M’Cheyne Bible Reading Plan
દીનાહ પર બળાત્કાર
34 દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી. 2 તે પ્રદેશના રાજા હિવ્વી હમોરના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેણે તેને પકડી અને તેના પર બળાત્કાર કર્યો અને તેની આબરૂ લીધી. 3 પણ શખેમ દીનાહને પ્રેમ કરવા લાગ્યો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરતો. 4 તેણે પોતાના પિતા હમોરને કહ્યું કે, “મને એ છોકરી મેળવી આપો જેથી હું તેની સાથે લગ્ન કરી શકું.”
5 યાકૂબને સમાંચાર મળ્યા કે, શખેમે તેની પુત્રી દીનાહની આબરૂ લીધી હતી. પણ તેના પુત્રો ઢોરો સાથે ખેતરમાં હતા એટલે તેઓના આવ્યા સુધી તેણે શાંતિ રાખી. 6 પછી શખેમના પિતા હમોર યાકૂબની સાથે વાત કરવા ગયો.
7 ખેતરમાં યાકૂબના પુત્રોને જે કાંઈ બન્યુ હતું તેના સમાંચાર મળ્યા, જયારે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે શખેમે યાકૂબની પુત્રી પર બળાત્કાર કરીને ઈસ્રાએલ વિરુધ્ધ ન કરવા જેવો ભયંકર ગુનો કર્યો હતો.
8 પરંતુ હમોરે તેમને કહ્યું, “માંરો પુત્ર શખેમ તમાંરી પુત્રી દીનાહને ખૂબ ચાહે છે, કૃપા કરીને તેને તેણીની સાથે પરણવા દો. 9 અમાંરી સાથે લગ્નસંબંધ બાંધો, તમાંરી કન્યાઓ અમને આપો અને અમાંરી કન્યાઓ તમે લો. 10 તમે લોકો આ પ્રદેશમાં અમાંરી સાથે રહી શકશો અને આ દેશ તમાંરા માંટે ખુલ્લો રહેશે. તમે લોકો અહીં રહો, વ્યાપાર રોજગાર કરો અને માંલમિલકતવાળા થાઓ.”
11 પછી શખેમે પણ યાકૂબ અને ભાઈઓને વાત કરી. શખેમે કહ્યું, “કૃપા કરીને માંરો સ્વીકાર કરો અને મેં જે કાંઈ કર્યુ છે તે બદલ મને માંફી આપો. તમે લોકો મને જે કરવાનું કહેશો તે હું કરીશ. 12 જો તમે મને દીનાહ સાથે પરણવા દેશો તો, હું તમે જે કાંઈ ભેટ માંગશો તે હું આપીશ.”
13 યાકૂબના પુત્રોએ શખેમ તથા તેના પિતાને કપટભર્યો જવાબ આપ્યો, કારણ કે શખેમે તેઓની બહેન દીનાહની આબરૂ લીધી હતી. 14 એટલા માંટે તેમણે કહ્યું, “જેણે સુન્નત કરાવી નથી એવા માંણસને અમાંરી બહેન પરણાવવી એ તો અમાંરાથી બને જ નહિ, કારણ, એથી અમાંરી બદનામી થાય. 15 છતાં અમે લોકો તને એની સાથે લગ્ન કરવા દઈશું, જો તમે પણ અમાંરા જેવા બની જાઓ. તમાંરા નગરના સર્વ પુરૂષોની અમાંરી જેમ સુન્નત થઈ જાય. 16 પછી તમાંરા પુરુષો અમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે અને અમાંરા પુરુષો તમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે. આપણે એકબીજા સાથે રહીએ અને એક પ્રજા બની જઈએ. 17 પણ જો તમે લોકો સુન્નત ન કરાવો, તો અમે લોકો દીનાહને લઈ ચાલ્યા જઈશું.”
18 આ કરારથી હમોર અને શખેમ બહું પ્રસન્ન થયા. 19 દીનાહના ભાઈઓએ જે કાંઈ કહ્યું તે પ્રમાંણે કરવામાં શખેમને આનંદ થયો. કારણ તે યાકૂબની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો.
વળી, તે આખા કુટુંબમાં તેનું સૌથી વધારે માંન હતું. 20 એટલા માંટે હમોર અને તેનો પુત્ર શખેમ ગામના ભાગળે આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે, 21 “ઇસ્રાએલના આ લોકો આપણા મિત્રો થવા માંગે છે. અને અમે લોકો તેઓને આપણા પ્રદેશમાં રહેવા દેવા માંગીએ છીએ. તેઓ આપણી સાથે શાંતિ કાયમ રાખવા ઈચ્છે છે. આપણી પાસે આપણા લોકો માંટે પર્યાપ્ત ભૂમિ છે. તો ભલે તેઓ રહે અને વેપારધંધો કરે. આપણે તેમની કન્યાઓ સાથે લગ્ન કરીએ અને આપણી કન્યાઓ તેમને આપીએ. 22 પરંતુ એક શરતે કે, આપણામાંના સર્વ પુરુષોની તેમની જેમ સુન્નત કરાવવામાં આવે. એ લોકો પણ આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે. 23 જો આપણે એમ કરીશું, તો તેમનાં ઢોરઢાંખર અને મિલકતથી આપણે ધનવાન થઈ જઈશું. એટલા માંટે ચાલો આપણે તેમની સાથે કરાર કરીએ અને તેઓ અહીં અમાંરા લોકો સાથે રહેશે.” 24 ભાગળો પર જે લોકોએ આ વાત સાંભળી તે બધા હમોર અને શખેમ સાથે સંમત થઇ ગયા અને શહેરના બધા વડીલોએ હમોર અને તેના પુત્ર શખેમની વાત સ્વીકારી, અને સર્વ પુરુષોની સુન્નત કરાવવામાં આવી.
25 ત્રીજે દિવસે સુન્નત થયેલા પુરુષોની બળતરા શમી નહોતી, ત્યાં જ યાકૂબના બે પુત્રો શિમયોન અને લેવી, જેઓ દીનાહના સગા ભાઈઓ હતા તેઓ તરવાર, લઈને ઓચિંતા શહેર પર ચઢી આવ્યા અને તેમણે બધા પુરુષોને માંરી નાખ્યા. 26 દીનાહના ભાઈ શિમયોન અને લેવીએ હમોર અને તેના પુત્ર શખેમને માંરી નાખ્યા. તેઓએ શખેમના ઘરમાંથી દીનાહને બહાર આણી અને તેને લઈને ચાલ્યા ગયા. 27 વળી, યાકૂબના બીજા પુત્રોએ ઘાયલ થયેલાઓ પર હુમલો કર્યો અને નગરને લૂંટી લીધું, કારણ કે હજુ સુધી તેમની બહેનની લાજ લૂંટવાથી ઉત્પન્ન થયેલ ક્રોધ શમ્યો નહોતો. 28 એટલા માંટે દીનાહના ભાઈઓએ તેમનાં બધાં જ ઢોર લૂંટી લીધાં. 29 તેમણે તેમની બધી માંલમત્તા, બધાં બાળકો અને બધી સ્ત્રીઓ પણ કબજે કરી લીધાં.
30 પરંતુ યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે લોકોએ મને બહુ દુ:ખી કર્યો છે; આ પ્રદેશના વતનીઓ કનાનીઓ અને પરિઝીઓમાં તમે મને અપ્રિય બનાવ્યો છે. તે બધા લોકો આપણા વિરોધી થઈ જશે. અહીં માંરી પાસે તો થોડા જ માંણસો છે, અને જો એ લોકો એકઠા થઈને માંરી વિરુધ્ધ જઈને માંરા પર હુમલા કરે તો માંરા પરિવારનો તો વિનાશ જ થાય.”
31 પરંતુ ભાઈઓએ ઉત્તર આપ્યો, “તો શું અમાંરે અમાંરી બહેન સાથે આ લોકોને વેશ્યા જેવો વ્યવહાર કરવા દેવો? ના, અમાંરી બહેન સાથે આવો વ્યવહાર કરનારા લોકો ખરાબ છે.”
ઈસુ ભૂત વળગેલા માણસને મુક્ત કરે છે
(માથ. 8:28-34; લૂ. 8:26-39)
5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરીને ગેરસાની લોકો રહેતા હતા તે પ્રદેશમાં ગયો. 2 જ્યારે ઈસુ હોડીમાંથી નીચે ઉતર્યો ત્યારે જ્યાં મરેલા માણસોને દાટવામાં આવે છે તે ગુફાઓમાંથી એક માણસ તેમની પાસે આવ્યો. આ માણસને ભૂત વળગેલ હતું. 3 તે માણસ કબરસ્તાનની ગુફાઓમાં રહેતો હતો. કોઈ માણસ તેને બાંધી શકતો ન હતો. સાંકળો પણ આ માણસને બાંધી શકતી ન હતી. 4 ઘણી વાર લોકોએ તે માણસના હાથ પગ બાંધવા સાંકળનો ઉપયોગ કર્યો. પણ તે માણસ તેના હાથપગથી સાંકળો તોડી નાખતો. કોઈ માણસ તેને કાબુમાં રાખવા પૂરતો સમર્થન હતો. 5 રાત દિવસ તે માણસ કબરસ્તાનની ગુફાઓની આસપાસ અને ટેકરીઓ પર ચાલતો હતો. તે માણસ ચીસો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
6 જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો. 7-8 ઈસુએ તે માણસને કહ્યું, “ઓ અશુદ્ધ આત્મા, તે માણસમાંથી બહાર નીકળ.” તેથી તે માણસે મોટા અવાજે ઘાંટો પાડ્યો, “ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસે શું ઈચ્છે છે? હું તને દેવના સોગંદ દઉં છું કે, તું મને શિક્ષા નહિ કરે!”
9 પછી ઈસુએ તે માણસને પૂછયું, “તારું નામ શું છે?”
તે માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે. કેમ કે મારામાં ઘણા આત્માઓ છે.” 10 તે માણસમાં રહેલા આત્માઓએ ઈસુને વારંવાર વિનંતિ કરી કે તેઓને તે પ્રદેશમાંથી બહાર ન કાઢે.
11 ત્યાં નજીકમાં એક ભૂંડોનું મોટું ટોળું ટેકરીઓની બાજુમાં ચરતું હતું. 12 અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, “અમને ભૂંડોમાં મોકલ, અમને તેઓમાં મોકલ.” 13 તેથી ઈસુએ તેઓને રજા આપી. અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા. પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું. બધાંજ ભૂંડો ડૂબી ગયાં. તે ટોળામાં લગભગ 2,000 ભૂંડો હતાં.
14 જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા. તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા. તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા. 15 લોકો ઈસુ પાસે આવ્યા. તેઓએ ઘણા અશુદ્ધ આત્માઓની સેના વળગેલો માણસ જોયો. તે માણસ બેઠો હતો અને વસ્ત્રો પહેરેલો હતો. તેનું મગજ ફરીથી સ્વસ્થ હતું. લોકો ભયભીત થયા હતા. 16 કેટલાક લોકો ત્યાં હતા અને ઈસુએ જે કર્યું તે જોયું હતું. તે લોકોએ બીજા લોકોને પેલો માણસ જેનામાં દુષ્ટાત્મા હતો તેનું શું થયું તે કહ્યું અને તેઓએ ભૂંડો વિષે પણ કહ્યું. 17 પછી તે લોકો ઈસુને તેમનો પ્રદેશ છોડી જવા વિનંતી કરવા લાગ્યા.
18 ઈસુ હોડીમાં બેસવા જતો હતો. અશુદ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે ઈસુ સાથે જવા વિનંતી કરી. 19 પણ ઈસુએ તે માણસને સાથે આવવાની ના પાડી. ઈસુએ કહ્યું, “તારે ઘેર તારા સગાંઓ પાસે જા, પ્રભુએ તારા માટે જે બધું કર્યું તે વિષે તેઓને કહે. તેમને જણાવ કે પ્રભુ તારા માટે દયાળુ હતો.”
20 તેથી તે માણસે વિદાય લીધી અને તેના માટે ઈસુએ જે મહાન કાર્યો કર્યા તે વિષે દશનગરમાં લોકોને કહ્યું. બધા લોકો નવાઈ પામ્યા.
ઈસુનું મૃત છોકરીને સજીવન કરવું અને બિમાર સ્ત્રીને સાજી કરવી
(માથ. 9:18-26; લૂ. 8:40-56)
21 ઈસુ હોડીમાં બેસી સરોવર ઓળંગીને તેની બીજી બાજુએ ગયો. સરોવરની બાજુમાં તેની આજુબાજુ ઘણા લોકો ભેગા થયા હતા. 22 સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો. તેનું નામ યાઈર હતું. યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો. 23 યાઈરે ઈસુને ઘણી આજીજી કરીને કહ્યું, “મારી નાની દિકરી મરણ પથારી પર છે. કૃપા કરીને તારો હાથ તેના પર મૂક. પછી તે સાજી થઈ જશે અને જીવશે.”
24 તેથી ઈસુ યાઈર સાથે ગયો. ઘણા લોકો ઈસુની પાછળ ગયા. તેઓ તેની આજુબાજુ ઘણા નજીક હોવાથી ધક્કા-ધક્કી થતી હતી.
25 લોકો મધ્યે એક સ્ત્રી હતી. આ સ્ત્રીને છેલ્લા બાર વર્ષોથી લોહીવા હતો. 26 તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું. ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો. તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો. તેની બિમારી વધતી જતી હતી.
27 તે સ્ત્રીએ ઈસુ વિષે સાંભળ્યું. તેથી તે ટોળામાંથી ઈસુની પાછળ લોકો સાથે ગઈ. અને તેના ઝભ્ભાને અડકી. 28 તે સ્ત્રીએ વિચાર્યુ, “જો હું તેના કપડાંને પણ સ્પર્શ કરીશ તો તે મને સાજી કરવા પૂરતું છે.” 29 જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી, ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો. તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે. 30 ઈસુએ જાણ્યું કે તેનામાંથી સાર્મથ્ય બહાર નીકળ્યું. તેથી તે ટોળા તરફ ફર્યો અને પૂછયું, “મારા લૂગડાને કોણે સ્પર્શ કર્યો?”
31 શિષ્યોએ ઈસુને કહ્યું, “તું જુએ છે કે ઘણા લોકો તારી પર પડાપડી કરે છે અને તું પૂછે છે કે, ‘મને કોણે સ્પર્શ કર્યો?’”
32 પરંતુ જે વ્યક્તિએ ઈસુને સ્પર્શ કર્યો તેને જોવાનું ઈસુએ ચાલું રાખ્યું. 33 તે સ્ત્રીએ જાણ્યું કે તે સાજી થઈ ગઈ હતી. તેથી તે આવી અને ઈસુના પગે પડી. તે સ્ત્રી ભયથી ધ્રુંજતી હતી. તેણે ઈસુને આખી વાત કહી. 34 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.”
35 ઈસુ હજુ બોલતો હતો તેટલામાં કેટલાક માણસો યાઈર જે સભાસ્થાનનો આગેવાન છે તેના ઘરમાંથી આવ્યો. તે માણસોએ કહ્યું, “તારી દીકરી મૃત્યુ પામી છે. તેથી હવે ઉપદેશકને તસ્દી આપવાની જરુંર નથી.”
36 માણસો શું કહે છે તેની ચિંતા પણ ઈસુએ કરી નહિ. ઈસુએ સભાસ્થાનના આગેવાનને કહ્યું, “ગભરાઈશ નહિ; માત્ર વિશ્વાસ રાખ.”
37 ઈસુએ ફક્ત પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા. 38 ઈસુ અને આ શિષ્યો યાઈર જે સભાસ્થાનનો આગેવાન હતો તેને ઘેર ગયા. ઈસુએ ઘણા લોકોને મોટે સાદે રડતા જોયા. ત્યાં ઘણી મુંઝવણ હતી. 39 ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું, “તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે? આ બાળક મરી ગયું નથી. તે તો ફક્ત ઊંઘે છે.” 40 પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા. ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું. પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો. તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા. 41 પછી ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તેને કહ્યું, “ટલિથા કૂમ!” (આનો અર્થ, “નાની છોકરી, હું તને ઊભી થવા કહું છું.”) 42 તે છોકરી ઊભી થઈ અને ચાલવા લાગી. (તે છોકરી બાર વરસની હતી.) પિતા, માતા અને શિષ્યો ખૂબ અચરજ પામ્યા હતા. 43 ઈસુએ પિતા અને માતાને કડક હુકમ કર્યો કે લોકોને આ વિષે કહેવું નહિ. પછી ઈસુએ તે છોકરીને થોડું ખાવાનું આપવા તેઓને કહ્યું.
અયૂબની કસોટી
1 ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો. 2 તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા. 3 તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.
4 અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા. 5 તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.
6 એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો. 7 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”
શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.”
8 પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.”
9 શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે? 10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે. 11 એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?”
12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ,”
એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.
અયૂબનું બધું જતું રહ્યું
13 એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે, 14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા. 15 એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”
17 તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”
18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ. 19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”
20 પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી. 21 કહ્યું કે,
“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું
નગ્ન આવ્યો હતો
અને મારા મૃત્યુ સમયે
પણ મારી પાસે કશું જ નહિ હોય.
યહોવાએ આપ્યું,
અને યહોવાએ લઇ લીધું છે;
યહોવાના નામને ધન્ય હો.”
22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.
દેવ સાથે ન્યાયી
5 આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે. 2 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે. 3 આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે. આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ, જ આપણને વધારે ધીરજવાન બનાવે છે. 4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. 5 આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. “પવિત્ર આત્મા” દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ “પવિત્ર આત્મા” આપણને પ્રાપ્ત થયો છે.
6 ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો. 7 બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય. 8 પરંતુ આપણે જ્યારે પાપી હતા, ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો. દેવ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, એ વાત દેવે આ રીતે દર્શાવી.
9 ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે દેવ સાથે ન્યાયી થયા. આમ ખ્રિસ્ત દ્વારા જ દેવના કોપથી આપણે ચોક્કસ બચી જઈશું. 10 હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેવથી વિમૂખ હતા, ત્યારે દેવે પોતાના દીકરાના મૃત્યુ દ્વારા આપણને મિત્રતા બક્ષી. જ્યારે હવે આપણે દેવના મિત્રો છીએ ત્યારે તે આપણને સૌને તેના દીકરાના જીવન દ્વારા બચાવશે. 11 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે.
આદમ અને ખ્રિસ્ત
12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.
આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે.
18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે. 20 લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો. 21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International