Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 30

ધૂપદાની

30 દેવે મૂસાને કહ્યું, “ધૂપદાની માંટે તારે એક વેદી બનાવવી. એ બાવળના લાકડાની બનાવવી. તે એક હાથ ઊચી અને એક હાથ સમચોરસ બનાવવી અને વેદીના લાકડામાંથી જ કોતરીને તેનાં શિંગ બનાવવા, શિંગ જુદા બનાવીને વેદી પર જોડવા નહિ. તે વેદી સાથે એક નંગ હોવું જોઈએ. વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવો અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી. એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા. દશ આજ્ઞાઓ જેમાં મૂકી છે તે સાક્ષ્યકોશ આગળના પડદા સામે એ વેદી મૂકવી ત્યાં હું તેમને દર્શન દઈશ.

“એ વેદી પર પ્રતિદિન સવારે દીવાબત્તી તૈયાર કરતી વખતે હારુને સુગંધી ધૂપ કરવો. અને રોજ સાંજે તે દીવાઓ પ્રગટાવે ત્યારે યહોવાની સંમુખ ધૂપ કરવો. તારે પેઢી-દર-પેઢી કાયમ યહોવા સમક્ષ ધૂપ કરવો, તારે એ વેદી પર નિષિદ્ધ ધૂપ કરવો નહિ, કે દહનાર્પણ કે ખાધાર્પણ કે પેયાર્પણ અર્પણ કરવાં નહિ.

10 “વર્ષમાં એક વાર હારુને પ્રાયશ્ચિતને માંટે પાપાર્થાર્પણનું રકત લઈને શિંગ ઉપર લગાડી વેદીને પવિત્ર કરવાની છે. પેઢી-દર-પેઢી નિયમિત રીતે આ વાર્ષિક વિધિનું પાલન કરવું, કારણ કે આ વેદી યહોવાની પરમપવિત્ર વેદી છે.”

મંદિરની જકાત

11 યહોવાએ મૂસાને કહ્યું, 12 “તું જ્યારે ઇસ્રાએલીઓની વસ્તીગણતરી કરે ત્યારે જે પુરુષોનું નામ નોંધાય તેણે જ પોતાના જીવન માંટે યહોવા સમક્ષ ખંડણી ભરવી, જેથી તું ગણતરી કરે ત્યારે લોકો પર કોઈ આફત ન આવે. 13 વસ્તીગણતરીમાં નોંધાયેલા દરેક માંણસો ખંડણી પેટે અડધો શેકેલ યહોવાને અર્પણ તરીકે આપવો. (એટલે અધિકૃત માંત્રામાં અડધો શેકેલ જે 20 ગેરાહનું વજન હોય છે). 14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વરસના કે તેથી વધુ ઉમરના દરેક માંણસે આ જકાત આપવી. 15 મને તમાંરા જીવનના બદલામાં આ જકાત આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. 16 ઇસ્રાએલીઓ પાસેથી મળેલાં જીવનના બદલામાં ચૂકવાતાં પ્રાયશ્ચિતના નાણાં મુલાકાતમંડપની સેવામાં ખર્ચવાં. આ અર્પણ યહોવાને ઇસ્રાએલી લોકોની યાદ અને તેમના જીવનની કિંમત તરીકે આવશે.”

હાથપગ ધોવાની કૂંડી

17 યહોવાએ મૂસાને કહ્યું, 18 “હાથપગ ધોવા તારે કાંસાની ઘોડીવાળી એક કાંસાની કૂડી બનાવવી, અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકી તેમાં પાણી ભરવું. 19 હારુને અને તેના પુત્રોએ હાથપગ ધોવામાં એ પાણીનો ઉપયોગ કરવો. 20 જો તેમણે એ પાણીથી હાથપગ ધોયા હશે તો તેઓ મુલાકાતમંડપમાં સેવા કરવા જશે અથવા બલિ ચઢાવવા વેદી પાસે જશે ત્યારે તેઓ મૃત્યુ પામશે નહિ. 21 તેઓ મૃત્યુ ન પામે તેટલા માંટે તેમણે અચૂક હાથપગ ધોવા. આ શાશ્વત કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો છે. હારુન અન તેના પુત્રો માંટે આ સૂચનાઓ છે.”

અભિષેકનું તેલ

22 પછી યહોવાએ મૂસાને કહ્યું, 23 “શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સુગંધીઓ લેવી, 12 પૌંડ ચોખ્ખો બોળ, 6 પૌંડ સુગંધીદાર તજ, 6 પૌંડ સંગધીદાર બરુ 24 અને 12 પૌંડ દાલચીનીએ બધું પવિત્રસ્થાનના વજન પ્રમાંણે લેવું. અને એક ગેલન જૈતૂનનું તેલ લેવું.

25 “નિષ્ણાંત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું. 26 તારે મુલકાતમંડપને, કરારકોશનો, 27 બાજઠ અને તેની બધી સામગ્રીઓનો, દીવીનો અને તેનાં સાધનોનો, ધૂપની વેદીનો, 28 દહનાર્પણની વેદીનો અને તેનાં સાધનોનો તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીનો અભિષેક કરવો. 29 આ પ્રમાંણે આ બધી વસ્તુઓની શુદ્ધિ કરવી એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને અડકે તે પવિત્ર થઈ જશે.

30 “ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોને અભિષેક કરી માંરા યાજકો તરીકે દીક્ષા આપવી. 31 તારે ઇસ્રાએલીઓને કહેવું, તમાંરે પેઢી દર પેઢી આ અભિષેકના તેલના પવિત્રતા સાચવી રાખવી. 32 સામાંન્ય માંણસોને શરીરે એ ન લગાડવું. અને એ નુસખા પ્રમાંણે બીજું તેલ બનાવવું નહિ એ પવિત્ર છે અને તમાંરે એને પવિત્ર ગણીને ચાલવાનું છે. 33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.”

ધૂપ

34 યહોવાએ મૂસાને ધૂપ બનાવવા માંટે આ સૂચનાઓ આપી: 35 “તારે રાજન, કેરબા, શિલારસ, અને શુદ્ધ લોબાન સરખે ભાગે લઈ તે મિશ્રણમાંથી સુગંધી ધૂપ બનાવવો, તેને સરૈયો બનાવે તેવીજ રીતે બનાવવો. એ ધૂપને શુધ્ધ અને પવિત્ર રાખવા તેમાં મીઠુ મેળવવું. 36 એમાંથી થોડો ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમાંરે આ ધૂપને અત્યંત પવિત્ર સમજવાનો છે. 37 આ નુસખા પ્રમાંણેનો ધૂપ તમાંરે પોતાના ઉપયોગ માંટે બનાવવાનો નથી. તમાંરે એને માંરે માંટે જ અલગ રાખેલી પવિત્રવસ્તુ ગણવી. 38 જો કોઈ પોતાના ઉપયોગ માંટે તે બનાવે, તો તેનો યહોવાના સમાંજમાંથી બહિષ્કાર કરવો.”

યોહાન 9

જન્મથી આંધળા માણસને ઈસુ સાજો કરે છે

ઈસુ જ્યારે ચાલતો હતો ત્યારે, તેણે એક આંધળા માણસને જોયો. આ માણસ જન્મથી આંધળો હતો. ઈસુના શિષ્યોએ પૂછયું, “રાબ્બી, આ માણસ જન્મથી જ આંધળો છે. પરંતુ કોના પાપથી તે આંધળો જનમ્યો? તેના પોતાના પાપે, કે તેના માબાપના પાપે?”

ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય. જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી. જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”

ઈસુએ આમ કહ્યાં પછી, ઈસુ ધૂળ પર થૂંકયો તે સાથે થોડો કાદવ બનાવ્યો. ઈસુએ તે માણસની આંખો પર કાદવ મૂક્યો. ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.

કેટલાક માણસોએ આ માણસને પહેલા ભીખ માગતો જોયો હતો. આ લોકોએ અને તે માણસના પડોશીઓએ કહ્યું, “જુઓ! આ એ જ માણસ છે જે હંમેશા બેસીને ભીખ માગતો હતો.”

કેટલાક લોકોએ કહ્યું, “હા! તે એ જ માણસ છે,”

પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે એ જ માણસ નથી. તે ફક્ત તેના જેવો દેખાય છે.” તેથી તે માણસે પોતે કહ્યું કે, “હું એ જ માણસ છું જે પહેલાં આંધળો હતો.”

10 લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”

11 તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો. તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો. પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો.”

12 લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?”

તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”

ઈસુએ સાજા કરેલા માણસને યહૂદિઓ પ્રશ્ન પૂછે છે

13 પછી લોકો તે માણસને ફરોશીઓ પાસે લાવ્યા જે આંધળો હતો. 14 ઈસુએ કાદવ બનાવીને તે માણસની આંખો સાજી કરી. જે દિવસે ઈસુએ આ કર્યું તે વિશ્રામવાર હતો. 15 તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછયું, “તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”

તે માણસે ઉત્તર આપ્યો, “તેણે મારી આંખો પર કાદવ મૂક્યો. મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું.”

16 કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”

બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.

17 યહૂદિ અધિકારીઓએ તે માણસને ફરીથી પૂછયું, “આ માણસે (ઈસુ) તને સાજો કર્યો, અને તું જોઈ શકે છે. તું એના વિષે શું કહે છે?”

તે માણસે ઉત્તર આપ્યો, “તે એક પ્રબોધક છે.”

18 યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા. 19 તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”

20 માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો. 21 પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.” 22 તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.

24 તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”

25 તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”

26 યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”

27 માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”

28 યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ. 29 અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”

30 તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે. 31 આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય. 32 જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય. 33 આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”

34 યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.

આત્મિક અંધાપો

35 ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, “શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”

36 તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”

37 ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”

38 તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.

39 ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”

40 કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”

41 ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”

નીતિવચનો 6

પ્રકીર્ણ વચનો

મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય, તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય, તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર. સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ. હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

આળસુના બનો

ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા. તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી. છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.

ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ? 10 તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.” 11 તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.

દુષ્ટ માણસ

12 નકામો અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતો કરશે. 13 તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે. 14 તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે. 15 આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.

એ સાત વાતો જેને યહોવા ઘૃણા કરે છે

16 યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17     તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ,
    નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ,
18     દુષ્ટ કાવતરાં રચનાર હૃદય,
    નુકશાન કરવા દોડી જતા પગ,
19     શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી.
    અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

20 મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ. 21 એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે. 22 તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.

23 આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે. 24 એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે. 25 તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ. 26 કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે. 27 જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે? 28 જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે? 29 એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.

30 જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા. 31 પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ. 32 જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે. 33 તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ. 34 કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ. 35 તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.

ગલાતીઓ 5

તમારી સ્વતંત્રતા જાળવી રાખો

સ્વતંત્રતામાં જીવવા ખ્રિસ્તે આપણને મુક્ત બનાવ્યા. તેથી દઢ રહો, બદલાશો નહિ અને નિયમની ગુલામી તરફ પાછા ન વળશો. સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી. ફરીથી હું દરેક માણસને ચેતવું છું: જો તમે સુન્નતને આવકારી, તો તમારે બધા જ નિયમો અનુસરવા જોઈએ. નિયમશાસ્ત્ર થકી જો તમે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરશો, તો ખ્રિસ્ત સાથેના તમારા જીવનનો અંત આવશે તમે દેવની કૃપાથી વિમુખ થયા છો. પરતું અમે આશા રાખીએ છીએ. દેવની સાથે ન્યાયી બનીશું. અને અમે આ માટે આત્મા દ્વારા આશાની રાહ જોઈએ છે. જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.

તમે સારી રીતે દોડી રહ્યા હતા. તમે સત્યથી આજ્ઞાંકિત હતા. તમને કોણે હવે વધુ લાંબા સમય માટે સત્યનો માર્ગ નહિ અનુસરવા સમજાવ્યા? એ એક (દેવ) જેણે તમને પસંદ કર્યા છે તેના તરફથી તો તે સમજાવટ નથી જ આવી. સાવધ રહેજો! “માત્ર થોડું ખમીર આખા લોદાને ફુલાવે છે.” 10 મને પ્રભુમાં વિશ્વાસ છે કે તમે તે જુદા વિચારોમાં માનશો નહિ. તે વિચારોથી કેટલાક લોકો તમને મુંઝવણમાં મૂકે છે. તે વ્યક્તિ જે કોઈ હશે તેને શિક્ષા થશે.

11 મારા ભાઈઓ અને બહેનો, લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ તેવો ઉપદેશ હું આપતો નથી. જો હું સુન્નતનો ઉપદેશ આપતો હોઉં તો મને શા માટે સતાવાય છે? જો હજુ પણ હું એવો ઉપદેશ આપતો હોઉં કે લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ, તો વધસ્તંભ માટેના મારા ઉપદેશ માટે કોઈ સમસ્યા નથી. 12 હું ઈચ્છું છું કે જે લોકો તમારી કનડગત કરે છે તેઓ સુન્નતની સાથે ખમીરનો પણ સમાવેશ કરશે.

13 મારા ભાઈઓ અને બહેનો, દેવ તમને મુક્ત થવા બોલાવે છે. પરંતુ તમારી સ્વતંત્રતાના બહાના હેઠળ એવી વસ્તુ ના કરશો જે તમારા પાપી સ્વભાવને પ્રફૂલ્લિત કરે. પરંતુ પ્રેમથી એકબીજાની સેવા કરો. 14 સમગ્ર નિયમ આ એક જ આજ્ઞામાં સમાવેશ થયો છે: “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.”(A) 15 તમે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને એકબીજાને તોડી પાડવાનું ચાલુ રાખો છો; સાવધ રહો! તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરશો.

આત્મા અને માનવી સ્વભાવ

16 તો હું તમને કહું છું: આત્માને અનુસરીને જીવો. તો તમારો પાપી દેહ ઈચ્છે છે તેવા પાપી કામો તમે નહિ કરો. 17 આપણો દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. અને આત્મા જે આપણા પાપી દેહની વિરુંદ્ધ છે તે ઈચ્છે છે. આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુંદ્ધ છે. તેથી તમે જે ખરેખર ઈચ્છો છો, તે વસ્તુ તમે કરતા નથી. 18 પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.

19 આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત, 20 જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી, 21 અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી. 22 પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, 23 નમ્રતા, તથા સંયમ છે એવાંની વિરુંદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે. 24 જે લોકો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાં બધસ્તંભે જડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ ત્યાગ કર્યો છે. 25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ. 26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International