Chronological
કોરેશની બંદીવાનોને મુકિત સમયે મદદ
1 ઇરાનના રાજા કોરેશના અમલ દરમ્યાન પહેલા વર્ષે યહોવાએ યર્મિયા દ્વારા આપેલું વચન પૂરું કરવા માટે ઇરાનના રાજા કોરેશને પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લેખિત ઢંઢેરો પિટાવવો:
2 “ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે:
“આકાશના દેવ યહોવાએ મને પૃથ્વી પરનાં બધાં રાજ્યો આપ્યાં છે, અને તેણે પોતે મને તેને માટે યહૂદામાં આવેલ યરૂશાલેમમાં મંદિર બંધાવવાની જવાબદારી સોંપી છે. 3 તેથી યરૂશાલેમમાં આવેલા ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર ફરીથી બાંધવા માટે રાજ્યમાંના કોઇ પણ યહૂદામાં આવેલા યરૂશાલેમમાં જઇ શકશે. તેનો દેવ તેની સાથે રહ્યો. યરૂશાલેમમાં એ જ દેવની પૂજા થાય છે. 4 એટલા માટે કોઇ પણ જગ્યાએ જ્યાં એમાંનો કોઇ બાકી રહેલો હોય તો તેની જગ્યાના લોકો તેને યરૂશાલેમનાં મંદિરનાં બાંધકામ માટે યથાશકિત સોના, ચાંદી, સામાન, પશુઓ અને અર્પણ આપીને મદદ કરે.”
5 તેથી યહૂદા અને બિન્યામીનના કુળસમૂહોના બધાં આગેવાનો, યાજકો, લેવીઓ અને યહોવા દ્વારા પ્રેરાયેલાઓ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવા જવા તૈયાર થયા. 6 તેમના આજુબાજુના પાડોશીઓએ તેમને આ બધાં અર્પણ ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, સામાન, ઢોરઢાંખર તથા કિંમતી ભેટ આપી. 7 વળી રાજા કોરેશે પણ તેમને યહોવાના મંદિરમાંથી વસ્તુઓ આપી. આ વસ્તુઓ નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમના યહોવાના મંદિરમાંથી લઇ જઇને પોતાના દેવોના મંદિરમાં મૂકી હતી. 8 તદુપરાંત ઇરાનના કોરેશ રાજાએ ખજાનચી મિથદાથ પાસે તે વસ્તુઓને લાવ્યો અને તેણે આ વસ્તુઓ યહૂદાના આગેવાન શેશ્બાસ્સારને સોંપી દીધી.
9 આ તે બધી વસ્તુઓ છે જે કોરેશ રાજા યહોવાના મંદિરમાંથી બહાર લાવ્યો હતો: 30 સોનાની થાળીઓ, 1,000 ચાંદીની થાળીઓ અને 29 બીજા વાસણો, 10 ત્રીસ સોનાના કટોરા, 410 ચાંદીના જુદા જુદા પ્રકારના પ્યાલાઓ, 1,000 અન્ય ચીજ વસ્તુઓ, 11 સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને 5,400 હતાં, જ્યારે બંદીવાનો બાબિલથી યરૂશાલેમ આવ્યા, ત્યારે આ બધાં પાત્રો શેસ્બાસ્સાર પોતે પોતાની સાથે લાવ્યો.
પાછા ફરેલા બંદીવાનોની નામાવલી
2 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદાના જે લોકોને બંદીવાન કરીને બાબિલ લઇ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરૂશાલેમમાં તથા યહૂદામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓનાં નામોની યાદી આ પ્રમાણે છે: 2 તેઓમાં યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ, તથા બાઅનાહની ઝરુબ્બાબેલની સાથે આવ્યા. ઇસ્રાએલી લોકોની સંખ્યા:
3 પારોશના વંશજો | 2,172 |
4 શફાટાયાના વંશજો | 372 |
5 આરાહના વંશજો | 775 |
6 પાહાથ-મોઆબના વંશજો, યેશૂઆ તથા યોઆબના વંશજો | 2,812 |
7 એલામના વંશજો | 1,254 |
8 ઝાત્તુના વંશજો | 945 |
9 ઝાક્કાયના વંશજો | 760 |
10 બાનીના વંશજો | 642 |
11 બેબાયના વંશજો | 623 |
12 આઝગાદના | 1,222 |
13 અદોનીકામના વંશજો | 666 |
14 બિગ્વાયના વંશજો | 2,056 |
15 આદીનના વંશજો | 454 |
16 હિઝિકયાના આટેરના વંશજો | 98 |
17 બેસાયના વંશજો | 323 |
18 યોરાહના વંશજો | 112 |
19 હાશુમના વંશજો | 223 |
20 ગિબ્બારના વંશજો | 95 |
21 બેથલહેમના વંશજો | 123 |
22 નટોફાહના મનુષ્યો | 56 |
23 અનાથોથના મનુષ્યો | 128 |
24 આઝમાવેથના વંશજો | 42 |
25 કિર્યાથ-આરીમના, કફીરાહના અને બએરોથના વંશજો | 743 |
26 રામાને ગેબાના વંશજો | 621 |
27 મિખ્માસના મનુષ્યો | 122 |
28 બેથેલ ને આયના મનુષ્યો | 223 |
29 નબોના વંશજો | 52 |
30 માગ્બીશના વંશજો | 156 |
31 બીજા શહેરના (પુત્રો) એલામના વંશજો | 1,254 |
32 હારીમના વંશજો | 320 |
33 લોદના, હાદીદના અને ઓનોના વંશજો | 725 |
34 યરીખોના વંશજો | 345 |
35 સનાઆહના વંશજો | 3,630 |
36 યાજકો:
યદાયાના વંશજો, યોશૂઆના વંશજો | 973 |
37 ઇમ્મેરના વંશજો | 1,052 |
38 પાશહૂરના વંશજો | 1,247 |
39 હારીમના વંશજો | 1,017 |
40 લેવીઓ:
હોદાવ્યાના, યેશૂઆના તથા કાદમીએલના વંશજો | 74 |
41 ગવૈયાઓ:
આસાફના વંશજો | 128 |
42 મંદિરના દ્વારપાળોના વંશ:
શાલુમ, આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને શોબાયના વંશજો, | 139 |
43 મંદિરના સેવકો:
સીહા, હસૂફા અને ટાબ્બાઓથ
44 કેરોસ, સીઅહા અને પાદોનના વંશજો;
45 લબાનાહ, હાગાબાહ અને આક્કૂબના વંશજો;
46 હાગાબા, શામ્લાય, અને હાનાનના વંશજો:
47 ગિદેલ, ગાહાર, અને આયાના વંશજો;
48 રસીન, નકોદા અને ગાઝઝામના વંશજો;
49 ઉઝઝા, પાસેઆહ અને બેસાયના વંશજો;
50 આસ્નાહ મેઉનીમ અને નફીસીમના વંશજો:
51 બાકબૂક, હાક્રૂફા અને હાહૂરના વંશજો;
52 બાસ્લૂથ, મહીદા અને હાર્શાના વંશજો;
53 બાકોર્સ, સીસરા, અને તેમાહના વંશજો;
54 નસીઆહ અને હટીફાના વંશજો:
55 સુલેમાનના સેવકોના વંશજો:
સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદાના વંશજો:
56 યાઅલાહ, દાકોર્ન અને ગિદ્દોલના વંશજો:
57 શફાટયા, હાટીલ અને પોખેરેશના વંશજો હાસ્બાઇમ અને આમીના વંશજો;
58 મંદિરના સર્વ સેવકો અને સુલેમાનના સેવકોના વંશજો | 392 હતા. |
59 તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે:
60 દલાયા, ટોબિયા, અને નકોદાના ગોત્રના | 652 વંશજોનો સમાવેશ થતો હતો. |
61 યાજકોના ત્રણ કુટુંબો:
હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાઝિર્લ્લાય જે ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકને પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના વંશજો.
62 તેઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા. 63 ઉરીમ અને તુમ્મીમ દ્વારા તપાસ કરી કે તેઓ સાચેજ યાજકોના વંશજો છે કે નહિ એ નક્કી થાય ત્યાં સુધી પ્રશાસકે અર્પણોના હિસ્સામાંથી પણ ખાવાની તેઓને મના કરી હતી.
64 સર્વ મળીને કુલ 42,360 માણસો યહૂદા પાછા આવ્યા. 65 તદુપરાંત 7,337 દાસદાસીઓ તથા ગાયકગણના સભ્યો એવા 200 સ્ત્રી પુરુષો પાછા ફર્યા. 66 તેઓ પાસે 736 ઘોડા અને 245 ખચ્ચરો, 67 435 ઊંટ અને 6,720 ગધેડાં હતાં.
68 દેશવટેથી પાછા ફરેલા ટોળાઓ યરૂશાલેમમાં યહોવાના મંદિરે પહોંચ્યા ત્યારે કેટલાંક કુટુંબના વડીલોએ જુના સ્થાને મંદિર ફરી બાંધવા માટે સ્વેચ્છાએ દાન આપ્યાં, 69 પ્રત્યેક વ્યકિતએ પોતાની યથા શકિત પ્રમાણે બાંધકામ માટે આપ્યુ. 500 કિલો સોનું;[a] 3,000 કિલો[b] ચાંદી અને યાજકો માટે 100 પોશાકો આપ્યા.
70 યાજકો, લેવીઓ તથા બીજા કેટલાક લોકો યરૂશાલેમમાં તથા નજીકના ગામોમાં વસ્યા. ગવૈયાઓ, દ્વારપાળો અને મંદિરના સેવકો અને બાકી બચેલાં ઇસ્રાએલીઓ પોતાના નગરમા વસ્યા.
વેદીના જીણોર્દ્ધારનો પ્રારંભ
3 ઇસ્રાએલના પુત્રો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે તેઓ બધા એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા. 2 યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેના યાજકો સાથે તથા શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ અને તેના સાથીઓએ ઇસ્રાએલના દેવની વેદી ફરીથી બાંધી, જેથી દેવના સેવક મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેની પર દહનાર્પણો ચઢાવી શકાય.
3 આજુબાજુના બીજા લોકોનો ડર હોવા છતાં તેમણે પહેલાંને સ્થાને જ વેદી ઊભી કરી અને તેના પર સવાર સાંજ યહોવાને દહનાર્પણો આપવાનું શરૂ કર્યુ. 4 તેઓએ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવાપર્વ ઊજવ્યો અને નિયમ પ્રમાણે દરરોજ જોઇતા પ્રમાણમાં દહનાર્પણો ચઢાવ્યા. 5 એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાર્ષિક પર્વોની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા. 6 તેઓએ સાતમા મહિનાના પ્રથમ દિવસથી યહોવાને દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યુ; પરંતુ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો.
મંદિરના જીણોર્દ્ધારનો પ્રારંભ
7 તેમણે કડિયાઓને અને સુથારોને પૈસા આપ્યા અને સિદોન અને તૂરના લોકોને ખોરાક પાણી અને તેલ મોકલ્યાં, જેથી તેઓ લબાનોનથી સમુદ્રમાર્ગે યાફા સુધી દેવદારનું લાકડું લઇ આવે. ઇરાનના રાજા કોરેશે એ માટે પરવાનગી આપી હતી.
8 બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા. 9 આ સમગ્ર યોજના પર દેખરેખ રાખવાનું કામ યેશૂઆ, કાદમીએલ અને તેના પુત્રો, હેનાદાદ અને તેઓના પુત્રો તથા સબંધીઓને સોંપવામા આવ્યું. તેઓ સર્વ લેવીઓ હતા. 10 જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા. 11 તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં,
“દેવ ભલા છે અને તેમનો પ્રેમ
તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.”
ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.
12 ઘણા યાજકો, લેવીઓ અને કુટુંબના આગેવાનો અને વડીલો, જેમણે પહેલાનું મૂળ મંદિર જોયું હતું તેઓ પોતાની નજર સામે પાયો નંખાતો જોઇને રડી પડ્યા, પણ બીજા ઘણા લોકો મોટે સાદે હર્ષના પોકારો કરતા હતા. 13 તેથી લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના છે તે પારખી શકાતા નહોતા, કારણકે લોકો દૂર સુધી સંભળાય એટલે મોટે અવાજે પોકારો કરતા હતા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International