M’Cheyne Bible Reading Plan
યૂસફ કેદીઓનાં સ્વપ્નનો અર્થ કરે છે
40 આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો. 2 તેથી ફારુન તેના બંને સેવકો પાત્રવાહક અને ભઠિયારા પર કોપાયમાંન થયો. 3 અને તેણે તેઓને કેદખાનામાં નાખ્યાં, તે એ કેદખાનું હતું જેના માંટે ફારુનના રક્ષકોનો અમલદાર પોટીફાર અધિકારી હતો, ત્યાં યૂસફ કેદ હતો. 4 અંગરક્ષકોના સરદારે યૂસફને તેમના તાબામાં સોંપ્યો. તે તેમની સેવા કરતો; આમ તેઓ કેટલાક સમય માંટે કેદમાં રહ્યાં. 5 એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો. 6 પછી સવારે જયારે યૂસફે અંદર આવીને જોયું, તો તેઓ ચિંતિત હતા. 7 તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?”
8 એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.”
એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.”
દ્રાક્ષારસ આપનારા નોકરનું સ્વપ્ન
9 એટલે દ્રાક્ષારસ આપનારા નોકરે પોતાનું સ્વપ્ન યૂસફને કહ્યું, “મેં સ્વપ્નમાં એક દ્રાક્ષનો વેલો જોયો. 10 તે દ્રાક્ષના વેલાને ત્રણ ડાળીઓ હતી, મેં ડાળીઓ પર કળીઓ બેસતી અને તેમાંથી ફૂલ ફૂટતાં જોયા. અને ગુચ્છામાં પાકી દ્રાક્ષો જોઈ; 11 ફારુનનો પ્યાલો માંરા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને તે પ્યાલામાં નિચોવી અને પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”
12 પછી યૂસફે કહ્યું, “હું તને સ્વપ્નનો અર્થ સમજાવું છું. ત્રણ ડાળીઓનો અર્થ ત્રણ દિવસ છે. 13 ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ. 14 પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને માંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે. 15 અહીંયા હિબ્રૂઓના દેશમાંથી માંરી ઇચ્છા વિરુધ્ધ લાવવામાં આવ્યો છે. મેં અહીં એવું કશુંય ખોટું કર્યુ નથી જેને કારણે મને કારાગૃહમાં નાખવો પડે.”
રોટલી બનાવનારનું સ્વપ્ન
16 રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી. 17 સૌથી ઉપરની છાબડીમાં ફારુન માંટે દરેક જાતનાં પકવાન હતાં. પરંતુ તેને પંખીઓ ખાઈ જતાં હતાં.”
18 યૂસફે કહ્યું, “ત્રણ છાબડીઓનો અર્થ ત્રણ દિવસ છે. 19 ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”
યૂસફને ભુલ્યા
20 ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા. 21 અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પ્યાલો આપ્યો, 22 પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો. 23 છતાં મુખ્ય પાત્રવાહકએ યૂસફને યાદ કર્યો નહિ, અને તે તેને ભૂલી ગયો.
ઈસુનો છુટાછેડાનો ઉપદેશ
(માથ. 19:1-12)
10 પછી ઈસુએ તે જગ્યા છોડી. તે યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં ગયો. ફરીથી ઘણા લોકો તેની પાસે આવ્યા. ઈસુ હંમેશા કરતો હતો, તેવી રીતે લોકોને ઉપદેશ આપ્યો.
2 કેટલાક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા. તેઓએ ઈસુ કઈક ખોટુ કહે તે માટે પ્રયત્નો કર્યા. તેઓએ ઈસુને પૂછયું, “પોતાની પત્નીને છૂટાછેડા આપવા તે માણસ માટે યોગ્ય છે?”
3 ઈસુએ ઉત્તર આપ્યો, “મૂસાએ તમને શું કરવા હુકમ કર્યો હતો?”
4 તે ફરોશીઓએ કહ્યું, “મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે.”
5 ઈસુએ કહ્યું, “મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી. 6 પરંતુ જ્યારે દેવે દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યું.’ 7 ‘તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે. 8 અને બે જણ એક બનશે.’ તેથી તેઓ બે નથી પણ એક છે. 9 દેવે તે બેને સાથે જોડ્યા છે. તેથી કોઈ વ્યક્તિએ તેઓને છૂટા નહિ પાડવા જોઈએ.”
10 પાછળથી તે શિષ્યો અને ઈસુ ઘરમાં હતા. તે શિષ્યોએ ફરીથી ઈસુને છૂટાછેડાના પ્રશ્ર વિષે પૂછયું. 11 ઈસુએ ઉત્તર આપ્યો, “કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે. તે તેની પત્ની વિરૂદ્ધ પાપમાં દોષિત છે. તે વ્યભિચારના પાપ માટે ગુનેગાર છે. 12 અને જે સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુંષને પરણે છે ત્યારે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.”
ઈસુનો બાળકોનો સ્વીકાર
(માથ. 19:13-15; લૂ. 18:15-17)
13 લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં. તેથી તેઓને સ્પર્શી શકે. પરંતુ શિષ્યોએ લોકોને તેમના બાળકોને ઈસુ પાસે લાવતા અટકાવ્યા. 14 ઈસુએ શું બન્યું તે જોયું. તેના શિષ્યોએ બાળકોને નહિ આવવા માટેનું કહેવું તેને ગમ્યું નહિ. ઈસુએ તેઓને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ. કારણ કે દેવનું રાજ્ય એ લોકોનું છે જેઓ આ નાનાં બાળકો જેવાં છે. 15 હું તમને સાચું કહું છું, તમારે દેવના રાજ્યનો સ્વીકાર, એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ. નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ.” 16 પછી ઈસુએ બાળકોને તેના બાથમાં લીધા. ઈસુએ તેઓના પર હાથ મૂકી તેઓને આશીર્વાદ દીધો.
એક ધનવાનની ઈસુને અનુસરવાની ના
(માથ. 19:16-30; લૂ. 18:18-30)
17 ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી. પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો, તે માણસે પૂછયું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ?”
18 ઈસુએ ઉત્તર આપ્યો, “તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે. 19 પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ. તું આજ્ઞાઓ જાણે છે: ‘તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે ચોરી કરવી જોઈએ નહિ, તારે તારા માબાપને માન આપવું જોઈએ.’(A)”
20 તે માણસે કહ્યું, “ઉપદેશક, હું બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરું છું.”
21 ઈસુએ તે માણસ સામે જોયું. ઈસુને તેના પર હેત આવ્યું. ઈસુએ કહ્યું, “તું એક વાત સબંધી અધૂરો છે. જા અને તારી પાસે જે બધું છે તે વેચી નાખ. પૈસા ગરીબ લોકોને આપ. તને આકાશમાં તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર.”
22 ઈસુને આમ કહેતા સાંભળીને તે માણસનો ચહેરો ફીક્કો પડી ગયો. અને તે વિદાય થયો. તે માણસ દુ:ખી હતો કારણ કે તે ઘણો પૈસાદાર હતો અને તેના પૈસા રાખવા ઈચ્છતો હતો.
23 પછી ઈસુએ તેના શિષ્યો તરફ જોયું અને તેઓને કહ્યું, “ધનવાન વ્યક્તિઓ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું ઘણું મુશ્કેલ હશે!”
24 ઈસુએ જે કહ્યું તેથી શિષ્યો આશ્ચર્યચકિત થયા. પણ ઈસુએ ફરીથી કહ્યું, “મારાં બાળકો, દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું કઠિન છે! 25 અને પૈસાદાર માણસો માટે દેવના રાજ્યમાં પ્રવેશવું તે ઘણું મુશ્કેલ બનશે. સોયના નાકામાંથી પસાર થવું ઊંટના માટે સહેલું બનશે!”
26 તે શિષ્યો વધારે નવાઇ પામ્યા હતા અને એકબીજાને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”
27 ઈસુએ શિષ્યો તરફ જોયું અને કહ્યું, “આ કઈક એવું છે જે લોકો તેમની જાતે કરી શકે નહિ, તે દેવ પાસેથી આવવું જોઈએ. દેવ બધી વસ્તુઓ કરી શકે છે.”
28 પિતરે ઈસુને કહ્યું, “અમે તને અનુસરવા બધુંજ છોડી દીધું!”
29 ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું, પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે, 30 તેઓએ જેટલું છોડ્યું છે તેના કરતાં સોગણું વધારે મેળવશે. અહીં આ દુનિયામાં તે વ્યક્તિ વધારે ઘરો, ભાઈઓ, બહેનો, મા, પિતા, બાળકો અથવા ખેતરો મેળવશે અને તે વસ્તુઓ સાથે તે વ્યક્તિની સતાવણી થશે. પણ આવનાર દુનિયામાં તેને બદલો મળશે. તે બદલો અનંતજીવન છે. 31 ઘણા લોકો જેની પાસે હાલમાં ઊંચામાં ઊંચી જગ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં નીચામાં નીચી જગ્યા હશે. અને જે લોકો પાસે હાલમાં નીચામાં નીચી જગ્યા છે તેઓ ભવિષ્યમાં ઊંચામાં ઊંચી જગ્યા મેળવશે.”
ઈસુ ફરીથી તેના મૃત્યુ વિષે કહે છે
(માથ. 20:17-19; લૂ. 18:31-34)
32 ઈસુ અને તેની સાથેના લોકો યરૂશાલેમ જતા હતા. ઈસુ લોકોને દોરતો હતો. ઈસુના શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. પણ પેલા લોકો જે તેની પાછળ આવતા હતા તેઓ બીતાં હતા. ઈસુએ ફરીથી બાર પ્રેરિતોને ભેગા કર્યા. અને તેઓની સાથે એકલા વાત કરી. ઈસુએ યરૂશાલેમમાં શું થશે તે તેઓને કહ્યું. 33 ઈસુએ કહ્યું, “આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ. માણસના દિકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. યાજકો અને શાસ્ત્રીઓ કહેશે કે માણસના દિકરાએ મરવું જોઈએ. તેઓ બિનયહૂદિ લોકોને માણસનો દિકરા સોંપશે. 34 તે લોકો તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેઓ તેને ચાબૂકથી મારશે અને તેને મારી નાખશે. પરંતુ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે પાછો ઊઠશે.”
યાકૂબ અને યોહાનની માગણી
(માથ. 20:20-28)
35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, “ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.”
36 ઈસુએ પૂછયું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?”
37 પુત્રોએ ઉત્તર આપ્યો, “તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.”
38 ઈસુએ કહ્યું, “તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”
39 પુત્રોએ ઉત્તર આપ્યો, “હા અમે કરી શકીશું.”
ઈસુએ પુત્રોને કહ્યું, “હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે. 40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.”
41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા. 42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ. 44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. 45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે.”
એક આંધળા માણસને ઈસુનું સાજા કરવું
(માથ. 20:29-34; લૂ. 18:35-43)
46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો. 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”
તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.” 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.
51 ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?”
આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”
52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.
અયૂબનો જવાબ
6 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:
2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે
તોળી શકાય એમ હોત તો!
3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત.
મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે.
4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે.
તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે.
દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.
5 જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી.
જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી.
6 મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય?
અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે?
7 હું તેને અડકવા નથી માગતો;
એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું.
8 “અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે
અને મારી આશા પૂરી કરે!
9 મને થાય છે દેવ મને કચરી નાખે,
જરા આગળ વધે અને મને મારી નાખે.
10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે,
મને એક વાતની ખુશી થશે,
કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી.
11 “હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં?
અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું?
શું મારું શરીર પિત્તળનું બનેલું છે?
13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે
મારી પાસેથી સફળતા લઇ લીધી છે.
14 “મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ,
કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.
15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા.
હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ;
તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ.
16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે.
17 પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે,
અને એમના પેટ સૂકાઇ જાય છે;
18 વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે
અને તેઓ અશ્ય થઇ જાય છે.
19 તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે.
શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.
20 તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે,
પરંતુ તેઓ નિરાશ થયા હતા.
21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી
અને મને મદદ કરવાની ના પાડી હતી.
22 મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું?
23 શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો?
હેરાન કરનારાઓથી મને મુકત કરો?
પણ તમે મને મુકત રીતે તમારી સલાહ આપી.’
24 “મને કહો મેં શું પાપ કર્યુ છે?
મને શીખવો અને હું તમને અટકાવીશ નહિ.
25 સત્ય વચન ઘણાં અસરકારક હોય છે.
પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી.
26 શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો?
પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે.
27 અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે
તમે કદાચ જુગાર પણ રમો એવા છો.
અથવા તમારા મિત્રોના ભોગે નફો કરો છો.
28 મારી સામે જુઓ!
હું તમારી આગળ જૂઠું નહિ બોલું.
29 આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો,
આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી.
30 તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું?
સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”
10 ભાઈઓ તથા બહેનો, મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે યહૂદિઓ તારણ પામે. દેવને મારી એ જ પ્રાર્થના છે. 2 યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી. 3 દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ. 4 ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય.
5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે, “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.”(A) 6 પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો, ‘ઉપર આકાશમાં કોણ જશે?’” (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”) 7 “અથવા તમે આમ પણ પૂછશો નહિ, ‘કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?’” (એનો અર્થ છે, “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”)
8 શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ.(B) 9 જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે.
11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”(C) 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”(D)
14 પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે. 15 અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!”(E)
16 પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?”(F) 17 આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે.
18 પરંતુ હું પૂછું છું, “શું લોકોએ એ સુવાર્તા સાંભળી નથી?” હા, તેઓએ સાંભળી જ હતી જેમ શાસ્ત્ર કહે છે તેમ:
“આખી દુનિયામાં તેઓને અવાજ ફેલાઈ ગયો;
આખા જગતમાં બધે જ તેઓનાં વચનો ફેલાયાં છે.” (G)
19 વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે:
“જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ.
જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.” (H)
20 દેવ માટે આવું કહેનાર યશાયાએ હિંમતપૂર્વક કહ્યું:
“જેઓ મને શોધતા ન હતા-તેઓને હું મળ્યો;
જેમણે મને કદી ખોળયો નહોતો એવા લોકોની આગળ હું પ્રગટ થયો.” (I)
21 બિનયહૂદિઓ વિષે યશાયા દ્વારા દેવ આમ બોલ્યો. પરંતુ યહૂદિ લોકો વિષે દેવ કહે છે,
“એ લોકો માટે હું રાત-દિવસ રાહ જોઈ રહ્યો છું,
પરંતુ મારી આજ્ઞા પાળવાનો અને મને અનુસરવાનો તેઓ ઈન્કાર કરે છે.” (J)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International