Old/New Testament
કઢાઇ અને માંસ
24 યહોયાકીન રાજાને બંદીવાન થયાને નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે મને યહોવાની આ પ્રમાણે વાણી સંભળાઇ. 2 તેમણે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આજની તારીખ નોંધી રાખ, કારણ, ‘આજે બાબિલના રાજાએ યરૂશાલેમને ઘેરો ઘાલ્યો છે.’ 3 એ બંડખોર ઇસ્રાએલી પ્રજાને તું આ દ્રષ્ટાંત કહી સંભળાવ. તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:
“‘કઢાઇને અગ્નિએ ચઢાવો,
ચૂલે ચઢાવો તેમાં પાણી રેડો,
4 એમાં માંસના કટકા નાખો,
પસંદ કરેલા સારામાં સારા ખભા
અને પગનાં માંસના ટુકડા નાખો.
5 ઉત્તમમાં ઉત્તમ ઘેટું લો,
ઉત્તમમાં ઉત્તમ હાડકાં પણ નાખો,
નીચે લાકડાં ગોઠવો,
ખૂબ ઉકાળો, હાડકાં પણ બફાઇ
જાય ત્યાં સુધી બફાવા દો.’
6 “‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે!
તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે,
જેનો કાટ કદી ઊખડે એમ નથી.
તું દુષ્ટતાથી ભરેલી છે.
તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે.
પણ કોઇ તે ખાવાના નથી.
7 તેણે ખૂબ હિંમતપૂર્વક ખૂન કર્યા છે.
બધાં જોઇ શકે છે કે મારી નંખાયેલનું રકત ખડકો પર એમનું એમ જ છે.
જે બધા જોઇ શકે છે.
જો એ લોહી જમીન પર રેડાયું હોત તો રેતી તેને ઢાંકી દેત;
8 ખડક પર એ રકત ખુલ્લું છે.
જેથી તે મારી આગળ તેની વિરુદ્ધ હાંક મારે છે
જેથી મારો કોપ સળગે અને હું બદલો લઉં.
9 “‘તેથી યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
હે યરૂશાલેમ, ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે!
હું પણ લાકડાનો મોટો ઢગલો કરીશ.
10 પુષ્કળ લાકડા લાવો, આગ પેટાવો!
માંસ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.
મસાલાઓને તેમાં ઉમેરો!
હાડકાં બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.
11 પછી ખાલી કઢાઇને અંગારા ઉપર મૂકી
તેનો બગાડ અને કચરો બળી જાય ત્યાં સુધી તેને તપાવો.
12 “‘પણ કાટ એટલો બધો છે
કે જવાળાઓથી પણ નહિ જાય.
13 “‘હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ
દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ.
એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ
રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.
14 “‘આ મેં યહોવાએ કહ્યું છે અને તે, એ પ્રમાણે બનશે જ. હું એ પ્રમાણે જ કરીશ. જરા પણ પીછેહઠ કરીશ નહિ. દયા નહિ ખાઉં, ને હું મારો નિર્ણય પણ બદલીશ નહિ. તને તારી વર્તણૂંક માટે અને તારા દુષ્કૃત્યો માટે સજા થશે જ. આ યહોવા મારા માલિકના વચન છે.’”
હઝકિયેલની પત્નીનું અવસાન
15 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 16 “હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી. 17 તારા ડૂસકાં સંભળાવા જોઇએ નહિ, તારા ઉત્તમ સાફા અને ઉત્તમ પગરખા તું પહેરજે, તારા હોઠને તું ઢાકતો નહિ કે તું શોકની રોટલી ખાતો નહિ કે શોકના રીતરિવાજો પાળતો નહિ.”
18 સવારમાં તો હું લોકોને પ્રબોધ કરતો હતો અને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. બીજે દિવસે મને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે મેં કર્યું. 19 મને લોકોએ પૂછયું, “તમે આમ શા માટે કરો છો? આ બધાનો શું અર્થ છે?”
20 ત્યારે મેં તેમને કહ્યું, “મને યહોવાની વાણી સંભળાઇ છે. 21 તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે. 22 ત્યારે તમારે મેં કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ કે શોકના રીતરિવાજો પાળશો નહિ. 23 તમારે માથે ઉત્તમ સાફો અને ઉત્તમ પગરખા પહેરી લો, રડશો નહિ કે પશ્ચાતાપ કરશો નહિ, તમારાં પાપે તમે એકબીજા સામે રોદણાં રડતાં રિબાઇ રિબાઇને મરશો. 24 યહોવા કહે છે, હઝકિયેલ તમારે માટે દ્રષ્ટાંત રૂપ છે. મેં જેમ કહ્યું છે તેમ જ તમારે કરવાનું છે અને આ બનશે ત્યારે તમને ખબર પડશે કે એ યહોવા મારા માલિક છે.’”
25 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, જે દિવસે હું યરૂશાલેમમાંથી તેઓનાં હૃદયનો આનંદ તેઓનો મહિમા અને તેઓની પત્નીઓ અને તેઓના પુત્ર-પુત્રીઓ લઇ લઇશ. 26 જે દિવસે હું આ કરીશ, તે જ દિવસે એ વિનાશમાંથી ઊગરી ગયેલું કોઇ આવીને તને એ સમાચાર આપશે. 27 તે જ દિવસે તને તારી વાચા પાછી મળશે અને તું એની સાથે વાત કરીશ. આમ તું તેમને દ્રષ્ટાંતરૂપ થઇ પડીશ અને તેઓને ખાતરી થશે કે હું યહોવા છું.”
આમ્મોનની વિરુદ્ધ અગમવાણી
25 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, આમ્મોનીઓ તરફ મોં કરી તેમની વિરુદ્ધ મારી ચેતવણી ઉચ્ચાર. 3 તેઓને કહે: ‘યહોવા મારા માલિકના વચનો સાંભળો: જ્યારે મારું મંદિર અશુદ્ધ બનાવાયું હતું ત્યારે તમે મશ્કરી કરી; જ્યારે ઇસ્રાએલ દેશની તારાજી થતી હતી ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદાના લોકોને બંદીવાસમાં લઇ જવાતા હતા ત્યારે તમે આનંદ મનાવ્યો. 4 તેથી હું તમને પૂર્વની પ્રજાઓના હાથમાં સુપ્રત કરુ છું. તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને વસવાટ કરશે. તેઓ તમારા ફળ ખાઇ જશે અને તમારું દુધ પી જશે.
5 “‘હું રાબ્બાહ નગરને ઊંટોને ચરવાની જગ્યા બનાવીશ અને આમ્મોનીઓનો દેશ ઘેટાંબકરાંને ચરવાની જગ્યા થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 6 યહોવા મારા માલિક કહે છે કે: તમારા હૃદયમાં મારા ઇસ્રાએલી લોકો માટે તિરસ્કાર છે, તેથી ઇસ્રાએલની અવદશા જોઇને તમે તાળીઓ પાડીને નાચ્યા અને ખુશ થયા હતા. 7 તેથી હું તમારી સામે મારો હાથ ઉગામીશ અને ઘણી પ્રજાઓના હાથમાં તમને સોંપી દઇશ અને તમારો નાશ કરીશ. હું તમને તમારા દેશમાંથી બહાર કાઢી મૂકીશ. હું દૂરના રાષ્ટ્રોમાં તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.’”
મોઆબ અને સેઇર વિરુદ્ધ ભવિષ્યવાણી
8 આ યહોવા મારા માલિકના વચન છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘યહૂદા તો બીજી પ્રજાઓ જેવું જ છે;’ 9 તેથી હું એની સરહદોનું રક્ષણ કરતાં શહેરોને બેથ-યશીમોથ બઆલ-મેઓન અને કિર્યાથાઇમ સહિત એનાં સુંદરમાં સુંદર શહેરોને હુમલાનો ભોગ બનાવીશ. 10 હું આમ્મોનની સાથે મોઆબને પણ પૂર્વની પ્રજાઓને સોંપી દઇશ, જેથી આમ્મોનના લોકોનું પ્રજા તરીકેનું અસ્તિત્વ જ ભૂંસાઇ જશે. 11 એ રીતે હું મોઆબને સજા કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી
12 સૈન્યોના દેવ યહોવા કહે છે: “યહૂદાના લોકો પર વૈર વાળીને અદોમીઓએ મોટું પાપ કર્યું છે.” 13 તેથી યહોવા મારા માલિક કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેના લોકોનો, જાનવરોનો અને ઢોરઢાંખરાનો હું સંપૂર્ણ નાશ કરીશ. તેમાનથી માંડીને દેદાન સુધીનું સર્વ તરવારથી નાશ પામશે. અને દેશ વેરાન થશે. 14 મારા લોકો ઇસ્રાએલીઓ દ્વારા હું અદોમ પર વૈર વાળીશ અને તેઓ અદોમ સાથે મારા રોષ અને ક્રોધને છાજે એવો વર્તાવ કરશે. એ લોકોને ખબર પડી જશે કે મેં વૈર વાળ્યું છે.” આ યહોવા મારા માલિકના વચન છે.
પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી
15 વળી યહોવા મારા માલિક કહે છે: “પલિસ્તીઓએ ધૃણાપૂર્વક પોતાના દુશ્મનો પર વૈર વાળ્યું છે, અને લાંબા સમયથી તેઓનો તિરસ્કાર કર્યા પછી તેમનો સંહાર કર્યો છે.” 16 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને પલિસ્તીઓનો નાશ કરીશ અને દરિયાકિનારાના બાકીના લોકોને સાફ કરી નાખીશ. 17 હું મારા ઉગ્ર રોષમાંને રોષમાં તેમના પર ભયંકર વૈર વાળીશ અને તેમને ભારે સજા કરીશ. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
તૂરનો નાશ-દેવવાણી
26 અગિયારમા વર્ષમાં મહિનાના પ્રથમ દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તૂરના લોકોએ આનંદમાં આવીને યરૂશાલેમ વિષે કહ્યું છે કે, ‘આહા! પ્રજાઓના વેપારવાણિજ્યનું ધ્વાર તૂટી ગયું! એના દરવાજા આપણે માટે ખુલ્લા થઇ ગયા! એના વિનાશથી આપણે સમૃદ્ધ થઇશું!’”
3 તેથી યહોવા મારા માલિક કહે છે: “હે તૂર, હું તારી વિરુદ્ધ છું, હું અનેક પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા પર હુમલો કરવા લઇ આવીશ.
4 “તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને કમાનોને તોડી પાડશે. હું તારી બધી રેતીને ભૂંસી નાખીશ અને ફકત ખુલ્લા ખડક રહેવા દઇશ. 5 તેનો ટાપુ વસવાટ કરવા લાયક રહેશે નહિ, પણ ત્યાં માછીઓ પોતાની જાળો પાથરશે.” કારણ કે યહોવા મારા માલિક તે બોલ્યા છે. “પ્રજાઓ તૂરને લૂંટી લેશે. 6 અને મુખ્ય ભૂમિ ઉપરના તારાં પરાંઓ તરવારનો ભોગ બનશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
નબૂખાદરેસ્સાર તૂર પર આક્રમણ કરશે
7 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “તૂરની વિરુદ્ધ હું બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદરેસ્સારને ઉત્તરમાંથી મોટું સૈન્ય, રથો તથા ઘોડેસવારો સાથે લાવીશ. 8 પહેલાં તે મુખ્ય ભૂમિ પરની વસાહતોમાં રહેતા લોકોનો નાશ કરશે. પછી તે નગરના કોટને ઘેરો ઘાલશે. તારા કોટ સામે મોરચા બાંધશે અને તેની ઢાલો તારી વિરુદ્ધ ઊંચી કરશે. 9 તે તારા કોટ ઉપર યંત્રોથી મારો ચલાવશે અને તારા બુરજો ઓજારોથી તોડી પાડશે. 10 તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે. 11 તેના ઘોડેસવારો નગરની પ્રત્યેક શેરીઓ કબજે કરી લેશે. તે તારા લોકોની હત્યા કરશે અને તારા પ્રખ્યાત અને મોટા સ્તંભો ભોંયભેગા થઇ જશે. 12 તારી સંપત્તિ પડાવી લેવામાં આવશે, તારો માલ લૂંટી લેવામાં આવશે, તારો કોટ ભોંયભેગો થઇ જશે અને તારી વૈભવશાળી હવેલીઓ તોડી પાડવામાં આવશે. તારા પથ્થરો કાટમાળ અને છારું દરિયામાં પધરાવી દેવામાં આવશે. 13 હું તારાં ગીતો થંભાવી દઇશ અને તારી વીણાના સ્વરો ફરી કદી નહિ સંભળાય. 14 હું ફકત તારા ટાપુને વેરાન ખડક બનાવી દઇશ, તેના પર માછીઓ પોતાની જાળો પાથરશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ. કારણ કે હું યહોવા તે બોલ્યો છું.” એમ યહોવા મારા માલિક કહે છે.
અન્ય રાષ્ટ્રો તૂર વિષે રડશે
15 યહોવા મારા માલિક તૂરને કહે છે: “તારા પતનથી, તારા લોકોની હત્યા થવાથી અને ઘવાયેલાઓના આર્તનાદથી સમુદ્ર તટના દેશોના લોકો ભયથી ધ્રુજી ઊઠશે. 16 તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે. 17 તેઓ તારે માટે આ મરશિયા ગાશે:
“‘ઓ વિખ્યાત નગરી!
આ તે તારો કેવો વિનાશ
તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ!
તું અને તારા વતનીઓ
સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં.
અને આખા સાગરકાંઠાના વતનીઓ
તારાથી ડરતા રહેતા હતા.
18 તારા પતન વખતે આજે
કાંઠાપ્રદેશ ધ્રુજી ઊઠયો છે,
અને સમુદ્રના બધાં દ્વીપો
તારા સર્વનાશથી કાંપી ઊઠયા છે.’”
19 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, “જ્યારે હું તૂરને વેરાન અને નિર્જન બનાવી દઇશ અને સમુદ્રના તોફાની પાણી નીચે ડૂબાડી દઇશ. 20 ત્યારે હું તને ભૂતકાળના ઘણાં લોકો જ્યાં છે ત્યાં નરકના ખાડામાં ધકેલી દઇશ, ત્યાં નીચેની ધરતીમાં, પ્રાચીન ખંડિયેરોમાં, નરકના ખાડામાં ગયેલા લોકો સાથે તારે રહેવું પડશે. ફરીથી તને આ જીવલોકમાં આવીને વસવા દેવામાં આવશે નહિ. 21 હું તારો અંત લાવી દઇશ અને તારુ અસ્તિત્વ રહેશે નહિ. લોકો તારી શોધ કરશે, પણ તું કદી મળશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
2 તેથી બીજા લોકોને નુકસાન પહોંચે કે તેમને માનસિક દુ:ખ થાય તેવુ કશું જ ન કરો. અસત્ય ન બોલશો, લોકોને મૂર્ખ બનાવવા માટે કોઈ કાર્ય ન કરો. ઈર્ષાળુ ન થાઓ, અદેખાઇ ન કરો. આ બધીજ વસ્તુઓ તમારા જીવનમાંથી દૂર કરો. 2 નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે. 3 પ્રભુની દયાનો અનુભવ તમે ક્યારનોય કર્યો છે. તેથી તેના વડે તારણ મેળવવા આગળ વધો.
4 પ્રભુ ઈસુ તે જીવંત “પથ્થર” છે. દુનિયાના લોકોએ નિર્ણય કર્યો કે તેઓને આ પથ્થર (ઈસુ) ની જરુંર નથી.
પરંતુ તે તો દેવ દ્ધારા પસંદગી પામેલ પથ્થર હતો. અને દેવ આગળ તેનું ઘણું મૂલ્ય હતું. તેથી તેની નજીક આવો. 5 તમે પણ જીવંત પથ્થર જેવા છો. આત્મિક ઘર ચણવા દેવ તમારો ઉપયોગ કરે છે. તે મંદિરમાં દેવની સેવા કરવા તમે પવિત્ર યાજકો થયા છો. તમે ઈસુ ખ્રિસ્ત થકી દેવને પ્રસન્ન છે એ આત્મિક યજ્ઞો આપો. 6 પવિત્રશાસ્ત્ર કહે છે કે:
“જુઓ, મેં મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર પસંદ કર્યો છે,
અને તે પથ્થરને હું સિયોનમાં મૂકું છું;
જે વ્યક્તિ તેના પર વિશ્વાસ કરશે તે કદી પણ શરમાશે નહિ.” (A)
7 તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર – તે એક એવો પથ્થર છે:
“જેને સ્થપતિઓએ અવગણ્યો છે.
તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.” (B)
8 અવિશ્વાસીઓ માટે, તે છે:
“તે એક એવો પથ્થર છે કે જે લોકોને ઠોકર ખવડાવે છે,
એ પથ્થર જે લોકોને ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” (C)
લોકો ઠોકર ખાય છે કારણ કે તેઓ દેવ જે કહે છે તે વચનોનું પાલન કરતા નથી. તેઓને માટે દેવે આવુજ આયોજન કર્યુ હતું.
9 પરંતુ તમે પસંદ કરાયેલી જાતી, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા, તથા પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર રાષ્ટ્રના લોક છો. દેવે તમને અદભૂત પરાક્રમો કહેવા માટે પસંદ કર્યા છે. દેવે તમને અંધકારમાંથી તેના આશ્ચર્યકારક પ્રકાશમાં બોલાવ્યા છે.
10 કોઈ એક સમયે તમે પ્રજા જ ન હતા.
પરંતુ હવે તમે દેવની પ્રજા છો.
ભૂતકાળમાં તમને દયા પ્રાપ્ત થઈ નહોતી.
પરંતુ હવે તમને દયા પ્રાપ્ત થઈ છે.[a]
દેવ માટે જીવો
11 પ્રિય મિત્રો, આ દુનિયામાં તમે અજાણ્યા પરદેશી અને પ્રવાસી જેવા છો. તેથી હું તમને વિનંતી કરું છું કે તમારું શરીર જે ઈચ્છે છે તે વિષયોથી દૂર રહો. તે વસ્તુઓ તમારા આત્માની વિરૂદ્ધ લડે છે. 12 તમારી સાથે આજુબાજુ અવિશ્વાસીઓ રહે છે. તેઓ કહેશે કે તમે ખોટું કરી રહ્યાં છો. તેથી સારું જીવન જીવો. પછી તમે જે સત્કર્મો કરો છો તેને તેઓ જોશે. અને પુનરાગમનના દિવસે દેવનો મહિમા વધારશે.
દરેક માનવીય સત્તાને આધિન રહો
13 આ દુનિયામા જેઓની પાસે સત્તા છે તે લોકોને આજ્ઞાંકિંત બનો. પ્રભુ માટે આમ કરો. રાજા કે જે સર્વોપરી છે તેને આજ્ઞાંકિંત બનો. 14 રાજા દ્ધારા મોકલવામા આવેલા અધિકારીઓને આજ્ઞાંકિત બનો. જે લોકો ખોટું કરે છે તેઓને શિક્ષા કરવા અને જે લોકો સારું કરે છે, તેઓના વખાણ કરવા આ લોકોને દેવે મોકલ્યા છે. 15 તેથી જ્યારે તમે સારું કરો ત્યારે તમારા વિષે મૂર્ખાઇ ભરેલી વાતો કરતા મૂર્ખ લોકોના મુખ તમે બંધ કરી દો. દેવ જે ઈચ્છે તે આ છે. 16 સ્વતંત્ર લોકોની જેમ જીવો. પરંતુ દુષ્ટ કાર્ય કરવા માટે સ્વતંત્રતાને બહાનું ન બનવા દેવની સેવામાં જીવન વિતાવો. 17 દરેક લોકોનો આદર કરો. દેવના કુટુંબના દરેક ભાઈઓ અને બહેનોને પ્રેમ કરો. રાજાનું સન્માન કરો અને દેવથી ડરો, અને રાજાને માન આપો.
ખ્રિસ્તની વેદનાનું દ્દષ્ટાત
18 ચાકરો, તમારા ધણીની સત્તાનો સ્વીકાર કરો. અને તે પણ સંપૂર્ણ સન્માનસહિત કરો. તમારે ભલા અને દયાળુ ધણીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેમજ ખરાબ ધણીની આજ્ઞાનું પણ પાલન કરવું જોઈએ. 19 પોતે કશુજ ખરાબ ન કર્યુ હોય છતાં કોઇ વ્યક્તિને દુ:ખ સહન કરવું પડે. તો તે વ્યક્તિ દેવનો વિચાર કરીને દુ:ખ સહન કરે તો તેનાથી દેવને આનંદ થાય છે. 20 પરંતુ કશું દુષ્ટ કાર્ય કરવા જો તમને શિક્ષા કરવામાં આવે, તો એ શિક્ષા સહન કરવા બદલ તમને કોઇ ધન્યવાન ન મળવા જોઈએ. પરંતુ સારું કરવા છતાં, તમને દુ:ખ પડે અને તમે તે દુ:ખ સહન કરો છો, તો તે દેવની નજરમાં પ્રસંશાપાત્ર છે. 21 પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.
22 “તેણે કોઈ પાપ નહોતું કર્યુ,
અને તેના મુખેથી કોઇ અસત્ય ઉચ્ચારયું નહોતું.” (D)
23 ખ્રિસ્ત વિષે લોકો ખરાબ બોલ્યા, પરંતુ ખ્રિસ્ત તેઓના માટે કશું જ ખરાબ ન બોલ્યા. ખ્રિસ્તે સહન કર્યું પરંતુ લોકોને તેણે ધમકાવ્યા નહિ. અદબ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. ખ્રિસ્તે દેવને તેની કાળજી લેવા દીધી. દેવ તે યોગ્ય ન્યાય કરે છે. 24 વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમા આપણાં પાપ લીધા. તેણે આમ કર્યુ કે જેથી આપણે પાપી જીવન જીવવાનુ છોડી જે યર્થાથ છે તેને માટે જીવીએ. તેના ઘાઓથી તમે સાજા થયાં. 25 તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International