Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઉત્પત્તિ 49

યાકૂબના પુત્રોને આશીર્વાદ અને વિદાય

49 પછી યાકૂબે પોતાના પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, “તમે બધા ભેગા થાઓ એટલે હું તમને તમાંરા પર ભવિષ્યમાં જે વીતશે તે તમને કહું,

“યાકૂબના પુત્રો તમે ભેગા થાઓ, ને સાંભળો;
અને તમાંરા પિતા ઇસ્રાએલની વાત ધ્યાનપૂર્વક સાંભળો.

રૂબેન

“રૂબેન, તું તો માંરો જયેષ્ઠ પુત્ર છે,
    માંરું સાર્મથ્ય અને માંરા પુરૂષત્વનું પ્રથમ ફળ છે.
તું માંનમર્યાદામાં સૌથી મોખરે
    અને શકિતમાં પણ મોખરે છે.
પૂર જેવાં તારા તીવ્રં આવેશને
    તું રોકી ન શક્યો;
તેથી તું માંરા સૌથી માંનીતો
    પુત્ર નહિ બને,
તું તારા પિતાની શૈયા પર ચઢીને
    તેની પત્નીઓમાંથી એક સાથે સુતો.
તું જે શૈયા પર સૂતો
    તેને શરમજનક બનાવી છે.

શિમયોન તથા લેવી

“વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે,
    એમની તરવાર હિંસાનુ હથિયાર છે,
હું એમના કાવતરામાં ભાગ નહિ લઉ.
    એમના ગુપ્ત મેળાપોમાં સામેલ નહિ થાઉં,
કારણ કે તેઓ ક્રોધને વશ થઈને માંણસોનો વધ કરે છે,
    અને માંત્ર મજાક કરવા પ્રાણીઓને ઇજા પહોંચાડે છે.
એમનો ક્રોધ એક શાપ છે. એ ખુબ મજબૂત છે.
    તેઓ જ્યારે ક્રોધમાં ગાંડાતૂર થાય છે ત્યારે ખૂબ જ નિર્દય બને છે.
યાકૂબની ભૂમિમાં તેઓની પોતાની જમીન નહિ હોય.
    તેઓ આખા ઇસ્રાએલમાં પથરાઇ જશે.

યહૂદા

“યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે.
    તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે;
    તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.
યહૂદા યુવાન સિંહ છે,
    તે ખૂન કરીને આવ્યો છે,
તે સિંહની જેમ થાક ખાવા બેઠો છે.
    એને છંછેડવા જેટલું બહાદુર કોઇ નથી?
10 યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે.
તેના પરિવારનો રાજદંડ જ્યાં
    સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ.
પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.
11 તે પોતાના ગધેડાને દ્રાક્ષના વેલા સાથે બાંધે છે, પોતાના ખોલકાને સૌથી ઉત્તમ દ્રાક્ષના વેલા સાથે બાંધે છે.
    વળી પોતાનાં વસ્રો દ્રાક્ષારસમાં ધૂએ છે, અને પોતાનો પોષાક દ્રાક્ષના રકતમાં ધૂએ છે.
12 દ્રાક્ષારસથી તેની આંખો રાતી થઈ છે,
    અને તેના દાંત દૂધથી ઉજળા થયા છે.

ઝબુલોન

13 “ઝબુલોન દરિયાકાંઠે રહેશે
    જે વહાણોનું બંદર બનશે.
    અને તેની સીમાં છેક સિદોન સુધી પહોંચશે.

ઈસ્સાખાર

14 “ઈસ્સાખાર બળવાન ગધેડો છે,
    પણ ઘેટાંઓના વાડામાં જઈને તે આરામથી બેઠો છે.
15 અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું.
    તેને આરામ મીઠો અને પ્રદેશ ખુશનુમાં લાગ્યો.
તેથી તેણે બોજો ઉઠાવવા માંટે ખાંધ નમાંવી,
    અને વેઠ કરનારો ગુલામ બન્યો.

દાન

16 “ઇસ્રાએલના અન્ય પરિવારની
    જેમ જ દાન પોતાના લોકોનો ન્યાય પોતે કરશે.
17 દાન માંર્ગ પાસેનો સર્પ છે,
    તે એક સર્પ જેવો છે
જે ઘોડાના પગને
    ડંખ માંરે છે,
ને સવાર જોરથી પછાડ
    ખાઈને જમીન પર પડે છે.

18 “ઓ યહોવા! તું કયારે તારણ કરે એની હું વાટ જોઉં છું.

ગાદ

19 “ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે,
    અને તે તેમનો પીછો કરીને વળતો હુમલો કરશે.

આશેર

20 “આશેર પાસે શ્રેષ્ઠ જમીન હશે કે, જેમાં પુષ્કળ પ્રમાંણમાં સારા અનાજની ઊપજ થતી હોય
    અને તે રાજાને લાયક શ્રેષ્ઠ અનાજ ઉત્પન કરશે.

નફતાલી

21 “નફતાલી છૂટથી દોડતુ હરણ છે,
    એના શબ્દો હરણીના સુંદર બચ્ચાં જેવા છે.

યૂસફ

22 “યૂસફ ફળદ્રુપ ડાળ છે,
    ઝરા પાસેથી ફળવંત વેલ,
    દ્રાક્ષ એક વેલ જેવી શાખા જે દીવાલ સાથે વધે છે.
23 તીરંદાજો તેની વિરુધ્ધ લડ્યાં,
    તેઓએ તેમના તીરો વડે
ક્રૂરતાથી તેના પર આક્રમણ કર્યુ.
24 પણ તેમનાં ધનુષ્ય થંભી ગયાં, તેમના બાહુ ધ્રુજી ઊઠયા,
યાકૂબના સમર્થ દેવના પ્રતાપે આ બધું બન્યું.
25     તેને ઇસ્રાએલના ખડક, તમાંરા પૂર્વજોના દેવ, તરફથી શકિત મળી હતી.
અને તમે સર્વસમર્થ દેવથી આશીર્વાદિત થશો.
    તે તમને ઉપર આકાશ અને ખૂબ નીચેથી આશીર્વાદ આપે.
એ તમને છાતી અને ગર્ભમાંથી આશીર્વાદો આપે.
26 તારા પિતાને મળેલા આશીર્વાદો, તારા પિતૃઓને મળેલા આશીર્વાદો કરતાં મોટા છે,
સદાકાળ ટકી રહેનારા પર્વતોની અત્યંત દૂરની સીમાં સુધી વધ્યા છે;
તારા ભાઈઓએ તારા માંટે કાંઇ મૂક્યું નથી
    પરંતુ હવે હું પર્વત જેટલા ઉંચા આશીર્વાદોનો ઢગલો તારા પર કરીશ.

બિન્યામીન

27 “બિન્યામીન તો ફાડી ખાનાર વરુ છે.
    સવારે તે શિકાર ખાય છે
    અને સંધ્યાકાળે એ શિકાર વહેંચે છે.”

28 એ બધાં ઇસ્રાએલના બાર કુળ છે; તેમના વડવાએ તેમને જે કહીને આશીર્વાદ આપ્યા તે આ છે; તેણે પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા પ્રમાંણે તેઓને આશીર્વાદ આપ્યા. 29 યાકૂબે પોતાના પુત્રોને આજ્ઞા કરી કે, “હવે હું માંરા પિતૃઓને ભેગા થવાની અણી પર છું. મને માંરા પિતૃઓ ભેગો એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો. 30 એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી. 31 જ ઇબ્રાહીમ અને તેની પત્ની સારાને દફનાવેલાં છે. ત્યાં જ ઇસહાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવ્યાં છે. અને ત્યાં જ મેં પણ લેઆહને દફનાવેલ છે. 32 હેથના પુત્રો પાસેથી જે ખેતર તેમાંની ગુફા સાથે ખરીદવામાં આવેલ છે.” 33 યાકૂબે પોતાના પુત્રોને સૂચના આપ્યા પછી પોતાના પગ પથારીમાં લઈ સૂઈ ગયો અને પ્રાણ છોડયો, અને તે પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.

લૂક 2

ઈસુનો જન્મ

(માથ. 1:18-25)

આ સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા. આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો. તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા.

અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો. તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેણે ગભાણમાં જ બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો.

ઈસુના જન્મની ભરવાડોને જાણ

તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા. પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા. 10 પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે. 11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે. 12 તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.”

13 પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા.

14 “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ,
    અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”

15 પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.”

16 ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું. 17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું. 18 ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા. 19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી. 20 ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે જ થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા.

21 જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું.

મંદિરમાં ઈસુનું અર્પણ

22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા. 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”[a] 24 વળી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે લોકોએ બલિદાન પણ આપવાનું હોય છે. તે મુજબ હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન આપવાનું હોય છે. તેથી યૂસફ અને મરિયમ આ વિધિ કરવા યરૂશાલેમ ગયા.

શિમયોન ઈસુને જુએ છે

25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.

તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો.

29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે.
30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે.
31     તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે.
32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે.
    તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.”

33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.”

હાન્ના ઈસુને જુએ છે

36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી.

38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું.

યૂસફ અને મરિયમનું ઘર તરફ પ્રયાણ

39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.

46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”

49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.

51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.

અયૂબ 15

અલીફાઝ તેમાનીનો બીજો સંવાદ

15 પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:

“અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો
    રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત.
    શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે?
તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો
    અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે?
અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો
    કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત.
તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ,
    તું ચતુરાઇ ભરેલા શબ્દો વડે તારા પાપ છૂપાવવાનો પ્રયત્ન કરે છે.
હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે,
    હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે.

“તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે?
    શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું?
    શું તને એમ છે તું એક જ બુદ્ધિશાળી વ્યકિત છે?
અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે?
    અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે?
10 જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે
    તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે!
11 દેવ તને આશ્વાસન આપવાની કોશિષ કરે છે, પણ એ તારા માટે પૂરતું નથી.
    અમે તને દેવનો સંદેશો નમ્રતા પૂર્વક કહ્યો.
12 તું શા માટે ઉશ્કેરાઇ જાય છે?
    તારી આંખો કેમ મિચાય છે?
13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો?
    તમે શા માટે આમ બોલો છો?

14 “શું માણસ પવિત્ર હોઇ શકે?
    સ્ત્રીજન્ય માનવી કદી નિર્દોષ હોઇ શકે?
15 જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી.
    તેમની દ્રષ્ટિએ તો આકાશો પણ સ્વચ્છ અને શુદ્ધ નથી!
16 મનુષ્ય તો અધમમાં અધમ છે.
    મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે.
    પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે.

17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે,
    જાણ્યું છે તે જ કહેવાનો છું.
18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે.
    તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ
    પણ તેઓએ છૂપાવ્યું નથી.
19 એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી.
    કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ.
તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી.
    તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે.
20 એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે.
    દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.
21 દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે
    ત્યારે તેના દુશ્મનો આવી અને તેના પર હૂમલો કરશે.
22 અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી.
    કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે.
23 તે ખોરાક માટે ભટકે છે પરંતુ તે ક્યાં મેળવે છે?
    તે જાણે છે કે મૃત્યુના દિવસો નજીક છે.
24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે;
    યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
25 તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે
    અને સર્વસમર્થ દેવની સામે લડે છે.
26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે.
    મજબૂત ઢાલથી સજ્જ થઇને તે દેવને પડકાર કરે છે.
27 એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે.
    તે માણસ કદાચ ચરબી યુકત અને ધનવાન હશે.
28 પરંતુ તેના નગરો ખંડેર બની જશે,
    તેના ઘરનો નાશ થઇ જશે
    અને તેનું ઘર ઉજ્જડ થઇ જશે.
29 તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ.
    તે તેની સંપતિ ટકશે નહિ.
30 દુષ્ટ માણસ અંધકારમાંથી બચશે નહિ,
    તે એક વૃક્ષ જેવો થશે જેની કુમળી ડાળીઓ
    જવાળાઓથી બળી જાય છે અને પવનમાં ફૂંકાઇ જાય છે.
31 દુષ્ટ માણસે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઇએ નહિ.
    કારણકે તેને કાંઇ મળશે નહિ.
32 દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે
    તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે.
33 તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો,
    જેનું અપકવ ફળ ખરી પડે એવા જૈતૂનના વૃક્ષ જેવો છે,
34 કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી.
    જેઓ પૈસાને પ્રેમ કરે છે, તેઓના ઘરો અગ્નિથી નાશ પામી જશે.
35 દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે.
    તેઓ હંમેશા લોકોને છેતરવાની યોજનાઓ બનાવતા હોય છે.”

1 કરિંથીઓ 3

માનવોને અનુસરવું ખોટું છે

ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ. જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી. હજુ સુધી તમે આધ્યાત્મિક માનવી નથી. તમારામાં ઈર્ષ્યા અને વિવાદ છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક બન્યા નથી. તમે તો દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો. તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો.

શું આપોલોસ મહત્વપૂર્ણ છે? ના! શું પાઉલ મહત્વપૂર્ણ છે? ના! અમે તો ફક્ત દેવના સેવકો છીએ જેણે તમને વિશ્વાસ કરવામાં મદદ કરી. અમારામાંના પ્રત્યેક જણે દેવે અમને જે કામ સોંપ્યું હતું તે કર્યુ. મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ. તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે. જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે. આપણે દેવ માટેના સહકાર્યકરો છીએ અને તમે દેવની માલિકીનું ખેતર છો.

અને તમે દેવની માલિકીનું મકાન છો. 10 એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો. બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ. 11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે. 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે. 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસ[a] અગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે. 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે.

16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે. 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો.

18 તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે. 19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.”(A) 20 શાસ્ત્રલેખોમાં તો આવું પણ લખેલું છે કે, “પ્રભુ જ્ઞાની માણસોને વિચારોને જાણે છે. તે એમ પણ જાણે છે કે તેમના વિચારોનું કશું જ મૂલ્ય નથી.”(B) 21 તેથી તમારે માણસો વિષે બડાશ મારવી જાઈએ નહિ. દરેક વસ્તુઓ તમારી જ છે. 22 પાઉલ, અપોલોસ અને કેફા: વિશ્વ, જીવન, મૃત્યુ, વર્તમાન તેમજ ભવિષ્ય-આ બધી જ વસ્તુઓ તમારી છે. 23 અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International