M’Cheyne Bible Reading Plan
યજ્ઞો અને અર્પણો
1 યહોવા દેવે મૂસાને મુલાકાતમંડપમાં બોલાવીને તેને કહ્યું, 2 “તું ઇસ્રાએલના પુત્રોને આ પ્રમાંણે આજ્ઞા કર; જયારે તમાંરામાંથી કોઈ પણ વ્યક્તિ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તેણે કાં તો કોઈ ઢોર અર્પણ કરવું કાં તો ઘેટાંબકરાં અર્પણ કરવા.
3 “જો કોઈ અર્પણ ઢોરના દહનાર્પણનું હોય, તો તે બળદ હોવું જોઈએ અને તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે ઢોરને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવવું જેથી યહોવા માંટેના તે અર્પણનો યાજકો સ્વીકાર કરે. 4 જે વ્યક્તિ તે ઢોરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનાર્પણના માંથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.
5 “પછી તે દહનાર્પણને યહોવા સમક્ષ વધેરે; અને હારુનના પુત્રો – યાજકો તેનું લોહી યહોવાને ધરાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આવેલી વેદીની ચારે બાજુએ છાંટે. 6 પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે. 7 પછી હારુનના પુત્રો યાજકોએ વેદી પર લાકડાં ગોઠવીને તેમાં આગ ચાંપે. 8 ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં. 9 યાજકે ઢોરના આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવાં અને યાજકે તે બધુ દહનાર્પણ તરીકે વેદી પર મૂકવું. સુવાસિત દહનાર્પણ યહોવા સ્વીકાર કરશે અને પ્રસન્ન થશે.
10 “જો દહનાર્પણ તરીકે પસંદ કરેલું પ્રાણી ઘેટું કે બકરું હોય, તો તે ખોડખાંપણ વગરનું નર પ્રાણી જ હોવું જોઈએ. 11 જે વ્યક્તિ તે અર્પણ લાવે તે યહોવાની સમક્ષ વેદીની ઉત્તર બાજુએ તેને વધેરે, અને હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની આગળ પાછળ અને ચારે બાજુએ છાંટે. 12 પછી યાજક ઢોરના ટુકડા કરે અને તે ટુકડાઓને (માંથાને તથા પગને) વેદી પર ગોઠવેલાં લાકડાં પર હોમે. 13 પછી યાજક ઢોરના આંતરડાં અને પગ પાણીમાં ધોઈ નાખે તેણે ઢોરના બધા અંગોને વેદી પર હોમીને યહોવાને અર્પણ કરવા. કેમકે આ દહનાર્પણ છે અને એ દહનાર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
14 “જો કોઈ દહનાર્પણો તરીકે યહોવાને પક્ષી ચઢાવે તો તેણે કાં તો હોલાનું બચ્ચું ચઢાવવું, કાં તો કબૂતરનું બચ્ચું ચઢાવવું. 15 યાજક તેને વેદી આગળ ઘરાવે અને તેની ડોક મરડીને માંથું જુદું કરે અને તેનું વેદી પર દહન કરે, અને લોહી વેદીની એક બાજુએ રેડી દે. 16 પછી યાજકે તેના પીછાં અને ગળા પાસેની કોથળી કાઢી નાખવી અને તેને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગા ઉપર ફેંકી દેવા. 17 પછી યાજક તે પક્ષીને બે પાંખો વચ્ચેથી ચીરે પરંતુ તેના બે ભાગ જુદા થવા ન દે, અને તેને વેદી પરના અગ્નિમાંનાં લાકડાં પર હોમી દે, આ પણ એક દહનાર્પણ છે અને એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.”
કેટલાક શિષ્યોએ ઈસુની કબર ખાલી જોઈ
(માથ. 28:1-10; માર્ક 16:1-8; લૂ. 24:1-12)
20 અઠવાડિયાના પ્રથમ દિવસે વહેલી સવારે મરિયમ મગ્દલાની કબર પાસે ગઈ જ્યાં ઈસુનું શબ હતું ત્યાં હજુ અંધારું હતું. મરિયમે જોયું કે જે મોટો પથ્થર પ્રવેશદ્વાર પર ઢાંકેલો હતો તે દૂર ખસેડવામાં આવ્યો હતો. 2 તેથી મરિયમ સિમોન પિતર તથા બીજા શિષ્ય પાસે દોડી ગઈ. (જે એક કે જેને ઈસુ ચાહતો હતો.) મરિયમે કહ્યું, “તેઓ કબરમાંથી પ્રભુને લઈ ગયા છે. અમને ખબર નથી તેઓએ તેને ક્યાં મૂક્યો છે.”
3 તેથી પિતર અને બીજો શિષ્ય બહાર ગયો અને કબર તરફ જવાનું શરું કર્યું. 4 તેઓ બંને દોડતા હતા, પરંતુ બીજો શિષ્ય પિતર કરતાં વધારે ઝડપથી દોડતો હતો તેથી બીજો શિષ્ય કબર પાસે પહેલો પહોંચ્યો. 5 તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ.
6 પછી તેની પાછળ સિમોન પિતર પણ આવ્યો. પિતર કબરમાં ગયો. તેણે પણ શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં જોયા. 7 તેણે ઈસુના માથાની આજુબાજુ વીંટાળેલું લૂગડું પણ જોયું. તે લૂગડાંની ગળી વાળેલી હતી અને શણના ટુકડાઓથી જુદી જગ્યાએ તે મૂકેલું હતું. 8 પછી બીજો શિષ્ય અંદર ગયો. આ તે શિષ્ય હતો જે કબર પાસે પહેલો પહોંચ્યો હતો. જ્યારે તેણે શું બન્યું હતું તે જોયું ત્યારે તેણે વિશ્વાસ કર્યો. 9 (આ શિષ્યો હજુ પણ શાસ્ત્રલેખ સમજતા નહોતા કે ઈસુએ મૃત્યુમાંથી ઊઠવું જોઈએ.)
મરિયમ માગ્દાલેણને ઈસુનું દર્શન
(માર્ક 16:9-11)
10 પછી શિષ્યો ઘેર પાછા ફર્યા. 11 પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી. 12 મરિયમે બે દૂતોને સફેદ વસ્ત્રોમાં જોયા. તેઓ જ્યાં ઈસુનો દેહ હતો ત્યાં બેઠા હતા. એક દૂત જ્યાં ઈસુનું માથું હતું ત્યાં બેઠો હતો, અને બીજો દૂત જ્યાં ઈસુના પગ હતા ત્યાં બેઠો હતો.
13 દૂતોએ મરિયમને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?”
મરિયમે કહ્યું, “કેટલાક લોકો મારા પ્રભુના શરીરને લઈ ગયા. મને ખબર નથી કે તેઓએ તેને ક્યાં મૂક્યો છે.” 14 જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો.
15 ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે? તું કોને શોધે છે?”
મરિયમે ધાર્યુ કે આ માણસ બગીચાની કાળજી રાખનાર હતો. તેથી મરિયમે તેને કહ્યું, “સાહેબ, જો તેં તેને અહીંથી ઉઠાવી લીધો હોય, તો તેં તેને ક્યાં મૂક્યો છે તે મને કહે. હું જઈશ અને તેને લઈ જઈશ.”
16 ઈસુએ તેને કહ્યું, “મરિયમ.”
મરિયમ ઈસુ તરફ ફરી અને તેને હિબ્રું ભાષામાં કહ્યું, “રાબ્બોની” (આનો અર્થ “ગુરુંજી.”)
17 ઈસુએ તેને કહ્યું, “મને પકડીશ નહિ. હજુ સુધી હું પિતા પાસે ગયો નથી. પરંતુ મારા ભાઈઓ (શિષ્યો) પાસે જા અને તેઓને આ વાત કહે. ‘હું મારા અને તમારા પિતા પાસે પાછો જાઉ છું. હું મારા અને તમારા દેવ પાસે પાછો જાઉ છું.’”
18 મરિયમ મગ્દલાની શિષ્યો પાસે ગઈ અને તેઓને કહ્યું, “મેં પ્રભુને જોયો!” અને તેણે તેઓને ઈસુએ જે કહ્યું હતું તે બધું કહ્યું.
તેના શિષ્યોને ઈસુના દર્શન
(માથ. 28:16-20; માર્ક 16:14-18; લૂ. 24:36-49)
19 અઠવાડિયાના પહેલા દિવસે તે સાંજે બધા શિષ્યો ભેગા થયા હતા. બારણાંઓને તાળા હતાં, કારણ કે, તેઓ યહૂદિઓથી ડરતાં હતા. પછી ઈસુ તેઓની વચ્ચે આવ્યો અને ઊભો રહ્યો ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 20 આમ કહ્યાં પછી ઈસુએ શિષ્યોને તેના હાથ અને તેની કૂખ બતાવી. જ્યારે તેઓએ પ્રભુને જોયો ત્યારે ખૂબ ખુશ થયા.
21 પછી ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ!” પિતાએ મને મોકલ્યો છે. તે જ રીતે હવે, હું તમને મોકલું છું. 22 આમ કહ્યાં પછી તેણે શિષ્યો પર શ્વાસ નાખ્યો. ઈસુએ કહ્યું, “પવિત્ર આત્મા પામો. 23 જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી તેઓનાં પાપોની માફી મળશે. જો તમે લોકોનાં પાપોને માફ નહિ કરો તો, પછી તેઓનાં પાપ માફ થશે નહિ.”
થોમાને ઈસુના દર્શન
24 થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો. 25 બીજા શિષ્યોએ થોમાને કહ્યું, “અમે પ્રભુને જોયો છે.” થોમાએ ઉત્તર આપ્યો, “જ્યા સુધી હું તેના હાથમાં ખીલાંના ઘા ના જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરીશ નહિ. તેના હાથોના ઘા જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ મૂક્યા વિના હું વિશ્વાસ કરીશ નહિ.”
26 એક અઠવાડિયા પછી ફરીથી શિષ્યો ઘરમાં હતા. થોમા તેઓની સાથે હતો. બારણાંઓને તાળાં હતાં. પરંતુ ઈસુ આવ્યો અને તેઓની વચ્ચે આવીને ઊભો. ઈસુએ કહ્યું, “તમને શાંતિ થાઓ!” 27 પછી ઈસુએ થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક. મારા હાથો તરફ જો. તારો હાથ અહીં મારી કૂખમાં મૂક. શંકા કરવાનું બંધ કરી વિશ્વાસ કરવાનું શરું કર.”
28 થોમાએ ઈસુને કહ્યું, “મારા પ્રભુ અને મારા દેવ!”
29 ઈસુએ થોમાને કહ્યું, “તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો. જે લોકો મને જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ધન્ય છે.”
યોહાને આ પુસ્તક શા માટે લખ્યું
30 ઈસુએ બીજા ઘણા ચમત્કારો કર્યા જે તેના શિષ્યોએ જોયા. આ ચમત્કારો આ પુસ્તકમાં લખેલા નથી. 31 છતાં આ વાતો લખી છે તેથી તમે વિશ્વાસ કરો કે ઈસુ જ ખ્રિસ્ત છે, દેવનો દીકરો છે. પછી, વિશ્વાસ કરવાથી, તેના નામ દ્વારા તમે જીવન પ્રાપ્ત કરી શકશો.
17 જે ઘરમાં કજિયા-કંકાસ હોય અને ત્યાં મિજબાની હોય તો તેના કરતાં શાંતિસહિત સૂકો રોટલો મળે તો તે વધારે સારો છે.
2 ડાહ્યો નોકર નકામા પુત્ર ઉપર અમલ ચલાવશે અને ભાઇઓ સાથે વારસામાંથી ભાગ લેશે.
3 ચાંદીની પરીક્ષા કુલડી કરે છે. સોનાની પરીક્ષા ભઠ્ઠી કરે છે. પણ અંત:કરણની પરીક્ષા યહોવા કરે છે.
4 જે કોઇ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ વ્યકિત છે, જે કોઇ કિન્ના ખોરી ભરેલી વાતો સાંભળે છે તે જુઠ્ઠો છે.
5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહાર દેવની નિંદા કરે છે; જે કોઇ કોઇની વિપત્તિને જોઇને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
6 છોકરાનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને સંતાનોનો મહિમા તેઓના પૂર્વજ છે.
7 મૂર્ખના મુખમાં ઉમદા વાણી શોભતી નથી, તો પછી મહાપુરુષના મુખમાં જૂઠી વાણી કેવી રીતે શોભે?
8 જેને બક્ષિસ મળે છે તેની નજરમાં તે મૂલ્યવાન મણિ જેવી છે; તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.
9 દોષ જતો કરવાથી મૈત્રી વધે છે. પણ તેને જ વારંવાર સંભારવાથી મૈત્રી તૂટે છે.
10 મૂર્ખને સો ફટકા કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.
11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કર્યા કરે છે.આથી તેની સામે નિર્દય દૂત મોકલવામાં આવશે.
12 જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઇને મળજો; પણ મૂર્ખાઇ કરતો મૂર્ખ કોઇને ન મળો.
13 જે કોઇ ભલાઇનો બદલો ભૂંડાઇથી વાળે છે, તેના ઘરમાંથી ભૂંડાઇ દૂર થશે નહિ.
14 ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો.
15 દોષિતને જે નિર્દોષ ઠરાવે અને નિર્દોષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.
16 મૂર્ખના હાથમાં પૈસા શા કામના? તેનામાં અક્કલ તો છે નહિ, તે થોડો જ જ્ઞાન ખરીદવાનો છે?
17 મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, ખરો ભાઇ મુશ્કેલીઓને વહેંચી લેવાજ જન્મ્યો હોય છે.
18 અક્કલ વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.
19 પાપ ગમતું હોય છે તેને કજિયો ગમે છે; જે દ્વારમાર્ગ વિશાળ બનાવે છે. તે વિનાશ નોતરે છે.
20 કુટિલ હૃદયના માણસનું કદી ભલું થતું જ નથી, વાંકાબોલો માણસ વિપત્તિમાં પડે છે.
21 મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે, મૂર્ખના બાપને કદી આનંદ થતો નથી.
22 આનંદી હૈયું એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.
23 દુર્જન છૂપી રીતે લાંચ લે છે અને પછી અન્યાય કરે છે.
24 બુદ્ધિમાન વ્યકિતની આંખ જ્ઞાન ઉપર જ મંડાયેલી હોય છે, પણ મૂર્ખની આંખ ચોગરદમ ભટકે છે.
25 મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ લાગે છે.
26 નિર્દોષને દંડ કરવો એ સારું નથી, તેવી જ રીતે પ્રામાણિકપણાને તેની વિશ્વસનીયતા માટે દંડ ફટકારવો યોગ્ય નથી.
27 સાચો જાણકાર કરકસરથી બોલે છે, જે મગજ ઠંડુ રાખે એ ડાહ્યો છે.
28 બોલે નહિ તે મૂર્ખ પણ ડાહ્યામાં ગણાય, મોઢું સીવેલું રાખે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે.
કેટલીક કરવાની વસ્તુઓ
4 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો.
2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. 3 અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમા[a] તેઓનાં નામ લખાઈ ચુક્યાં છે.
4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.
5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. 6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. 7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.
8 ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો. 9 તમે મારા દ્વારા શીખેલા અને મેળવેલાં કાર્ય કરો. મેં તમને કહેલું અને તમે જે કરતા મને જોયો તે સર્વ કરો. અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.
પાઉલ ફિલિપીના ખ્રિસ્તીઓનો આભાર માને છે
10 હું પ્રભુમાં ઘણો આનંદીત છું કે ફરીથી તમે મારી સંભાળ લો છો. તમે હમેશા મારી સંભાળ લીધી છે, પરંતુ તે દર્શાવી શકાઈ નથી. 11 મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ. 12 દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું. 13 ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.
14 પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે. 15 તમે ફિલિપ્પીના લોકો યાદ કરો જ્યારે મેં ત્યાં સુવાર્તા આપવાની શરૂઆત કરેલી. મેં જ્યારે મકદોનિયા છોડ્યું ત્યારે તમારી એક જ મંડળી એવી હતી કે જેણે મને મદદ કરી. 16 હું જ્યારે થેસ્સાલોનિકામાં હતો ત્યારે મારે જરૂરી વસ્તુઓ તમે મને ઘણીવાર મોકલી. 17 મારે ખરેખર તમારા તરફથી દાન નથી જોઈતું. પરંતુ આપવાથી જે સારું થાય છે તે તમને મળો તેમ હું ઈચ્છુ છું. 18 મારી પાસે જરૂર કરતાં પણ વધારે છે. મારે જરૂરી બધી વસ્તુઓ છે કારણ કે એપાફદિતસ તમે આપેલ દાન લાવ્યો હતો. તમારું દાન દેવને ઘરેલું મધુર મહેકતા અર્પણ જેવું છે. દેવે તે અર્પણ સ્વીકાર્યુ અને પ્રસન્ન થયો. 19 ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે. 20 આપણા દેવ અને બાપને સર્વકાળ મહિમા હો. આમીન.
21 ખ્રિસ્ત ઈસુમાં દેવના બધા જ સંતોને સલામ કહેજો. મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. 22 દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે.
23 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા (દયા) તમારી સાથે રહો. આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International