Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 30-32

બાબિલનું સૈન્ય મિસર પર આક્રમણ કરશે

30 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે:

“‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો!
    “કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!”
તે દિવસ,
    એટલે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે;
વાદળોથી ઘેરાયેલો દિવસ,
    પ્રજાઓને માથે આફત ઉતારવાનો દિવસ!
એ દિવસે મિસરમાં
    અને કોનો સંહાર થશે,
તેની સંપત્તિ લૂંટાઇ જશે
    અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે.

“‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે.

“‘યહોવા મારા માલિકના આ વચન છે:
મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે
    અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે.
ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ
    તરવારથી નાશ પામશે.
    એમ યહોવા મારા માલિક જાહેર કરે છે.
તે તથા તેની સાથેના આસપાસના દેશો ઉજ્જડ થશે અને તેના નગરો તથા તેની આજુબાજુના નગરો ખંડિયેર થઇ જશે.
હું મિસરને આગ ચાંપીશ
    અને તેના બધા ટેકેદારોનો નાશ કરી નાખીશ,
ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.

“‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!’”

10 યહોવા મારા માલિકના આ વચન છે:
“હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે
    મિસરની પ્રજાનો અંત આણીશ.
11 તે અને તેની ઘાતકી સેના આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે.
    તેઓ મિસર સામે તરવાર ચલાવશે
    અને આખો દેશ મૂડદાંથી છવાઇ જશે.
12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ
    અને મિસરને બદમાશોને સોંપી દઇશ.
હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ.
    આ હું યહોવા બોલ્યો છું.”

મિસરની મૂર્તિઓનો નાશ કરવામાં આવશે

13 યહોવા મારા માલિકના આ વચન છે:
“હું મેમ્ફિસની મૂર્તિઓનો
    અને પૂતળાંઓનો નાશ કરીશ.
મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે.
    આખા દેશમાં ભય વ્યાપી જશે.
14 હું પાથોર્સને વેરાન બનાવી દઇશ
    અને સોઆનને આગ ચાંપીશ
    અને નોનોને સજા કરીશ.
15 હું મિસરના સૌથી મજબૂત કિલ્લાઓ પર મારો રોષ ઠાલવીશ
    અને નોફની જાહોજલાલી અને પાપનો નાશ કરીશ.
16 હું મિસરને આગ ચાંપીશ
    અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે.
નોફની દિવાલમાં ગાબડાં પડશે અને,
    મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે.
17 આવેનના તથા પી-બેસેથના યુવાનો તરવારથી માર્યા જશે
    અને બાકીના લોકોને ગુલામ તરીકે લઇ જવામાં આવશે.
18 જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે
    તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે
અને આખા મિસર પર વાદળ ઘેરાશે,
    અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે.
19 હું જ્યારે મિસરનું આવું કરીશ ત્યારે
    તે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”

મિસર કાયમ માટે દુર્બળ થશે

20 યહોયાકીન રાજાને બંદીવાન થયાના અગિયારમાં વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે મને યહોવા તરફથી આ સંદેશો મળ્યો: 21 “હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.”

22 તેથી યહોવા મારા માલિક, કહે છે, કે “હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું એનો સાજો અને પહેલાં મેં ભાંગેલો એમ બંને હાથ ભાંગી નાખનાર છું. અને તેના હાથમાંથી તરવાર પડી જશે. 23 હું મિસરીઓને બીજી પ્રજાઓમાં અને વિદેશીઓમાં વેરવિખેર કરી નાખીશ. 24 ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે.

25 “હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું. 26 હું મિસરવાસીઓને બીજી પ્રજાઓમાં અને અન્ય દેશોમાં વિખેરી નાખીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

આશ્શૂર એક કેદાર વૃક્ષની જેમ છે

31 યહોયાકીન રાજાને બંદીવાન થયાને અગિયારમે વર્ષે ત્રીજા માસની મધ્યમાં યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે:

“‘તારા જેવો મહાન
    અને વૈભવી બીજો કોણ છે?
તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે.
    તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે
    તું વાદળાને અડકે છે.
વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે.
    પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે.
તેના રોપાઓની આસપાસ
    નદીઓ વહેતી હતી;
અને તેના વહેણાંથી વનમાંના
    સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.
પુષ્કળ પાણીને લીધે જંગલના બીજા
    સર્વ વૃક્ષો કરતાં તે ઊંચું થયું
અને તેની ડાળીઓ ભરાવદાર
    અને પુષ્કળ થઇ.
દરેક જાતના પંખીઓએ
    તેમાં માળા બાંધ્યા,
એની છાયામાં બધાં જંગલી પશુઓએ
    બચ્ચાંને જન્મ આપ્યાં
અને અસંખ્ય પ્રજાઓએ
    એની છાયામાં વિશ્રામ કર્યો.
એ વૃક્ષ સુંદર અને મજબૂત હતું.
    અને તેની ડાળીઓ વિસ્તરેલી હતી,
    કારણ કે તેનાં મૂળ પાણી
    સુધી ઊંડા પહોંચેલા હતા.
દેવના ઉદ્યાનનું કોઇ પણ દેવદાર વૃક્ષ
    તેની બરાબરી કરી શકતું નહોતું, કોઇ પણ સરુના
કે ચિનારના વૃક્ષને એના જેવી શાખા નહોતી,
    મેદાનના કોઇ પણ વૃક્ષોને
તેની સુંદરતા સાથે સરખાવી ન શકાય.
    દેવના ઉદ્યાનનું કોઇ પણ વૃક્ષ તેની બરોબરી ન કરી શકે.
મેં યહોવાએ, તેને ઘટાદાર
    અને વિશાળ ડાળીઓ આપીને જે શોભા આપી હતી
તેથી એદેનવાડીના બીજાં
    વૃક્ષો તેની ઇર્ષા કરતા.’”

10 તેથી હવે હું, યહોવા મારા માલિક, આ પ્રમાણે કહું છું: “એ વૃક્ષ વધતું વધતું વાદળને અડે એટલું ઊંચું થયું, પણ એ જેમ જેમ ઊંચું થતું ગયું તેમ તેમ એનો ગર્વ વધતો ગયો. 11 તેથી મેં તેને પ્રજાઓમાં જે પરાક્રમી રાજા છે તેના હાથમાં સોંપી દીધું છે. તે તેની દુષ્ટતાની તેને યોગ્ય શિક્ષા કરશે. મેં પોતે તેને ફેંકી દીધું છે. 12 પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે. 13 પક્ષીઓ તેના તૂટી ગયેલા થડ પર બેસશે અને વન્ય પશુઓ તેની ડાળીઓ પર સૂઇ જશે.

14 “તેથી કરીને હવે પછી કોઇ પણ વૃક્ષ, તેને ભરપુર પાણી મળ્યું હશે તોયે, એટલું ઊંચું નહિ વધે કે વાદળને અડી શકે. બધાં જ વૃક્ષો ર્મત્ય માનવીની જેમ મરવાને સજાર્યા છે. અને જેઓ ઊંડી ખીણમાં નીચે જાય છે અને જેઓ બીજી દુનિયામાં વસે છે તેમને જઇ મળશે.”

15 યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા. 16 તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં. 17 તેની છાયામાં વસતી બધી પ્રજાઓ પણ, પહેલા જેઓ કપાઇ ગયા હતા તેમની વચ્ચે શેઓલમાં પહોંચી જશે.

18 “એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે.

“અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે.

ફારુન: એક સિંહ અથવા દૈત્ય?

32 યહોયાકીન રાજાને બંદીવાન થવાને બારમે વરસે બારમા મહનિના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન માટે વિલાપ ગીત ગા અને તેને કહે કે:

“‘તું પોતાને પ્રજાઓનો સિંહ માને છે,
    પણ તું છે પાણીમાંના મગર જેવો.
તું નદીનું પાણી ચારેબાજુ ઉડાડે છે,
    તારા પગથી પાણી અશુદ્ધ કરી નાખે છે
    અને નદીના પાણી દૂષિત કરે છે.’”

યહોવા મારા માલિક કહે છે:

“તને મારી જાળમાં પકડી લેવા માટે હું
    ઘણી પ્રજાઓનું સૈન્ય મોકલીશ,
    તેઓ તને ખેંચી લાવશે,
હું તને ખુલ્લી જમીન પર પછાડીશ
    અને ભલે પશુપંખીઓ તારી પર આવે,
બધાં પ્રાણીઓને તેઓ ધરાઇ જાય
    ત્યાં સુધી તારું માંસ ખાવા દઇશ.
હું ટેકરીઓને તારા માંસના ટુકડાઓથી ઢાંકી દઇશ
    અને ખીણોને તારા હાડકાથી ભરી દઇશ.
તારા લોહીથી હું ધરતીને તર કરી દઇશ.
    તારા લોહીથી પર્વતો છંટાઇ જશે
    અને નદીનાળા ઊભરાઇ જશે.
જ્યારે હું તને હોલવી દઇશ ત્યારે હું આકાશને ઢાંકી દઇશ,
    અને તારાઓને અંધકારમય કરી નાખીશ.
    હું સૂર્યને વાદળોથી ઢાંકી દઇશ અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.
હું આકાશના બધા નક્ષત્રોને અંધકારમાં ડુબાડી દઇશ
    અને તારા આખા દેશમાં અંધકાર ફેલાવી દઇશ.”
આ યહોવા મારા માલિકના વચન છે.

“અને હું ઘણા દેશોને ક્રોધિત કરીશ; જ્યારે હું તારા ટુકડાઓને એવા ભૂમિ પ્રદેશોમાં નાંખી દઇશ, જેના વિષે તું હજી જાણતો નથી. 10 તારા હાલ જોઇને તેઓ આઘાત પામશે. તેમના રાજાઓ પોતાની સામે મારી તરવારને ઘૂમતી જોઇ ભયભીત થઇ જશે. તારા પતનના દિવસે તેઓ બધા પોતાનો જીવ જવાના ભયથી થથરી જશે.”

11 કારણ કે યહોવા મારા માલિક કહે છે; “બાબિલના રાજાની તરવાર તારો પીછો પકડશે. 12 હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે. 13 તારી નદીઓ પાસે ચરનાર તારાં સર્વ ઘેટાંબકરાં અને ઢોરઢાંખરનો હું નાશ કરીશ. કોઇ માણસ કે પશુ જીવતા નહિ હોય કે જે તે પાણીને ડહોળે. 14 હું તારા બધાં જળાશયોને ઠરીને સ્વચ્છ થવા દઇશ અને તારી નદીઓને જૈતૂનના તેલની જેમ શાંતપણે વહેતી કરીશ.” યહોવા મારા માલિકે આ કહ્યું. 15 “જ્યારે હું મિસરને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ અને ત્યાંની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.

16 “મિસરના દુ:ખોને લીધે તેઓ વિલાપ ગીતો ગાશે. મિસર અને તેની પ્રજા માટે રાષ્ટ્રોની દીકરીઓ મરશિયા ગાશે.” આ યહોવા મારા માલિકના વચન છે.

મિસરનું નાશ પામવું

17 ત્યાર બાદ બારમા વર્ષમાં મહિનાના પંદરમાં દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, મિસરની સમગ્ર સેના માટે શોક કર. શેઓલમાં નીચે ઉતરતાં બીજા મજબૂત લોકોની સાથે તું તેઓને નરકમાં મોકલી આપ.”

19 તેને કહે, “હે મિસર, તું સૌદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? નીચે ઉતરી જા, અને બેસુન્નતોની કબરમાં જઇને પોઢી જા.

20 “મિસરને તરવારને સુપ્રત કરવામાં આવશે. તે અને તેની સમગ્ર સેના યુદ્ધમાં મરી ગયેલાઓ વચ્ચે પહોંચી જશે.

21 “જ્યારે તે પોતાના સર્વ મિત્રો સાથે કબરમાં જશે ત્યારે પરાક્રમી યોદ્ધાઓ ત્યાં તેઓનું સ્વાગત કરશે. જે પ્રજાઓનો તેણે ધિક્કાર કર્યો હતો તેઓની સાથે તે રહેશે. એ બધા તરવારથી માર્યા ગયેલાઓ છે.

22 “આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે. તેની આસપાસ તેના સર્વ લોકોની કબરો આવેલી છે. તે સર્વ તરવારથી માર્યા ગયા હતા. 23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેઓના સૈન્યની કબરો ત્યાં ચારે તરફ છે. લોકોને ત્રાસ પમાડનાર પોતે જ શત્રુઓના હાથે મૃત્યુ પામ્યા છે.

24 “એલામના મહાન રાજાઓ પણ ત્યાં પોતાના લોકોની સાથે મૃત્યુ પામેલા છે. તેઓ જીવતા હતા ત્યારે પ્રજાઓ માટે ત્રાસદાયક હતા. પરંતુ હવે તેઓ નરકમાં સબડે છે કબરમાં ઊતરી જનાર સામાન્ય માણસોની જેમ તેઓ લજ્જિત થયા છે. 25 એલામ યુદ્ધમાં માર્યા ગયેલાઓની વચમાં પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના યોદ્ધાઓની કબરો આવેલી છે. એ બધા વિશ્વાસઘાતી લોકો યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે બધાને ભયથી થથરાવી મૂકતા હતા. પણ અત્યારે તો તેઓ પોતાની લજ્જાની સાથે નરકમાં જઇને પડ્યાં છે, અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની દશા ભોગવે છે.

26 “મેશેખ અને તુબાલના રાજાઓ પણ ત્યાં છે અને તેઓની આસપાસ તેઓનાં સૈન્યોની કબરો છે. તેઓ બધા દુષ્ટો છે. એ વખતે બધા લોકોને તેઓ કંપાવતા હતા, પણ હવે તેઓ મરેલા પડ્યા છે. 27 પરંતુ પ્રાચીનકાળમાં રાજાઓને શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની ઢાલ તેમના શરીર પર મૂકીને તથા તેમની તરવાર તેમના માથાં નીચે મૂકીને મહાન આદર સાથે તેઓને દફનાવવામાં આવતાં હતાં. પરંતુ તું આદર સાથે મૃત્યુ પામીશ નહિ, પરંતુ તારા પાપ તારા હાડકાં પર રહેશે, કારણ જ્યારે તું જીવતો હતો ત્યારે તેં લોકોને ખુબજ હેરાન કર્યા હતા.

28 “પરંતુ, તને પણ બેસુન્નતોની સાથે મૃત્યુલોકમાં નીચે લઇ જવાશે અને તારી કબર જેઓ યુદ્ધમાં માર્યા ગયા છે તેમની સાથે હશે.

29 “પોતાના રાજાઓ અને સેનાપતિઓ સહિત ત્યાં અદોમ પણ છે. એ બધા બળવાન યોદ્ધાઓ હતા. પરંતુ અત્યારે એ દુષ્ટો યુદ્ધમાં માર્યા ગયેલાઓ ભેગા પોઢયા છે.

30 “ઉત્તરના સર્વ સરદારો ત્યાં છે, સર્વ સિદોનીઓની હત્યા થઇ છે. એક વખત તેઓ લોકોને કંપાવતા હતા, પણ અત્યારે તેઓ લજ્જિત થઇને મૃત્યુ પામ્યા છે. બીજા હત્યા થયેલા દુષ્ટોની સાથે તેઓ અપમાનિત થઇને દુષ્ટોની સ્થિતિમાં જ પૃથ્વીના ઊંડાણમાં પડ્યા છે.

31 “મિસરનો રાજા ફારુન એમને બધાને જોઇને યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સંખ્યાબંધ માણસોનાં મૃત્યુનો શોક ભૂલી જશે અને આશ્વાસન પામશે. એમ યહોવા મારા માલિક કહે છે.

32 “પ્રજાઓમાં ત્રાસ ફેલાવવા માટે મેં તેનો ઉપયોગ કર્યો હતો, છતાં તરવારથી હત્યા થયેલા સર્વ વિશ્વાસઘાતીઓ સાથે ફારુન અને તેના સૈન્યને પણ તરવારથી હણી કાઢવામાં આવશે.” એમ યહોવા મારા માલિક કહે છે.

1 પિતર 4

જીવન પરિવર્તન

જ્યારે ખ્રિસ્ત તેના શરીરમાં હતો ત્યારે તેણે વેદનાઓ સહન કરી તેથી જે રીતે ખ્રિસ્ત વિચારતો હતો તેવા વિચારોમાં તમારે સુદ્દઢ થવું જોઈએ. જે વ્યક્તિએ શરીરમાં દુ:ખો સહ્યાં છે તે પાપથી મુક્ત થયો છે. તમારી જાતને સુદ્દઢ બનાવો કે જેથી આ પૃથ્વી પર દેવ જેવું ઈચ્છે છે તેવું બાકીનું જીવન તમે જીવો અને નહિ કે લોકો ઈચ્છે છે તેવાં દુષ્ટ કાર્યો કરો. ભૂતકાળમાં અવિશ્વાસીઓ જે પસંદ કરે છે તેવા કાર્યો કરીને તમે તમારો ઘણો જ સમય વેડફી નાખ્યો. તમે વ્યભિચાર અને તમારી ઈચ્છા મુજબનાં દુષ્ટ કાર્યો કર્યા હતાં. તમે મદ્યપાન કરીને છકી ગયા હતા અને મોજશોખમાં અને મૂર્તિઓની પૂજા કરીને ખોટું કામ કર્યું હતું.

તે અવિશ્વાસીઓને આશ્વર્ય થાય છે કે તેઓ કરે છે તેવું જંગલી અને નિરર્થક કૃત્ય તમે કેમ નથી કરતા! અને તેથી તેઓ તમારી નિંદા કરે છે. પરંતુ તે લોકોએ જે કર્યું છે તેનુ તેઓને સ્પષ્ટીકરણ કરવું પડશે. તેઓએ આ સ્પષ્ટીકરણ તે એક જીવતાંઓનો તથા મૂએલાઓનો ન્યાય કરવાને તૈયાર છે તેની આગળ કરવું પડશે. જેઓ હાલ મૂએલાં છે તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, કારણ કે બધાની જેમ તે લોકોનો પણ ન્યાય કરવામાં આવશે. તેઓ જ્યારે જીવંત હતા ત્યારે તેઓએ જે બાબતો કરી હતી તેનો ન્યાય તોળવાનો હતો. પરંતુ તેઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવી કે જેથી તેઓ દેવના જેવા આત્મામાં જીવે.

દેવના કૃપાદાનોના સારા કારભારી બનો

એ સમય નજીક છે કે જ્યારે બધીજ વસ્તુઓનો અંત થશે. તેથી તમારા મન શુદ્ધ રાખો, અને તમારી જાત ઉપર નિયંત્રણ રાખો. તમને પ્રાર્થના કરવામાં આ મદદરૂપ બનશે. વધુ મહત્વનું એ છે કે, એક બીજા પર આગ્રહથી પ્રીતિ કરો. પ્રીતિ બધા પાપોને ઢાંકે છે. કોઇ પણ જાતની ફરીયાદ વગર એકબીજાને પરોણા રાખો. 10 તમારામાનાં દરેકને દેવ તરફથી આત્મિક કૃપાદાન પ્રાપ્ત થયું છે. દેવે તેની કૃપા વિવિધ રીતે તમને દર્શાવી છે. અને તમે એવા સેવક છો કે જે દેવના કૃપાદાનના ઉપયોગ માટે જવાબદાર છો. તેથી સારા સેવકો બનો. અને એકબીજાની સેવા કરવા કૃપાદાનનો ઉપયોગ કરો. 11 જો કોઈ વ્યક્તિ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો જોઈએ. અને જે સેવા કરે છે તેણે દેવ થકી પ્રાપ્ત થયેલ સાર્મથ્ય વડે સેવા કરવી જોઈએ. તમારે એવાં જ કાર્યો કરવા જોઈએ કે જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા દેવ મહિમાવાન થાય તેને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.

એક ખ્રિસ્તી જેવી યાતનાઓ

12 મારા મિત્રો, જે વેદનાઓ અત્યારે તમે સહી રહ્યા છો તેનાથી આશ્વર્ય ન પામશો. તે તો તમારા વિશ્વાસની કસોટી છે. એવું ના વિચારશો કે તમારા પ્રત્યે કશુંક નવું થઈ રહ્યું છે. 13 પરંતુ તમે ખ્રિસ્તની યાતનાના સહભાગી છો તે માટે તમારે આનંદ અનુભવવો જોઈએ. જ્યારે ખ્રિસ્ત તેનો મહિમા પ્રગટ કરશે ત્યારે તમે બહુ ઉલ્લાસથી ખૂબજ આનંદિત બનશો. 14 જ્યારે ખ્રિસ્તને અનુસરવાને કારણે લોકો તમારા વિષે ખરાબ બોલે છે, તો તમને ધન્ય છે, કારણ કે મહિમાનો આત્મા તમારી સાથે છે. તે આત્મા દેવનો છે. 15 ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા લોકોના કામમાં દખલ કરનારના જેવા ન થશો, આમ કરનાર વ્યક્તિ દુ:ખી થશે પરંતુ તમારામાંથી કોઇ દુ:ખી નહિ થાય. 16 પરંતુ ખ્રિસ્તી હોવાને લીધે તમે જો સહન કરો, તો તેનાથી શરમાશો નહિ. પરંતુ તે નામ (ખ્રિસ્તી) માટે તમારે દેવની સ્તુતિ કરવી જોઈએ. 17 કેમ કે ન્યાય માટેનો સમય આવી ગયો છે. તે ન્યાયની શરુંઆત દેવના કુટુંબ (મંડળી) થી થશે. ન્યાયની શરૂઆત આપણાથી થાય તો જેઓ દેવની સુવાર્તાના આજ્ઞાંકિત નથી તેઓનુ શું થશે?

18 “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે
    તો પછી જે માણસ દેવની વિરૂદ્ધ છે અને જે પાપી છે તેનું શું થશે?” (A)

19 માટે જે લોકો દેવની ઈચ્છા પ્રમાણે દુ:ખો સહન કરે છે તેઓ સાંરું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સુપ્રત કરે. દેવ એક છે જેણે તેઓને ઉત્પન્ન કર્યા છે, અને તેઓ તેનામાં વિશ્વાસ કરી શકે છે. તેથી તેઓએ સારા કામો કરવાનું ચાલું રાખવું જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International