M’Cheyne Bible Reading Plan
મૂસા દ્વારા પવિત્રમંડપની સ્થાપના
40 હવે યહોવાએ મૂસાને કહ્યું, 2 “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે. 3 પછી જેમાં દશ આજ્ઞાઓ મૂકેલી છે, તે સાક્ષ્યકોશ મંડપમાં મૂકજે; અને પરમપવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોશને પડદાથી ઢાંકી દેજે. 4 પછી મેજ લાવીને તેના પર પાત્રો ગોઠવજે, અને દીવી લાવીને તેના પર કોડિયાં ગોઠવીને દીવાઓ પ્રગટાવજે. 5 ત્યારબાદ સાક્ષ્યકોશ આગળ સોનાની ધૂપદાની ગોઠવજે.
6 “પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે. 7 મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી મૂકજે અને તેમાં પાણી ભરજે. 8 મુલાકાત મંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરજે અને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
9 “પછી અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરી, તેની તથા તેમાંના બધા રાચરચીલાની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે. 10 વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરી તેમની શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે. 11 કૂડી અને તેની ઘોડીની પણ શુદ્ધિ કરવા માંટે અભિષેક કરજે.
12 “પછી તું હારુનને અને તના પુત્રોને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેમને જળથી સ્નાન કરાવજે. 13 ત્યારબાદ હારુનને પવિત્ર પોશાક પહેરાવજે અને તેનો અભિષેક કરજે, અને યાજક તરીકે માંરી સેવા કરવા માંટે તેને પવિત્ર કરજે. 14 ત્યાર પછી તું તેના પુત્રોને આગળ લાવીને અંગરખાં પહેરાવજે. 15 તેમના પિતાની જેમ તમને પણ અભિષેક કરી યાજકપદે દીક્ષિત કરજે. તેમનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માંટે યાજકો બનશે.” 16 યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવા માંટે મૂસા આગળ વધ્યો.
17 બીજા વર્ષના પ્રથમ માંસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો. 18 મૂસાએ કૂભીઓ ગોઠવી. પાટિયાં બેસાડયાં, વળીઓ જડી દીધી અને થાંભલીઓ ઊભી કરી દીધી. 19 યહોવાએ તેને કહ્યું હતું તે પ્રમાંણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને છેક ઉપર આચ્છાદન લગાવ્યા.
20 અને તેની પર યહોવાની આજ્ઞા મુજબ ઢાંકણ પાથરી દીધું. તેણે સાક્ષ્યલેખ કોશમાં મૂકી, કડાંમાં દાંડીઓ બેસાડી કરારકોશને મથાળે ઢાંકણ મૂકી દીધું. 21 પછી પવિત્રકોશને તે પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો. 22 મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂકયો. 23 અને તેના ઉપર યહોવાની આજ્ઞા અનુસાર યહોવાને ધરાવેલી રોટલી મૂકી. 24 મુલાકાત મંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેમણે દીવી મૂકી. 25 અને યહોવાની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવા સમક્ષ દીવા સળગાવ્યાં.
26 મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી. 27 યહોવાની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો. 28 પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
29 તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માંટે વેદી ગોઠવી, અને તેના ઉપર બળેલાં દહનાર્પણ અને ખાધાર્પણ અર્પવા આ બધું તેણે દેવની આજ્ઞા મુજબ કર્યુ.
30 તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે કૂડી ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માંટે પાણી રેડયું; 31 મૂસા અને હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા અથવા આહુતિ અર્પણ કરવા વેદી પાસે જતા. 32 ત્યારે યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એમાંથી હાથપગ ધોતા.
33 તેણે પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભું કર્યુ. અને આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાંણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.
યહોવાનું ગૌરવ
34 ત્યારબાદ મુલાકાતમંડપને વાદળે ઘેરી લીધો. અને યહોવાનું ગૌરવ મંડપમાં વ્યાપી ગયું. 35 મૂસા મુલાકાત મંડપમાં પ્રવેશી શકયો નહિ, કેમ કે, વાદળ તેના પર સ્થિર થયું હતું, અને યહોવાનું ગૌરવ મંડપમાં પ્રસરી ગયું હતું.
36 ઇસ્રાએલીઓના પ્રવાસના પ્રત્યેક મુકામે જયારે વાદળ મંડપ પરથી હઠી જતું ત્યારે તે લોકો મુકામ ઉપાડતા. 37 પણ જો વાદળ પવિત્રમંડપ ઉપર સ્થિર થતું તો વાદળ હઠે નહિ ત્યાં સુધી તેઓ મુકામ ઉપાડતા નહિ. 38 દિવસ દરમ્યાન મુલાકાતમંડપ પર વાદળ આચ્છાદન કરે અને રાતે વાદળ અગ્નિમય બની જાય, એટલે ઇસ્રાએલી લોકો સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્રત્યેક મુકામને જોઈ શકતા.
19 પછી પિલાતે આજ્ઞા કરી કે ઈસુને દૂર લઈ જઈને કોરડા ફટકારો. 2 સૈનિકોએ કેટલીક કાંટાળી ડાળીઓનો મુગટ બનાવવામાં ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુના માથે મૂક્યો. પછી તે સૈનિકોએ જાંબુડા રંગનો ઝભ્ભો ઈસુને પહેરાવ્યો. 3 સૈનિકો ઈસુ પાસે ઘણીવાર આવ્યા અને કહ્યું, “હે યહૂદિઓના રાજા, સલામ!” તેઓએ ઈસુને ચહેરા પર માર્યો.
4 ફરીથી પિલાત બહાર આવ્યો અને યહૂદિઓને કહ્યું, “જુઓ! હું ઈસુને બહાર તમારી પાસે મોકલું છું. હું ઈચ્છું છું કે તમે જાણો કે મને તેની સામે ગુનો દાખલ કરવા કઈ મળ્યું નથી.” 5 પછી ઈસુ બહાર આવ્યો. તેણે કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેર્યો હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “અહીં તે માણસ છે!”
6 જ્યારે મુખ્ય યાજકો અને યહૂદિ ચોકીદારોએ ઈસુને જોયો તેઓએ બૂમ પાડી, “વધસ્તંભ પર તેને જડો! વધસ્તંભ પર તેને જડો!”
પરંતુ પિલાતે ઉત્તર આપ્યો, “તમે તેને લઈ જાઓ અને તેને તમારી જાતે વધસ્તંભે જડો. મને એનામાં તેની સામે આક્ષેપ મૂકવા કોઈ ગુનો જડ્યો નથી.”
7 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમારું નિયમશાસ્ત્ર છે તે કહે છે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ, કારણ કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે.”
8 જ્યારે પિલાતે આ સાંભાળ્યું, તે વધારે ગભરાયો. 9 પિલાત દરબારની અંદરની બાજુએ પાછો ગયો. તેણે ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ તેને કોઈ ઉત્તર આપ્યો નહિ. 10 પિલાતે કહ્યું, “તું મને કહેવાની ના પાડે છે? યાદ રાખ, તને મુક્ત કરવાની સત્તા મારી પાસે છે. તને વધસ્તંભ પર મારી નાખવાની સત્તા પણ મને છે.”
11 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા પરની જે સત્તા છે તે ફક્ત તને દેવે જ આપેલી છે તેથી જે માણસે મને તને સોંપ્યો છે તે વધારે મોટા પાપને માટે દોષિત છે.”
12 આ પછી, પિલાતે ઈસુને છોડી દેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ યહૂદિઓએ બૂમો પાડી. “જે કોઈ વ્યક્તિ પોતે રાજા હોવાનો દાવો કરે છે તે કૈસરનો વિરોધી છે તેથી જો તું આ માણસને છોડી દેશે તો એનો અર્થ એ કે તું કૈસરનો મિત્ર નથી.”
13 યહૂદિઓએ જે કહ્યું તે પિલાતે સાંભળ્યું. તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો. (યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે.) પિલાત ત્યાં ન્યાયાસન પર બેઠો. 14 હવે તે પાસ્ખાપર્વની તૈયારીનો દિવસ[a] હતો અને લગભગ બપોરનો સમય હતો. પિલાતે યહૂદિઓને કહ્યું, “તમારો રાજા અહીં છે!”
15 યહૂદિઓએ બૂમ પાડી, “તેને દૂર લઈ જાઓ! તેને દૂર લઈ જાઓ! તેને વધસ્તંભ પર જડો!”
પિલાતે યહૂદિઓને પૂછયું, “શું તમે ઈચ્છો છો કે હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?”
મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો, “અમારો રાજા ફક્ત કૈસર છે.”
16 તેથી પિલાતે ઈસુને તેને વધસ્તંભ પર જડીને મારી નાખવા સોંપ્યો.
ઈસુનું વધસ્તંભ પર મૃત્યુ
(માથ. 27:32-44; માર્ક 15:21-32; લૂ. 23:26-39)
સૈનિકોએ ઈસુને પકડયો. 17 ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને “તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો.” (યહૂદિ ભાષામાં તે જગ્યાને “ગુલગુથા” કહેવાય છે.) 18 ગુલગુથામાં તેઓએ ઈસુને વધસ્તંભ પર જડ્યો. તેઓએ બીજા બે મૅંણસોને વધસ્તંભ પર મૂક્યા. તેઓએ ઈસુને વચમાં રાખીને તેની આજુબાજુ બે માણસોને મૂક્યા.
19 પિલાતે એક નિશાની લખી અને વધસ્તંભ પર મૂકી. તે નિશાની પર લખેલું હતું. “નાઝરેથનો ઈસુ, યહૂદિઓનો રાજા.” 20 તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી. યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી.
21 મુખ્ય યહૂદિ યાજકોએ પિલાતને કહ્યું, “યહૂદિઓનો રાજા” એમ લખો નહિ પણ લખો, “આ માણસો કહ્યું, ‘હું યહૂદિઓનો રાજા છું.’”
22 પિલાતે ઉત્તર આપ્યો, “મેં જે લખ્યું છે તે હું બદલીશ નહિ.”
23 સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા. તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા. દરેક સૈનિકે એક ભાગ લીધો. તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો. તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો. 24 તેથી સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે તેના ભાગ પાડવા માટે આને ચીરવો જોઈએ નહિ પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી.” તે શાસ્ત્રમાં લખેલું છે એ સાચું થાય, તેથી આમ બન્યું:
“તેઓએ મારા લૂગડાં તેઓની વચ્ચે વહેંચ્ચા.
અને તેઓએ મારા લૂગડાં માટે ચિઠ્ઠીઓ નાખી.” (A)
તેથી સૈનિકોએ આ કર્યુ.
25 ઈસુની મા તેના વધસ્તંભ નજીક ઊભી હતી. તેની માની બહેન કલોપાની પત્ની તથા મગ્દલાની મરિયમ પણ ત્યાં હતી. 26 ઈસુએ તેની માને જોઈ તથા તે જેના પર પ્રેમ રાખતો હતો તે શિષ્યને પણ ત્યાં ઊભેલો જોયો. તેણે તેની માને કહ્યું, “વહાલી બાઈ, તારો દીકરો અહીં છે.” 27 પછી ઈસુએ શિષ્યને કહ્યું, “અહીં તારી મા છે.” તેથી આમ કહ્યાં પછી, આ શિષ્ય ઈસુની માને તેના ઘરે રહેવા લઈ ગયો.
ઈસુ મૃત્યુ પામે છે
(માથ. 27:45-56; માર્ક 15:33-41; લૂ. 23:44-49)
28 પાછળથી, ઈસુએ જાણ્યું કે હવે બધુંજ પૂરું થઈ ગયું છે તેથી શાસ્ત્રવચન પ્રમાણે પૂર્ણ કરવા તેણે કહ્યું, “હું તરસ્યો છું.”[b] 29 ત્યાં સરકાથી ભરેલું વાસણ હતું તેથી સૈનિકોએ તેમાં વાદળી બોળી અને તેઓએ ઝૂફાના છોડની એક ડાળી પર વાદળી મૂકી. પછી તેઓએ તે ઈસુના મોંમાં મૂકી. 30 ઈસુએ તે સરકો ચાખ્યો. પછી તેણે કહ્યું, “સંપૂર્ણ થયું.” ઈસુએ તેનું માથું નમાવ્યું અને મૃત્યુ પામ્યો.
31 આ દિવસ તૈયારીનો દિવસ હતો. બીજો દિવસ ખાસ સાબ્બાથ દિવસ હતો. યહૂદિઓ ઈચ્છતા નહોતા કે સાબ્બાથના દિવસે વધસ્તંભ પર મુડદાં રહે. તેથી તેઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગવામાં આવે જેથી તેઓ જલદી મરણ પામે અને તેઓના મુડદાં વધસ્તંભ પરથી ઉતારી શકાય. 32 તેથી તે સૈનિકો આવ્યા અને ઈસુની બાજુમાં વધસ્તંભ પરના પહેલા માણસના પગ ભાંગી નાખ્યા. 33 પરંતુ જ્યારે તે સૈનિક ઈસુની નજીક આવ્યા. તેઓએ જોયું કે તે ખરેખર મૃત્યુ પામી ચૂક્યો હતો તેથી તેઓએ તેના પગ ભાંગ્યા નહિ.
34 પણ સૈનિકોમાંના એકે ઈસુની કૂખમાં તેનો ભાલો ભોંકી દીધો. તેથી લોહી અને પાણી બહાર નીકળ્યા. 35 (જે વ્યક્તિએ આ બનતા જોયું તેણે તે વિષે કહ્યું. તેથી તમે પણ વિશ્વાસ કરી શકો તે જે વાતો કહે છે તે સાચી છે. તે જાણે છે કે તે સાચું કહે છે.) 36 આ બાબતો બની તેથી કરીને શાસ્ત્રવચન પૂર્ણ થયું છે. “તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37 બીજા શાસ્ત્રવચનમાં કહ્યું છે, “જેને તેઓએ વીધ્યો તેને તેઓ જોશે.”(B)
ઈસુનું દફન
(માથ. 27:57-61; માર્ક 15:42-47; લૂ. 23:50-56)
38 પાછળથી, અરિમથાઈનો યૂસફ નામનો માણસ પિલાતને ઈસુના દેહને લઈ જવા માટે પૂછયું. (યૂસફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો. પરંતુ તેણે ગુપ્ત રાખ્યું, કારણ કે તે યહૂદિઓથી બીતો હતો.) પિલાતે કહ્યું કે યૂસફ ઈસુના દેહને લઈ જઈ શકે તેમ છે. તેથી યૂસફ આવ્યો અને ઈસુના દેહને લઈ ગયો.
39 નિકોદેમસ યૂસફ સાથે ગયો. નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી. નિકોદેમસ આશરે 100 શેર સુગંધી દ્રવ્ય લાવ્યો. આ એક બોર તથા અગરનું મિશ્રણ હતું. 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. તેઓએ તેને સુગધીદાર દ્રવ્યો સાથે શણના લૂગડાંના ટુકડાઓમાં લપેટ્યું હતું. (આ રીતે યહૂદિઓ લોકોને દફનાવે છે.) 41 જ્યાં ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો, ત્યાં એક બાગ હતો. તે બાગમાં ત્યાં એક નવી કબર હતી. ત્યાં પહેલા કોઈ વ્યક્તિને દફનાવવામાં આવી ન હતી. 42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા.
16 માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ છેલ્લો નિર્ણય તો યહોવાના હાથમાં છે.
2 વ્યકિતને પોતાનું બધું આચરણ સાચું લાગે છે પરંતુ યહોવા તેના અંતરને પારખે છે.
3 તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે.
4 યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે સર્જી છે; હા, દુષ્ટોને પણ, સંકટના કાળ માટે સર્જ્યા છે.
5 દરેક અભિમાની વ્યકિતને યહોવા ધિક્કારે છે, ખાતરી રાખજો તેને સજા થયા વગર નહિ રહે.
6 દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.
7 જ્યારે કોઇ વ્યકિતના જીવનથી યહોવા ખુશ થાય છે ત્યારે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે.
8 અન્યાયથી મળેલી ધણી આવક કરતા, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.
9 વ્યકિતનું મન માર્ગ પસંદ કરે છે, પરંતુ માત્ર યહોવા જ તેના પગલાને નક્કી કરે છે.
10 રાજાના મુખમાં પ્રેરણાત્મક નિર્ણયો વસે છે, તે જ્યારે ન્યાય કરે છે ત્યારે ભૂલ કરતો નથી.
11 અદલ કાંટો તથા ત્રાજવાં યહોવાનાં છે. કોથળી માંહેનાં સર્વ કાટલાં તેનું કામ છે.
12 અનિષ્ટ વસ્તુઓ કરવી એ રાજા માટે અક્ષમ્ય છે, સારા કામોથી રાજગાદી સ્થાપિત થાય છે.
13 સાચી વાણીથી રાજાઓ રીઝે છે, અને સત્યવાદી ઉપર તેઓ પ્રેમ રાખે છે.
14 રાજાનો રોષ યમદૂતો જેવો છે; પણ શાણી વ્યકિત તેના ગુસ્સાને શાંત પાડે છે.
15 જ્યારે રાજાનું મુખ પ્રસન્ન હોય છે ત્યારે જીવન સુરક્ષિત હોય છે, એની કૃપા વરસાદના વાદળ જેવી છે.
16 સોના કરતાં જ્ઞાન મેળવવું એ ઉત્તમ છે! અને ચાંદી કરતા સમજણ મેળવવી વધારે યોગ્ય છે.
17 પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.
18 અભિમાનનું પરિણામ નાશ છે, અને પતનની પહેલાં ગવિર્ષ્ઠ સ્વભાવ આવે છે.
19 ગરીબની સાથે નમ્રતા રાખવી તે અભિમાનીની લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.
20 જે યહોવાના વચનને ગણકારે છે તેનું હિત થશે. અને જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે.
21 જ્ઞાની અંત:કરણવાળો શાણો કહેવાશે; તેની મીઠી વાણી જ્ઞાનનો વધારો કરે છે.
22 જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.
23 જ્ઞાની હૃદય વ્યકિતની વાણીને દોરવણી આપે છે અને તે હોઠ ઉપર જ્ઞાનનો વધારો કરે છે.
24 માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને સ્વાદે મીઠી અને હાડકા માટે તંદુરસ્ત આપે છે.
25 એક એવો પણ માર્ગ હોય છે જે લાગે સીધો પણ લઇ જાય છે મૃત્યુ તરફ.
26 મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેનું મોઢું માણસને જંપીને બેસવા દેતું નથી.
27 નકામો માણસ દુષ્ટ યોજનાઓ ઘડે છે. તેની જીભે બળબળતો અજ્ઞિ છે.
28 દુષ્ટ માણસ કજિયા-કંકાસ કરાવે છે, લોકો વિષે અનિષ્ટ બોલનારી વ્યકિત મિત્રોમાં ફૂટ પડાવે છે.
29 હિંસક માણસ પોતાના પડોશીને છેતરીને ખરાબ માર્ગે દોરી જાય છે. 30 આંખ મટકાવનાર વ્યકિત મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે, અને હોઠ ભીડનાર વ્યકિત કંઇક અનિષ્ટ કરી રહી હોય છે.
31 માથે પળિયાં એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.
32 જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.
33 લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.
બીજા બધા કરતાં ખ્રિસ્ત વધુ મહત્વનો છે
3 અને હવે, મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાઓ. તમને ફરીથી લખવામાં મને કોઈ તકલીફ નથી, અને આમ કરવાથી તમે વધુ જાગૃત બનશો.
2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. 3 આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા. 4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે. 5 હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો. 6 હું મારા યહૂદી ધર્મથી એટલો બધો ઉત્તેજીત હતો કે મેં મંડળીને સતાવેલી. હું જે રીતે મૂસાના નિયમ શાસ્ત્રને અનુસર્યો હતો તેમા કોઈ દોષ શોધી શકે તેમ નહોતો. 7 એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી. 8 માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો. 9 આને કારણે હું ખ્રિસ્ત દ્વારા ન્યાયી છું. હું નિયમશાસ્ત્રને અનુસર્યો એને કારણે આ બન્યું નથી. પરંતુ ખ્રિસ્તમાં મારા વિશ્વાસને કારણે શક્ય બન્યું હતું. દેવે મારા ખ્રિસ્તમાંના વિશ્વાસનો ઉપયોગ મને તેને અનુરૂપ બનાવવામાં કર્યો. 10 હું માત્ર ખ્રિસ્તને અને મૃત્યુમાંથી સજીવન થવાના સાર્મથ્યને જાણવા માંગુ છું. હું ખ્રિસ્તની વ્યથામાં સહભાગી થવા માંગુ છું અને તેના મરણમાં તેના સમાન થવા માગું છું. 11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું.
ધ્યેય સુધી પહોંચવાનો પ્રયત્ન
12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે. 13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે.
15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે. 16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ.
17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો. 18 ઘણા લોકો ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મન જેવું જીવન જીવે છે. મે તમને ધણી વાર આ લોકો વિષે કહ્યું છે અને હમણાં પણ તેઓના વિષે રડતા રડતા કહું છું. 19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે. 20 આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 21 તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International