Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નિર્ગમન 26

પવિત્ર મંડપ

26 યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે. પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો, ને ચાર હાથ પહોળો હોય; બધાજ પડદા એક સરખા માંપના હોય. પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા એકબીજા સાથે જોડાય. પડદાના એક સમૂહ પર જાંબુડિયા રંગના કાપડનાં નાકાં મૂકવાં. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એમ જ કરવું. એક પડદામાં તું 50 નાકાં બનાવજે, ને બીજા સમૂહના પડદામાં 50 નાકાં બનાવજે અને નાકાં એકબીજાની સામસામાં આવવા જોઈએ. પછી 50 કડીઓ સોનાની બનાવને બંને પડદાને સાંધી દેવા જેથી મંડપનો એક સળંગ તંબુ બનશે.

“આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા. અગિયાર પડદા એક સરખા માંપના હોવા જોઈએ, પ્રત્યેક 30 હાથ લાંબા અને 4 હાથ પહોળા. એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને એક પડદો બનાવવો; બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવવો. એમાંનો છઠ્ઠો પડદો મંદિરના પ્રવેશદ્વાર ઉપર બેવડ વાળવો. 10 અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં; ને બીજા સમૂહના પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે. 11 અને કાસા 50 કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બંને પડદાંને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે. 12 અને તંબુ ઉપરથી વધારાનો લટકતો રહેતો અડઘો પડદો મંડપના પાછલા ભાગ પર લટકતો રાખવો. 13 તંબુની બંને બાજુએ પડદાઓ એક હાથ તંબુના છેડેથી નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર તંબુને સંપૂર્ણ રીતે ઢાંકશે. 14 તંબુ માંટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનો બીજો ઓઢો બનાવવો અને તેના પર આચ્છાદન માંટે કુમાંશદાર ચામડાનું ઢાંકણ બનાવવું.

15 “પવિત્રમંડપની આધાર તરીકે બાવળનાં પાટિયાં બનાવી ઊભાં મૂકવાં. 16 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબુ અને દોઢ હાથ પહોળું હોય. 17 પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલી બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ. 18 પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માંટે 20 પટિયા બનાવવાં. 19 અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માંટે તેની નીચે બે કૂંભી એમ કુલ 40 ચાંદીની કૂભીઓ બનાવવી. 20 એ જ પ્રમાંણે મંડપની ઉત્તરની બાજુ માંટે પણ 20 પાટિયાં, 21 અને 40 ચાંદીની કૂભીઓ બનાવવી જેથી દરેક પાટિયા નીચે બબ્બે કૂભી આવે. 22 પવિત્ર મંડપની પશ્ચિમ તરફની પાછલા ભાગ માંટે છ પાટિયાં બનાવવાં. 23 અને મંડપના પાછલા ભાગના બે ખૂણાને માંટે તું બે પાટિયાં બનાવ. 24 આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને તે ઠેઠ ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખુણાઓમાં એમ કરવું. બે ખૂણા માંટેનાં બે પાટિયાં આ રીતે બનાવવાં એટલે બે ખૂણા બની જશે, 25 આમ, આઠ પાટિયાં અને 16 ચાંદીની કૂભી હશે. પ્રત્યેક પાટિયા નીચે બબ્બે કૂભીઓ રાખજે.

26 “વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુના પાટિયાંને માંટે પાંચ, 27 ને પવિત્ર મંડપની બીજી બાજુના પાટિયાં માંટે પણ પાંચ ભૂંગળો, તેમજ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માંટે પાંચ. 28 વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.

29 “વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે. 30 પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

પવિત્ર મંડપની અંત: રચના

31 “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે. 32 સોનાની કૂંભીઓમાં બેસાડેલી બાવળની સોનાથી મઢેલી અને આંકડીઓવાળી ચાર થાંભલીઓ ઉપર તેને લટકાવવો. 33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદો પાડશે. 34 પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર ઢાંકણ ઢાંકી દેજે.

35 “પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ તે ખાસ મેજ બનાવ્યુ છે તે મુકવું. તે તંબુની ઉત્તર બાજુએ મુકવું, પછી દીવી ને દક્ષિણ તરફ બાજઠની સામે મુકવી.

પવિત્ર મંડપનું પ્રવેશદ્વાર

36 “વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માંટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરીનું સુંદર ભરતકામ કરેલો પડદો કરાવજે. 37 અને એ પડદા માંટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી કરાવજે અને એ થાંભલીઓ માંટે કાંસાની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.

યોહાન 5

ઈસુનું પૂલ પાસે માણસને સાજા કરવું

પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો. યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. આ કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે. ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા. [અને તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા. કેમ કે કોઈ કોઈ વેળા પ્રભુનો દૂત તે કૂંડમાં ઊતરતો અને પાણીને હલાવતો હતો. દૂતે આ કર્યા પછી, જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.][a] એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો. ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”

તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”

પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.” પછી તરત જ તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ.

જે દિવસે આ બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો. 10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”

11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.’”

12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”

13 પરંતુ તે માણસ કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.

14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”

15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”

16 ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું. 17 પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”

18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, આ રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”

ઈસુ પાસે દેવની સત્તા છે

19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે જ માત્ર કરે છે. પિતા જે કરે છે તે જ કામ દીકરો કરે છે. 20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે; આ માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો. 21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે જ રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.

22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે. 23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.

24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે. 25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો એ જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે. 26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે. 27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.

28 “આથી તમે આશ્ચર્ય પામશો નહિ. એ સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે. 29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.

30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે જ રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.

ઈસુ યહૂદિઓ સાથે વાતો કરવાનું ચાલુ રાખે છે

31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ. 32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.

33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે. 34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને આ બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. 35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.

36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. આ તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. આ કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો. 37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી. 38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી. 39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે! 40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”

41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી. 42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. 43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે જ બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો. 44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો? 45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા એ વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા એ તે જ છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી. 46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે. 47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”

નીતિવચનો 2

જ્ઞાનનાં વરદાન

મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે, ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ; અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે. અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે. તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.

કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે. તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે. તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.

ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે; 10 તારા હૃદયમાં શાણપણ પ્રવેશશે અને જ્ઞાન તારા આત્માને ખુશીથી ભરી દેશે.

11 વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે. 12 ખરાબ માર્ગેથી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે; 13 જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માર્ગે ચાલે છે. 14 જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે. 15 જેઓના રસ્તા આડા છે, અને જેમના પગલા છેતરામણાં છે તેમનાથી તારું રક્ષણ કરશે.

16 વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે. 17 જે પોતાના પતિને જેની સાથે જુવાનીમાં તેણે લગ્ન કરેલા તેને છોડી દે છે અને દેવ સાથે કરેલો પોતાનો કરાર વિષે ભૂલી જાય છે; 18 તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે. 19 તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.

20 તું સજ્જનોના માર્ગે ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે. 21 કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિર્દોષ માણસો જ એમાં વસશે. 22 પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.

ગલાતીઓ 1

પ્રેરિત પાઉલ તરફથી સલામ. પ્રેરિત થવા માટે હું માણસો તરફથી પસંદ નથી થયો. માણસોએ મને નથી મોકલ્યો. ના! ઈસુ ખ્રિસ્તે તથા દેવ બાપે મને પ્રેરિત બનાવ્યો છે. દેવ એક છે જેણે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડયો. ખ્રિસ્તમાં જેઓ મારી સાથે છે તેઓ તરફથી ગલાતિયામાંની[a] મંડળીઓને કુશળતા પાઠવું છું.

હું પ્રાર્થના કરું છુ કે આપણા દેવ બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પ્રતિ સૌમ્ય રહેશે અને તમને શાંતિ પ્રદાન કરશે. આપણાં પાપો માટે ઈસુએ પોતાનું સ્વાર્પણ કર્યુ. આપણને આ અનિષ્ટ દુનિયા કે જેમાં આપણે જીવીએ છીએ. તેમાંથી મુક્તિ અપાવવા ઈસુએ આમ કર્યુ. આપણા દેવ પિતાની આ ઈચ્છા હતી. તેનો મહિમા સદાસર્વકાળ હોજો. આમીન.

માત્ર એક જ સાચી સુવાર્તા છે

થોડા સમય પહેલા તેને અનુસરવાનું દેવે તમને આહવાન આપેલું. ઈસુમાંથી પ્રગટ થતી તેની કૃપા દ્વારા તેણે તમને આ આહવાન આપેલું પરંતુ હવે તમારા લોકોથી હું નવાઈ પામું છું! તમે તેનાથી વિમુખ થઈ રહ્યા છો. અને અન્ય પ્રકારની સુવાર્તાને અનુસરો છો. વાસ્તવમાં બીજી કોઈ સાચી સુવાર્તા નથી. પરંતુ કેટલાએક લોકો તમને ગુંચવે છે. તેઓ ખ્રિસ્તની સુવાર્તામાં પરિવર્તન ઈચ્છે છે. અમે તમને સાચી સુવાર્તા કહી છે. જેથી અમે પોતે કે આકાશમાંના દૂત પણ તમને ભિન્ન સુવાર્તા કહે તો તે શાપિત થાઓ! મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.

10 હવે શું તમે એમ માનો છો કે લોકો મને અપનાવે તેવો પ્રયત્ન હું કરું છું? ના! દેવ એક છે જેને પ્રસન્ન કરવાનો હું પ્રયત્ન કરું છું. શું હું માણસોને રાજી કરવાનો પ્રયત્ન કરું છું? જો હું માણસોને રાજી કરવા માંગતો હોત, તો ઈસુ ખ્રિસ્તનો હું સેવક નથી.

પાઉલની સત્તા દેવ તરફથી છે

11 પણ ભાઈઓ, હું ઈચ્છુ છું કે તમે જાણો કે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે તે માનવ સર્જીત નથી. 12 માનવ તરફથી મને સુવાર્તા પ્રાપ્ત નથી થઈ. કોઈ માનવીએ મને સુવાર્તા નથી શીખવી. ઈસુ ખ્રિસ્તે મને એ પ્રદાન કરી છે. તેણે મને એ સુવાર્તાના દર્શન કરાવ્યા કે જેથી તેનું કથન હું લોકોને કરું.

13 તમે મારા પાછલા જીવન વિષે સાંભળ્યુ છે. હું યહૂદી ધર્મ પાળતો હતો. મેં દેવની મંડળીને ખૂબ સતાવી છે. મેં મંડળીનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. 14 મારી ઉમરના બીજા યહૂદીઓ કરતાં હું યહૂદી ધર્મની વધારે પ્રગતિ કરી રહ્યો હતો. બીજા યહૂદીઓ કરતા તે પરંપરાને અનુસરવા મેં વધારે પ્રયત્ન કર્યો છે.

15 પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો 16 કે તેના દીકરા (ઈસુ) વિષેની સુવાર્તા હું બિનયહૂદી લોકોને કહું. તેથી દેવે મને તેના દીકરા વિષે દર્શાવ્યું. જ્યારે દેવે મને બોલાવ્યો ત્યારે મેં કોઈ પણ માણસની સલાહ કે મદદ લીધી નહોતી. 17 હું યરૂશાલેમમાં પ્રેરિતોને મળવા નહોતો ગયો. આ લોકો મારા પહેલા પ્રેરિતો હતા. પરંતુ રાહ જોયા વગર, હું અરબસ્તાન ગયો. પાછળથી હું દમસ્ક શહેરમાં પાછો ફર્યો.

18 ત્રણ વરસ પછી હું યરૂશાલેમ ગયો; મારે પિતરને મળવું હતું. હું પિતર સાથે 15 દિવસ રહ્યો. 19 હું પ્રભુના ભાઈ યાકૂબ સિવાય, બીજા કોઈ પ્રેરિતોને મળ્યો નહિ. 20 દેવ જાણે છે કે આજે હું જે લખુ છું, તે અસત્ય નથી. 21 પાછળથી હું સિરિયા અને કિલકિયાના પ્રદેશોમાં ચાલ્યો ગયો.

22 યહૂદિયામાંની ખ્રિસ્તની મંડળીઓ પહેલા કદી મને મળી નહોતી. 23 તેઓએ માત્ર મારા વિષે આ સાંભળ્યું હતું કે: “આ માણસ આપણને ખૂબ સતાવતો હતો. પરંતુ હવે તે લોકોને તે જ વિશ્વાસ વિષે વાત કહે છે કે જેનો એક વખત નાશ કરવાનો તેણે પ્રયત્ન કરેલો.” 24 આ વિશ્વાસીઓએ મારા કારણે દેવની સ્તુતિ કરી.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International