Chronological
મોર્દખાયનું સન્માન
6 તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે તેના શાસનની વિગતો માટે રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકોમાં મંગાવ્યું જેને તેની સમક્ષ વાંચવામાં આવ્યું. 2 તેમાં લખેલું હતું કે, રાજાના બે ખોજાઓ કે જેઓ દ્ધારની ચોકી કરતા હતાં, તે બિગ્થાના અને તેરેશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની ખબર મોર્દખાયે આપી હતી.
3 આ ઉપરથી રાજાએ પૂછયું કે, “એ માટે મોર્દખાયને શું માન-મોભો કે ઇનામ આપવામાં આવ્યાં છે?”
ત્યારે રાજાની સેવામાં દરબારીઓ હતા તેમણે જણાવ્યું કે, “મોર્દખાયને કઇં જ આપવામાં આવ્યું નથી.”
4 તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો, 5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે.
રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”
6 અને હામાન દાખલ થયો એટલે રાજાએ તેને સવાલ કર્યો, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છતો હોય તે માણસ માટે શું કરવું જોઇએ?”
હામાને વિચાર્યું કે, “રાજા મારું નહિ તો બીજા કોનું બહુમાન કરવાના હતા?”
7 એટલે હામાને રાજાને કહ્યું કે, “જે માણસને પ્રેમથી માન આપવા રાજા ઇચ્છતા હોય, 8 તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો; 9 પછી એ લાંબા ઝભ્ભાઓ અને ઘોડો રાજાના સૌથી વધુ માનવંતા મુખિયાને સોંપો અને તે માણસને એ પોશાક પહેરાવવા અને તેને ઘોડા પર બેસાડી નગરની ગલીઓમાં તેને ફેરવો એમ જાહેર કરતા, ‘રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તે વ્યકિતનું આવી રીતે સન્માન કરવું.’ એમ જાહેર કરવામાં આવે.”
10 ત્યારે રાજાએ હામાનને કહ્યું, “ઝટ જા અને પોશાક અને ઘોડો લઇ આવીને રાજમહેલના દરવાજે બેઠેલા યહૂદી મોર્દખાયને તેં કહ્યું તે પ્રમાણે તું કર; તું જે બોલ્યો છે તે સઘળામાંથી કઇં જ રહી જવું જોઇએ નહિ.”
11 આથી હામાને પોશાક અને ઘોડો લઇ જઇને મોર્દખાયને સજાવ્યો અને તેને ઘોડા પર બેસાડીને શહેરના ચોકમાં થઇને, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે છે તેને આ રીતે સન્માને છે.” એમ પોકાર કરતાં કરતાં ફેરવ્યો.
12 પછી મોર્દખાય પાછો મહેલને દરવાજે આવ્યો અને શરમાયેલો અને દુભાયેલો હામાન મોં છુપાવીને ઝડપથી ઘેર ચાલ્યો ગયો. 13 પછી તેણે પોતાની પત્ની ઝેરેશને અને બધા મિત્રોને તેણે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. ત્યારે હામાનની પત્ની અને તેને સલાહ આપનારા માણસોએ કહ્યું “જો મોર્દખાય એક યહૂદી હોય, તો તું ન જીતી શકે; તારું પતન શરૂ થઇ ગયું છે, ચોક્કસ તું નાશ પામીશ.”
14 હજીતો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી ઉજાણીમાં હામાનને ઉતાવળે લઇ ગયા.
હામાનને ફાંસીની સજા
7 રાજા તથા હામાન રાણી એસ્તેરની દ્રાક્ષારસની ઉજાણીમાં જમવા ગયા. 2 બીજે દિવસે પણ દ્રાક્ષારસ પીતાંપીતાં રાજાએ એસ્તેરને પૂછયું; “એસ્તેર રાણી, તારી અરજ શી છે? તે તને આપવામાં આવશે; તારી વિનંતી શી છે? તારે શું જોઇએ છે? તું જે માગશે તે હું તને આપીશ, અડધું રાજ પણ હું તને આપવા તૈયાર છું.”
3 રાણી એસ્તેરે કહ્યું, “જો આપ મારા પર પ્રસન્ન થયા હોય, અને જો આપને આ યોગ્ય લાગતું હોય, તો મારી એટલી વિનંતી છે કે, મને અને મારા લોકોને જીવવા દો. 4 મને અને મારા લોકોને, મારી નાખવા માટે અમારું અસ્તિત્વ મિટાવી દેવા માટે, વેચી દેવામાં આવ્યાં છે, જો અમને ફકત ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યાં હોત તો મેં કંઇ પણ માંગ્યું ન હોત, કારણ, તેથી અમારી દશા એટલી ખરાબ ન થઇ હોત કે જેને માટે મારે આપ નામદારને તસ્દી આપવી પડે.”
5 “તું શી વાત કરે છે?” અહાશ્વેરોશે ભારપૂર્વક પૂછયું; “કોણ છે એ માણસ જેણે આવું કરવાની ધૃષ્ટતા કરી છે? તે ક્યાં છે?”
6 એસ્તેરે જવાબ આપ્યો, “આ દુષ્ટ હામાન અમારો શત્રુ છે,”
આ સાંભળીને હામાન રાજા અને રાણીની સામે ડરવા લાગ્યો. 7 રાજા તો ગુસ્સામાં ઉજાણી છોડીને રાજમહેલમાં બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. તેથી તે રાણી એસ્તેર પાસે જીવનની માફી માંગવા ગયો. 8 જ્યારે રાજા મહેલના બગીચામાંથી ઉજાણી રૂમમાં પાછો આવ્યો, ત્યારે એસ્તરની દયા યાચવા હામાન એસ્તરના પલંગ પર પડી રહ્યો હતો. આ જોઇને રાજા બોલ્યો; “શું મારા મહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માઁગે છે?”
રાજાના મોઢામાંથી આ શબ્દો નીકળતાંજ રાજાના સેવકોએ હામાનનું મોઢું ઢાંકી દીધું. 9 જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે.
રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.”
10 એટલે હામાને મોર્દખાયને માટે તૈયાર કરેલી ફાંસી પર તેને પોતાને ચઢાવી દેવામાં આવ્યો. તે પછી રાજાનો ગુસ્સો શમી ગયો.
રાજાનો આદેશ યહૂદીઓની મદદ માટે
8 તે જ દિવસે રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેરને યહૂદીઓના શત્રુ હામાનનાં ઘરબાર અને માલમિલકત આપી દીધાં. અને એસ્તેરે મોર્દૃખાય સાથેનો પોતાનો સંબંધ જણાવતાં મોર્દખાયને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. 2 રાજાએ હામાન પાસેથી પાછી લીધેલી રાજમુદ્રાવાળી વીંટી આંગળીએથી ઉતારીને મોર્દખાયને આપી, અને એસ્તેરે તેને હામાનનાં ઘરબાર અને માલમિલકત સંભાળવાનું સોંપ્યું.
3 રાણી એસ્તેર ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને આંસુઓ ભરેલી આંખો સાથે અગાગી હામાને યહૂદીઓની વિરૂદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કરવા લાગી.
4 પછી રાજાએ એસ્તેર તરફ સોનાનો રાજદંડ ધર્યો, એટલે તે ઊઠીને રાજાની સમક્ષ ઊભી રહી. 5 તેણીએે કહ્યું, “જો રાજાને આ યોગ્ય લાગતું હોય, અને જો તમે મારાથી પ્રસન્ન હોય અને જો રાજાને વિચાર સારો લાગે તો અગાગી હામાને યહૂદીઓનો નાશ કરવાનો જે હુકમ રાજાના સર્વ પ્રાંતોમાં મોકલી આપ્યો છે તેને રદ કરતો આદેશ તમે મોકલી આપો; 6 કારણ, મારા લોકો પર આફત ઊતરે એ જોવાનું હું શી રીતે સહન કરું? હું મારા પોતાના કુટુંબનો નાશ થતો જોઇ હું કેમ સહન કરી શકું?”
7 ત્યારે અહાશ્વેરોશ રાજાએ યહૂદી મોર્દખાય તથા રાણી એસ્તેરને કહ્યું, “મેં હામાનનું ઘર અને મિલકત એસ્તેરને સોંપી છે તથા હામાનને ફાંસી પર લટકાવવામાં આવ્યો છે, કેમ કે તેણે યહૂદીઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 8 રાજાને નામે બહાર પાડવામાં આવેલો અને રાજાના સિક્કાવાળો એક હુકમ કદી રદ થઇ શકતો નથી માટે હવે તું મારે નામે યહૂદીઓને માટે તને સૌથી યોગ્ય લાગે એવી આજ્ઞા બહાર પાડી દે અને રાજમુદ્રાથી તેના પર સિક્કો મારી દે.”
9 આથી ત્રીજા એટલે કે સીવાન મહિનાના, ત્રેવીસમા દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા અને બરાબર મોર્દૃખાયના કહેવા પ્રમાણે યહૂદીઓને લગતો એક હુકમ હિંદુસ્તાનથી તે કૂશ સુધીના એકસો ને સત્તાવીશ પ્રાંતના સૂબાઓ, રાજ્યપાલો, અને અમલદારોને તે પ્રાંતની ભાષાઓમાં અને લિપિમાં, તેમજ યહૂદીઓની ભાષા અને લિપિમાં લખાવવામાં આવ્યો. 10 મોર્દૃખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો અને રાજાની મુદ્રાથી સિક્કો મારીને રાજાની સેવામાં વપરાતા ઝડપી ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો દ્વારા સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.
11 એ પત્રોમાં તેણે કોઇ પણ શહેરમાં રહેતા યહૂદીઓને સ્વરક્ષણ માટે ભેગા થવાની અને તેમના પર હુમલો થાય તો કોઇ પણ પ્રાંતની કોઇ પણ જાતની સૈનાને મારી નાખવાની, તેમના સ્ત્રી અને બાળકો મારી નાખવાની, તેમનો નાશ કરવાની અને તેમજ તેમને લૂંટી લેવાની છૂટ આપી.
12 આ હુકમ રાજા અહાશ્વેરોશના બધાજ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમા અર્થાત અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો. 13 વળી આ કાનૂનની એક એક નકલ સર્વ પ્રાંતોમાં અને રાજ્યમાં જાહેરાત કરવા માટે મોકલી આપવામાં આવી અને તે એક કાયદો બની ગયો જેના દ્ધારા યહૂદીઓ પોતાના શત્રુઓનો સામનો કરવા અને તેમના પર બદલો લેવા માટે પોતાની જાતને તૈયાર કરી શકે. 14 રાજાની આજ્ઞાથી સંદેશાવાહકો ઝડપી ઘોડાઓ પર સવાર થઇ રવાના થયા. આ કાનૂન રાજધાની સૂસામાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો.
15 જ્યારે મોર્દખાય રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે સફેદ અને ભૂરા રંગના વસ્રો માથે મોટો સોનાનો મુગટ અને ઝીણા શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેર્યા હતાં. આખા સૂસા શહેરે આનંદથી ઉજવણી કરી. 16 યહૂદીઓએ ખૂબ આનંદ અને ખુશીથી ઉજવણી કરી. રાજાના પ્રાંતોમાં વસતા બાકી રહેલા યહૂદીઓ પોતાના રક્ષણ માટે અને શત્રુઓથી છૂટકારો પામવા માટે સાથે એકઠા થયા. તેઓએ 75,000 શત્રુઓને મારી નાખ્યા પણ તેઓએ કોઇની વસ્તુઓ લૂટી નહિ.
17 જે જે નગર તથા પ્રાંતમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદષિર્ત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણકે તે લોકો યહૂદીઓથી ડરી ગયા હતા.
યહૂદીઓનો શત્રુઓ પર વિજય
9 હવે બારમા, એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, એ દિવસે યહૂદીઓના દુશ્મનોએ તેમને કચડી નાખવાની આશા રાખી હતી. પણ બન્યુ તેનાથી ઊલટું જ; યહૂદીઓએ દુશ્મનોને કચડી નાખ્યા. 2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાઁ યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકઠા થયા, જેથી તેઓનું નુકશાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હાથ નાખે; તેઓની વિરુદ્ધ કોઇ ઉભો રહી શક્યું નહિ; કારણ કે તેઓ બધા તેમનાથી ડરેલા હતા. 3 અને પ્રાંતોના બધાં અમલદારો, સૂબાઓ, રાજ્યપાલો, અને રાજાના વહીવટકર્તાઓ યહૂદીઓને મદદ કરી, કારણ કે, તે બધાં મોર્દખાયથી ડરેલા હતા. 4 મોર્દખાય રાજમહેલમાં ખૂબ મહત્વનો બની ગયો હતો, તેની નામના બધાં પ્રાંતમા ફેલાઇ ગઇ હતી. તેની સત્તા દિવસે દિવસે વધતી ગઇ.
5 નક્કી કરેલા દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓની હત્યા કરી. વિરોધીઓ સાથે તેઓએ મન ફાવે તેવું વર્તન કર્યુ. 6 પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખીને તેઓનો નાશ કર્યો. 7 વળી તેઓએ પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, 8 પોરાથા, અદાલ્યા, અરીદાથાને, 9 પાર્માશ્તાને, અરીસાય, અરીદાય તથા વાઇઝાથાને. 10 આ રીતે તેઓએ યહૂદીઓના શત્રુ હામ્મદાથાના પુત્ર હામાનના દશે પુત્રોને, તેઓએ મારી નાખ્યા; પણ તેઓએ તેમને લૂંટી લીધા નહિ અને તેમની કોઇ પણ વસ્તુને હાથ લગાડ્યો નહિ.
11 સૂસામાં મારી નાખવામાં આવેલા માણસોની સંખ્યા તે જ દિવસે રાજાને જાહેર કરવામાં આવી. 12 તેણે રાણી એસ્તેરને જણાવ્યું, “પાટનગર સૂસામાં યહૂદીઓએ પાંચસો માણસો અને હામાનના દશ પુત્રોને મારી નાખ્યા છે, તો પછી તેમણે રાજ્યના બીજા પ્રાંતોમાં તું મારા દ્વારા શું કરાવા માંગે છે! જે માગે તે આપુ, તારે બીજું શું જોઇએ છે? માંગ અને તે મંજૂર થશે.”
13 ત્યારે એસ્તેરે તેને જણાવ્યું કે, “જો રાજાને ગમે તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે પણ તેમજ કરવા દેવામાં આવે. અને હામાનના દશે પુત્રોને ફાંસીને માચડે લટકાવવા જોઇએ.”
14 રાજા સંમત થયા અને પાટનગર સૂસામાં હુકમ જાહેર કરવામાં આવ્યો. હામાનના દશ પુત્રોના મૃત શરીરને ફાંસી પર લટકાવવામાં આવ્યા. 15 સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાને ચૌદમે દિવસે પણ ભેગા થયા. તેઓએ સૂસામાં ત્રણસો માણસોને મારી નાખ્યા; પણ લૂંટ પર તેઓએ હાથ નાખ્યો નહિ.
16 રાજાના પ્રાંતોમાં વસતા બાકીના યહૂદીઓ પણ પોતાનો બચાવ કરવા અને શત્રુઓથી છૂટકારો મેળવવાં માટે ભેગા થયા. તેમણે પંચોતેર હજાર શત્રુઓનો સંહાર કર્યો; પણ તેમણે કોઇની કોઇ વસ્તુ લૂંટી નહિ. 17 આ તો અદાર મહિનાના તેરમા દિવસે બન્યું. ચૌદમે દિવસે તેમણે વિશ્રાંતી લીધી અને તે દિવસે તેમણે ઉજવણી કરીને આનંદોત્સવ ઊજવ્યો.
પૂરિમનું પર્વ
18 પણ સૂસામાં યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે સ્વરક્ષણ માટે ભેગા થયા; પંદરમા દિવસે તેઓએ ઉજાણી કરી અને વિશ્રાંતિ લીધી. 19 આ કારણથી જ યહૂદીઓ કોટ વિનાના ગામડાંઓમાં અને શહેરોમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે એક બીજાને ભેટો આપી અને ઉજાણી કરીને ઉજવે છે.
20 મોર્દખાયે આ સર્વ બનાવોને લખી અને અહાશ્વેરોશ રાજાના નજીકના તેમજ દૂરના પ્રાંતોના સર્વ યહૂદીઓ પર પત્રો મોકલ્યા. 21 તેણે જણાવ્યું કે, દર વર્ષે અદાર મહિનાનો ચૌદમો અને પંદરમો દિવસ ઊજવવો. 22 કારણ તે દિવસે યહૂદીઓએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો હતો, અને તે મહિનામાં તેમનો શોક આનંદમા પલટાઇ ગયો હતો, અને તેમના દુ:ખના દિવસો આનંદના દિવસોમાં બદલાઇ ગયા હતાં, જેમાં એકબીજાને ભેટ આપવી અને ગરીબોને દાન આપવું.
23 આથી યહૂદીઓએ મોર્દખાયની સૂચના મુજબ દરેક વર્ષે તે જ સમયે તહેવાર ઉજવવાનું શરૂ કર્યુ હતું અને રિવાજ પાળવાનો ચાલુ રાખવાનું માથે લીધું.
24 યહૂદીઓના દુશ્મન અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓને સંહાર કરી નાખવાની યોજના કરી હતી. અને તેઓનો સંહાર કરવા અને વિનાશ કરવા ચિઠ્ઠીઓ (એટલે “પૂર”) નાખી હતી; 25 પરંતુ જ્યારે તે વાતની રાજાને ખબર પડી, ત્યારે તેણે પોતાના પત્રો દ્વારા આજ્ઞા કરી કે, હામાને જે દુષ્ટ યોજના યહૂદીઓ વિરૂદ્ધ યોજી હતી તે અને તેના કુટુંબીઓને જ તેનો ભોગ બને; અને હામાનને તેના સંતાનો સાથે ફાંસીએ લટકાવવો જોઇએ.
26 આથી “પૂર” નામ ઉપરથી આ ઉત્સવના દિવસો પૂરીમ તરીકે ઓળખાયા, એ મોર્દખાયના પત્રમાં જે લખ્યું હતું તે પ્રમાણે જ ઉજવાયા, તેને કારણે તેમણે જાતે જે નજરોનજર જોયું હતું અને તેમના પર જે વીત્યું હતું, 27 યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો ચૂક્યા વગર ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું. 28 એ દિવસોને, વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં ઉજવવાના હતાં, તેઓએ પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં તેને ઉજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય, અને તેઓના વંશજોએ કદી તે ભૂલવું જોઇએ નહિ.
29 ત્યારબાદ અબીહાઇલની પુત્રી રાણી એસ્તેર અને યહૂદી મોર્દખાયે, બીજા પત્રને સંપુર્ણ અધિકાર સાથે પ્રમાણિત કરવા, પૂરીમ વિષે પૂર્ણ અધિકારથી પત્ર લખ્યો. 30 તેથી મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યમાં એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સાચી શાંતિ પાઠવતા પત્રો મોકલ્યા 31 તે પત્રો એ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા કે પૂરીમનાં દિવસો[a] યહૂદી મોર્દખાય અને રાણી એસ્તરે આપેલા આદેશ પ્રમાણે એના નિર્ધારિત સમયે ઉજવવામાં આવેલા હતા. આ તેઓએ બે વિશ્રામવારોને તેમના અને તેમના વંશજોને માટે નક્કી કર્યા 32 તેઓ એસ્તેરની આજ્ઞાથી વિશ્રામવારને યાદ રાખશે જેમ તેઓ ઉપવાસ અને વિલાપના દિવસો યાદ રાખે છે. “પૂરીમ” વિષેના નિયમો કાયમ કર્યા; અને પુસ્તકમાં આ બાબતો લખવામાં આવી હતી.
મોર્દખાયનું સન્માન
10 અહાશ્વેરોશ રાજાએ રાજ્યના સર્વ પ્રદેશો પર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યા. 2 તેના મહાન શૌર્યનાઁ તથા તેના સાર્મથ્યનાઁ સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેની સંપૂર્ણ માહિતી ઇરાનના તથા માદાયના રાજાઓનાં કાળવૃત્તાંતોના પુસ્તકોમાં લખેલી છે. 3 યહૂદી મોર્દખાયનો દરજ્જો રાજા પછીનો હતો. યહૂદીઓમાં તે આદર પાત્ર બન્યો અને ઘણો લોકપ્રિય હતો. કારણ કે તેણે પોતાના લોકોના ભલા માટે પરિશ્રમ કર્યો અને તેમની કાળજી રાખી. તેણે બધાં યહૂદીઓ માટે શાંતિ લાવી હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International