Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 33

યાકૂબની વીરતાનું દર્શન

33 યાકૂબે સામે નજર કરી તો એસાવને આવતો જોયો; તેની સાથે 400 માંણસો હતા. યાકૂબે તેના પરિવારને ચાર સમૂહોમાં વહેંચ્યો. લેઆહ અને તેનાં બાળકો એક સમૂહમાં હતા. રાહેલ અને યૂસફ એક સમૂહમાં હતા. દાસીઓ અને તેનાં બાળકો બે સમૂહમાં હતા. યાકૂબે દાસીઓ અને તેમનાં બાળકોને મોખરે રાખ્યાં. તેમની પાછળ લેઆહ અને તેનાં બાળકોને રાખ્યાં. અને યાકૂબે છેલ્લાં રાહેલ અને યૂસફને રાખ્યાં.

યાકૂબ પોતે એસાવની પાસે ગયો. તેથી એ પહેલો માંણસ હતો જેની પાસે એસાવ આવ્યો. તેના ભાઈ સુધી ચાલતાં યાકૂબે સાત વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા.

જયારે એસાવે યાકૂબને જોયો. તે તેને મળવા દોડી આવ્યો અને તે તેને ભેટીને તેને ગળે વળગી પડીને ચુંબન કરવા લાગ્યો. બંન્ને ભાઈની આંખમાં આનંદના અશ્રુ આવ્યાં. બંન્ને રડી પડયા. જયારે એસાવે નજર ઊંચી કરીને સ્ત્રીઓ અને બાળકોને જોયા ત્યારે તેણે પૂછયું, “તારી સાથે આ બધાં કોણ છે?”

યાકૂબે જવાબ આપ્યો, “આ એ બાળકો છે જે મને દેવની કૃપાથી પ્રાપ્ત થયા છે. દેવ માંરા પ્રત્યે દયાળુ રહ્યાં છે.”

પછી દાસીઓ તેમનાં બાળકો સાથે તેમની નજીક આવી અને પગે લાગી. એ જ રીતે લેઆહ અને તેનાં બાળકો નજીક આવ્યા અને પગે લાગ્યાં. અને છેવટે યૂસફ અને રાહેલ નજીક આવ્યા અને પગે પડયાં.

એસાવે કહ્યું, “મેં જે બધા લોકોને અહીં આવતાં જોયા, તે લોકો કોણ છે? અને આ બધાં પશુઓ શા માંટે છે?”

યાકૂબે જવાબ આપ્યો, “એ તમાંરા માંટે માંરા તરફથી ભેટ છે. જેથી તમે માંરો સ્વીકાર કરી શકો. અને માંરા માંલિકની માંરા તરફ દયા રહે.”

પરંતુ એસાવે કહ્યું, “ભાઈ, તારે મને કોઈ ભેટ આપવાની જરૂર નથી. માંરી પાસે પૂરતું છે, તારું તારી પાસે રાખ.”

10 યાકૂબે કહ્યું, “ના,ના; હું તમાંરી પાસે માંગુ છું કે, માંરા પર કૃપા કરીને હું જે ભેટો આપું છું તેનો સ્વીકાર કરો. હું તમને ફરીથી જોઈને પ્રસન્ન થયો છું. કારણકે માંરે મન એ દેવનું મુખ જોવા જેવું છે. તમે માંરો સ્વીકાર કર્યો છે તે જાણીને હું પ્રસન્ન થયો છું. 11 તેથી હું વિનંતી કરું છું કે, જે ભેટો હું તમને આપું છું તેનો તમે સ્વીકાર કરો, દેવ માંરા પર ખૂબ દયાળું રહ્યાં છે અને માંરી પાસે મને જોઇતું બધું જ છે.” આમ તેણે એસાવને ભેટો સ્વીકારવા આજીજી કરી. તેથી એસાવે તે સ્વીકારી.

12 પછી એસાવે કહ્યું, “હવે તું તારી યાત્રા શરૂ કરી શકે છે. હું તારી સાથે આવીશ.”

13 પરંતુ યાકૂબે તેને કહ્યું, “તમે એ જાણો છો કે, માંરાં બાળકો હજુ નાનાં અને નિર્બળ છે, અને માંરી સાથે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. તેમની મને ચિંતા છે. એમને એક દિવસ પણ વધારે ઝડપથી ચલાવીએ તો બધાં જ ઢોરો મરી જશે. 14 તેથી મહેરબાની કરી તમે માંરાથી આગળ જાઓ, અને હું ધીમે ધીમે તમાંરી પાછળ આવીશ, હું માંરા બાળકો અને માંરા ઢોરોના રક્ષણ માંટે ધીમે ધીમે જઇશ જેથી તેઓ વધારે થાકી ન જાય. હું તમને સેઈરમાં મળીશ.”

15 એટલા માંટે એસાવે કહ્યું, “તો પછી હું માંરા માંણસોને તમાંરી સહાયતા માંટે મૂકતો જાઉ.”

પરંતુ યાકૂબે કહ્યું, “એ તો તમાંરી વિશેષ દયા છે. શી જરૂર છે? આપની દયા છે એટલું બસ છે.” 16 એટલે એસાવ તે જ દિવસે સેઇર જવા પાછો વળ્યો. 17 પરંતુ યાકૂબ મજલ કાપતો કાપતો સુક્કોથ પહોચ્યો. ત્યાં તેણે તેને માંટે એક ઘર બનાવ્યું અને પોતાનાં ઢોરો માંટે નાનાં નાનાં (માંડવા) તબેલા બનાવ્યા, તેથી તે જગ્યાનું નામ “સુક્કોથ” રાખવામાં આવ્યું.

18 આમ, યાકૂબે પોતાનું જે કાંઈ હતું તે બધું સુરક્ષિત પદ્દાંનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ નગરમાં મોકલી દીધું અને તે નગર આગળ મુકામ કર્યો. 19 તેણે જે જમીન પર તંબુ તાણ્યા હતા તે જમીન તેણે શખેમના પિતા હમોરના પુત્રો પાસેથી 100 તોલા ચાંદીમાં વેચાતી લીધી. 20 યાકૂબે દેવની ઉપાસના માંટે ત્યાં એક વેદી ઊભી કરી ને તેનું નામ “એલ-એલોહે ઇસ્રાએલ” રાખ્યું અને તે ઇસ્રાએલના દેવના નામે અર્પણ કરી.

માર્ક 4

બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા

(માથ. 13:1-9; લૂ. 8:4-8)

બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:

“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”

પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”

ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે

(માથ. 13:10-17; લૂ. 8:9-10)

10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.

11 ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12 હું આ કરું છું તેથી,

‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
    તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
    જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’(A)

બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે

(માથ. 13:18-23; લૂ. 8:11-15)

13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.

16 “બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.

18 “બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.

20 “બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”

તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરવો જોઈએ

(લૂ. 8:16-18)

21 પછી ઈસુએ તેઓને કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો રાખે છે? શું દીવી પર મૂકવા નહિ? 22 જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે. 23 તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો! 24 તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે. 25 જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.”

ઈસુની બીજની વાર્તાનો ઉપયોગ

26 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે. 27 બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી. 28 કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે. 29 જ્યારે દાણા તૈયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.”

દેવનું રાજ્ય રાઈના દાણા જેવું છે

(માથ. 13:31-32, 34-35; લૂ. 13:18-19)

30 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું વાર્તાનો ઉપયોગ કરી શકું? 31 દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જે તમે જમીનમાં વાવો છે. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે. 32 પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊગે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સૌથી મોટો છોડ બને છે. તેને ખૂબ મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષણ મેળવી શકે છે.”

33 ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે. 34 ઈસુ હંમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શ્ષ્યો એકલા ભેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતોનો ખુલાસો કરતો.

ઈસુનું તોફાનને અટકાવવું

(માથ. 8:23-27; લૂ. 8:22-25)

35 તે દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઇએ.” 36 ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યાં છોડ્યા. ઈસુ જેમાં બેઠો હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યાં તેની સાથે બીજી હોડીઓ પણ હતી. 37 સરોવરમાં પવનનું મોટું તોફાન થયું. મોજાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવવા લાગ્યાં. હોડી લગભગ પાણીથી ભરાઇ ગઈ હતી. 38 ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!”

39 ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આજ્ઞા કરી, ઈસુએ કહ્યું, “છાનો રહે, શાંત થા!” પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.

40 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”

41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

એસ્તેર 9-10

યહૂદીઓનો શત્રુઓ પર વિજય

હવે બારમા, એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, એ દિવસે યહૂદીઓના દુશ્મનોએ તેમને કચડી નાખવાની આશા રાખી હતી. પણ બન્યુ તેનાથી ઊલટું જ; યહૂદીઓએ દુશ્મનોને કચડી નાખ્યા. તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાઁ યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકઠા થયા, જેથી તેઓનું નુકશાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હાથ નાખે; તેઓની વિરુદ્ધ કોઇ ઉભો રહી શક્યું નહિ; કારણ કે તેઓ બધા તેમનાથી ડરેલા હતા. અને પ્રાંતોના બધાં અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓ યહૂદીઓને મદદ કરી, કારણ કે, તે બધાં મોર્દખાયથી ડરેલા હતા. મોર્દખાય રાજમહેલમાં ખૂબ મહત્વનો બની ગયો હતો, તેની નામના બધાં પ્રાંતમા ફેલાઇ ગઇ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઇ.

નક્કી કરેલા દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓની હત્યા કરી. વિરોધીઓ સાથે તેઓએ મન ફાવે તેવું વર્તન કર્યુ. પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો. વળી તેઓએ પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, પોરાથા, અદાલ્યા, અરીદાથાને, પાર્માશ્તાને, અરીસાય, અરીદાય તથા વાઇઝાથાને. 10 આ રીતે તેઓએ યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનના દશે પુત્રોને, તેઓએ મારી નાખ્યા; પણ તેઓએ તેમને લૂંટી લીધા નહિ અને તેમની કોઇ પણ વસ્તુને હાથ લગાડ્યો નહિ.

11 સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી. 12 તેણે રાણી એસ્તેરને જણાવ્યું, “પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દશ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેમણે રાજ્યના બીજા પ્રાંતોમાં તું મારા દ્વારા શું કરાવા માંગે છે! જે માગે તે આપુ, તારે બીજું શું જોઇએ છે? માંગ અને તે મંજૂર થશે.”

13 ત્યારે એસ્તેરે તેને જણાવ્યું કે, “જો રાજાને ગમે તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે પણ તેમજ કરવા દેવામાં આવે. અને હામાનના દશે પુત્રોને ફાંસીને માચડે લટકાવવા જોઇએ.”

14 રાજા સંમત થયા અને પાટનગર સૂસામાં હુકમ જાહેર કરવામાં આવ્યો. હામાનના દશ પુત્રોના મૃત શરીરને ફાંસી પર લટકાવવામાં આવ્યા. 15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ ભેગા થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.

16 રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છૂટકારો મેળવવાં માટે ભેગા થયા. તેમણે પંચોતેર હજાર શત્રુઓનો સંહાર કર્યો; પણ તેમણે કોઇની કોઇ વસ્તુ લૂંટી નહિ. 17 આ તો અદાર મહિનાના તેરમા દિવસે બન્યું. ચૌદમે દિવસે તેમણે વિશ્રાંતી લીધી અને તે દિવસે તેમણે ઉજવણી કરીને આનંદોત્સવ ઊજવ્યો.

પૂરિમનું પર્વ

18 પણ સૂસામાં યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે સ્વરક્ષણ માટે ભેગા થયા; પંદરમા દિવસે તેઓએ ઉજાણી કરી અને વિશ્રાંતિ લીધી. 19 આ કારણથી જ યહૂદીઓ કોટ વિનાના ગામડાંઓમાં અને શહેરોમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે એક બીજાને ભેટો આપી અને ઉજાણી કરીને ઉજવે છે.

20 મોર્દખાયે આ સર્વ બનાવોને લખી અને અહાશ્વેરોશ રાજાના નજીકના તેમજ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા. 21 તેણે જણાવ્યું કે, દર વર્ષે અદાર મહિનાનો ચૌદમો અને પંદરમો દિવસ ઊજવવો. 22 કારણ તે દિવસે યહૂદીઓએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો હતો, અને તે મહિનામાં તેમનો શોક આનંદમા પલટાઇ ગયો હતો, અને તેમના દુ:ખના દિવસો આનંદના દિવસોમાં બદલાઇ ગયા હતાં, જેમાં એકબીજાને ભેટ આપવી અને ગરીબોને દાન આપવું.

23 આથી યહૂદીઓએ મોર્દખાયની સૂચના મુજબ દરેક વર્ષે તે જ સમયે તહેવાર ઉજવવાનું શરૂ કર્યુ હતું અને રિવાજ પાળવાનો ચાલુ રાખવાનું માથે લીધું.

24 યહૂદીઓના દુશ્મન અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓને સંહાર કરી નાખવાની યોજના કરી હતી. અને તેઓનો સંહાર કરવા અને વિનાશ કરવા ચિઠ્ઠીઓ (એટલે “પૂર”) નાખી હતી; 25 પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરૂદ્ધ યોજી હતી તે અને તેના કુટુંબીઓને જ તેનો ભોગ બને; અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઇએ.

26 આથી “પૂર” નામ ઉપરથી આ ઉત્સવના દિવસો પૂરીમ તરીકે ઓળખાયા, એ મોર્દખાયના પત્રમાં જે લખ્યું હતું તે પ્રમાણે જ ઉજવાયા, તેને કારણે તેમણે જાતે જે નજરોનજર જોયું હતું અને તેમના પર જે વીત્યું હતું, 27 યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો ચૂક્યા વગર ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું. 28 એ દિવસોને, વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં ઉજવવાના હતાં, તેઓએ પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં તેને ઉજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય, અને તેઓના વંશજોએ કદી તે ભૂલવું જોઇએ નહિ.

29 ત્યારબાદ અબીહાઇલની પુત્રી રાણી એસ્તેર અને યહૂદી મોર્દખાયે, બીજા પત્રને સંપુર્ણ અધિકાર સાથે પ્રમાણિત કરવા, પૂરીમ વિષે પૂર્ણ અધિકારથી પત્ર લખ્યો. 30 તેથી મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યમાં એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સાચી શાંતિ પાઠવતા પત્રો મોકલ્યા 31 તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમનાં દિવસો[a] યહૂદી મોર્દખાય અને રાણી એસ્તરે આપેલા આદેશ પ્રમાણે એના નિર્ધારિત સમયે ઉજવવામાં આવેલા હતા. આ તેઓએ બે વિશ્રામવારોને તેમના અને તેમના વંશજોને માટે નક્કી કર્યા 32 તેઓ એસ્તેરની આજ્ઞાથી વિશ્રામવારને યાદ રાખશે જેમ તેઓ ઉપવાસ અને વિલાપના દિવસો યાદ રાખે છે. “પૂરીમ” વિષેના નિયમો કાયમ કર્યા; અને પુસ્તકમાં આ બાબતો લખવામાં આવી હતી.

મોર્દખાયનું સન્માન

10 અહાશ્વેરોશ રાજાએ રાજ્યના સર્વ પ્રદેશો પર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યા. તેના મહાન શૌર્યનાઁ તથા તેના સાર્મથ્યનાઁ સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેની સંપૂર્ણ માહિતી ઇરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકોમાં લખેલી છે. યહૂદી મોર્દખાયનો દરજ્જો રાજા પછીનો હતો. યહૂદીઓમાં તે આદર પાત્ર બન્યો અને ઘણો લોકપ્રિય હતો. કારણ કે તેણે પોતાના લોકોના ભલા માટે પરિશ્રમ કર્યો અને તેમની કાળજી રાખી. તેણે બધાં યહૂદીઓ માટે શાંતિ લાવી હતી.

રોમનો 4

ઈબ્રાહિમનું દૃષ્ટાંત

તો આપણા લોકોના પૂર્વજ ઈબ્રાહિમ વિષે આપણે શું કહી શકીએ છીએ? વિશ્વાસ વિષે તેઓ શું શીખ્યા? જે કામો ઈબ્રાહિમે કર્યા એનાથી જ દેવે તેને ન્યાયી ઠરાવ્યો હોત તો તેને બડાશ મારવાનું બહાનું મળી જાત. પરંતુ ઈબ્રાહિમ દેવ આગળ બડાશ મારી શક્યો નહિ. ધર્મશાસ્ત્ર કહે છે: “ઈબ્રાહિમ દેવમાં માનતો હતો. અને દેવે તેના વિશ્વાસનો સ્વીકાર કર્યો. તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી ઠરાવ્યો.”(A)

જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે. પરંતુ મનુષ્ય એવું કોઈ પણ કામ કરી શકતો નથી કે જે તેને દેવ સાથે ન્યાયી ઠરાવી શકે. તેથી તે માણસે દેવમાં વિશ્વાસ રાખવોજ જોઈએ. પછી જ દેવ તે વ્યક્તિના વિશ્વાસનો સ્વીકાર કરે છે અને તે વિશ્વાસ તેને દેવ સાથે ન્યાયી ઠરાવે છે. દેવ એક છે જે અધર્મીને પણ ન્યાયી બનાવે છે. દાઉદે આ જ વાત કહી છે. દાઉદે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ કેવાં કેવાં કામો કર્યા છે એ જોયા વગર દેવ જ્યારે તેને એક સારા માણસ તરીકે સ્વીકારી લે છે.

“તેને ધન્ય છે.
    જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે,
    અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે!
અને જ્યારે પ્રભુ કોઈ વ્યક્તિને લેખે પાપ નહિ ગણીને સ્વીકારી લે છે ત્યારે,
    તે માણસને ધન્ય છે!” (B)

તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો. 10 તો આ કેવી રીતે થયું? ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો? તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો. 11 ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે. 12 જે લોકોની સુન્નત કરવામાં આવી છે તેમનો પૂર્વજ પણ ઈબ્રાહિમ જ છે. માત્ર તેઓની સુન્નતને કારણે ઈબ્રાહિમને પિતાનું સ્થાન મળ્યું નથી. આપણા પૂર્વજ ઈબ્રાહિમ સુન્નત પહેલા જે વિશ્વાસ ઘરાવતો હતો, એવું વિશ્વાસભર્યુ જીવન જો તેઓ જીવે તો જ ઈબ્રાહિમ તેમનો પિતા ગણાય.

વિશ્વાસથી દેવની કૃપા પ્રાપ્ત થાય છે

13 ઈબ્રાહિમ અને તેના વંશજોને નિયમના પાલનથી નહિ પણ વિશ્વાસથી દેવ સાથે ન્યાયી ઠરાવ્યા હતા. તેથી દેવનું વચન મળ્યું કે આખી દુનિયાની સમૃદ્ધિ અને સુખ તેને વારસામાં મળે. 14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે. 15 શા માટે? કેમ કે નિયમનું લક્ષણ એ છે કે જ્યારે તેનું પાલન કરવામાં આવતું નથી, ત્યારે દેવનો કોપ ઉતરે છે. પરંતુ જો નિયમનું અસ્તિત્વ જ ન હોય તો, તેનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી.

16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે. 17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે, “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”(C) દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે.

18 ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.” (D) 19 ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે આ જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા ન હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ. 20 દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ પણ દેવનો મહિમા કર્યો અને ધીમે ધીમે તેનો વિશ્વાસ દૃઢ બનતો ગયો. તેણે હંમેશા દેવની સ્તુતિ કરી. 21 ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે. 22 તો આમ, “દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો.”(E) 23 (“તેને ન્યાયી ગણવામાં આવ્યો.”) એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા. 24 પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર દેવ પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે પણ એ જ શબ્દો લખેલા છે. અને આપણે તે દેવમાં વિશ્વાસ કરીએ છીએ. 25 આપણા પાપોને લીધે ઈસુને મરણને સ્વાધીન કરવામાં આવ્યો, અને આપણે દેવની સાથે ન્યાયી થઈએ તે માટે તેને મૃત્યુમાંથી ઊઠાડવામાં આવ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International