Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 42-43

યાજકોનાં ઓરડા

42 પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો. ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી. આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો. આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં. ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી. આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો. એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી. બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ 100 હાથ હતી. બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પ્રવેશતા એમની નીચે થઇને પૂર્વ બાજુએ પ્રવેશવાનું હતું. 10 મંદિરની પૂર્વ તરફ આવેલી ઇમારતની દક્ષિણ બાજુએ પણ ઉત્તરના જેવી જ એક બીજી ઇમારત હતી.

11 એની ઓરડીઓ આગળ ઉત્તર બાજુની ઇમારત માફક જ એક પરસાળ હતી. એનું માપ, એની રચના અને એનાં બારણાં ઉત્તર બાજુની ઇમારત જેવા જ હતાં. 12 એ ઇમારતની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાંથી ભીંત શરૂ થતી હતી ત્યાં બહારના ચોકમાં જવાનું બારણું હતું.

13 પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે. 14 મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”

મંદિરનાં બહારનો ભાગ

15 જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો. 16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી. 17 તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે 500 હાથ હતી. 18 તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે 500 હાથ હતી. 19 તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે 500 હાથ હતી. 20 આમ તેણે ચારેબાજુનો વિસ્તાર માપ્યો. એ ભીતથી ઘેરાયેલો ભાગ ચોરસ હતો અને તેની દરેક બાજુ 500 હાથ લાંબી હતી. ભીંત મંદિરના પવિત્ર વિસ્તારને બાકીના વિસ્તારથી જુદી પાડતી હતી.

યહોવાનો મંદિરમાં પુન:પ્રવેશ

43 પછી પેલો માણસ મને પૂર્વ તરફના દરવાજે લાવ્યો, એકાએક ઇસ્રાએલના દેવનો મહિમા પૂર્વ તરફથી દેખાયો, તેમના આગમનનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો અને ભૂમિ દેવના મહિમાથી પ્રકાશતી હતી. જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો. યહોવાનો મહિમા પૂર્વના દરવાજેથી મંદિરમાં આવ્યો.

પછી આત્માએ મને ઉચકયો અને અંદરના ચોકમાં લઇ ગયો, અને જ્યાં મેં જોયું તો મંદિર યહોવાના ગૌરવથી ભરાઇ ગયું હતું. મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો. તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ મારું સિંહાસન અને પાદપીઠ છે. અહીં હું ઇસ્રાએલીઓ વચ્ચે અનંતકાળ સુધી રહીશ. ઇસ્રાએલના લોકો કે તેમના રાજાઓ હવે પછી કદી બીજા દેવોની પૂજા કરીને કે તેમના રાજાઓના મૃતદેહો દ્વારા મારા પવિત્ર નામને બટ્ટો લગાડશે નહિ. તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં. હવે એ લોકોએ બીજા દેવોની પૂજા કરવાનું છોડી દેવું જોઇએ અને તેમના રાજાઓનાં મૃતદેહોને મારાથી દૂર હટાવી દેવા જોઇએ. જો તેઓ એ પ્રમાણે કરશે તો હું તેમની વચ્ચે સદાકાળ વસીશ.

10 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય, 11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માર્ગો, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે. 12 આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે.

વેદી

13 “પહેલાં વપરાયેલા માપને ધોરણે તો વેદીનું માપ આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી ખાળ હતી. એની બહારની બાજુએ એક વેંત પહોળી કોર હતી. 14 વેદીનો સૌથી નીચેનો ભાગ 2 હાથ ઊંચો હતો. એ પછીનો ભાગ એના કરતાં 1 હાથ અંદર લીધેલો હતો અને તે 4 હાથ ઊંચો હતો એ પછીનો ભાગ પણ 2 હાથ અંદર લીધેલો હતો. 15 વેદીનું મથાળું જેના ઉપર પ્રાણીઓનો બલિ હોમવામાં આવતા હતા તે 4 હાથ ઊંચું હતું. એના ચાર ટોચકાં બાકીના ભાગ કરતાં ઊંચા હતાં. 16 વેદીના મથાળાની લંબાઇ 12 હાથ અને પહોળાઇ 12 હાથ એટલે સમચોરસ હતી. 17 વચલો ભાગ પણ સમચોરસ હતો. તેની દરેક બાજુ 14 હાથની હતી. તેને દોઢ હાથ પહોળી, ફરતી ધાર હતી તેની ખાળ ચોતરફ એક હાથ પહોળી હતી. વેદીના પગથિયાં પૂર્વ બાજુએ આવેલાં હતાં.”

18 યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ‘હું તને કહું તે ધ્યાનથી સાંભળ, વેદી જ્યારે બંધાઇ રહે ત્યારે એના ઉપર બલિ હોમીને અને બલિના પશુઓનું લોહી છાંટીને તારે એને સમર્પિત કરવી.’” 19 યહોવા મારા માલિક કહે છે, “લેવી કુળના સાદોક કુટુંબના યાજકો મારી હજૂરમાં સેવા માટે પાસે આવે છે. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેમને એક વાછરડો આપવો. 20 તારે એનું થોડું લોહી લઇને વેદીના મથાળાના ચારે શિંગડાને અને વેદીના વચલા ભાગના ચારે ખૂણાને અને ફરતી કોરને લગાડવું. આ રીતે તારે વેદીની શુદ્ધિ કરવી અને તેને બલિદાન મેળવવા તૈયાર કરવી. 21 ત્યાર પછી પાપાર્થાર્પણનો બળદ લઇને અને તેને મંદિરની બહારને માટે નક્કી કરેલી જગ્યાએ સળગાવી દેવો.

22 “બીજે દિવસે તમારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ધરાવવો અને તેના વડે વાછરડાથી શુદ્ધ કરી હતી તેમ વેદીને શુદ્ધ કરવી. 23 વેદીને પૂરેપૂરી શુદ્ધ કરી રહ્યા પછી તમારે એક ખોડખાંપણ વગરનો વાછરડો અને ખોડખાંપણ વગરનો મેંઢો લઇને અર્પણ કરવા. 24 તેઓને યહોવા સમક્ષ રજૂ કરવા અને યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમને યહોવાના દહનાર્પણ તરીકે અર્પણ કરવા. 25 સાત દિવસ સુધી દરરોજ તમારે ખોડખાંપણ વિનાનો એક જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે બલિદાન કરવો વળી ખોડખાંપણ વિનાનું એક વાછરડું અને એક ઘેટો અર્પણ કરવા. 26 સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમર્પિત કરવી. 27 સાત દિવસ પછી આઠમા દિવસથી દરરોજ યાજકો વેદી પર લોકોના દહનાર્પણો અને આભારસ્તુતિનાં અર્પણો બલિદાન કરે અને હું તેમનો સ્વીકાર કરીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International