Chronological
નહેમ્યાની પ્રાર્થના
1 હખાલ્યાનો પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. આર્તાહશાસ્તાનાં શાસનના વીસમા વર્ષમાં કિસ્લેવ માસમાં હું પાટનગર સૂસામાં હતો ત્યારે. 2 યહૂદાથી મારા એક સગાવહાલા હનાની યહૂદિયાના બીજા કેટલાક માણસો સાથે આવ્યો; અને બંદીવાસમાંથી બચેલાઓમાંના જે યહૂદીઓ હતા, તેઓ તથા યરૂશાલેમ વિષે મેં તેમને પૂછયું.
3 તેઓએ મને કહ્યું કે, “જેઓ બચી ગયા હતા અને જે પ્રાંતમાં રહે છે તેઓ ખૂબ મુશ્કેલીમાં છે. યરૂશાલેમની આજુબાજુની દીવાલમાં ભંગાણ પડી ગયા છે, અને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
4 જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી. 5 મેં કહ્યું:
“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.
6 “કૃપયા તમારા સેવકની અરજ ધ્યાનથી સાંભળો અને તમારી આંખો ઉઘાડી રાખો. અને મારી પ્રાર્થના સાંભળો; ઇસ્રાએલીઓ તમારા સેવકો માટે રાતદિવસ હું તમારી સમક્ષ તમને પ્રાર્થના કરું છું. અમે ઇસ્રાએલના લોકોએ તમારી વિરૂદ્ધ જે પાપ આચર્યા છે, તેની હું કબૂલાત કરું છું. 7 અમે તમારી વિરૂદ્ધ સાચે જ પાપ કર્યા છે, અમે બધાંએ તમારા સેવક મૂસા મારફતે તમે જે આજ્ઞાઓ, નિયમો તથા કાનૂનો અમને આપ્યાં હતાં તેનો અનાદર કરીને અમે પાપ કર્યુ છે.
8 “તમે મૂસાને જણાવ્યું હતું તે યાદ કરો, ‘જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ. 9 પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઇ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’
10 “તેઓ તમારા સેવકો અને પ્રજા છે, જેઓને તમે તમારા મહાન સાર્મથ્ય વડે અને તમારાં બાહુબળથી બચાવ્યાં છે. 11 હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”
રાજાનું નહેમ્યાને યરૂશાલેમ મોકલવું
2 વીસમા વર્ષના ચોથા નીસાન મહિનામાં રાજા આર્તાહશાસ્તાના રાજ્યમાં, જ્યારે રાજા ભોજન કરતો હતો ત્યારે દ્રાક્ષારસ લઇને મેં તેને આપ્યો. આ અગાઉ હું ઉદાસ ચહેરે રાજા સમક્ષ ગયો ન હતો. 2 તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”
આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો. 3 છતાં મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; હું કેમ ઉદાસ ના હોઉં? કારણકે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યાં છે તે ખંડેર થઇ ગયું છે, અને નગરના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયાઁ છે.”
4 રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?”
ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી. 5 અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”
6 રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે? અને તું ક્યારે પાછો આવશે?”
આમ મને જવા માટે રજા મળી ગઇ! મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! 7 ત્યારબાદ મેં રાજાને કહ્યું, “જો આ વાત રાજાને પ્રસન્ન કરે તો મને ફ્રાંત નદીની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબાઓ પર પત્રો આપજો, જેથી તેઓ મને પોતાના પ્રદેશમાંથી પસાર થઇને યહૂદામાં જવા દે. 8 તથા બીજો એક પત્ર રાજાના વનરક્ષક આસાફ પર પણ આપશો જેથી તે મંદિરની નજીકના કિલ્લાનો દરવાજો ફરી બાંધવા માટે, નગરની દીવાલ માટે, અને મારા ઘર માટે, ઇમારતી લાકડું આપે.”
મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.
9 પછી હું યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રાંતોમાં આવ્યો અને ત્યાંના પ્રશાસકોને મેં રાજાના પત્રો આપ્યા. રાજાએ મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા. 10 પરંતુ જ્યારે હોરેનના સાન્બાલ્લાટ અને આમ્મોની અમલદાર ટોબિયાએ આના વિષે જાણ્યું કે કોઇ ઇસ્રાએલીઓનું ભલું કરવા આવ્યું છે ત્યારે તેઓ ખૂબ નારાજ થયા.
યરૂશાલેમની દીવાલનું નિરીક્ષણ કરતો નહેમ્યા
11 ત્યારબાદ હું યરૂશાલેમ પહોંચ્યો, અને ત્યાં ત્રણ દિવસ રહ્યો. 12 જ્યારે રાત્રે હું ઉઠયો તો થોડા માણસો લઇને બહાર નીકળ્યો; યહોવાએ યરૂશાલેમ વિષે મારા હૃદયમાં જે યોજના મૂકી હતી તેના વિષે મેં કોઇને કશુંય જણાવ્યું નહોતું, હું જે જાનવર પર સવાર હતો ફકત તે એક જ જાનવર મારી સાથે હતું. 13 રાત્રે હું ખીણનો દરવાજો પસાર કરીને અજગરકુંડ થઇને છેક કચરાના દરવાજા સુધી ગયો; તેમ જતાં રસ્તામાં મેં યરૂશાલેમની દીવાલમાં પડેલા ભંગાણ અને તેના બળી ગયેલા દરવાજાનું નિરક્ષણ કર્યું. 14 પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજામાંથી પસાર થઇને રાજાના તળાવ તરફ ગયો. પણ હું જે જાનવર પર સવાર હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી. 15 તેથી હું અંધકારમાં દીવાલનું નિરક્ષણ કરતો ખીણ સુધી ગયો. પછી હું પાછો વળ્યો અને ખીણના દરવાજામાંથી પ્રવેશીને પાછો ફર્યો. 16 અધિકારીઓને હું ક્યાં ગયો હતો અથવા હું શું કરતો હતો તે વિષે કશી જ ખબર પડી નહિ, કારણકે મેં મારી યોજના સંબંધી કોઇને કઇંજ જણાવ્યું ન હતું, યહૂદીઓને, યાજકોને, ઉમરાવોને અધિકારીઓને સુદ્ધાં નહિ. અરે, જેઓ આ કાર્ય કરવાના હતા તેઓમાંથી પણ કોઇનેય નહિ.
17 પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરૂશાલેમ ખંડેર બનીને પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે; ચાલો, આપણે યરૂશાલેમને ફરતી દીવાલો બાંધીએ, જેથી આપણે વધારે ધિક્કારપાત્ર ન થઇએ.”
18 મે એમને કહ્યું કે મારા દેવનાં હાથે મને આશીર્વાદ આપ્યા અને રાજાએ મને જે કહ્યું હતું તે પણ મેં તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ બોલી ઊઠયા, “ચાલો બાંધવાનું શરૂ કરી દઇએ.” એમ કહીને તેઓએ ઉત્સાહપૂર્વક કામ કરવાનું શરૂ કર્યુ. 19 પરંતુ હોરોનના સાન્બાલ્લાટે, આમ્મોની અધિકારી ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “આ શું છે જે તમે કરી રહ્યાં છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?”
20 ત્યારે મેં તેઓને જવાબ આપ્યો કે, “આકાશના દેવ અમને સફળતા આપશે. અમે તેના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરવાના છીએ. પરંતુ તમારે અહીં યરૂશાલેમમાં તમારો કોઇં ભાગ નથી, કોઇ દાવો નથી, કે નથી કોઇ અધિકાર!”
નગરની દીવાલની મરામત
3 મુખ્ય યાજક એલ્યાશીબે ઘેટાં દરવાજાનું નવેસરથી બાંધકામ ચાલું કર્યુ, પછી તેણે તેની પ્રતિષ્ઠા કરી અને પછી તેનાં બારણાં ચઢાવ્યાં; તેઓએ છેક હામ્મેઆહના ગુંબજ સુધી અને ત્યાંથી છેક હનાનએલના ગુંબજ સુધી દીવાલને પવિત્ર બનાવી.
2 યાજકો પાસે યરીખોના માણસો કામ કરતા હતા. અને ઇમ્રીનો પુત્ર ઝાક્કૂરે તેમની નજીક દીવાલ ફરી બાંધી.
3 હસ્સેનાઆહના વંશજોએ માછલી દરવાજો બાંધ્યો; તેમણે તેની પાસે બારસાખ ઊભી કરી અને બારણાં, આગળા અને ભૂંગળ ચઢાવી દીધાં.
4 એ પછીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી.
તેની પાસે મશેઝાબએલનો પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો.
તેની પાસે બાઅનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.
5 તેમની પછી તકોઆના માણસો સમારકામ કરતા હતા. પરંતુ તેમના આગેવાનોએ તેમના ધણીના કામમાં મદદ કરી નહિ.
6 પાસેઆહના પુત્ર યોયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલ્લામ જૂના દરવાજાની મરામત કરતા હતા; તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેના કમાડો ચઢાવ્યાઁ, અને મિજાગરાં જડીને દરવાજાના સળિયા બેસાડ્યા.
7 તેની પછીના ભાગનું સમારકામ ગિબયોની મલાટયાએ અને મેરોનોથી યાદોને કર્યુ, તેઓ ગિબયોન અને મિસ્પાહના હતાં. જે સ્થળો ફ્રાંત નદીની પશ્ચિમ બાજુના પ્રશાસકની તાબેદારીમાં હતા.
8 એ પછીના ભાગમાં હાર્હયાનો પુત્ર ઉઝિઝયેલ સમારકામ કરતો હતો, તે સોની હતો. સુગંધી દ્રવ્યો બનાવનાર હનાન્યાએ યરૂશાલેમનું સમારકામ છેક પહોળી દીવાલ સુધી કર્યુ.
9 પછીના ભાગનું સમારકામ હૂરના પુત્ર રફાયાએ કર્યુ, જે અડધા ઉપરાંત યરૂશાલેમનો પ્રશાસક હતો.
10 તેની પાસે હરૂમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હાશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો. 11 હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથમોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.
12 હાલ્લોહેશનો પુત્ર શાલ્લુમ, જે યરૂશાલેમના બીજા અડધા ભાગનો પ્રશાસક હતો, તે તેની પુત્રીઓ સાથે તેની પછીના ભાગનું સમારકામ કરતો હતો.
13 હાનૂન અને ઝાનોઆહના માણસોએ ખીણના દરવાજાનું સમારકામ કર્યુ હતું. તેઓએ તે બાંધીને તેના કમાડ ચઢાવ્યાં અને તેમને મિજાગરાં જડ્યાં તથા દરવાજાના સળિયા બેસાડ્યા. તે પછી તેઓએ કચરા દરવાજા સુધી 1,000 હાથ જેટલી દીવાલનું સમારકામ કર્યુ હતું.
14 કચરાના દરવાજાનું સમારકામ રેખાબના પુત્ર માલ્કિયાએ કર્યું હતું. તે બેથહાક્કેરેમ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે તેને કમાડો ચઢાવ્યાં, તેને મિજાગરાઁ જડ્યાં અને દરવાજાના સળિયા બેસાડ્યા.
15 કોલહોઝેહનો પુત્ર શાલ્લૂન મિસ્પાહ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે કારંજાના દરવાજાનું સમારકામ કરી ફરી બનાવ્યો અને તેને ઉપરથી ઢાંકી દીધો અને તેનાં બારણા, આગળા અને દરવાજાના સળિયા ચઢાવ્યાં. વળી તેણે રાજાના બગીચાને અડીને આવેલા શેલાહના તળાવની દીવાલ, દાઉદના શહેરથી નીચે આવતા પગથિયાં સુધી બાંધી.
16 તેના પછી નહેમ્યા, જે આઝબૂકનો પુત્ર હતો અને બેથ-સૂરના અડધા પ્રાંતનો પ્રશાસક હતો, તેણે દાઉદની કબરોની સામે વાળી જગ્યાથી લઇને ખોદીને બનાવેલા તળાવ સુધી અને શૂરવીરોના ઘર સુધીના ભાગનું સમારકામ કરાવ્યું.
17 તેના પછી બાનીના પુત્ર રહૂમની આગેવાની હેઠળ તેના પછીના ભાગની મરામત લેવીઓ કરતા હતા, તેની પાસે હશાબ્યા, જે કઇલાહના અડધા જિલ્લાનો પ્રશાસક હતો તે પોતાના ભાગની મરામત કરતો હતો.
18 તેના પછીનું સમારકામ બાવ્વાય જે હેનાદાદનો પુત્ર હતો અને કઇલાહ જિલ્લાના અડધા ભાગનો પ્રશાસક હતો, તેની આગેવાની નીચે તેના સબંધીઓએ આ કામ કર્યુ.
19 તેના પછી યેશૂઆનો પુત્ર એઝેરે અન્ય ભાગનું સમારકામ કર્યુ. એઝેર મિસ્પાહના અડધા ભાગનો પ્રશાસક હતો, આ ભાગ સામેના રસ્તાથી લઇને તે જગ્યાએ જતો હતો જ્યાં ખૂણા પર શસ્રો મૂકવામાં આવતા હતાં. 20 ઝાક્કાયનો પુત્ર બારૂખે એના પછીના ભાગનું મરામત કર્યુ જે દરવાજાના, ખૂણાથી લઇને મુખ્ય યાજક એલ્યાશીબના ઘરના બારણાં સુધી જતો હતો. 21 તેના પછીના એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી. 22 પછીના ભાગની આસપાસ રહેતા યાજકોએ મરામત કરી.
23 તેના પછી બિન્યામીન તથા હાશ્શૂબે અન્ય ભાગની મરામત કરી જે તેમના ઘરની પોતાના ઘરનાં આગળના ભાગની મરામત કરી. અઝાર્યા જે માઅસેયાનો પુત્ર જે અનાન્યાનો પુત્ર હતો, પોતાના ઘર પાસે તેણે બાજુના ભાગની મરામત કરી.
24 હેનાદાદનો પુત્ર બિન્નૂઇ અઝાર્યાના ઘરથી તે ખૂણાના વળાંકથી માંડીને, દીવાલના ભાગની મરામત કરી.
25 ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચા સામે, તથા જે બુરજ રાજાના ઉપલા મહેલ પાસે ચોકીદારોના આંગણામાં હતો, તેની સામે મરામત કરતો હતો. તેના પછી પારોશના પુત્ર પદાયા મરામત કરતો હતો.
26 અને મંદિરના સેવક જે ઓફેલમાં રહેતા હતા, તેઓએ પૂર્વની બાજું પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાનું સમારકામ કર્યુ.
27 તેના પછી તકોઇઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલની દીવાલ સુધી અન્ય એક ભાગની મરામત કરી.
28 ઘોડા દરવાજા ઉપરની મરામત યાજકોએ કરી; દરેક જણ પોતપોતાના ઘરની મરામત કરતો હતો. 29 તેમના પછી ઇમ્મેરનો પુત્ર સાદોકે પોતાના ઘરની સામેના ભાગની મરામત કરી. તેના પછી શખાન્યાનો પુત્ર શમાયાએ મરામત કરી હતી.
30 તેના પછી શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂને બીજા એક ભાગની મરામત કરી.
તેના પછી બેરેખ્યાનો પુત્ર મશ્શુલામે તેના ઘરની સામે વાળા ભાગની મરામત કરી. 31 માલ્કિયા નામના સોનીએ મંદિરના સેવકો અને વેપારીઓના ઘરો સુધીનું, અને નિરીક્ષણ દરવાજાની સામે દીવાલના ખૂણા ઉપરની ઓરડીનું સમારકામ કર્યું. 32 દીવાલના ખૂણાની બાજુની ઓરડી તથા ઘેટાં દરવાજા વચ્ચેના ભાગનું સમારકામ સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.
સાન્બાલ્લાટ અને ટોબિયા
4 અમે યરૂશાલેમની દીવાલનું બાંધકામ ફરીથી કરી રહ્યા હતા તેવી ખબર સાન્બાલ્લાટને પડી ત્યારે તે અસ્વસ્થ થઇ બહુ રોષે ભરાયો, અને તેણે યહૂદીઓની હાંસી ઉડાવી. 2 તે પોતાના મિત્ર અને સમરૂનની સૈનાની સામે બોલ્યો, “આ નિર્બળ યહૂદીઓ શું કરી રહ્યાં છે? શું તેઓ આને ફરીથી નવું બનાવશે? શું તેઓ યજ્ઞ ચઢાવશે? શું તેઓ આ કામ એક દિવસમાં પુરું કરી નાખશે? શું તેઓ ધૂળ ઢેફાંના ઢગલામાંથી ફરીથી પથ્થર બનાવશે જે બળીને રાખ થઇ ગયા છે?”
3 આમ્મોની ટોબિયા જે તેની બાજુમાં ઊભો હતો, તેણે કહ્યું, “તેઓ બાંધી રહ્યાં છે તે દીવાલ પર એક શિયાળવું ચઢે તોય તે તૂટી પડશે!”
4 ત્યારે મેં મારી પ્રાર્થનામાં કહ્યું, “જુઓ હે અમારા દેવ, અમારી મશ્કરી કરવામાં આવે છે; તેઓના ઉપહાસને તેમના જ માથે માર અને તેઓ પોતાની જાતેજ, તેઓને વિદેશમાં બંદીવાસમાં લઇ જવામાં આવો. 5 તેઓનાં પાપ ના સંતાડો. તેઓના પાપ ભૂંસી નાખશો નહિ, કારણકે તેઓએ બાંધનારાઓનું તેમના મોઢા પર જ અપમાન કર્યું છે.”
6 તેથી અમે તો દીવાલ બાંધતા જ રહ્યાં અને લોકોનો ઉત્સાહ એટલો બધો હતો કે, સમગ્ર દીવાલ તેની નિર્ધારિત ઊંચાઇથી અડધી તો જોતજોતામાં બંધાઇ ગઇ.
7 પરંતુ જ્યારે સાન્બાલ્લાટ અને ટોબિયાને, આરબો, આમ્મોનીઓ અને આશ્દોદીઓને જાણ થઇ કે, યરૂશાલેમનાં દીવાલની મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને દીવાલમાં પડેલા ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઇ ગયા. 8 તેઓ બધાં ભેગા થયા અને યરૂશાલેમ વિરૂદ્ધ લડવા માટે અને એમને નિષ્ફળ બનાવવા માટે કાવત્રું કર્યુ. 9 પણ અમે અમારા દેવને પ્રાર્થના કરી અને તેમની સામે ચોકી કરવા રાતદિવસનો પહેરો ગોઠવી દીધો.
10 યહૂદાના લોકોએ કહ્યું કે, “મજૂરોની શકિત ઘટતી જાય છે, અને ત્યાં એટલી બધી ગંદકી છે કે આ દીવાલ અમે ફરી બાંધી શકતા નથી. 11 અમારા શત્રુઓએ કહ્યું, ‘આપણે તેમના પર તૂટી પડીશું અને તેમને ખબર પડે અને જુએ તે પહેલાં તેમને મારી નાખીશું. આપણે કામ પણ અટકાવી દઇશું.’”
12 તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતાં હતાં, તેઓએ અમારી પાસે વારંવાર આવીને કહ્યું કે, “તેઓ જ્યાં રહે છે ત્યાથી આવી રહ્યાં છે આપણી વિરૂદ્ધ ભેગા થઇ રહ્યાં છે.”
13 તેથી મેં દીવાલની પાછળ ખુલ્લી જગ્યાઓમાં સૌથી નીચેના ભાગમાં બેસાડ્યાં અને લોકોને તેઓનાં વંશો પ્રમાણે, તરવારો, ભાલાઓ તથા ધનુષ્યબાણ વડે તેમને શસ્રસજ્જ કર્યા. 14 જ્યારે મેં જોયું કે શું થઇ રહ્યું છે, ત્યારે મેં ઉભા થઇને ઉમરાવો, અધિકારીઓ, અને બીજા લોકોને ઉદૃેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ; આપણા યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા દેશબંધુઓ અને પુત્રો, પુત્રીઓ માટે, તથા પત્નીઓ અને તમારા ઘર માટે લડજો.”
15 જ્યારે અમારા વિરોધીઓને ખબર પડી કે અમને તેઓના કાવત્રાની જાણ થઇ ગઇ છે અને યહોવાએ તેઓની યોજના નિષ્ફળ બનાવી છે. પછી અમે સર્વ દીવાલ સમારવા ગયા. 16 તે દિવસથી મારા માણસોના અડધા માણસો બાંધકામ કરતા અને બાકીના ભાલા ઢાલ. તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરતા ઊભા રહેતા. અને યહૂદાના બધાં લોકોને આગેવાનો તેમની જોડે રહીને પીઠબળ પુરું પાડતાં. 17 જેઓ દીવાલ બાંધતા હતા તેઓ, અને વજન ઉપાડતા હતા તેઓ બધાં એક હાથથી કામ કરતાં, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતાં; 18 બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવેલી રાખી કામ કરતા હતા, મારી બાજુમાં રણશિંગડું ફૂંકનાર હતો. 19 મેં ઉમરાવો, અધિકારીઓ, અને બાકીના લોકોને ઉદૃેશીને કહ્યું, “કામ મોટું છે અને ખૂબ ફેલાયેલું છે, આપણે દીવાલની ફરતે ઘણાં દૂર સુધી પથરાયેલા છીએ. 20 તમે જ્યાં પણ હો જ્યારે રણશિંગડાનો અવાજ સાંભળો ત્યારે એકીસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઇ જજો, આપણા દેવ આપણા માટે યુદ્ધ લડશે.”
21 આ પ્રમાણે અમે નિર્માણનું કામ કરતા; અને અમારાંમાંના અડધા સવારથી રાતે તારા નીકળતા સુધી અડધા હાથમાં ભાલા લઇને ચોકી કરતા.
22 મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક પુરુષ અને તેનો મદદગાર યરૂશાલેમમાં જ રહે, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે.” 23 આમ, હું મારા સગાંવહાંલા, મારા સેવકો મારી પાછળ ચાલતા અંગરક્ષકો કોઇ કદી કપડા ઉતારતા નહિ, અને જ્યારે અમે પાણી મેળવવા જતાં ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો પકડી રાખતાં.
નહેમ્યાએ ગરીબોને મદદ કરી
5 તે વખતે યહૂદીઓ વિરૂદ્ધ લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે જબરો મોટો પોકાર કર્યો. 2 એમાંના કેટલાક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ; અમને અનાજ આપો કે જેથી અમે તેને ખાઇને જીવતાં રહીએ.”
3 તો બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમે આ દુકાળમાં અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકી રહ્યાં છીએ.”
4 તો વળી બીજા કેટલાક એમ કહેવા લાગ્યા કે, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાઁ ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ સામે કરજ લીધું છે. 5 અને જોકે અમે અને અમારા સગાંવહાંલા સરખાંજ રકતમાંસના બનેલા છીએ અને અમારાં બાળકો તેમના જેવાઁ જ છે, તેમ છતાં અમારે અમારાં પુત્રપુત્રીઓને ગુલામ તરીકે વેચવા પડે છે. અને અમારી કેટલીક પુત્રીઓ પર બળાત્કાર પણ થયો છે. અમે તદૃન નિરુપાય છીએ; કારણકે બીજા લોકો અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બની બેઠાં છે.”
6 તેઓની આ ફરીયાદ સાંભળીને હું બહુ ક્રોધિત થયો, 7 ત્યારે મેં મનમાં વિચાર કર્યો અને ઉમરાવો તથા અમલદારો સામે આરોપ મૂકીને કહ્યું કે, “તમે બધા પોતાના સગાંવહાંલા પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેનું નિવારણ કરવાં તે બધાંની સભા બોલાવી, 8 “અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?”
તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા. 9 વળી મેં કહ્યું કે, “તમે આ બધું ખોટું કરી રહ્યા છો! શું તમારે દેવથી ડરીને ચાલવું નથી જેથી આપણા શત્રુઓ વિદેશીઓ આપણી હાંસી ન ઉડાવે. 10 તે ઉપરાંત હું, મારા સગાવહાલાં તથા મારા સેવકો, તેઓને પૈસાને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે તમે વ્યાજ લેવાનું બંધ કરો. 11 અને હવે મહેરબાની કરીને અત્યારે જ તેમનાઁ ખેતરો, દ્રાક્ષની વાડીઓ, જૈતૂનના બગીચા અને તેમનાં ઘરબાર પાછાં આપી દો, અને તેમની પાસે તમારું જે કઇં લેણું હોય, પછી એ નાણાં હોય, અનાજ હોય, દ્રાક્ષારસ હોય કે તેલ હોય તે બધું માંડી વાળો.”
12 પછી તેમણે કહ્યું કે, “અમે બધું પાછું સોંપી દઇશું અને હવે અમે બીજી કોઇ વસ્તુની માંગ નહિ કરીએ. અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું.”
તેથી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ લેવડાવ્યાં, તેઓ પોતાનું વચન પાળશે. 13 ત્યારબાદ મેં મારા કપડા પર પડેલી ઘડીઓ ખંખેરતા કહ્યું, “જે માણસ પોતાનું વચન ન પાળે તેની પાસેથી દેવ તેનું ઘર અને મિલકત આ રીતે ખંખેરી લો; એને ખંખેરીને ખાલી કરી નાખો.”
તેથી ત્યાં ભેગા થયેલા બધા લોકો બોલી ઊઠયા, “આમીન!” પછી તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને તેઓ બધા આપેલા વચન પ્રમાણે ર્વત્યા.
14 તદુપરાંત જે સમયથી યહૂદાના દેશમાં મારી પ્રશાસક તરીકે નિમણૂક થઇ ત્યારથી, એટલે આર્તાહશાસ્તા રાજાના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી, બાર વર્ષના પ્રશાસકના હોદ્દાંમાં મેં તથા મારા ભાઇઓએ પ્રશાસકને જે ખાવાનું અપાતું હતું તે ખાધું નથી. 15 મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલ[a] ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો. 16 વળી, હું એ કિલ્લાના બાંધકામમાં મંડી રહ્યો, ને અમે કઇં પણ જમીન ખરીદી નહિ; અને મારા સર્વ ચાકરો પણ તે કામ કરવા ભેગાં થયાં હતાં.
17 મારી સાથે 150 થી વધારે અમલદારો અને બીજા યહૂદીઓ મારા ટેબલ પર જમતા હતા. આજુબાજુની પ્રજાઓમાંથી જે લોકો આવતા તે તો જુદા. 18 દરરોજ એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને મુરધાં રંધાતા હતા. અને દર દશ દિવસે પીપડા ભરીને દ્રાક્ષારસ પૂરો પાડવામાં આવતો હતો. તો પણ મેં પ્રશાસક તરીકેનું ખાધાં ખોરાકી ભથ્થું માગ્યું નહિ, કારણકે આ લોકો પર ભારે બોજો હતો. 19 હે મારા દેવ, મેં આ લોકો માટે જે જે કર્યુ છે તે બધું યાદ કરી મારું ભલું કરજે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International