Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 41

ફારુનનાં સ્વપ્ન

41 બે વર્ષ પૂરા થયા પછી ફારુનને સ્વપ્ન આવ્યું, જોયું તો પોતે નાઈલ નદીની પાસે ઊભો છે. પછી ફારુને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયોને નદીમાંથી બહાર નીકળીને બરુમાં ચરતી જોઇ. ત્યારબાદ બીજી સાત કદરૂપી અને સુકાઈ ગયેલી ગાયો તેઓની પછવાડે નદીમાંથી બહાર આવી અને કિનારે પેલી બીજી ગાયો સાથે ઊભી રહી. પછી તે સાત કદરૂપી સૂકાઈ ગયેલી ગાયો સુંદર તથા પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. એટલામાં ફારુનની આંખો ઉઘડી ગઈ. તે જાગી ઊઠયો.

ફરી પાછો તે ઊંધી ગયો, ને એણે બીજું સ્વપ્ન જોયું. તેણે એક જ સાંઠા પર ભરેલાં અને સારાં દાણાવાળા સાત ડૂંડાં જોયા. અને પછી તેઓની પછવાડે સાત પાતળા અને લૂથી બળી ગયેલા ડૂંડા ફૂટી નીકળ્યા. પછી એ પાતળાં ડૂડાં પેલાં સાત ભરેલાં અને સારાં ડૂંડાને ગળી ગયાં. ત્યાં તો ફારુન જાગી ગયો. અને જાણ્યું કે, આ તો સ્વપ્ન હતું. સવારે તે આ સ્વપ્નો વિષે ચિંતીત હતો. તેણે મિસરના બધા જયોતિષીઓને તથા શાણા પુરુષોને નિમંત્રણ મોકલ્યા. જ્યારે તેઓ આવ્યા, ફારુને તેમને પોતાના સ્વપ્નો કહ્યાં; પરંતુ તેઓમાંથી કોઈ પણ તેનો અર્થ કહી શકયો નહિ.

પાત્રવાહકે ફારુનને યૂસફના વિષે કહ્યું

ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે. 10 જ્યારે ફારુને તેના સેવકો પર ક્રોધે ભરાઈ મને તથા મુખ્ય ભઠિયારાને તેણે કારાગૃહમાં નાખ્યા, કે, જે અંગરક્ષકોના ઉપરી ચલાવતા હતા. 11 ત્યારે એકજ રાત્રે અમને બંનેને જુંદું જુંદું સ્વપ્ન આવ્યું હતું. અને દરેકને આવેલ સ્વપ્નનો અર્થ જુદો હતો. 12 અંગરક્ષકોના ઉપરી અમલદારનો સેવક એક જુવાન હિબ્રૂ પણ ત્યાં અમાંરી સાથે હતો; અમે તેને અમાંરાં સ્વપ્નો કહ્યાં એટલે તેણે તે સ્વપ્નોનો અર્થ સમજાવ્યો અને અમને દરેકને પોતપોતાનાં સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. 13 તેણે અમને જે અર્થ કહ્યો હતો તે પ્રમાંણે જ બન્યું; મને માંરી પદવી પર પાછો મૂકયો અને ભઠિયારાને ફાંસીની સજા થઇ.”

યૂસફને સ્વપ્ન જાણવા માંટે બોલાવાયો

14 પછી ફારુનને યૂસફને તેડવા માંટે માંણસો મોકલ્યા, ને તેઓ તેને ઝટપટ કારાગારમાંથી બહાર કાઢી લાવ્યા; પછી તેણે હજામત કરાવી, કપડાં બદલ્યાં અને તે ફારુન પાસે આવ્યો. 15 ફારુને યૂસફને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ સમજાવનાર કોઇ નથી. મેં તમાંરા વિષે એવું સાંભળ્યું છે કે, જો તમને સ્વપ્ન કહેવામાં આવે તો તમે તેનો અર્થ કહી શકો છો.”

16 પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”

17 પછી ફારુનને યૂસફને કહ્યું, “જુઓ, માંરા સ્વપ્નમાં હું નાઇલ નદીને કાંઠે ઊભો હતો; 18 અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી; 19 અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી. 20 અને એ સૂકલકડી કદરૂપી ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ખાઈ ગઈ. 21 પણ તેમ છતા કોઇ ન કહી શકે કે, તેમણે સ્વસ્થ ગાયો ખાધી છે, કેમકે તેઓ તો પહેલાંના જેવી જ કદરૂપી અને પાતળી જ લાગતી હતી. પછી હું જાગી ગયો.

22 “ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં. 23 અને પછી તેઓની પાછળ જ સૂકાયેલાં તથા હલકાં, ચિમળાઈ ગયેલાં પાતળાં અને લૂથી બળી ગયેલાં ડૂંડા ફૂટી નીકળ્યાં. 24 અને પછી તે હલકાં-પાતળાં ડૂંડા પેલા સાત સારાં ડૂંડાને ગળી ગયાં.

“તેથી મેં માંરા જોષીઓને તથા જાદુગરોને આ સ્વપ્ન વિષે પૂછયું, પણ તેઓમાંથી પણ કોઇ મને એનો અર્થ બતાવી શક્યું નહિ.”

યૂસફે સ્વપ્નનો અર્થ સમજાવ્યો

25 ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.” 26 સાત સારી ગાયો અને સાત સારાં ડૂંડા એ સાત સારાં વર્ષ છે. 27 તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે. 28 દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે. 29 જુઓ, સમગ્ર મિસરમાં તમાંરી આબાદીનાં તથા ધણી જ પુષ્કળતાના સાત વર્ષ આવશે. 30 અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે; 31 અને એ દુકાળ એવો ભયંકર હશે કે, દેશમાં કયાંય આબાદીનું નામનિશાન જોવા પણ નહિ મળે.

32 “અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તેનો અર્થ એ કે, દેવ તરફથી આ વાત નક્કી થઈ ગયેલ છે. અને દેવ તેને થોડા સમયમાંજ પૂર્ણ કરશે. 33 તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ. 34 દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ. 35 અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ. 36 અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.”

37 આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું. 38 “આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”

39 તેથી ફારુને યૂસફને કહ્યું, “યૂસફ જ આ કામ સંભાળવા માંટે લાયક વ્યકિત છે, આની કરતા વધારે લાયકાતવાળું આપણને કોઇ નહિ મળે. દેવનો આત્માં એનામાં છે, જેનાથી એ ખૂબ બુધ્ધિમાંન છે. 40 માંટે તું જ માંરો દેશ સંભાળી લે. તારી આજ્ઞાનું પાલન માંરી બધી જ પ્રજા કરશે. ફકત આ રાજગાદીને કારણે જ હું તારા કરતાં મોટો હોઈશ.”

41 વળી તેણે યૂસફને કહ્યું, “જો મેં તને આખા મિસરનો વહીવટ સોંપ્યો છે.” 42 આમ કહીને ફારુને પોતાના હાથની મુદ્રા લઈને યૂસફના હાથે પહેરાવી દીધી, ને તેને મલમલનાં વસ્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો. 43 પછી તેણે યૂસફને પોતાના પછીના ઉત્તમ રથમાં બેસાડીને ફેરવ્યો. લોકોએ તેની આગળ દયા પોકારી: “વંદન હો” એવી છડી પોકારી. ફારુને આ રીતે યૂસફને આખા મિસર દેશનો શાસનકર્તા બનાવ્યો.

44 અને તેણે યૂસફને કહ્યું, “હું ફારુન છું; રાજા છું, તેથી માંરી મરજી મુજબ વર્તીશ, પરંતુ તારી પરવાનગી વિના આખા મિસર દેશમાં કોઈ હાથ કે, પગ હલાવશે નહિ.” 45 પછી ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ રાખ્યું. અને તેને ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પરણાવી. પછી યૂસફ મિસર દેશમાં ફરવા માંટે નીકળ્યો.

46 જયારે યૂસફ 30 વર્ષનો હતો, ત્યારે ફારુનની નોકરીમાં જોડાયો. તે આખા મિસર દેશમાં ફરી વળ્યો. 47 અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મબલખ પાક ઉતર્યો. 48 સમગ્ર મિસર દેશમાં એ સાત વર્ષ દરમ્યાન જે અનાજનું ઉત્પાદન થયું તે તેણે એકઠું કર્યુ. ને તે અનાજ દરેક નગરમાં આજુબાજુના ખેતરોમાં ભરી રાખ્યું. 49 યૂસફે સમુદ્રની રેતી જેટલું ખૂબ ખૂબ અનાજ ભેગુ કર્યુ. તે એટલે સુધી કે, તેનો હિસાબ રાખવાનું પણ છોડી દેવું પડયું. કારણ કે તે બેશુમાંર હતું.

50 દુકાળનાં વર્ષો આવતાં પહેલાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથથી યૂસફને બે પુત્રો થયા. 51 દેવે મને માંરી બધી વિપત્તિઓ અને પિતાનું ઘર ભૂલાવી દીધાં છે. એમ કહીને યૂસફે મોટા પુત્રનું નામ મનાશ્શા પાડયું. 52 તેણે તેના બીજા પુત્રનું નામ એફ્રાઇમ પાડ્યું. તેણે કહ્યું, “દેવે મને વર્ષોના દુ:ખો પછી આ ભૂમિમાં બાળકો આપીને સફળ બનાવ્યો છે.”

દુકાળનો સમય શરુ થાય છે

53 સમૃદ્વિનાં સાત વર્ષ મિસરનાં આવ્યાં હતાં તે વીતી ગયાં. 54 અને યૂસફના કહ્યા પ્રમાંણે દુકાળનાં સાત વર્ષની શરૂઆત થઈ. બીજા બધા દેશોમાં તો દુકાળ હતો પરંતુ સમગ્ર મિસરમાં અનાજની ખોટ નહોતી. 55 પછી જયારે મિસરમાં પણ લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા, ત્યારે તેમણે અનાજ માંટે ફારુનની આગળ કાલાવાલા કર્યા; એટલે ફારુને સર્વ મિસરવાસીઓને કહ્યું, “યૂસફ પાસે જાઓ; અને એ તમને જે કહે તે પ્રમાંણે કરો.”

56 અને જયારે સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો એટલે યૂસફે અનાજના બધા કોઠારો ખોલી નાખ્યા અને મિસરવાસીઓને અનાજ વેચવા માંડ્યુ. કારણ કે સમગ્ર મિસર દેશને દુકાળે ભરડો લીધો હતો. 57 અને બીજા તમાંમ દેશોમાંથી લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યાં; કારણ કે, સમગ્ર વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.

માર્ક 11

ઈસુનો રાજાની જેમ યરૂશાલેમમાં પ્રવેશ

(માથ. 21:1-11; લૂ. 19:28-40; યોહ. 12:12-19)

11 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક આવતા હતા. તેઓ જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથનિયાના શહેરો પાસે આવ્યા. ત્યાં ઈસુએ તેના બે શિષ્યોને આગળ મોકલ્યા. ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે જે ગામ જુઓ છો તે ગામમાં જાઓ. જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે, તમે એક ગધેડાના વછેરાને ત્યાં બાંધેલો જોશો. આ વછેરા પર કોઈએ કદી સવારી કરી નથી, તે વછેરાને છોડીને તેને અહીં મારી પાસે લાવ. જો કોઈ વ્યક્તિ તને પૂછે કે તું તે વછેરાને શા માટે લઈ જાય છે, તો તે વ્યક્તિને કહેજે, ‘માલિકને આ વછેરાની જરૂર છે. તે જલ્દીથી તેને પાછો મોકલશે.’”

તે શિષ્યો ગામમાં ગયા. તેઓએ એક ઘરના દરવાજા નજીક શેરીમાં એક વછેરાને બાંધેલો જોયો. તે શિષ્યોએ તે વછેરાને છોડ્યો. કેટલાક લોકો ત્યાં ઊભા હતા અને તેઓએ આ જોયું, તે લોકોએ પૂછયું, “તમે શું કરો છો? તમે તે વછેરાને શા માટે છોડો છો?” ઈસુએ શિષ્યોને જે જવાબ આપવા કહેલું તે રીતે શિષ્યોએ જવાબ આપ્યો. લોકોએ શિષ્યોને વછેરું લેવા દીધું.

શિષ્યો ઈસુ પાસે વછેરો લાવ્યા. શિષ્યોએ તેમના લૂગડાં વછેરા પર મૂક્યાં. અને ઈસુ તેના પર બેઠો. ઘણા લોકોએ તેમનાં ડગલા ઈસુ માટે રસ્તા પર પાથર્યા. બીજા લોકોએ ખેતરમાંથી ડાળીઓ કાપી અને રસ્તા પર ડાળીઓ પાથરી. કેટલાક લોકો ઈસુની આગળ આગળ ચાલતા હતા. બીજા લોકો તેની પાછળ ચાલતા હતા. બધા લોકોએ બૂમ પાડી,

“‘તેની સ્તુતિ કરો!’
    ‘આવકાર! પ્રભુના નામે જે એક આવે છે તે દેવનો આશીર્વાદિત છે!’ (A)

10 “આપણા પિતા દાઉદના રાજ્યને દેવના આશીર્વાદ છે.
    તે રાજ્ય આવે છે!
પરમ ઊંચામાં દેવની સ્તુતિ કરો!”

11 ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો અને મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં દરેક વસ્તુઓ તરક જોયું. પણ સાંજ પડી ગઈ હતી, તેથી ઈસુ બાર પ્રેરિતો સાથે બેથનિયા ગયો.

નિષ્ફળ અંજીરી

(માથ. 21:18-19)

12 બીજે દિવસે, જેવું તેઓએ બેથનિયા છોડ્યું, ઈસુ ભૂખ્યો થયો હતો. 13 ઈસુએ દૂર એક અંજીરીનું ઝાડ જેને પાંદડા આવ્યાં હતાં તે જોયું. તેથી ઈસુ તે ઝાડ પાસે ગયો કે કદાચ તેને તે પરથી કઈ મળે, પણ ઈસુએ તે ઝાડ પર કોઈ અંજીર જોયા નહિ. ત્યાં ફક્ત પાંદડાઓ હતાં. કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14 તેથી ઈસુએ તે ઝાડને કહ્યું, “લોકો તારા પરથી ફરી કદી ફળ ખાશે નહિ.” ઈસુના શિષ્યોએ તેને આ કહેતા સાંભળ્યું.

ઈસુનું મંદિરમાં જવું

(માથ. 21:12-17; લૂ. 19:45-48; યોહ. 2:13-22)

15 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી. 16 ઈસુએ મંદિરમાંથી કોઈ પણ માણસને વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપવાની ના પાડી. 17 પછી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, “શાસ્ત્રોમાં તે લખેલું છે. ‘મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનુ ઘર કહેવાશે.’ પરંતુ તમે દેવના ઘરને ‘ચોરોને છુપાવા માટેની જગ્યામાં ફેરવો છો.’”

18 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ બાબતો સાંભળી. તેઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ ઈસુથી ડરતા હતા. કારણ કે બધા લોકો તેના ઉપદેશથી અચરજ પામતા હતા. 19 તે રાત્રે, ઈસુ અને તેના શિષ્યોએ તે શહેર છોડ્યું.

ઈસુ વિશ્વાસનું સામથ્યૅ બતાવે છે

(માથ. 21:20-22)

20 બીજી સવારે ઈસુ તેના શિષ્યો સાથે ચાલતો હતો. તેઓએ અંજીરીનું ઝાડ જોયું. ઈસુ આગલા દિવસે જે વિષે બોલ્યો હતો. એ અંજીરનું વૃક્ષ તેના મૂળ સાથે સૂકાઇ ગયેલું જોયું. 21 પિતરે વૃક્ષનું સ્મરણ કરીને ઈસુને કહ્યું, “ઉપદેશક, જો! ગઈકાલે, તે કહ્યું કે અંજીરનું વૃક્ષ મૂળમાંથી સૂકાઇ જશે. હવે તેં સૂકું અને મરેલું છે!”

22 ઈસુએ ઉત્તર આપ્યો, “દેવમાં વિશ્વાસ રાખો. 23 હું તમને સત્ય કહું છું. તમે આ પર્વતને કહી શકો છો, ‘જા, દરિયામાં પડ.’ અને જો તમને તમારા મનમાં શંકા ના હોય અને વિશ્વાસ હોય કે તમે જે કહેશો તે બનશે તો દેવ તે તમારા માટે કરશે. 24 તેથી હું તમને કહું છું કે પ્રાર્થનામાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખે, તો તે તમને મળશે. 25 જ્યારે તમે પ્રાર્થના કરો છો, અને તમે યાદ કરો છો કે તમે બીજા કોઈ એક વ્યક્તિ સાથે કઈક કારણસર ગુસ્સે થયા છો. તો તે વ્યક્તિને માફ કરો. [26 પણ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો તમારો પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.]”

યહૂદિ આગેવાનોની ઈસુના અધિકારની શંકા

(માથ. 21:23-27; લૂ. 20:1-8)

27 ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા. ઈસુ મંદિરમાં ચાલતો હતો. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા. 28 તેઓએ ઈસુને કહ્યું, “અમને કહે! તને આવા કામો કરવાની કઈ સત્તા છે? તને આ સત્તા કોણે આપી?”

29 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને એક પ્રશ્ન પૂછીશ. તમે મારા પ્રશ્નનો જવાબ આપો. પછી હું તમને કોની સત્તાથી આ કામો કરું છું તે કહીશ. 30 મને કહો: જ્યારે યોહાન લોકોને બાપ્તિસ્મા આપતો હતો, ત્યારે તે (સત્તા) દેવ પાસેથી આવી કે માણસો પાસેથી? મને ઉત્તર આપો!”

31 આ યહૂદિ નેતાઓએ ઈસુના પ્રશ્ન વિષે વાતો કરી. તેઓએ એકબીજાને કહ્યું, “જો આપણે ઉત્તર આપીએ. યોહાનનું બાપ્તિસ્મા દેવ પાસેથી, તો પછી ઈસુ કહેશે, ‘તો પછી યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નહોતા?’ 32 પણ જો આપણે કહીએ, ‘યોહાનનું બાપ્તિસ્મા માણસ પાસેનું હતું.’ તો લોકો આપણા પર ગુસ્સે થશે.” (આ આગેવાનો લોકોથી બીતા હતા. બધાજ લોકોને વિશ્વાસ હતો કે યોહાન એક પ્રબોધક હતો.)

33 તેથી આગેવાનોએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે ઉત્તર જાણતા નથી.”

ઈસુએ કહ્યું, “તો પછી હું તમને કહીશ નહિ કે આ કામો હું કઈ સત્તાથી કરું છું.”

અયૂબ 7

અયૂબે કહ્યું:

“શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી?
    શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?
એ તો આતુરતાથી છાંયડાની રાહ જોનાર સેવક
    અને પોતાના પગારની રાહ જોનાર મહેનતાણુ લઇ કામે રહેલા કામદાર જેવી છે.
મારે અર્થહીન મહિનાઓ
    અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે.
હું જ્યારે સૂવા જાઉ છું
    ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’
રાત્રિ પસાર થયા કરે છે. હું
    સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ.
મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે.
    મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે.

“મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે,
    અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.
દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે.
    હું ફરી કંઇ સારું જોઇશ નહિ.
દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી
    તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ.
જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે,
    જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ.
10 તે પોતાને ઘેર ફરી કદી પાછો ફરશે નહિ,
    તે કુટુંબથી અને ઘરથી હમેશ માટે દૂર થઇ જશે.

11 “મને મારો ઊભરો ઠાલવવા દો,
    મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ.
    હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
12 હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી?
    શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છું કે તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 જ્યારે હું એમ કહું છું, હવે પથારીમાં સૂઇ જાઉં
    ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે.
14 ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો.
    અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને
    મરી જાઉ તો વધારે સારું.
16 હવે હું ત્રાસી ગયો છું.
    મારે કાયમ માટે જીવવું નથી.
મને એકલો રહેવા દો.
    મારા જીવનનો કોઇ અર્થ નથી!
17 દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો?
    તમારે શા માટે તેને માન આપવું જોઇએ?
    તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?
18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો
    અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 શા માટે તમે મને છોડી દેતાં નથી?
    હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી?
20 દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય,
    કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું?
તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે?
    જેથી હું બોજારૂપ થઇ ગયો છું?
21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી?
    તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી?
થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ.
    તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”

રોમનો 11

દેવ પોતાના માણસોને ભૂલ્યો નથી

11 તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે. એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.”(A) પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.”

એવું જ અત્યારે પણ છે. થોડાક માણસો એવા છે કે જેઓ દેવ કૃપાથી પસંદ કરાયા છે. અને જો દેવ-કૃપાને કારણે એમની પસંદગી થઈ હોય, અને તેઓ દેવના માણસો થયા હોય, તો તે તેઓનાં કર્મોને આધારે નહિ. પરંતુ તેમનાં કર્મોને આધારે તેઓ દેવના ખાસ માણસો થઈ શક્યા હોત તો, દેવ લોકોને કૃપાની જે બક્ષિસ આપે છે તે ખરેખર બક્ષિસ ન ગણાત.

તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો. શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:

“દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” (B)

“દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ,
    અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ.
અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” (C)

અને દાઉદ કહે છે:

“મિજબાની ઉડાવતા લોકો ભલે ફસાઈ જાય, અને પકડાઈ જાય.
    ભલે તેઓને પડવા દો અને શિક્ષા થવા દો.
10 તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ,
    અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.” (D)

11 તેથી હું પૂછી રહ્યો છું: યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું. 12 જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે.

13 હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ. 14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ. 15 દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે. 16 જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે.

17 એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે. 18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે. 19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” 20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો. 21 જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે.

22 આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો. 23 અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે. 24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે.

25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:

“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે;
    તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે.
27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ,
    ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” (E)

28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે.

દેવની સ્તુતિ

33 હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. 34 શાસ્ત્ર કહે છે તેમ,

“પ્રભુનું મન કોણે જાણ્યું છે?
    તેનો મંત્રી કોણ થયો છે?” (F)

35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે?
    દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” (G)

36 હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International