M’Cheyne Bible Reading Plan
તીડો
10 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુન પાસે જા. કારણ મેં તેને અને તેના અમલદારોને એટલા માંટે હઠાગ્રહી બનાવ્યા છે કે જેથી હું તેમને માંરા શક્તિશાળી ચમત્કાર બતાવી શકું. 2 અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવા છું.”
3 એટલા માંટે મૂસા અને હારુન ફારુન પાસે ગયા અને કહ્યું, “હિબ્રૂઓના દેવ યહોવા આ કહે છે; ‘તું કયાં સુધી માંરી આજ્ઞાનું પાલન કરવા ના કરીશ? માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે. 4 ધ્યાન રાખ, જો તું માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો યાદ રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડો લાવીશ. 5 અને તે લોકો જમીનને એવી ઢાંકી દેશે કે કોઈ જમીન જોવા જ પામશે નહિ. અને કરાની વર્ષા પછી તારી પાસે જે કાંઈ વધ્યું છે, તે તેઓ ખાઈ જશે; તેઓ તારા ખેતરમાંનું એકેએક વૃક્ષ ખાઈ જશે. 6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.’” ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.
7 ફારુનના અમલદારોએ તેને કહ્યું, “અમે ક્યાં સુધી આ લોકોની જાળમાં ફસાએલા રહીશું? એ લોકોને એમના દેવ યહોવાની ઉપાસના કરવા જવા દો. તમે એમને જવા નહિ દો તો, તમને ખબર પડે તે પહેલા, મિસરનો વિનાશ થઈ જશે!”
8 એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?”
9 મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જ જઈશું, કારણ એ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.”
10 ફારુને તેમને કહ્યું, “હું તમને અને તમાંરાં સર્વ બાળબચ્ચાંને મિસરમાંથી જવા દઉ તે પહેલા દેવ ખરેખર તમાંરી સાથે હોવા જોઈયે. મને લાગે છે કે તમે કઈ ખરાબ વિચારી રહ્યાં છો. 11 ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી જ તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં.
12 પછી યહોવાએ મૂસાને કહ્યું, “મિસરની ભૂમિ પર તારો હાથ ફેલાવ એટલે મિસર ઉપર તીડો આવશે. તીડો મિસરની તમાંમ ભૂમિ પર પ્રસરી જશે અને કરાથી બચી ગયેલાં તમાંમ વૃક્ષો અને છોડોને ખાઈ જશે.”
13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો એ તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો. 14 સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ. 15 તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ.
16 ફારુને મૂસા અને હારુનને વહેલા બોલાવડાવ્યા, અને તેણે કહ્યું, “મેં તમાંરા દેવ અને તમાંરી વિરુધ્ધ પાપ કર્યુ છે. 17 આ વાર માંરો ગુનો માંફ કરો, અને તમાંરા દેવ યહોવાને પ્રાર્થના કરો અને તેમને અરજ કરો કે તે મને આ ‘મોત’ ના તીડો માંરામાંથી બહાર કાઢે.”
18 મૂસા ફારુનની પાસેથી વિદાય થયો અને તેણે યહોવાને પ્રાર્થના કરી. 19 એટલે યહોવાએ પવનની દિશા બદલી નાંખી; અને પશ્ચિમમાંથી ભારે તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અને તેણે તીડોને ઉપાડીને રાતા સમુદ્રમાં હાંકી કાઢયાં. સમગ્ર મિસરમાં એક પણ તીડ રહ્યું નહિ. 20 પરંતુ યહોવાએ ફારુનને વળી પાછો હઠાગ્રહી બનાવ્યો અને તેણે ઇસ્રાએલીઓને જવા ન દીધા.
સર્વત્ર અંધકાર
21 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, એ અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.”
22 એટલે મૂસાએ હવામાં આકાશ તરફ હાથ ઉગામ્યો અને પ્રગાઢ અંધકારે મિસર દેશને ઢાંકી દીધો. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર રહ્યો. 23 કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શક્તી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊભું થઈ શક્યું નહિ, પરંતુ તે બધી જ જગ્યાઓ પર જ્યાં ઇસ્રાએલના લોકો રહેતા હતા ત્યાં પ્રકાશ હતો.
24 ફારુને મૂસાને ફરી બોલાવ્યો અને કહ્યું, “જાઓ, અને યહોવાની ઉપાસના કરો. તમે તમાંરી સાથે તમાંરા બાળકોને પણ લઈ જઈ શકો છો. ફકત તમાંરાં ઘેટાંબકરાં અને ઢોરને પાછળ મૂક્તા જજો.”
25 મૂસા એ કહ્યું, “અમે અમાંરા ઘેટાંબકરાં અને ઢોર અમાંરી સાથે લઈ જઈશું એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તમે અમને યજ્ઞ માંટેના અર્પણો પણ આપશો અને અમે લોકો એ અર્પણોનો દેવ યહોવાની ઉપાસના માંટે ઉપયોગ કરીશું. 26 અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે? તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.”
27 યહોવાએ ફારુનને પાછો હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેમને જવા દેવા માંટે ના પાડી. 28 પછી ફારુને મૂસાને કહ્યું, “માંરી પાસેથી દૂર હઠ, હું નથી ઈચ્છતો કે તું ફરીવાર અહીં આવે. એમ છતાં જો તું મને મળવા આવીશ તો માંર્યો જઈશ, ખબરદાર! મને ફરી મોઢું બતાવ્યું તો! અને જો બતાવ્યું તો તે જ દિવસે મૂઓ જાણજે.”
29 પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી તમને મળવા કદાપી આવીશ નહિ.”
પસ્તાવો કરો
13 તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું? 3 ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો! 4 પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા? 5 તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.”
નિરુંપયોગી વૃક્ષ
6 ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ. 7 ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું, ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે?’ 8 પણ માળીએ ઉત્તર આપ્યો, ‘સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો. 9 બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.’”
ઈસુનું વિશ્રામવારે એક સ્ત્રીને સાજા કરવું
10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી.
14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.”
15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા.
દેવનું રાજ્ય શાના જેવું?
(માથ. 13:31-33; માર્ક 4:30-32)
18 પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું? 19 દેવનું રાજ્ય રાઇના બી જેવું છે. જેને એક માણસે આ બી લઈને પોતાની વાડીમાં વાવ્યું. તે બી ઊગ્યું અને મોટું ઝાડ થયું. પક્ષીઓએ તેની ડાળીઓ પર માળાઓ બાંધ્યા.”
20 ઈસુએ ફરી કહ્યું, “હું દેવના રાજ્યને શાની સાથે સરખાવું? 21 તે ખમીર જેવું છે જેને સ્ત્રી રોટલી બનાવવા માટે લોટના મોટા વાસણમાં ભેળવે છે. ખમીર બધા લોટને ફુલાવે છે.”
સાંકડો દરવાજો
(માથ. 7:13-14; 21:23)
22 ઈસુ દરેક શહેર અને ગામડામાં બોધ કરતો હતો. તેણે યરૂશાલેમ તરફથી યાત્રા ચાલુ રાખી. 23 કોઈકે ઈસુને પૂછયું, “પ્રભુ! કેટલા લોકોનું તારણ થશે? ફક્ત થોડાક?”
ઈસુએ કહ્યું, 24 “સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ. 25 જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’ પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’ 26 પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’ 27 પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’
28 “તમે લોકો ઈબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે ભયથી રડશો અને દાંત પીસશો. 29 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે. 30 જે લોકો હમણા જીવનમાં નીચામાં નીચી જગ્યાએ છે તે લોકો દેવના રાજ્યમાં ઊંચામાં ઊચી જગ્યાએ હશે. અને જે લોકો હમણા ઊચામાં ઊચી જગ્યાઓ છે તેઓ હવે દેવના રાજ્યમાં નીચામાં નીચી જગ્યાએ હશે.”
યરૂશાલેમમાં ઈસુના મૃત્યુની આગાહી
(માથ. 23:27-39)
31 તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!”
32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવા[a] ને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે. 33 તે પછી મારે જવું જોઈએ, કારણ કે બધા પ્રબોધકોએ યરૂશાલેમમાં મરવું પડે.
34 “ઓ યરૂશાલેમ! યરૂશાલેમ! તું પ્રબોધકોને મારી નાખે છે. દેવે તારી પાસે મોકલેલા લોકોને નેં પથ્થરે માર્યા. ઘણી વાર મેં તારાં લોકોને મદદ કરવાની ઈચ્છા કરી. જેમ મરઘી પોતાનાં બચ્ચાઓને પાંખો તળે ભેગાં કરે છે તેમ કેટલી વાર તારાં લોકોને ભેગા કરવાની ઇચ્ચા કરી, પણ તમે મને કરવા દીધું નહિ. 35 હવે તમારું ઘર સંપૂર્ણ ઉજ્જડ મૂકવામાં આવશે. હું તમને કહું છું કે, પ્રભુનાં નામે જે આવે છે તેને ધન્ય છે, એમ તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી જોઈ શકશો નહિ.”
જ્ઞાનનાં ગુણગાન
28 “ત્યાં ચાંદીની ખાણો છે.
ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે.
2 લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે,
અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે.
3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે,
ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે.
4 ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે.
તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે.
તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે.
5 ધરતીની ઉપર અનાજ ઊગે છે
પણ નીચે તો બધું અલગ જ છે
જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે.
6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે,
અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
7 શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી.
શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી.
8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.
મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
9 પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા
અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા.
10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી
અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.
11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે
અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.
12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?
સમજશકિત ક્યાં મળી શકે?
13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.
પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.
14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’
મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ.
આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.
16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ
કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.
કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.
18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.
જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.
19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.
શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.
20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?
આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?
21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.
આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.
22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે,
‘અમે અમારા કાનોએ
તેની અફવા સાંભળી છે.’
23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,
એને એના રહેઠાણની ખબર છે.
24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે,
આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
25 જ્યારે દેવ પવનનું વજન કરે છે
અને તે પાણીને માપથી નાખે છે.
26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો
અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.
દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.
28 તેણે માણસને કહ્યું,
‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે.
દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’”
આત્મિક દાનોને મંડળી માટે ઉપયોગી બનાવો
14 પ્રીતિ એ એવી બાબત છે કે જેના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. અને ખરેખર તમારે આત્મિક દાનની અભિલાષા રાખવી જોઈએ. એ બધામાં સૌથી વધુ પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ. 2 તે શા માટે તે હું સમજાવીશ: જે વ્યક્તિમાં વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા છે તે લોકોને સંબોધતા નથી પરંતુ તે દેવને સંબોધે છે. તે વ્યક્તિને કોઈ સમજી શકતું નથી. કારણ કે આત્મા થકી તે મર્મો વિષે બોલે છે. 3 પરંતુ જે વ્યક્તિ પ્રબોધ કરે છે, તે લોકોને કહે છે. તે લોકોને સાર્મથ્ય, પ્રોત્સાહન અને દિલાસો આપે છે. 4 જે વ્યક્તિ અન્ય ભાષા બોલે છે તે માત્ર પોતાની જાતને જ મદદરુંપ થાય છે, પરંતુ પ્રબોધક તો આખી મંડળીને મદદરુંપ થાય છે.
5 તમારા બધામાં વિવિધ ભાષા બોલવાની ક્ષમતા હોય તે મને ગમશે. પરંતુ તમારી પ્રબોધ કરવાની ક્ષમતા મને વધુ ગમશે. પ્રબોધક વિવિધ ભાષી કરતાં વધુ મહાન છે. જે વ્યક્તિ વિવિધ ભાષી છે તે પ્રબોધક જેવો જ છે, જો તે બધી ભાષાઓનું અર્થઘટન કરી શકે, કે જેથી તેનું ઉદબોધન મંડળીઓને મદદરુંપ થાય.
6 ભાઈઓ અને બહેનો, જુદી-જુદી ભાષા બોલીને હું તમારી પાસે આવું તો તમને મદદરુંપ બનીશી? ના! જ્યારે હું નૂતન સત્ય કે થોડો પ્રબોધ, કે થોડો ઉપદેશ લઈને આવું ત્યારે તે તમને ઉપયોગી થશે. 7 અર્થ વગર વિવિધ ભાષામાં બોલવું તે નિર્જીવ વસ્તુઓ દ્વારા કરવામાં આવતા ધ્વનિ સમાન છે જેમ કે વાંસળી કે વીણા. જો સંગીતના વિવિધ સૂરને સુસ્પષ્ટ ન કરવામાં આવે તો કયું ગીત વાગે છે તેનો ભેદ સમજી શકશો નહિ. સૂરને તમે સાચી રીતે સમજી શકો તે માટે પ્રત્યેક સ્વર સ્પષ્ટ રીતે વગાડવો જોઈએ. 8 આ જ રીતે યુદ્ધમાં જો રણશિંગડું સ્પષ્ટ રીતે ફૂંકવામાં ન આવે તો સૈનિકોને યુદ્ધની તૈયારીનો સમય છે એની ખબર ન પડે.
9 તમારી સાથે પણ આમ જ છે. બધી ભાષાઓમાં બોલાયેલા શબ્દો સ્પષ્ટ હોવા જોઈએ, નહિ તો તમે શું કહેવા માગો છો તે કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ, અને તમે માત્ર હવામાં વાતો કરતા રહી જશો! 10 તે સાચું છે કે દુનિયામાં વિવિધ પ્રકારની ભાષાઓ છે, ને દરેકને પોતાના વિવિધ અર્થ હોય છે. 11 અને તેથી એક વ્યક્તિ શું કહે છે તે જો હું ન સમજી શકું તો મને એમ લાગે કે તે વિચિત્ર બોલે છે અને તેને લાગે કે હું વિચિત્ર બોલું છું. 12 તમારી સાથે પણ આવું જ છે. તમે આત્મિક દાનની ખૂબ ઈચ્છા ઘરાવો છો જેથી મંડળી વધારે શક્તિશાળી બને. તેથી તે મેળવવા અથાગ પ્રયત્ન કરો.
13 તેથી જે વ્યક્તિની પાસે અન્ય ભાષા બોલવાની ક્ષમતા છે, તે પોતે જે બોલે છે તેનું તે સાચું અર્થઘટન કરી શકે તેવી તેણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. 14 હું જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારું મન તો નિષ્ક્રિય છે. 15 તો મારે શું કરવું જોઈએ? હું મારા આત્મા સાથે પ્રાર્થના કરીશ. પણ હું મારા મન સાથે પણ પ્રાર્થના કરીશ. હું મારા આત્મા સાથે ગાઈશ. પણ હું મારા મન સાથે પણ ગાઈશ. 16 તમારા આત્મા થકી તમે દેવનો મહિમા ભલે ગાતા હો, પરંતુ એક વ્યક્તિ સમજ્યા વગર તમારી આભારસ્તુતિની પ્રાર્થનાને “આમીન”[a] નહિ કહી શકે. શા માટે? કારણ કે તે સમજતો નથી કે તમે શું કહી રહ્યા છો. 17 તમે સુંદર રીતે દેવની આભારસ્તુતિ કરતા હશો, પરંતુ ન સમજનાર વ્યક્તિ માટે તે મદદરૂપ નથી બનતું.
18 તમારા બધા કરતા વિવિધ પ્રકારની ભાષા બોલવાની મારી શક્તિ વિશેષ છે, તે માટે હું દેવનો આભારી છું. 19 પરંતુ મંડળીની સભામાં તો વિવિધ ભાષાના હજારો શબ્દો બોલવાને બદલે હું જેને સમજી શકું છું તેવા માત્ર પાંચ શબ્દો જ બોલીશ. હું મારી સમજ પ્રમાણે બોલવાનું પસંદ કરું છું કે જેથી હું બીજા લોકોને ઉપદેશ આપી શકું.
20 ભાઈઓ અને બહેનો, બાળકો જેવું ન વિચારશો. દુષ્ટતામાં બાળકો થાઓ. પરંતુ તમારી વિચારસરણીમાં તો પુખ્ત ઉંમરના માણસ જેવા જ બનો. 21 પવિત્રલેખમાં લખ્યું છે કે:
“જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે
તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને
હું લોકોને ઉદબોધન કરીશ
પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” (A)
પ્રભુ આમ કહે છે.
22 તેથી અન્ય ભાષા વિશ્વાસીઓને નહિપણ અવિશ્વાસીઓને ચિહનરુંપ છે; પણ પ્રબોધ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહનરુંપે છે. 23 ધારો કે આખી મંડળી ભેગી મળે અને સભામાં તમે બધા જુદી-જુદી ભાષાઓ બોલો, ત્યારે નહિ સમજનારા કે વિશ્વાસ વગરના કેટલાએક લોકો ત્યાં આવે તો તેઓ તમને કહેશે કે તમે ઘેલા છો. 24 પરંતુ ધારો કે તમે બધા પ્રબોધ કરી રહ્યા છો ત્યારે વિશ્વાસ વગરની બહારની કોઈ વ્યક્તિ ત્યાં આવે તો જ્યારે તમે પ્રબોધ કરી રહ્યા છો ત્યારે તે વ્યક્તિના પાપ તમે દર્શાવશો અને તમે બધા જે કહો છો તેનાથી તે વ્યક્તિનો ન્યાય થશે. 25 તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.”
તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ
26 તો ભાઈઓ અને બહેનો, તમારે શું કરવું જોઈએ? જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય, બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય, બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય, જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય. આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ. 27 જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ. 28 પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ.
29 અને માત્ર બે કે ત્રણ પ્રબોધકોએ જ બોલવું જોઈએ અને તેઓ જે બોલે છે તેનું બીજાઓએ મૂલ્યાંકન કરવું જોઈએ. 30 અને જે વ્યક્તિ બેઠેલી છે તેનામાં પ્રભુના સંદેશની પ્રેરણા જાગે તો પ્રથમ વસ્તાએ અટકી જવું જોઈએ. 31 તમે બધા એક પછી એક પ્રબોધ કરી શકો. આ રીતે બધા જ લોકોને ઉપદેશ આપી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય. 32 પ્રબોધકોનો આત્મા પ્રબોધકોના પોતાના નિયંત્રણમાં હોય છે. 33 દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે.
34 સ્ત્રીઓએ મંડળીની સભાઓમાં શાંત રહેવું જોઈએ. દેવના લોકોની બધી જ મંડળીઓમાં આમ જ હોવું જોઈએ. મૂસાનો નિયમ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓને બોલવાની છૂટ ન આપવી જોઈએ અને તેમણે નિયંત્રણમાં રહેવું જોઈએ. 35 સ્ત્રીઓને પોતાને કઈક જાણવાની ઈચ્છા હોય તો તેમણે તેમના ઘેર તેમના પતિઓને પૂછવું જોઈએ. મંડળીની સભાઓમાં સ્ત્રીઓનું બોલવું ઘણું શરમજનક છે.
36 શું દેવનો ઉપદેશ તમારા થકી છે? ના! અથવા તમે માત્ર એક એવા છો કે જેમના આ ઉપદેશ પ્રાપ્ત થયો છે? ના! 37 જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે. 38 જો તે વ્યક્તિ આ ન જાણતી હોય તો દેવ દ્વારા તે અજ્ઞાત છે.
39 તેથી મારા ભાઈઓ અને બહેનો, ખરેખર તમારે પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ, પરંતુ અન્ય ભાષામાં બોલવાનું દાન ધરાવતા લોકોને તે ભાષામાં બોલતા રોકશો નહિ. 40 પરંતુ દરેક વસ્તુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International