M’Cheyne Bible Reading Plan
દહનાર્પણની ભેટ માંટે વેદી
27 “વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય. 2 ચારે ખૂણે ચાર ટોચકાં બનાવવાં, અને તે વેદીના લાકડામાંથી જ બનાવવા અને તેના ચારે બાજુથી ખુણા જોડી લેવા, જેથી તે એક બની જાય ત્યારબાદ વેદીને કાંસાથી ઢાંકી દેવી.
3 “અને તેનાં ભસ્મપાત્રો, પાવડાંઓ, તપેલાં તથા પંજેટી તથા સગડીઓ તું બનાવજે, અને તેનાં સધળાં પાત્રો કાંસાનાં બનાવજે. 4 અને વળી વેદી માંટે તું કાંસાની જાળી બનાવજે; તથા જાળીના ચાર ખૂણામાં તું કાંસાના ચાર કડાં બનાવજે. 5 અને પછી તું એ જાળી વેદીના છાજલી નીચે એવી રીતે મૂકજે જેથી તે વેદીની ઊંચાઈને અડધે સુધી પહોંચે.
6 “અને વેદીને માંટે તું બાવળના દાંડા બનાવજે અને તેને કાંસાથી મઢી દેજે. 7 વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે. 8 વેદી પાટિયાના ખોખા જેવી પોલી બનાવજે. પર્વત પર મેં જેમ તને બતાવ્યું હતું તેમ તેઓ તેને બનાવે.
પવિત્ર મંડપનો ચોક
9 “મંડપની આજુબાજુ ચોક બનાવવો. તેની દક્ષિણ બાજુએ ઝીણો કાંતેલો શણનો 100 હાથ લાંબો પડદો બનાવવો. 10 પડદાઓ લટકાવવા માંટે કાંસાની 20 થાંભલીઓ, કાંસાની 20 કૂંભીઓ બેસાડવી અને એ થાંભલીઓના આડા સળિયા અને આંકડા ચાંદીના બનાવવા. 11 ચોકની ઉત્તર બાજુએ પણ એ જ પ્રમાંણે કરવાનું છે. કાંસાની કૂંભીઓમાં બેસાડેલા 20 સ્તંભો સાથે જોડેલા ચાંદીના સળિયાઓ ઉપર ચાંદીના આંકડાઓ વડે 100 હાથ લાંબા પડદાઓ લટકાવવાના છે.
12 “એ ચોકની પશ્ચિમ બાજુને ઢાંકવા માંટે 50 હાથ લાંબા પડદા હોય અને તેને માંટે દશ થાંભલી અને દશ કૂંભીઓ હોય. 13 પૂર્વ દિશામાં પણ તે જ રીતે 50 હાથ લાંબા પડદાઓ લટકાવવા. 14 પ્રવેશદ્વારની એક બાજુએ 15 હાથના પડદા હોય અને તેને માંટે ત્રણ થાંભલી અને ત્રણ કૂંભી હોય. 15 અને બીજી બાજુએ પણ 15 હાથના પડદા અને ત્રણ થાંબલી અને ત્રણ કૂંભી હોય.
16 “પ્રવેશદ્વારને માંટે 20 હાથ લાંબો પડદો બનાવવો. તે ઝીંણા કાંતેલા શણનો ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનો, સુંદર ભરતકામવાળો બનાવવો, ચાર કૂંભીઓમાં બેસાડેલા ચાર સ્તંભો પર તેને લટકાવવાનો છે. 17 ચોકની આજુબાજુની બધી થાંભલીઓ ચાંદીના સળીયાથી જોડાયેલી હોય, તેમના સાંકળા ચાંદીના હોય અને તેમની કૂંભીઓ કાંસાની હોય. 18 આ પ્રમાંણે ચોક ઝીંણા કાંતેલા શણના કાપડનો બનશે. અને 100 હાથ લાંબો અને 50 હાથ પહોળો થશે. ચોકને ફરતા પડદાની દીવાલો 5 હાથ ઊચી થશે. પડદાઓ ઝીંણા કાંતેલા શણના હોય. તેના તળીયા કાંસાના હોવા જોઈએ. 19 પવિત્ર મંડપમાં વપરાતાં તમાંમ ઓજારો, તંબુના ખીલાઓ અને બીજી વસ્તુઓ કાંસાની હોવી જોઈએ. ચોકને ફરતા પડદાઓની ખીલીઓ કાંસાની બનેલી હોવી જોઈએ.
દીવી માંટેનું તેલ
20 “દીવી ઉપર મૂકવાના અખંડ દીવા માંટે જૈતૂનનું ધાણીએ પીલેલું ઉત્તમ તેલ લાવી આપવા ઇસ્રાએલીઓને આજ્ઞા કરો. 21 હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”
ઈસુ 5,000થી વધારે લોકોને જમાડે છે
(માથ. 14:13-21; માર્ક 6:30-44; લૂ. 9:10-17)
6 એ પછી ઈસુ ગાલીલના સમુદ્રને પાર ગયો (તિબેરિયાસ સરોવર). 2 ઘણા લોકો ઈસુને અનુસર્યા. તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું. 3 ઈસુ ટેકરીની તરફ ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. 4 હવે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય નજીક હતો.
5 ઈસુએ ઊંચે જોયું તો ઘણા લોકો તેના તરફ આવતા હતા. ઈસુએ ફિલિપને કહ્યું, “આ બધા લોકોને ખાવા માટે પૂરતી રોટલી આપણે ક્યાંથી ખરીદીએ?” 6 (ઈસુએ ફિલિપને પારખવા સારું આ પ્રશ્ન કર્યો, કારણ કે તે શું કરવાનો હતો તે જાણતો હતો).
7 ફિલિપે ઉત્તર આપ્યો, “અહીના દરેક વ્યક્તિને એક રોટલીનો નાનો ટુકડો મળે તે માટે પૂરતી રોટલીઓ ખરીદવા માટે આપણે બધાએ એક માસ કામ કરવાની જરૂર છે.”
8 બીજો એક શિષ્ય આન્દ્રિયા ત્યાં હતો. આન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો. આન્દ્રિયાએ કહ્યું, 9 “અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”
10 ઈસુએ કહ્યું, “લોકોને બેસી જવા માટે કહો.” આ ઘણી ઘાસવાળી જગ્યા હતી. ત્યાં લગભગ 5,000 માણસો બેઠા હતા. 11 પછી ઈસુએ રોટલીના ટુકડાઓ લીધા. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને ત્યાં નીચે બેઠેલા લોકોને તે આપ્યા. તેણે માછલીનું પણ તેમ જ કર્યુ. ઈસુએ તેઓને જેટલું જોઈતું હતું તેટલું લોકોને આપ્યું.
12 બધા લોકો પાસે પૂરતું ખાવાનું હતું. જ્યારે તેઓએ ખાવાનું પૂરું કર્યુ, ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે છાંડેલાં માછલી અને રોટલીના ટુકડાઓ છે તે ભેગા કરો. કઈ પણ બગડવા દેશો નહિ.” 13 તેથી શિષ્યોએ છાંડેલા ટુકડા ભેગા કર્યા. તે લોકોએ ફક્ત પાંચ જવની રોટલીમાંના ટુકડાથી જમવાનું શરું કર્યુ હતુ. પરંતુ ખોરાકના છાંડેલા ટુકડાઓમાંથી શિષ્યોએ બાર મોટી ટોપલીએ ભરી.
14 લોકોએ ઈસુએ કરેલો આ ચમત્કાર જોયો. લોકોએ કહ્યું, “ખરેખર તે પ્રબોધક હોવો જોઈએ. જે જગતમાં આવનાર છે.”
15 ઈસુએ જાણ્યું કે લોકો તેને રાજા બનાવવા ઈચ્છતા હતા. લોકોએ ઈસુને પકડવા માટે આવવાની અને તેને તેઓને રાજા બનાવવાની યોજના કરી. તેથી ઈસુ તેઓને છોડીને પહાડ પર ફરીથી એકલો ગયો.
ઈસુ પાણી પર ચાલે છે
(માથ. 14:22-27; માર્ક 6:45-52)
16 તે સાંજે ઈસુના શિષ્યો સરોવર (ગાલીલ સરોવર) તરફ નીચે ગયા. 17 હવે અંધારું થયું હતું અને હજુ ઈસુ તેઓની પાસે પાછો આવ્યો ન હતો. શિષ્યો હોડીમાં બેઠા અને કફરનહૂમ તરફ બીજી બાજુ જવાનું શરું કર્યુ. 18 પવન ઘણો સખત ફૂંકાતો હતો. સાગર પરનાં મોજાં મોટાં થતાં જતાં હતાં. 19 તેઓએ ત્રણથી ચાર માઈલ હોડી હંકારી પછી તેઓએ ઈસુને જોયો. તે પાણી પર ચાલતો ચાલતો હોડી તરફ આવતો હતો. શિષ્યો બીતા હતા. 20 પણ ઈસુએ તેઓને કહ્યું, “ગભરાશો નહિ. તે હું જ છું.” 21 ઈસુએ આમ કહ્યા પછી, શિષ્યો ઈસુને હોડીમાં લઈને ખુશ થયા. પછી તે હોડી તેઓ જે જગ્યાએ જવા ઈચ્છતા હતા ત્યાં આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22 બીજો દિવસ આવ્યો, કેટલાક લોકો સમુદ્રની બીજી બાજુએ રહ્યા. આ લોકોએ જાણ્યું કે ઈસુ તેના શિષ્યો સાથે હોડીમાં ગયો નહિ. લોકોએ જાણ્યું કે ઈસુના શિષ્યો હોડીમાં એકલા હતા અને તેઓએ જાણ્યું કે ત્યાં એક જ હોડી હતી. 23 પણ પછી તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી. આગલા દિવસે લોકોએ જ્યાં ભોજન કર્યુ હતું તે સ્થળની નજીક હોડીઓ આવી. પ્રભુ (ઈસુ) નો આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી તે આ જ જગ્યા હતી. 24 લોકોએ જોયું કે ઈસુ અને તેના શિષ્યો હવે ત્યાં ન હતા. તેથી લોકો હોડીઓમાં બેસી ગયા અને કફર-નહૂમ ગયા. તેઓની ઈચ્છા ઈસુને શોધવાની હતી.
ઈસુ, જીવનની રોટલી
25 લોકોએ ઈસુને સમુદ્રની બીજી બાજુએ જોયો. તેઓએ ઈસુને પૂછયું, “રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો?”
26 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે શા માટે મને શોધો છો? તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે. જે મારી સત્તાની સાબિતી છે. ના! હું તમને સાચું કહું છું. તમે મને શોધતા હતા. કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા. 27 ભૌતિક ભોજન નાશવંત છે. તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે અને હમેશા સારું છે તે ભોજન મેળવવા કામ કરો. માણસનો દીકરો તમને તે ભોજન આપશે. દેવ પિતાએ બતાવ્યું છે કે તે માણસના દીકરા સાથે છે.”
28 લોકોએ ઈસુને પૂછયું, “દેવ આપણી પાસે કેવાં કામો કરાવવા માટે ઈચ્છે છે?”
29 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવ જે કામ ઈચ્છે છે તે આ છે: દેવે જેને મોકલ્યો છે તેનામાં તમે વિશ્વાસ કરો.”
30 તેથી તે લોકોએ પૂછયું, “તું દેવે મોકલેલો છે તે સાબિત કરવા તું કેવા ચમત્કારો કરીશ? જ્યારે અમે તને ચમત્કાર કરતાં જોઈશું પછી વિશ્વાસ કરીશું. તું શું કરીશ? 31 અમારા (પૂર્વજો) એ રણમાં આપેલ માન્ના ખાધું. આ શાસ્ત્રમાં લખેલું છે. ‘દેવે તેઓને આકાશમાંથી રોટલી ખાવા માટે આપી.’”
32 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, મૂસાએ તમારા લોકોને આકાશમાંથી રોટલી આપી ન હતી. પરંતુ મારા પિતા તમને આકાશમાંથી સાચી રોટલી આપે છે. 33 દેવની રોટલી શું છે? આકાશમાંથી જે રોટલી નીચે આવે છે તે દેવની છે, અને તે જગતને જીવન આપે છે.”
34 તે લોકોએ કહ્યું, “પ્રભુ, આ રોટલી અમને સદા આપો.”
35 પછી ઈસુએ કહ્યું, “જે જીવન આપે છે તે રોટલી હું છું. જે વ્યક્તિ મારી પાસે આવે છે તે કદાપિ ભૂખે મરશે નહિ. જે વ્યક્તિ મારામાં વિશ્વાસ રાખે છે તેને કદાપિ તરસ લાગશે નહિ. 36 મે તમને અગાઉ કહ્યું છે કે તમે મને જોયો છે અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37 મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ. 38 દેવ મારી પાસે જે કરાવવા ઈચ્છે છે તે કરવા માટે હું આકાશમાંથી નીચે આવ્યો છું. હું મારી ઈચ્છાથી કઈ કરવા માટે આવ્યો નથી. 39 દેવે મને જે કઈ આપ્યું છે તેમાંથી કશું ગુમાવીશ નહિ. પણ છેલ્લા દિવસે તે લોકોને હું પાછા ઉઠાડીશ. જેણે મને મોકલ્યો છે અને મારી પાસે જે કઈ કરાવવાની ઈચ્છા છે તે આ છે. 40 વ્યક્તિ જે દીકરાને જુએ છે, અને તેનામાં વિશ્વાસ મૂકે છે. તેને અનંતજીવન મળે છે. હું તે વ્યક્તિને છેલ્લા દિવસે ઉઠાડીશ. એ મારા પિતાની ઈચ્છા છે.”
41 યહૂદિઓએ ઈસુ વિષે ફરિયાદો શરું કરી. કારણ કે ઈસુએ કહ્યું હતું કે, “હું આકાશમાંથી નીચે ઉતરેલી રોટલી છું.” 42 યહૂદિઓએ કહ્યું, “આ ઈસુ છે. અમે તેના માતાપિતાને ઓળખીએ છે. ઈસુ, યૂસફનો દીકરો છે. તે કેવી રીતે કહી શકે કે, ‘હું આકાશમાંથી નીચે આવ્યો છું’?”
43 પણ ઈસુએ કહ્યું, “તમે માંહોમાંહે ફરિયાદો કરવાનું બંધ કરો. 44 તે પિતા એ જ મને મોકલ્યો છે. અને તે જ પિતા લોકોને મારી પાસે લાવે છે. હું તે લોકોને છેલ્લા દિવસે પાછા ઊઠાડીશ. જો પિતા વ્યક્તિને મારી પાસે લાવતા નથી, તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શક્તી નથી. 45 પ્રબોધકોનાં પુસ્તકોમાં આ લખેલું છે. ‘દેવ બધા લોકોને ઉપદેશ આપશે.’ લોકો પિતાને ધ્યાનથી સાંભળે છે અને તેની પાસેથી શીખે છે. તે લોકો મારી પાસે આવે છે. 46 હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
47 “હું તમને સાચું કહું છું, જો કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે છે તો તેને અનંતજીવન છે. 48 હું રોટલી છું જે જીવન આપે છે. 49 તમારા પૂર્વજો માન્ના (અન્ન) ખાધું છે, જે દેવે તેઓને રણમાં આપ્યું હતું. પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. 50 હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરે છે. જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય છે તે કદાપિ મૃત્યુ પામશે નહિ. 51 હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે, જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે. આ રોટલી મારું શરીર છે. હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે.”
52 પછી યહૂદિઓ અંદરો અંદર દલીલો કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “આ માણસ આપણને તેનું શરીર ખાવા માટે કેવી રીતે આપી શકે?”
53 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે આ નહિ કરો, તો પછી તમારામાં સાચું જીવન હશે નહિ. 54 જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંતજીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઊઠાડીશ. 55 મારું શરીર સાચું ભોજન છે. મારું લોહી ખરેખર પીવાનું છે. 56 જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું.
57 “પિતાએ મને મોકલ્યો છે. તે પિતા જીવે છે, અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે પણ મારા કારણે જ જીવશે. 58 આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું એ રોટલી છું જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ આ રોટલી ખાય છે તે અનંતજીવન જીવશે.”
59 આ બધી બાબતો કફર-નહૂમના શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે કહી.
ઘણા શિષ્યોએ ઈસુને છોડી દીધા
60 ઈસુના શિષ્યોએ આ સાંભળ્યું, શિષ્યોમાંના ઘણાએ કહ્યું, “આ ઉપદેશ સ્વીકારવો ઘણો કઠિન છે. આ ઉપદેશ કોણ સ્વીકારી શકે?”
61 ઈસુએ જાણ્યું કે તેના શિષ્યો આ વિષે ફરિયાદ કરે છે. તેથી ઈસુએ કહ્યું, “શૂં આ ઉપદેશ તમને ઠોકર ખવડાવે છે? 62 તો પછી માણસનો દીકરો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પાછો ફરતો જોઈને તમને પણ ઠોકર લાગશે? 63 તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે. જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64 તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.” (ઈસુ જે વિશ્વાસ કરતા નથી તે લોકોને જાણે છે. ઈસુએ આરંભથી જ આ વાતો જાણી અને કયો માણસ તેનો દ્રોહ કરવાનો છે તે પણ ઈસુએ જાણ્યું.) 65 ઈસુએ કહ્યું, “આ કારણે જ મેં કહ્યું, ‘જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ.’”
66 આ બાબતો ઈસુએ કહ્યા પછી, ઈસુના ઘણા શિષ્યો તેને છોડી ગયા. તેઓએ ઈસુની પાછળ જવાનું બંધ કર્યુ.
67 ઈસુએ બાર પ્રેરિતોને પૂછયું, “તમે પણ મને છોડીને જવા ઈચ્છો છો?”
68 સિમોન પિતરે ઈસુને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે ક્યાં જઈશુ? તારી પાસે જે વાતો છે તે અનંતજીવન આપશે. 69 અમને તારામાં વિશ્વાસ છે. અમે જાણીએ છીએ કે દેવનો પવિત્ર એક તું જ છે.”
70 પછી ઈસુએ ઉત્તર આપ્યો, “મેં તમારામાંથી તે બધા બાર પસંદ કર્યા છે છતાં પણ તમારામાંનો એક શેતાન છે.” 71 ઈસુ સિમોનના દીકરા યહૂદા ઈશ્કરિયોત વિષે વાત કરતોં હતો. યહૂદા બાર પ્રેરિતોમાંનો એક હતો. પરંતુ પાછળથી યહૂદા ઈસુને સુપ્રત કરનાર હતો.
નીતિમત્તાથી રહેવું તમારું જીવન વધારશે
3 મારા દીકરા! મારો ઉપદેશ ભૂલી જઇશ નહિ. પરંતુ તારા હૃદયમાં મારી આજ્ઞાઓને સંઘરી રાખજે, 2 કારણ કે એ તને દીર્ઘ પૂર્ણ જીવન અને શાંતિ આપશે.
3 પ્રેમ અને વફાદારી તારો ત્યાગ ન કરે, વિશ્વાસનીયતાને તું તારા ગળે બાંધી રાખજે, અને તારા હૃદયપર લખી રાખજે; 4 આ રીતે તું દેવ તથા માણસોની દ્રષ્ટિમાં કૃપા અને સફળતા પામશે.
5 તારા પૂર્ણ હૃદયથી યહોવા ઉપર ભરોસો રાખ. અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ. 6 તું જ્યાં પણ જાય, તેનો આભારમાન, અને તે તને સાચે માર્ગે દોરશે અને તને સફળ બનાવશે. 7 તું તારી પોતાની જાતને જ્ઞાની ન માનીશ; યહોવાનો ડર રાખજે અને પાપથી દૂર રહેજે. 8 તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે.
9 તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર. 10 એમ કરવાથી તારા અન્નના ભંડાર હર્યાભર્યા રહેશે અને તારા દ્રાક્ષારસના કુંડો દ્રાક્ષારસથી ઊભરાઇ જશે.
11 મારા દીકરા, યહોવાની શિક્ષાને નકારીશ નહિ, અથવા તેના ઠપકાથી કંટાળી જઇશ નહિ. 12 કારણ કે યહોવા જેના ઉપર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે, જેમ બાપ પોતાના દીકરાને, જે તેને ખુબ પ્યારો છે, તેને ઠપકો આપે છે.
13 જેને જ્ઞાન મળ્યું છે, અને જેણે સમજશકિત મેળવી છે, તેને ધન્ય છે. 14 કારણ કે તેનો નફો ચાંદીથી વધારે છે, અને તેનો લાભ ચોખ્ખા સુવર્ણના લાભ કરતાં શ્રેષ્ઠ છે. 15 તે કીંમતી પથ્થરો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. તારી માલિકીની કોઇપણ વસ્તુ એની સાથે સરખાવાય તેમ નથી.
16 તેના જમણા હાથમાં દીર્ધાયુંષ્ય છે અને તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે. 17 તેના માર્ગો સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે. 18 જેઓ તેને વીટંળાય છે તેને માટે એ સંજીવનીવેલ છે, અને જેઓ તેને દ્રઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
19 યહોવાએ પૃથ્વીને જ્ઞાનથી અને આકાશને સમજશકિતથી ભરીને સ્થાપન કર્યા છે. 20 તેના જ્ઞાનને પ્રતાપે પાતાળમાંથી પાણીના ઝરણા ફૂટી નીકળ્યા છે, અને વાદળોમાંથી વરસાદ વરસે છે.
21 મારા દીકરા, તેઓને તારી નજર આગળથી દૂર થવા દઇશ નહિ, વ્યવહારૂ ક્ષમતા, વિવેકબુદ્ધિ, અને સાર્મથ્યને પકડી રાખજે. 22 તો તેઓ તને જીવન આપશે અને તારા ગળાનો હાર બની રહેશે. 23 પછી તું તારા માર્ગે સુરક્ષિત જઇ શકીશ અને ઠોકર ખાઇને લથડશે નહિ. 24 સૂતી વખતે તને કોઇ ડર રહેશે નહિ. અને તું મીઠી ઊંઘ લઇ શકીશ. 25 ઓચિંતા ભયથી કે દુષ્ટ માણસો પર આવતા સર્વનાશથી તું ગભરાઇશ નહિ. 26 કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઇ જતાં બચાવશે.
27 જો કોઇને તારી મદદની જરૂર હોય અને તું સમર્થ હોય તો ના પાડીશ નહિ. 28 જો તારી પાસે હોય તો તારા પડોશીને એમ ના કહીશ કે, “જાઓ, ફરીથી આવજો,” આવતીકાલે હું આપીશ.
29 તારો પડોશી તારી પડોશમાં પોતાને સુરક્ષિત અનુભવે છે, તેની સામે અનિષ્ટ યોજના કરીશ નહિ.
30 જો કોઇ માણસે તમારું નુકશાન કર્યુ ન હોય તો તેની સાથે કારણ વગર વિખવાદ કરીશ નહિ.
31 દુષ્ટ માણસની ઇર્ષ્યા ન કરશો, અને તેનો એક પણ માર્ગ પસંદ ન કરશો. 32 કારણ કે છેતરપિંડી કરનારા માણસોને યહોવા દુ:ખી કરે છે. વાંકા માણસોને યહોવા ધિક્કારે છે પણ પ્રામાણિક માણસોને તે પોતાના અંગત ગણે છે.
33 યહોવાનો શાપ દુષ્ટ માણસોના ઘર ઉપર ઉતરે છે. પણ સાચા માણસોના ઘર ઉપર તેમના આશીર્વાદ ઉતરે છે.
34 તે ટીખળી માણસોની ટીખળ કરે છે અને જેઓ નમ્ર છે તેના માટે કૃપાળુ છે.
35 જ્ઞાનીઓને ગૌરવનો વારસો મળશે પરંતુ મૂર્ખોને અપકીર્તિ જ મળશે.
અન્ય પ્રેરિતો દ્વારા પાઉલનો અંગીકાર
2 14 વરસ પછી, હું ફરીથી યરુંશાલેમ ગયો. હું બાર્નાબાસ સાથે ગયો, અને તિતસને મેં જોડે લીધો. 2 હું ગયો કારણ કે દેવે મને બતાવ્યું કે મારે જવું જોઈએ. હું તે લોકો પાસે ગયો જેઓ વિશ્વાસીઓના અગ્રેસર હતા. જ્યારે અમે એકલા હતા ત્યારે, મેં આ લોકોને જે સુવાર્તાનો ઉપદેશ હું બિનયહૂદીઓને આપતો હતો તેના વિષે કહ્યું. આ લોકો મારું કાર્ય સમજે એવી મારી ઈચ્છા હતી, કે જેથી મારું ભૂતકાળનું કાર્ય અને અત્યારે જે કાર્ય હું કરું છુ તે નિરર્થક ન જાય.
3-4 તિતસ મારી સાથે હતો. તિતસ ગ્રીક છે. પરંતુ આ નેતાઓએ તિતસને પણ સુન્નત માટે દબાણ ન કર્યુ. અમારે આ સમસ્યાની ચર્ચા કરવાની જરૂર હતી, કારણ કે છુપી રીતે કેટલાએક જૂઠા ભાઈઓ અમારા સમૂહમાં ઘૂસી ગયા હતા. ખ્રિસ્ત ઈસુ તરફથી અમારી જે સ્વતંત્રતા હતી તે વિષે શોધી કાઢવા જાસૂસની જેમ તેઓ ઘૂસી ગયા હતા. 5 પરંતુ તે જૂઠા ભાઈઓ જે માંગતા હતા, તેવી કોઈ પણ બાબત અંગે અમે સહમત થયા નહિ! તમારા માટે સુવાર્તાનુ સત્ય સતત રહે તેવું અમે ઈચ્છતા હતા.
6 તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.) 7 પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું. 8 વે પિતરને પ્રેરિત તરીકે કામ કરવાની શક્તિ આપી હતી. પરંતુ જે લોકો યહૂદી નથી તેમના માટે હું પ્રેરિત છું, 9 યાકૂબ, પિતર, અને યોહાનને આગેવાનો તરીકે ગણવામાં આવ્યા છે. તેઓએ જોયું કે દેવે મને આ વિશિષ્ટ કૃપા (દાન) આપી છે. તેથી તેઓએ મારો અને બાર્નાબાસનો સ્વીકાર કર્યો. પિતર, યાકૂબ, અને યોહાને કયું કે, “પાઉલ અને બાર્નાબાસ, તમે જે લોકો યહૂદી નથી તેઓની પાસે જાઓ તેની સાથે અમે સહમત છીએ. અમે યહૂદીઓ પાસે જઈશું.” 10 તેઓએ અમને માત્ર એક કામ કરવાનું કહ્યું કે દરિદ્રી લોકોને મદદ કરવાનું યાદ રાખો અને આ છે જે હું ખરેખર કરવા ઈચ્છુ છું.
પિતર ખોટો હતો તે પાઉલ બતાવે છે
11 પિતર અંત્યોખ આવ્યો. તેણે એવું કાંઈક કર્યુ જે યોગ્ય નહોતું. હું પિતરની વિરુંદ્ધ ગયો કારણ કે તે ખોટો હતો. 12 તે આમ બન્યું: જ્યારે પિતર સૌ પ્રથમ અંત્યોખ આવ્યો, ત્યારે તે બિનયહૂદિ લોકો સાથે જમ્યો અને બિનયહૂદિઓ સાથે સંલગ્ન થયો. પરંતુ પછી કેટલાએક યહૂદિ માણસોને યાકૂબે મોકલ્યા. જ્યારે આ યહૂદિ લોકો આવ્યા ત્યારે, પિતરે બિનયહૂદિઓ સાથે જમવાનું બંધ કર્યુ. પિતર બિનયહૂદિઓથી અલગ થઈ ગયો. તે યહૂદિઓથી ગભરાતો હતો જેઓ માનતા હતા કે બધા જ બિનયહૂદિઓની સુન્નત કરવી જોઈએ. 13 તેથી પિતર ઢોંગી હતો. અને અન્ય યહૂદિ વિશ્વાસીઓ પિતર સાથે જોડાયા. તેઓ પણ ઢોંગી હતા. બાર્નાબાસ પણ આ યહૂદિ વિશ્વાસીઓ જે કરતા હતા તેમના પ્રભાવ નીચે આવી તે પણ ઢોંગથી વર્તવા લાગ્યો. 14 મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”
15 આપણે યહૂદિઓ બિનયહૂદિઓ અને પાપીઓ તરીકે નહોતા જન્મ્યા. આપણે યહૂદિઓ તરીકે જન્મ્યા હતા. 16 આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.
17 આપણે યહૂદીઓ દેવને યોગ્ય થવા માટે ખ્રિસ્ત પાસે આવ્યા. તેથી એ સ્પષ્ટ છે કે આપણે પણ પાપી હતા. શું એની અર્થ એ કે ખ્રિસ્તે આપણને પાપી બનાવ્યા? ના! 18 પરંતુ જે મે છોડી દીધું છે તેનું શિક્ષણ (નિયમનું) આપવાની જો ફરીથી શરુંઆત કરીશ તો તે મારા માટે ખોટું થશે. 19 મેં નિયમ માટે જીવવાનું બંધ કર્યુ છે. નિયમે જ પોતે મને મારી નાખ્યો. હું નિયમ માટે મૃત્યુ પામ્યો અને તેથી જ હું દેવ માટે જીવી શક્યો. હું ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો. 20 જેથી જે જીવન અત્યારે હું જીવું છું તે હું નથી. તે ખ્રિસ્ત મારામાં જીવન જીવે છે. ભૌતિક શરીરથી હું જીવું છું. પરંતુ દેવના દીકરા (ઈસુ) પરના વિશ્વાસ થકી હું જીવું છું. ઈસુ એ છે કે જેણે મને પ્રેમ કર્યો. તેણે મારા ઉદ્ધાર માટે પોતાને અર્પણ કર્યો. 21 આ દેવની કૃપા છે, અને મારા માટે તે ઘણી મહત્વની છે. શા માટે? કારણ કે જો નિયમ આપણને દેવને પાત્ર બનાવી શકતો હોત, તો ખ્રિસ્તને મરવું ના પડત.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International