Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
યર્મિયા 40-42

વારસામાં પ્રાપ્ત ભૂમિમાં યર્મિયાનો નિવાસ

40 રક્ષકોની ટુકડીના નાયક નબૂઝારઅદાને યર્મિયાને રામામાંથી મોકલી દીધો, તે પછી તેને યહોવાની વાણી સંભળાઇ, યરૂશાલેમ અને યહૂદિયાના બીજા જે લોકોને કેદી તરીકે બાબિલ દેશવટે લઇ જતા હતા તેમની ભેગો યર્મિયાને પણ ત્યાં લઇ જવાયો. સરદારે યર્મિયાને બોલાવ્યો અને કહ્યું, “યહોવા તમારા દેવ તેમણે આપેલા વચન પ્રમાણે આ વિપત્તિ દેશ પર લાવ્યા છે. અને હવે તેણે એ આફત ઉતારી છે; તેણે જે કરવાની ધમકી આપી હતી તે કરી છે, કારણ, તમે યહોવા સામે પાપ કર્યું છે અને તેનું કહ્યું કર્યું નથી. જો હવે હું તારા બંધનો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો ય વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. તારે જ્યાં જવું હોય ત્યાં તું જઇ શકે છે.” પરંતુ યર્મિયા જવાબ આપે તે પહેલાં જ નબૂઝારઅદાને કહ્યું, “તું જો અહીં વસવાનો નિર્ણય કરે તો પછી યહૂદિયા પાછો જા, કારણ કે બાબિલના રાજાએ ત્યાં ના લોકો પર ગદાલ્યાને હાકેમ તરીકે નીમેલો છે, અને તેની હકૂમત હેઠળના લોકો સાથે તું રહે. પરંતુ તેનો નિર્ણય તારે કરવાનો છે; તું ઇચ્છે ત્યાં જઇ શકે છે.”

ત્યારબાદ નબૂઝારઅદાને થોડો ખોરાક અને નાણાં યર્મિયાને આપ્યાં અને તેને વિદાય કર્યો. પછી યર્મિયા ગદાલ્યા પાસે પાછો આવ્યો અને યહૂદિયા પ્રાંતમાં રહેલા લોકો સાથે આવીને રહ્યો.

ગદાલ્યાનું ટુંકુ શાસન

હવે જ્યારે વગડામાંના સૈનિકોના નેતાઓને અને તેના માણસોએ સાંભળ્યું કે, જેમને બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યા નથી એવા દેશમાં બાકી રહેલા ગરીબ લોકો પર બાબિલના રાજાએ ગદાલ્યાને હાકેમ તરીકે નીમ્યો છે. તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા.

ગદાલ્યાએ તેમને અને તેમના માણસોને વચન આપ્યું કે, “બાબિલવાસીઓને તાબે થતાં ડરશો નહિ. આ દેશમાં ઠરીઠામ થઇને રહો અને બાબિલના રાજાની સેવા કરો. સૌ સારાવાના થશે. 10 જ્યાં સુધી મારો સવાલ છે, હું મિસ્પાહમાં વસીશ. અને જ્યારે જ્યારે બાબિલવાસીઓ આવશે ત્યારે હું તમને તેમની સામે રજુ કરીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગા કરી શકો છો અને તમે જે ગામો કબજે કર્યા છે તેમાં વસી શકો છો.”

11 તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા યહૂદિયાના લોકોએ સાંભળ્યું કે હજુ પણ થોડા લોકો વસવાટ કરે છે, યહૂદિયામાં ગદાલ્યાને તે બધાં લોકોનો નેતા તરીકે નીમવામાં આવ્યો જેમને તે બાબિલ લઇ ગયો નથી. 12 ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં.

13 પછી કારેઆહનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતાં, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા અને 14 તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાઅલીસે નથાન્યાના પુત્ર ઇશ્માએલને તમારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમની વાત પર વિશ્વાસ મૂકયો નહિ.

15 કારેઆહના પુત્ર યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે, ને તે વાતની કોઇને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? જે યહૂદિયાઓ પાછા ફર્યા છે તેઓનું શું થશે? શેષ યહૂદિયાના લોક તારી પાસે ભેગા થયા છે તે શા માટે વિખેરાઇ જાય અને નાશ પામે?”

16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે ના કરીશ, હું તને આમ કરવા માટે મનાઇ ફરમાવું છું, કારણ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”

41 અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેઓ ભોજન લઇ રહ્યા હતાં ત્યારે ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસો એકદમ ઊઠયા અને પોતાની તરવાર ખેંચીને ગદાલ્યાને મારી નાખ્યો. ઇશ્માએલે ત્યાં મિસ્પાહમાં ગદાલ્યા સાથે હાજર રહેલા યહૂદિયાના બધાં માણસોને અને ખાલ્દીઓના યોદ્ધાઓને પણ મારી નાખ્યા.

બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં, શખેમ, શીલોહ તથા સમરૂનમાંથી એંસી માણસો યહોવાની ભકિત કરવા માટે મંદિરમાં આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવેલી હતી તથા પોતાનાં કપડા ફાડ્યાં હતાં, અને પોતાના શરીરો પર ઘા કર્યા હતા. તેઓ અર્પણો તથા ધૂપ લઇને આવ્યા હતા. નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!” તેઓ બધા શહેરની મધ્યમાં પહોંચ્યા પછી ઇશ્માએલ તથા તેના માણસોએ દશ માણસો સિવાય સર્વને મારી નાખ્યા અને તેઓના મૃતદેહોને ટાંકામાં ફેંકી દીધા. પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખશો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધ ખેતરોમાં સંતાડેલા છે.” આથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેમના સાથીઓ ભેગા મારી ન નાખ્યા. ઇશ્માએલે મૃતદેહોને જે ટાંકામાં નાખી દીધા તે ઘણું મોટું હતું. આસા રાજાએ ઇસ્રાએલના રાજા બાઅશાથી રક્ષણ મેળવવા મિસ્પાહના નગરને કિલ્લેબંધ કર્યું ત્યારે તે બંધાવ્યું હતું.

10 ત્યારબાદ ઇશ્માએલ રાજકુમારીઓને તથા બાકી રહેલા લોકોને બંધકો તરીકે લઇ ગયો. જેઓને રક્ષક ટૂકડીના સરદાર નબૂઝારઅદાને અહીકામના પુત્ર ગદાલ્યાના તાબામાં સોપ્યાં હતાં. એ સર્વને લઇને તે આમ્મોન તરફ આગળ વધ્યો.

11 પરંતુ નથાન્યાનો પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડા કાર્યો કર્યા હતાં, તે વિષે કારેઆહના પુત્ર યોહાનાન અને સૈન્યના સર્વ અધિકારીઓ, જે તેની સાથે હતા તેઓએ સાંભળ્યું. 12 તેઓ પોતાના સર્વ માણસોને લઇને ઇશ્માએલની પાછળ તેની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેઓએ ગિબયોન પાસેના મોટા જળસમૂહ પાસે તેને પકડી પાડ્યો. 13 ઇશ્માએલે જેમને મિસ્પાહ ખાતે કેદ પકડ્યા હતા તે બધા માણસો યોહાનાન અને તેની સાથેના સૈનાનાયકોને જોઇને પ્રસન્ન થયા. 14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા. 15 પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો.

16 ગદાલ્યાને મારી નાખ્યાં પછી ઇશ્માએલ જે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને અધિકારીઓને, ગિબયોનથી લઇ આવ્યો હતો તે સર્વ બાકી રહેલા લોકોને પછી યોહાનાન અને તેના સૈન્યના અધિકારીઓ પોતાની સાથે લઇ ગયા.

મિસરમાં બચી નીકળવું

17 તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો. 18 તેઓને ડર લાગતો હતો કે હવે તે સમાચાર બાબિલ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. કારણ કે બાબિલના રાજાએ ગદાલ્યાને પસંદ કરીને નીમ્યો હતો અને ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો.

42 પછી કારેઆહનો પુત્ર યોહાનાન અને હોશાયાનો પુત્ર યઝાન્યા પણ બધા સૈનાનાયકો; નાના મોટા બધા લોકો સાથે પ્રબોધક યર્મિયા પાસે ગયા અને કહેવા લાગ્યા. “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારા તરફથી અને બાકી રહેલા આ લોકો તરફથી તમારા દેવ યહોવાને પ્રાર્થના કરો. તમે જુઓ છો કે અમે કેટલા બધા હતા અને કેટલા ઓછા થઇ ગયા છીએ. તમે એવી પ્રાર્થના કરો જેથી અમારા દેવ યહોવા અમારે ક્યાં જવું અને શું કરવું તે કહે.”

પ્રબોધક યર્મિયાએ કહ્યું, “ઠીક, મેં તમારી અરજ સાંભળી છે. હું તમારી ઇચ્છા મુજબ તમારા દેવ યહોવાને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે તમને જણાવીશ. કશું છુપાવીશ નહિ.”

ત્યારે તેમણે યર્મિયાને કહ્યું, “જો તમારી મારફતે યહોવાએ આપેલી બધી સૂચનાઓનું અમે પાલન ન કરીએ તો ભલે યહોવા અમારી વિરુદ્ધ મજબૂત અને વિશ્વાસુ સાક્ષી બની રહે. અમને પસંદ પડે, ન પડે પણ અમે અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું, જેની પ્રાર્થના કરવા અમે તમને મોકલીએ છીએ. અમે જો અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું તો સૌ સારા વાનાં થશે.”

દશ દિવસ વીતી ગયા પછી યર્મિયાને યહોવાએ પોતાનો જવાબ આપ્યો. તે સાંભળી તેણે યહોવાને તથા તેની સાથેના બધા સૈનાનાયકોને તેમજ નાનામોટા બધા લોકોને તેડાવી મંગાવ્યા. અને કહ્યું, “તમે મને ઇસ્રાએલના દેવ યહોવા પાસે તમારી અરજ રજૂ કરવા મોકલ્યો હતો. તે કહે છે; 10 ‘જો તમે ફરી આ દેશમાં જ નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ, તોડી પાડીશ નહિ, તમારા મૂળીયાં રોપીશ, ઉખેડી નાખીશ નહિ, કારણ તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે. 11 બાબિલના રાજાથી હવે તમે જરાય ડરશો નહિ, કારણ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું. 12 હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે. 13 ‘પરંતુ જો તમે યહૂદિયામાં બાકી રહેલા લોકો, એમ કહેવાનુ ચાલુ રાખશો, કે ના, અમે આ શહેરમાં નહિ રહીએ, તો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરશો.’ 14 અને એમ કહેશો કે, ‘અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’ 15 તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય; 16 તો તમે જે યુદ્ધથી ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે, અને ત્યાં તમે મરી જશો. 17 તમારામાંથી જે લોકો મિસરમાં જઇને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઇ રહી છે. હા, તમે તરવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઇ પણ બચવા પામશે નહિ.’

18 “કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.’”

19 યર્મિયાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે. 20 જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’ 21 યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી, 22 અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”

હિબ્રૂઓ 4

દેવે તૈયાર કરેલ વિશ્રાંતિનું વચન હજી મોજૂદ રહ્યું છતાં આપણામાંથી કોઈક ત્યાં પ્રવેશ મેળવવા નિષ્ફળ ન જાય માટે આપણે સાવચેત રહેવું જોઈએ. કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ. અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે,

“મેં મારા ક્રોધમાં સમ ખાધા કે:
    ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.’” (A)

દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું. શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા(B) દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”

તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો:

“આજે જો તમે દેવની વાણી સાંભળો,
    તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” (C)

આપણે જાણીએ છીએ કે યહોશુઆ લોકોને વિસામા તરફ દોરી ગયો હોત તો દેવે બીજા એક દિવસની વાત કરી ન હોત. આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે. 10 દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે. 11 તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ.

12 કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે. અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે. 13 આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી. તે સઘળું સ્પષ્ટ જોઈ શકે છે. તેની સમક્ષ બધુંજ ઉઘાડું છે. અને તેથી આપણે આપણાં બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે.

ઈસુ આપણને દેવની સમક્ષ જવામાં મદદ કરે છે

14 દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. જે આપણને મદદ કરવા અર્થે તે આકાશમાં ગયેલો છે. તેમનો વિશ્વાસ કરવામાં આપણે જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ. આપણે કદી પાછા ન પડીએ. 15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી. 16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International