શરણાથીર્ઓની સંભાળ રાખનારું કોઇ નહિ હોય.”

“પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે.

અદોમના લોકોનું ભાવિ

અદોમના લોકો વિષે યહોવા કહે છે,

“તેમાનમાં કશી અક્કલ જ રહી નથી?
    તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?
તેમની અક્કલ બહેર મારી ગઇ છે?
    દદાનના રહેવાસીઓ, પાસુ ફરીને દોડો.
સંતાઇ જાઓ!
    કારણ, એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે
    અને હું તેમના પર વિનાશ ઉતારનાર છું,

“જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે
    ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે,
રાતે ચોર આવે છે
    તો તે જોઇએ એટલું જ લઇ જાય છે.
10 પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ.
    સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ,
તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ,
    સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે.
11 એમ કહેનાર કોઇ નહિ હોય કે,
    તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા,
હું તેમને સંભાળીશ.
    તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.”

12 યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,” 13 કારણ, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે “બોસ્રાહની દશા જોઇને લોકો હબકાઇ જશે, તેની હાંસી ઉડાવશે; તે વેરાન થઇ જશે અને લોકોમાં તેનું નામ શાપરૂપ લેખાશે. એના બધાં ગામો કાયમ માટે ખંડેર થઇ જશે.”

14 મેં યહોવા પાસેથી
    આ સંદેશો સાંભળ્યો છે,
“તેમણે બધાં રાજ્યોમાં સંદેશાવાહક
    મોકલીને કહેવડાવ્યું છે કે,
અદોમની વિરુદ્ધ સર્વ એકત્રીત થાઓ
    અને તેનો નાશ કરો.”
15 યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટ્રો વચ્ચે તુચ્છ બનાવીશ
    અને માનવજાત દ્વારા તિરસ્કૃત બનાવીશ.
16 તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે,
    તેથી, તારી માથાભારે તુમાખીએ
    અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે,
પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે,
    તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.”
એમ યહોવા કહે છે.

17 “તેથી અદોમ માનને પાત્ર બનશે.
    ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે
    અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે.
18 સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે;
    પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.”
આ યહોવાના વચન છે.

19 “જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?”

20 માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે,
    તે સાંભળી લો; અને જેઓ તેમાનમાં રહે છે
તેમની વિરુદ્ધ મેં ઘડેલી યોજના વિષે.
    નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે
    અને તેમાન નસીબે તેમના ઘેટાંના વાડાને પણ ભયત્રસ્ત કરવામાં આવશે.
21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે;
    તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે.

22 સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે
    તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે.
અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ
    વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.

દમસ્કના લોકોનું ભાવિ

23 દમસ્ક વિષે યહોવાની વાણી:

“હમાથ અને આર્પાદ નગરો ભયથી મૂંજાઇ ગયા છે,
    તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે.
ચિંતાથી તેઓ સાગરની જેમ ખળભળી ઊઠયા છે.
    તેમને નિરાંત વળતી નથી.
24 દમસ્ક લાચાર બની ગયું છે.
    તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે.
પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય,
    પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે.

25 “આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું
    તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.”
26 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
    “તે દિવસે તેના જુવાન માણસો નગર ચોકમાં મૃત્યુ પામશે.
    અને એના બધા યોદ્ધાઓ હારી જશે.
27 અને હું દમસ્કની દીવાલો પર આગ લગાડીશ
    અને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.”

કેદાર અને હાસોરના લોકોનું ભાવિ

28 બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,

“ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો;
    પૂર્વના એ લોકોનો સંહાર કરો.
29 તેઓનાં ઘેટાંબકરાં, તંબુઓ તથા ઘરનો સર્વ સામાન કબજે કરવામાં આવશે,
    તેઓનાં ઊંટોને લઇ જવામાં આવશે;
    ચારેબાજુ ભયની ચીસો પડશે,
આપણે ચારેબાજુથી ઘેરાઇ ગયા છીએ
    અને આપણું પતન થયું છે.”
30 યહોવા કહે છે: “ભાગો ભાગો,
    તમારો જીવ બચાવવા નાસી જાઓ.
    હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ!
કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે
    તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે.

31 “યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ‘ઊઠો,
    અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે,
તેમના નગરોને દરવાજા કે સળિયા નથી
    અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’
32 તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો!
    હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ
અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.”
    આ યહોવાના વચન છે.
33 “હાસોર શિયાળવાંની બોડ બની જશે,
કાયમ માટે તે વેરાન પ્રદેશ બની જશે,
    કોઇ ત્યાં વસશે નહિ કે કોઇ ત્યાં ઘર નહિ બનાવે.”
આ યહોવાના વચન છે.

એલામના લોકોનું ભાવિ

34 યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યર્મિયાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો.

35 “આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
એલામનું બળ એનું ધનુષ્ય છે,
    હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું.
36 અને એલામના લોકોને
    હું ચારે દિશામાં વિખેરી નાખીશ.
તેઓ દેશનિકાલ થઇ વિશ્વના
    સર્વ દેશોમાં ફેલાઇ જશે.”
37 યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા
    તાકતા એના દુશ્મનોથી
એને હું ભયભીત બનાવી દઈશ.
    હું ભયંકર રોષે ભરાઇ તેમના પર આફત ઉતારીશ,
તેઓ જડમૂળથી ઊખડી જાય ત્યાં સુધી
    હું તેમના પર યુદ્ધ મોકલ્યા કરીશ.”
    આ યહોવાના વચન છે.
38 યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ.
    અને ત્યાંના રાજાનો અને અમલદારોનો સંહાર કરી નાખીશ.”
    આ યહોવાના વચન છે.
39 “પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ.
    હું તે લોકોને પાછા લાવીશ.”
    એમ યહોવા કહે છે.

હિબ્રૂઓ 7

યાજક મલ્ખીસદેક

આ મલ્ખીસદેક શાલેમનો રાજા હતો તથા તે પરાત્પર દેવનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને ઈબ્રાહિમ પાછો આવી રહ્યો હતો, ત્યારે મલ્ખીસદેક તેને મળ્યો. અને મલ્ખીસદેક ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો. ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો.

મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે. તેના બે અર્થ થાય છે પહેલો અર્થ, મલ્ખીસદેક એટલે “ભલાઈનો રાજા.” અને “શાલેમનો રાજા,” એટલે “શાંતિનો રાજા” પણ છે. મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે.

આ મલ્ખીસદેકની મહાનતાને વિચાર કરો! ઈબ્રાહિમે યુદ્ધમાં જીતીને મેળવેલી તમામ સંપત્તિમાંથી દશમો ભાગ આપી દીધો. નિયમશાસ્ત્ર કહે છે કે લોકો લેવી પુત્રમાંથી એટલે પોતાના ભાઈઓમાંથી બનેલા યાજકોને દશાંશ આપે. યાજકો અને લોકો પછી ભલે તે ઈબ્રાહિમના પરિવારના હોય તો પણ તેમની પાસેથી દશાંશ એકઠા કરે. મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો. આશીર્વાદ આપનાર વ્યક્તિ આશીર્વાદ પામનાર કરતાં વધુ મહાન હોય છે તે સર્વ કોઈ જાણે છે.

અહીં ર્મત્યે માણસો દશમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લે છે. વળી એમ પણ કહી શકાય કે, જે લેવીનો દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો. 10 કેમ કે જ્યારે મલ્ખીસદેક તેના પિતાને મળ્યો, ત્યારે લેવી હજી પોતાના પિતાની કમરમાં હતો.

11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12 કારણ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલવાની અગત્ય છે. દેવ જ્યારે યાજકપદ બદલે છે ત્યારે તેને સંકળાયેલા નિયમો પણ બદલે છે. 13 જેના વિષે વાત કરવામાં આવી છે તે કોઈ બીજા કુળના છે. આ કુળની કોઈપણ વ્યક્તિ વેદીનો સેવક નહોતી. સિવાય કે લેવી કુળની વ્યક્તિ હોય. 14 કેમ કે તે સ્પષ્ટ છે કે આપણો પ્રભુ (ખ્રિસ્ત) યહૂદાના કુળમાં જન્મ્યો હતો. અને મૂસાના નિયમ પ્રમાણે યાજકપદની સેવા તેના કુટુંબને સોંપાયેલી નહોતી.

ઈસુ મલ્ખીસદેક સમાન યાજક

15 મેં જે કંઈ કહ્યું છે તેથી પણ વધારે સ્પષ્ટ થાય છે. કે મલ્ખીસદેક જેવો બીજો યાજક પ્રગટ થઈ રહ્યો છે. 16 એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે. 17 શાસ્ત્રોમાં એના વિષે કહેવામાં આવ્યું છે કે: “તું મલ્ખીસદેક હતો તેના જેવો જ સનાતન યાજક છે.” (A)

18 પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો. 19 મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ.

20 એ વાત પણ એટલી જ અગત્યની છે કે દેવે વચન દ્ધારા ઈસુને પ્રમુખ યાજક બનાવ્યો. જ્યારે બીજા માણસો યાજક બન્યા, ત્યારે દેવે આવા કોઈ સમ લીધા નહોતા. 21 પણ ઈસુ તો દેવના વચન સાથે યાજક બન્યો. દેવે તેને કહ્યું:

“પ્રભુએ સમ ખાધા છે,
    તે તેનો વિચાર કદી બદલશો નહિ:
તું સનાતન યાજક છે.” (B)

22 તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે.

23 અને જ્યારે આવા ઘણા યાજકો હતા ખરા, કારણ કે યાજક વર્ગમાં તેમને ચાલુ રહેતા મૃત્યુએ અટકાવી દીધા હતા. 24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. 25 આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.

26 ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે. તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. 27 તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. 28 જૂના નિયમો પ્રમાણે પસંદ કરવામાં આવતા પ્રમુખ યાજકો નિર્બળ અને અધૂરા હતા. પરંતુ દેવના સમનું વચન નિયમશાસ્ત્ર પછી આપવામાં આવ્યું હતુ. તેણે પોતાના પુત્રને સદાકાળ માટે સંપૂર્ણ પ્રમુખયાજક તરીકે નીમ્યો છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International