M’Cheyne Bible Reading Plan
36 “બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”
2 પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું. 3 ઇસ્રાએલીઓએ મંદિર બાંધવા માંટે જે જે ભેટો આપી હતી તે બધી મૂસાએ તેમને સોંપી દીધી. તેમ છતાં ઇસ્રાએલીઓ પ્રતિદિન સવારમાં ભેટ લાવતા રહ્યા. 4 તેથી મંદિરનું કામ કરનારા બધાજ કારીગરો પોતપોતાનું કામ છોડીને મૂસા સમક્ષ આવીને કહેવા લાગ્યા, 5 “યહોવાએ જે કામ કરવાની આજ્ઞા કરી છે તે પૂરુ કરવા માંટે જરૂરી હોય તેના કરતાં ધણું વધારે લોકો લાવ્યા કરે છે.”
6 તેથી મૂસાએ આખી છાવણીમાં ઢંઢેરો પિટાવ્યો કે હવે વધુ ભેટ લાવવાની જરૂર નથી. એટલે લોકોએ ભેટ લાવવાનું બંધ કર્યું. 7 અત્યાર સુધીમાં જે કાંઈ આવ્યું હતું તે બધું કામ પૂરુ કરવા માંટે જોઈએ તેના કરતાં વધારે હતું.
પવિત્ર મંડપ
8 સૌથી કુશળ કારીગરોએ પવિત્રમંડપ બનાવ્યો. ઝીણાં કાંતેલા શણ અને ભૂરા કિરમજી અને લાલ ઊનના દશ પડદાઓથી તેમણે તંબુ બનાવ્યો. એના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરેલી હતી. 9 પ્રત્યેક પડદો 28 વાર લાંબો અને 4 વાર પહોળો હતો. બધા જ પડદા સમાંન માંપના હતા. 10 તેમણે પાંચ તાકા જોડીને એક મોટો પડદો બનાવ્યો, અને બીજા પાંચનો બીજો મોટો પડદો બનાવ્યો. 11 તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં. 12 તેમણે એક મોટા પડદાના પહેલાં પડદાને 50 નાકા બનાવ્યા, અને બીજા મોટા પડદાના છેલ્લા પડદાને એની બરાબર સામે આવે એ રીતે 50 નાકાં બનાવ્યાં. 13 આ નાકાંઓને જોડવા માંટે તેમણે 50 સોનાની કડીઓ બનાવી. અને તેના વડે આ બે પડદાઓને જોડી દીઘા એટલે પવિત્રમંડપનો એક સળંગ તંબુ રચાયો.
14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા. 15 પ્રત્યેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હતો. બધા પડદા એક જ માંપના હતા. 16 બઝાલએલ પાંચ પડદા એકબીજા સાથે જોડી દઈને એક મોટો પડદો બનાવ્યો અને બીજા છ નો બીજો એક મોટો પડદો બનાવ્યો; 17 પછી તેમણે પહેલા મોટા પડદાના છેલ્લા તાકાને 50 નાકાં મૂક્યાં અને બીજા મોટા પડદાની બાજુએ બીજા પચાસ નાકાં મૂક્યાં. 18 આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો. 19 તેમણે પવિત્રમંડપની છતનું સૌથી ઉપરનું આવરણ બનાવ્યુ. પહેલું ઘેટાનાં લાલ રંગેલાં ચામડાઓમાંથી તથા બીજુ બકરાંના પકવેલાં કુમાંશદાર ચામડાનું બનાવ્યું.
20 પવિત્રમંડપની બાજુની ભીતો માંટે ઊભા ગોઠવવા તેમણે બાવળનાં પાટિયાં તૈયાર કર્યા. 21 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું. 22 પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં; 23 દક્ષિણ બાજુએ ભીત માંટે 20 પાટિયાં હતાં. 24 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતા, પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં ઊભું કર્યુ હતું. 25 ઉત્તર બાજુએ ભીત માંટે પણ 20 પાટિયાં હતાં. 26 તે 20 પાટિયાં ચાંદીની 40 કૂભીઓમાં ઊભા કર્યા હતાં. પ્રત્યેક પાટિયું બે કૂભીઓ વચ્ચે ઊભુ કર્યુ હતું. 27 મુલાકાતમંડપનો પાછળનો ભાગ પશ્ચિમ દિશામાં હતો અને તેની પછીત માંટે છ પાટિયાં બનાવ્યાં હતાં. 28 અને પછીતના ખૂણાઓ માંટે બે પાટિયાં બનાવ્યાં. 29 પછીતનાં અને ખૂણાઓનાં પાટિયાં નીચેથી જોડેલાં હતાં અને ઠેઠ ઉપરથી પહેલી કડી સુધી જોડી દીધેલાં હતાં. 30 આમ, પશ્ચિમ બાજુએ કુલ આઠ પાટિયાં, ચાંદીની 16 કૂભીઓમાં ઊભા કરેલાં હતાં. અને પ્રત્યેક પાટિયું બે કૂભીઓમાં બેસાડેલું હતું.
31 પછી તેમણે આ પાટિયાઓને તેમની બાજુએથી એક બીજા સાથે જોડી દેવા માંટે બાવળનાં લાકડાંની ભૂંગળો બનાવી, પાંચ તંબુની એક બાજુનાં પાટિયાં માંટે અને બીજી પાંચ બીજી બાજુનાં પાટિયાં માંટે. 32 અને પાંચ ભૂગળો પશ્ચિમની પછીતના પાટિયાં માંટે, 33 આ પાંચ ભૂંગળોમાંથી વચલી ભૂંગળ પાટિયાઓની અડધી ઊચાઈને એક છેડાથી તે બીજા છેડા સુધી લાગેલી હતી. 34 આ પાટિયાઓ અને ભૂંગળો સોનાંથી મઢેલાં હતાં અને કડાંઓ શુદ્ધ સોનાનાં બનાવ્યાં હતાં.
35 અંદરનો પડદો વણાંટકામના કાપડનો બનાવેલો હતો. અને ભૂરા, જાંબુડા અને કિરમજી ઊનનો હતો. તેના ઉપર જરીથી કલાત્મક રીતે કરૂબદેવદૂતોની આકૃતિઓનું ભરત કરવામાં આવ્યું હતું. 36 પડદાને લટકાવવા માંટે બાવળની ચાર થાંભલીઓ બનાવી અને તેને સોને મઢીને, સોનાની વાળી મુકી. અને થાંભળીઓ માંટે ચાર ચાંદીની કૂભીઓ બનાવી. 37 માંડવાના પ્રવેશદ્વાર માંટે બઝાલએલે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો તથા ઝીણા કાંતેલા શણનો ભરત ભરેલો પડદો બનાવ્યો. 38 બાવળના લાકડામાંથી પાંચ થાભલી અને કડીઓ તૈયાર કરી સોનાથી મઢી, પછી તેઓને કાંસાની પાંચ કૂભીઓમાં ઊભી કરી. તેના ટોચકાઓને અને પડદાની દાંડીને. પછી સોનાની પાંચ કડીઓ વડે આ પડદો લટકાવવામાં આવ્યો.
ઈસુ એક દ્રાક્ષાવેલો છે
15 ઈસુએ કહ્યું, “હું ખરો દ્રાક્ષાવેલો છું; મારો પિતા માળી છે. 2 તે ફળ નહિ ઉગાડતી મારી પ્રત્યેક ડાળીઓ કાપી નાખે છે. અને જે ફળ ઉગાડે છે તેવી ડાળીઓને વધારે ફળ આવે તે માટે શુદ્ધ કરે છે. 3 મેં તમને જે વચનો કહ્યાં છે તેનાથી તમે હવે શુદ્ધ થઈ ગયા છો. 4 તમે મારામાં છો અને હું તમારામાં રહીશ. કોઈ ડાળી એકલી ફળ આપી શકે નહિ. તે દ્રાક્ષાવેલામાં હોવી જોઈએ. તમારું મારી સાથે તેવું જ છે. તમે એકલા ફળ આપી શકો નહિ. તમારે મારામાં રહેવું જોઈએ.
5 “હું દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો કોઈ વ્યક્તિ મારામાં સતત રહે છે. તો હું તે વ્યક્તિમાં રહું છું પછી તે વ્યક્તિ વધારે ફળ આપે છે. પણ મારા વિના તે વ્યક્તિ કઈ જ કરી શક્તી નથી. 6 જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે. 7 મારામાં રહો, અને મારાં વચનમાં રહો. જો તમે તેને અનુસરવાનું ચાલુ રાખશો તો તમે તમારી જરૂરી કોઈ પણ વસ્તુ માગી શકશો. અને તે તમને આપવામાં આવશે. 8 તમારે વધારે ફળ આપવાં જોઈએ અને બતાવવું જોઈએ કે તમે મારા શિષ્યો છો. આનાથી મારા પિતાને મહિમા પ્રાપ્ત થાય છે.
9 “જે રીતે પિતાએ મને પ્રેમ કર્યો તેમ હું તમને પ્રેમ કરું છું. હવે મારા પ્રેમમાં રહો. 10 મેં મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે અને હું તેના પ્રેમમાં રહ્યો છું તે જ રીતે જો તમે મારી આજ્ઞાનું પાલન કરો છો તો તમે મારા પ્રેમમાં રહેશો. 11 મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય. 12 મારી તમને આ આજ્ઞા છે કે મેં તમને પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજાને કરો. 13 પોતાના મિત્રને માટે જીવ આપીને જ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ પ્રેમ બતાવી શકે છે. 14 હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો. 15 હવેથી હું તમને સેવકો કહીશ નહિ કારણ કે સેવક કદી જાણતો નથી કે તેનો માલિક શું કરે છે પણ હવે હું તમને મિત્રો કહું છું કારણ કે મેં મારા પિતા પાસે સાંભળેલું બધું જ તમને કહ્યું છે.
16 “તમે મને પસંદ કર્યો નથી; મેં તમને પસંદ કર્યા છે. અને મેં તમને ત્યાં જઈને ફળ આપવાનું કામ સોંપ્યું છે. હું ઈચ્છું છું કે આ ફળ તમારા જીવનમાં ચાલુ રહે. પછી તમે મારા નામે જે કંઈ માગશો તે પિતા તમને આપશે. 17 આ મારી આજ્ઞા છે: તમે એકબીજાને પ્રેમ કરો.
ઈસુ તેના શિષ્યોને ચેતવણી આપે છે
18 “જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે. 19 જો તમે જગતના હોત તો જગત તમારા પર પોતાના લોકોની જેમ પ્રેમ રાખત, પણ મે તમને જગતની બહારથી પસંદ કર્યા છે. તેથી તમે જગતના નથી. તેથી જગત તમને ધિક્કારે છે.
20 “મેં તમને કહેલો પાઠ યાદ કરો: સેવક તેના માલિકથી મોટો નથી. જો લોકોએ મારું ખોટું કર્યુ હશે તો પછી તેઓ તમારું પણ ખોટું કરશે. અને જો લોકો મારા વચનનું પાલન કરશે તો પછી તેઓ તમારી આજ્ઞાનું પણ પાલન કરશે. 21 લોકો મારા કારણે આ બધું તમારી સાથે કરશે. તેઓ જેણે મને મોકલ્યો છે તેને ઓળખતા નથી. 22 જો મેં જગતના લોકોને આવીને કહ્યું ના હોત, તો પછી તેઓ પાપના દોષિત થાત નહિ. પણ હવે મેં તેમને કહ્યું છે. તેથી તેઓનાં પાપ માટે હવે તેઓની પાસે બહાનું નથી.
23 “જે વ્યક્તિ મને ધિક્કારે છે તે મારા પિતાને પણ ધિક્કારે છે. 24 તે લોકો વચ્ચે જે કામો મેં કર્યા છે તે કામો આજપર્યંત કોઈએ કર્યા નથી. જો મેં તે કામો ના કર્યા હોત તો તેઓ પાપના ગુનેગાર ના થયા હોત. પરંતુ તેઓએ આ કામો જોયા છે જે મે કર્યા છે અને છતાં તેઓ મને અને મારા પિતાને ધિક્કારે છે. 25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.’
26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. તે સંબોધક સત્યનો આત્મા છે જે પિતા પાસેથી આવે છે. જ્યારે તે આવે છે, ત્યારે તે મારા વિષે કહેશે. 27 અને તમે પણ લોકોને મારા વિષે કહેશો, કારણ કે તમે શરુંઆતથી જ મારી સાથે રહ્યા છો.”
12 જે વ્યકિતને જ્ઞાન વહાલું છે તેને શિખામણ પણ વહાલી છે, પણ જે વ્યકિત સુધારણાને ધિક્કારે છે તે ઢોર જેવો છે.
2 ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.
3 દુષ્ટતા દ્વારા વ્યકિત સુરક્ષિત ઉભી ન રહીં શકે, ન્યાયનાં મૂળ કદી નહિ ઉખડે.
4 સદ્ગુણી સ્ત્રી પતિને મુગુટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
5 ભલાના વિચાર ભલા હોય છે, ખોટાના મનસૂબા કપટભર્યા હોય છે.
6 દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે.
7 દુષ્ટો એકવાર નાશ પામ્યા એટલે કંઇ બચતું નથી, પણ સદાચારીનું ઘર કાયમ રહે છે.
8 લોકો વ્યકિતની તેની વિવેક બુદ્ધિ પ્રમાણે પ્રસંશા કરે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તિરસ્કૃત થશે.
9 અન્ન વગરના સમ્માન કરતાં મામૂલી વ્યકિત થઇને નોકર થવું એ વધારે સારૂં છે.
10 ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે પણ દુષ્ટ માણસ ક્રૂર હોય છે.
11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતોની પાછળ દોડનાર અક્કલ વગરનો છે.
12 દુષ્ટ લોકો અનિષ્ટ યોજનાઓની ઇચ્છા રાખે છે પણ સદાચારીના મૂળ તો ફળદ્રુપ છે.
13 દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.
14 માણસ પોતે બોલેલા શબ્દોને કારણે સારાપણાથી ભરાઇ જાય છે, તેને તેના કામનો બદલો મળે છે.
15 મૂર્ખ સમજે છે કે હું સાચો છું, પણ જે વ્યકિત સલાહ સાંભળે છે તે ડાહી છે.
16 મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.
17 એક ભરોસાપાત્ર સાક્ષી સત્ય કહે છે, પણ જૂઠો સાક્ષી છેતરે છે.
18 વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.
19 જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.
20 જેઓ ભૂંડી યોજનાઓ કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.
21 સજ્જન પર કદી આફત આવતી નથી, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.
22 યહોવા અસત્યને ધિક્કારે છે, પણ સાચા માણસ પર પ્રસન્ન રહે છે.
23 ડાહ્યો પુરુષ જ્ઞાનને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ છાપરે ચડીને જણાવે છે.
24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે; પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.
25 ચિંતાઓ વ્યકિતને ગમગીન બનાવે છે, પણ પ્રોત્સાહક શબ્દો તેને ખુશ કરે છે.
26 ભલો સાચો માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, દુર્જન તેને આડે માર્ગે દોરે છે.
27 આળસુ વ્યકિત પોતે કરેલો શિકાર રાંધતો નથી. પણ ઉદ્યમી માણસ મહામૂલી સંપત્તિ માણે છે.
28 ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માર્ગે મોત તો છે જ નહિ.
5 તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો. 2 પ્રેમાળ જીવન જીવો અને જે રીતે ખ્રિસ્ત આપણને ચાહે છે, તે રીતે અન્ય લોકોને તમે ચાહો. ખ્રિસ્ત આપણે માટે સમર્પિત થયો દેવને અર્પિત તે એક સુમધુર બલિદાન[a] હતું.
3 પરંતુ તમારાંમાં વ્યભિચારનું પાપ, અને કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યો ન હોવાં જોઈએ. અને વધુ ને વધુ મેળવવાની સ્વાર્થી ઈચ્છા પણ તમારામાં ન હોવી જોઈએ. શા માટે? કારણ કે આવી વસ્તુઓ સંતો માટે યોગ્ય નથી. 4 હાસ્યાસ્પદ નિર્લજ્જ મજાક પણ ન કરવી જોઈએ. આ બધી અયોગ્ય વસ્તુઓ કરવાને બદલે તમારે દેવની આભારસ્તુતિ કરવી જોઈએ. 5 તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે.
6 તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી. 7 તેથી તેવાં લોકો સાથે આ પ્રકારનું વર્તન ન કરો. 8 ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો. 9 પ્રકાશ દરેક પ્રકારની ભલાઈ, યોગ્ય જીવન અને સત્ય પ્રદાન કરે છે. 10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો. 11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો. 12 કેમ કે તેઓ ખાનગીમાં એવાં કામ કરે છે કે જે કહેતાં પણ શરમ લાગે છે. 13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે. 14 અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે. તેથી જ અમે કહીએ છીએ:
“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ!
મૃત્યુમાંથી ઊભો થા,
ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”
15 તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ જ ચોક્કસ બનો, અને નિર્બુદ્ધ લોકો જેવું જીવન ના જીવો પરંતુ તે લોકોના જેવું જીવન જીવો જે ડાક્યા છે. 16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે. 17 તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો. 18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ. 19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ. 20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.
પત્નીઓ અને પતિઓ
21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ.
22 પત્નીઓ, જે રીતે પ્રભૂની સત્તાને આધિન રહો છો તે રીતે તમારા પતિઓની સત્તાને આધિન રહો. 23 જે રીતે ખ્રિસ્ત મંડળીનો અધ્યક્ષ છે, તે રીતે પતિ પત્નીનો અધ્યક્ષ છે. મંડળી ખ્રિસ્તનું અંગ છે. અને ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. 24 મંડળી ખ્રિસ્તની અધ્યક્ષતા નીચે છે. અને તે જ રીતે બધી પત્નીઓ દરેક બાબતમાં તેમના પતિના અધ્યક્ષપણા નીચે હોવી જોઈએ.
25 જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ. 26 ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી પાણીથી ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે. 27 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો કે જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધૂની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો કે જેથી મંડળી કોઈ પણ ઉણપ, પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહિ કે અનાચારી વસ્તુ ન હોય.
28 હરેક પતિએ પણ પોતે પોતાના શરીરને જે રીતે ચાહે છે તે રીતે તેની પત્નીને ચાહવી જોઈએ. જે પુરુંષ તેની પત્નીને ચાહે છે તે પોતાની જાતને ચાહે છે. 29 શા માટે! કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના શરીરને ધિક્કારતી નથી. દરેક વ્યક્તિ પોતાના શરીરનુ પાલનપોષણ કરે છે અને તેની કાળજી રાખે છે અને ખ્રિસ્ત મંડળી માટે પણ આમ જ કરે છે. 30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ. 31 પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.”(A) 32 હું ખ્રિસ્ત અને મંડળી વિષેના ગૂઢ સત્યની વાત કરું છું જે ખૂબ જ મહત્વનું છે. 33 પરંતુ તમારામાંના પ્રત્યેકે તેની પત્નીને પોતાની જાતની જેમ પ્રેમ કરવો જોઈએ. અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International