Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 48

યાકૂબના બંને પુત્રોને આશીર્વાદ

48 સમય જતાં યૂસફને કોઈકે, સમાંચાર આપ્યા કે, તારા પિતાજી માંદા પડયા છે. તેથી તરત જ તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો. જયારે કોઈકે યાકૂબને ખબર આપી કે, “તારો પુત્ર યૂસફ મળવા આવ્યો છે.” એટલે તે શરીરની બધી તાકાત ભેગી કરીને ખાટલા પર બેઠો થઈ ગયો.

અને ઇસ્રાએલે યૂસફને કહ્યું, “કનાન દેશના લૂઝ ગામે સર્વસમર્થ દેવે મને દર્શન આપ્યાં હતાં. પછી આશીર્વાદ આપીને કહ્યું હતું કે, ‘જો, હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃધ્ધિ કરીશ; અને તારા પછી તારા વંશજોને આ દેશના કાયમના ધણી બનાવીશ.’ અને માંરા મિસરમાં આવતા પહેલાં મિસરમાં તને પ્રાપ્ત થયેલા બે પુત્રો હવે માંરા પુત્રો છે. રૂબેન અને શિમયોનની જેમ હવે એફ્રાઈમ અને મનાશ્શા માંરા પુત્રો ગણાશે. એમના પછી થયેલાં તારાં સંતાનો તારાં કહેવાશે; અને તેમનો પ્રદેશ તેમના ભાઈઓનાં નામે ઓળખાશે. જયારે હું પાદાનથી આવતો હતો ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો તે દરમ્યાન રસ્તામાં જ કનાન દેશમાં જ રાહેલનું દુ:ખદ અવસાન થયું; એટલે મેં તેને એફ્રાથના એટલે બેથલેહેમના માંર્ગમાં જ દફનાવી.”

અને પછી જયારે યૂસફના પુત્રોને ઇસ્રાએલે જોયા ત્યારે તેણે તેમને સવાલ કર્યો, “આ કોણ છે?”

એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.”

ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”

10 હવે વૃદ્વાવસ્થાને કારણે ઇસ્રાએલની આંખોનું તેજ ઓછું થયું હતું. તેને દેખાતું ન હતું. તેથી યૂસફ તેઓને તેમની પાસે લઈ આવ્યો એટલે તેણે તેઓને ચુંબન કર્યુ અને પછી તે તેઓને કોટે વળગ્યો. 11 પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”

12 પછી યૂસફે તેમને તેમના ખોળામાંથી લઈ લીધા અને જમીનને માંથું અડાડીને પ્રણામ કર્યા. 13 ત્યાર બાદ યૂસફે તે બંનેને લીધા, એફ્રાઈમને જમણી બાજુએ રાખ્યો જેથી તે ઇસ્રાએલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને ડાબી બાજુએ રાખ્યો, જેથી તે ઇસ્રાએલની જમણી બાજુએ રહે; ને એમ તે તેઓને ઇસ્રાએલની પાસે લઈને આવ્યો. 14 પરંતુ ઇસ્રાએલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમ જે નાનો હતો તેના માંથા પર મૂક્યો, અને પોતાનો ડાબો હાથ આંટી પાડીને મનાશ્શાના માંથા પર મૂકયો, જો કે, મનાશ્શા જયેષ્ઠ હતો; 15 પછી તેણે યૂસફને આશીર્વાદ આપતાં કહ્યું,

“જે દેવની સાક્ષીએ માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાક ચાલતા હતા,
    જે દેવે મને સમગ્ર જીવનપર્યત સંભાળ્યો.
16 જે દેવદૂતે મને સર્વ અનિષ્ટોમાંથી ઉગાર્યો છે,
    તે આ છોકરાઓને આશીર્વાદ આપો;
અને માંરું નામ તથા માંરા પિતૃઓ ઇબ્રાહિમ અને ઇસહાકનાં નામ એમના વડે અમર રહો.
    અને આ પૃથ્વી પર એમના વંશની વૃદ્વિ થાઓ.”

17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો. 18 અને પિતાને કહ્યું, “એમ નહિ, પિતાજી, કારણ કે આ જયેષ્ઠ છે; તમાંરો જમણો હાથ એના માંથા પર મૂકો.”

19 પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.”

20 આમ, તે દિવસે તેમને આશીર્વાદ આપી ઇસ્રાએલે કહ્યું,

“ઇસ્રાએલના લોકો જ્યારે
    પણ કોઇને આશીર્વાદ આપશે
    ત્યારે તમાંરા નામનો ઉપયોગ કરશે,
તેઓ કહેશે, ‘દેવ તમને
    એફ્રાઈમ અને મનાશ્શા જેવા બનાવો.’”

આમ તેણે એફ્રાઈમને મનાશ્શાથી આગળ મૂકયો.

21 પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે. 22 પરંતુ મે તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપ્યો છે, શખેમ પહાડ આપું છું જે મેં અમોરીઓ પાસેથી માંરી તરવાર તથા માંરા ધનુષ્યની તાકાતથી એ જીતી લીધો હતો.”

લૂક 1:39-80

મરિયમની ઝખાર્યા અને એલિસાબેત સાથે મુલાકાત

39 પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ. 40 ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી. 41 મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ.

42 પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે. 43 તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું? 44 જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. 45 તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.”

મરિયમ દેવની સ્તુતિ કરે છે

46 પછી મરિયમે કહ્યું,

47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
    મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
    અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
    બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
    તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
    તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
    અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
    પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
    દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”

56 લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી.

યોહાનનો જન્મ

57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા.

59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.”

61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?”

63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું.

ઝખાર્યાનું દેવને સ્તુતિગાન

67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો.

68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
    તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
    ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
    લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
    તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
    અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74     દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
    તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75     જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.

76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
    તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.

78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
    નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”

80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.

અયૂબ 14

14 અયૂબે કહ્યું, “માણસ કેવો નિર્બળ છે,
    તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે.
જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે
    મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.
શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો?
    શું ન્યાય મેળવવા માટે તેને તમારી સમક્ષ ઊભો કરવામાં આવશે?

“અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું!
    પણ એવું બનવું અશક્ય છે.
તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી
    નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ;
    તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે.
તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો.
    અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ
    અમને અમારા વળતરનો આનંદ માણવા દો.

“ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય;
    તે પાછું વિકાસ પામી શકે છે
    અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.
તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે
    અને તેનું થડ જમીનમાં સૂકાઇ જાય.
તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો
    એ નવા છોડની જેમ ડાળીઓ ઉગાડી શકે.
10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે.
    જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.
11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે,
    અને નદી ક્ષીણ થઇને સુકાઇ જાય છે;
12 તેમ માણસ સૂઇ જઇને ક્યારેય
    પાછો ઊઠતો નથી;
જ્યાં સુધી આકાશોનું
    અસ્તિત્વ ન રહે
ત્યાં સુધી માણસ ફરીથી
    તેની ઊંઘમાંથી જાગશે નહિ.

13 “હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો,
    અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો,
    અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું!
14 માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો?
    જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ.
15 દેવ તમે મને બોલાવશો
    ત્યારે હું તમને જવાબ આપીશ.
પછી હું જેનું તમે સર્જન કર્યું છે,
    તમારા માટે મહત્વનો હોઇશ.
16 પછી તમે મારાં એકેએક પગલાંને નજરમાં રાખશો,
    પણ મારા દુષ્કૃત્યો તમને યાદ નહિ આવે.
17 તમે મારા પાપોને એક થેલામાં બાંધશો,
    અથવા તમે મારા ગુનાઓ ઉપર ચીતરશો!

18 “પર્વતો પડીને નષ્ટ થાય છે,
    અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
19 પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે.
    પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ,
    તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો.
20 તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો
    અને પછી તે દૂર ચાલ્યો જાય છે.
તમે તેને ઉદાસ બનાવીને
    દૂર મોકલી દો છો.
21 તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી;
    અથવા જો તેઓ નીચે લવાયા હોય તો અપમાનિત કરાયા હોય, એ વિષે પણ તે અજાણ છે.
22 તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે
    અને મોટેથી પોતાના માટે રડે છે.”

1 કરિંથીઓ 2

વધસ્તંભ પર ખ્રિસ્ત વિષેનો સંદેશ

પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમારી સમક્ષ દેવ વિષેનું સત્ય પ્રગટ કર્યુ. પણ મેં સુશોભિત વચનો કે ઉત્કૃષ્ટ જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો. મેં નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી હું તમારી સાથે હોઈશ ત્યાં સુધી હું ઈસુ ખ્રિસ્ત અને તેના વધસ્તંભ પરના મૃત્યુ સિવાય દરેક વસ્તુ ભૂલી જઈશ. જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો. મારી વાણી અને મારો ઉપદેશ લોકો સમજે અને સંમત થાય તેવા જ્ઞાની વચનોથી ભરપૂર ન હતાં. પરંતુ આત્માએ મને જે શક્તિ આપી તે મારા ઉપદેશનું પ્રમાણ હતું. મેં આમ કર્યુ જેથી કરીને તમારો વિશ્વાસ માણસના જ્ઞાન કરતા દેવના સાર્મથ્યમાં જળવાઈ રહે.

દેવનું જ્ઞાન

જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે. પરંતુ અમે દેવના રહસ્યપૂર્ણ જ્ઞાન વિષે કહીએ છીએ કે જે જ્ઞાન લોકોથી છુપાવવામાં આવ્યું હતું. દેવે આ જ્ઞાન આપણા જ મહિમા માટે આયોજિત કરેલું. જગતનાં પ્રારંભ પૂર્વેથી દેવે આ યોજના કરેલી. આ જગતના કોઈ પણ અધિકારીઓ આ શાણપણનો પાર પામી શક્યા નથી. જો તેઓ તે સમજી શક્યા હોત, તો તેઓ પ્રભુને વધસ્તંભે ન જડત. પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે,

“નથી આંખે જોયું,
    નથી કાને સાભળ્યું,
નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે
    તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યુ છે.” (A)

10 પરંતુ દેવે બધી બાબતો આપણને આત્મા દ્વારા દર્શાવી છે. આત્મા આ બધી બાબતો જાણે છે.

આત્મા તો દેવનાં ઊડા રહસ્યોને પણ જાણે છે. 11 તે આ પ્રમાણે છે: કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો જાણી શક્તી નથી. ફક્ત તે વ્યક્તિમાં રહેલો આત્મા જ તે વિચારો જાણી શકે છે. દેવ સાથે પણ આમ જ છે. દેવના વિચારો કોઈ જાણી શકતું નથી. ફક્ત દેવનો આત્મા જ તે વિચારો જાણે છે. 12 જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ.

13 જ્યારે અમે આ વાતો કહીએ છીએ ત્યારે અમે મનુષ્યે શીખવેલા શબ્દો વાપરતા નથી. અમે આત્માએ શીખવેલા શબ્દો વાપરીએ છીએ. અમે આત્મિક બાબતો સમજાવવા આત્મિક શબ્દો વાપરીએ છીએ. 14 જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે. 15 પરંતુ આધ્યાત્મિક મનુષ્ય પ્રત્યેક બાબતોની મૂલવણી કરવા માટે સક્ષમ હોય છે. બીજા લોકો તેને મૂલવી શક્તા નથી. 16 શાસ્ત્રલેખ કહે છે કે:

“પ્રભુનું મન કોણ જાણી શકે?
    પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” (B)

પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International