Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
હઝકિયેલ 28-31

તૂર પોતાને દેવ માને છે

28 મને યહોવાનું વચન આ પ્રમાણે સંભળાયું; “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:

“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે
    અને દેવ હોવાનો દાવો કરે છે,
તું કહે છે, “દેવની જેમ હું
    સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.”

“‘તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે,
    પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.
છતાં તું દેવ હોવાનો દંભ કરે છે,
    તું એમ માને છે
કે તું દાનિયેલ કરતા પણ ડાહ્યો છે.
    તારાથી કશું અજાણ્યું નથી.
તારા ડહાપણ અને તારા કૌશલથી
    તે સોનાચાંદીના ભંડાર ભર્યા છે.
તું વેપારમાં ઘણો કાબેલ છે.
    તેથી તું ઘણો ધનવાન થયો છે
અને તે કારણે
    તું અભિમાની થયો છે.

“‘તેથી યહોવા મારા માલિક કહે છે:
તું દેવોના જેવો જ્ઞાની હોવાનો દાવો કરે છે.
તેથી હું તારા પર હુમલો કરવા માટે ઘાતકીમાં
    ઘાતકી પરદેશીઓને લઇ આવીશ.
તેં તારી કુશળતાથી અને દાનાઇથી જે સંપત્તિ પ્રાપ્ત કરી છે
    તે બધાનો નાશ કરી,
    તેઓ તારી કીર્તિને ઝાંખી પાડશે.
તેઓ તારા પ્રાણ લેશે અને તને નરકના ખાડામાં ધકેલી દેશે.
    અને સાગરને તળિયે પહોંચાડી દેશે.
તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે
    પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?”
તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે.
    અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે.
10 તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે.
    તેથી મેં આમ કહ્યું છે.’”
એમ યહોવા મારા માલિક કહે છે.

11 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:

“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો,
    તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.
13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો
અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો;
    હીરા, માણેક, પોખરાજ,
    નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ,
    પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં.
તારા જન્મ સમયે
    તારે માટે બનાવવામાં આવ્યાં હતાં.
14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક
    દૂત તરીકે નીમ્યો હતો.
તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો
    અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો.
15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું,
    પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી.
16 તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં
    અને પાપમાં ખેંચી ગયો.
આથી મેં તને દેવના પવિત્ર
    પર્વત પરથી હાંકી મૂક્યો.
જે દેવ દૂત તારું રક્ષણ કરતો હતો
    તેણે તને ઝળહળતાં રત્નોમાંથી તગેડી મૂકયો.
17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો
    અને તારી કીર્તિને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી.
મેં તને ભોંય ઉપર પટક્યો છે
    અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.
18 તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો
અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો
    પણ ષ્ટ થઇ ગયા.
આથી, હે તૂર, મેં તને આગ ચાંપી
    અને તને બાળીને ભોંયભેગો કરી દીધો.
આજે તને જોનારા સૌ કોઇ
    તને ભસ્મીભૂત થયેલો જુએ છે.

19 “‘જે પ્રજાઓ તને ઓળખતી હતી
    તે બધી તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગઇ છે.
તારું પરિણામ ભયંકર આવ્યું છે,
    સદાને માટે તારો નાશ થયો છે.’”

સિદોન વિરુદ્ધ સંદેશ

20 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 21 “હે મનુષ્યના પુત્ર, તું સિદોન તરફ મુખ કરીને તેની વિરુદ્ધ પ્રબોધ કર. 22 તેણીને કહે, ‘યહોવા મારા માલિક કહે છે:

“‘હે સિદોન, હું તારી વિરુદ્ધ છું.
    હું તારા સ્થાનમાં મારો
મહિમા પ્રગટ કરીશ.
    તારામાં વસતા લોકોને સજા કરી હું
મારી પવિત્રતા પ્રગટ કરીશ
    ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું.
23 હું તારા પર મરકી મોકલીશ.
    તારી શેરીઓમાં લોહી વહેશે. કારણ,
જેઓની હત્યા થઇ છે તેઓ ત્યાં પડ્યા છે.
    પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.’”

રાષ્ટ ઇસ્રાએલની મશ્કરી કરવાનું બંધ કરશે

24 યહોવાએ કહ્યું, “‘ઇસ્રાએલનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેને ભોંકાતા કાંટા કે ઝાંખરાની જેમ હેરાન નહિ કરે. અને ત્યારે તેઓને ખબર પડશે કે હું યહોવા તમારો માલિક છું.’”

25 આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે. 26 તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું.”

મિસરને શિક્ષા થશે

29 યહોયાકીન રાજાને બંદીવાન થયાને દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન તરફ મોં કરીને તેની અને તેના આખા દેશના સર્વ લોકો વિરુદ્ધ પ્રબોધ કર. તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:

“‘હે મિસરના રાજા ફારુન,
    હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું.
તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે.
    તેં પોતે એનું સર્જન કર્યું છે.”

“‘હું તારા જડબામાં આંકડી પરોવીશ અને તારી નાઇલની માછલીઓ
    તારાં ભિંગડાને ચોંટી રહે એમ કરીશ.
અને એ બધી માછલીઓ સાથે હું
    તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.
હું તને અને તારી નાઇલની બધી માછલીઓને રણમાં ફગાવી દઇશ.
    તું ખુલ્લી જમીન ઉપર પડ્યો રહીશ.
કોઇ તને દફનાવશે નહિ.
    હું તને પશુપંખીઓનો આહાર બનાવીશ.
ત્યારે મિસરના બધા લોકોને
    ખબર પડશે કે હું યહોવા છું.

“‘તેં ઇસ્રાએલીઓને આપેલો ટેકો બરુની
    લાકડીના ટેકા સમાન હતો.
જ્યારે જ્યારે તેમણે એ લાકડી પકડી ત્યારે ત્યારે તે તેમના હાથમાં ભાંગી ગઇ,
    અને તેમના ખભાને તેણે ચીરી નાખ્યા.
ને તેમણે જ્યારે એનો ટેકો લીધો ત્યારે
    તે તૂટી ગઇ અને તેમનાં અંગો ધ્રૂજતા રહ્યાં.’”

તેથી યહોવા આ પ્રમાણે કહે છે:
“હે મિસર, હું તારી વિરુદ્ધ સૈન્યને મોકલીશ
    અને તારા લોકોની અને ઢોરઢાંખરની હત્યા કરાવીશ.
મિસર વેરાન અને ઉજ્જડ થઇ જશે;
    અને ત્યારે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”

દેવ કહે છે, “કારણ કે તેં કીધુ હતું કે નાઇલ નદી તારી છે અને તેં જ તેને બનાવી છે, 10 ‘તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું,’ હું સમગ્ર મિસરને ઉત્તરમાં મિગ્દોલથી માંડીને ઠેઠ કૂશની સરહદ પાસે આવેલા આસ્વાન સુધી વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ. 11 ચાળીસ વર્ષ સુધી આ દેશમાં માણસ કે પશુ કોઇ ફરશે નહિ. તેમાં કોઇ વસવાટ કરશે નહિ. 12 હું મિસરને ઉજ્જડ બનાવીશ તથા તેની આજુબાજુના દેશોને પણ ઉજ્જડ બનાવીશ. તેના નગરો ચાલીસ વર્ષ સુધી ખંડિયેર જેવા રહેશે, હું મિસરવાસીઓને બીજા દેશોમાં અને પ્રજાઓમાં વિખેરી નાખીશ.”

13 આ યહોવા મારા માલિકના વચન છે: “ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઇ ગયેલા હશે તેઓમાંથી તેમને પાછા ભેગા કરીશ. 14 હું મિસરની જાહોજલાલી પુન:સ્થાપિત કરીશ અને હું તેઓને મિસરની દક્ષિણના પાથોર્સમાં જ્યાં તેઓનો જન્મ થયો હતો ત્યાં પાછા લાવીશ. પણ તેઓ મહત્વના નહિ તેવા નાના રાજ્ય તરીકે રહેશે. 15 બધા રાજ્યોમાં તે નાનામાં નાનું રાજ્ય હશે. અને તે કદી બીજી પ્રજાઓ પર સત્તા નહિ ચલાવી શકે, હું તેમને એવા તો પામર બનાવી દઇશ કે તેઓ બીજી પ્રજાઓને તાબે નહિ કરી શકે. 16 ઇસ્રાએલ હવે કદી મિસરની સહાય પર આધાર રાખશે નહિ, કારણ કે જેટલી વાર તે મિસરની મદદ મેળવવાનો પ્રયાસ કરશે તેટલી વાર તેને યાદ આવશે કે તેની મદદ મેળવવા માટે ઇસ્રાએલે પાપ કર્યું હતું. ત્યારે ઇસ્રાએલ જાણશે કે હું એકલો જ, યહોવા મારા માલિક છું.”

મિસરને બાબિલ લેશે

17 સત્તાવીસમાં વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તૂર ઉપર હુમલો કર્યો, તેના સૈનિકોએ એટલી સખત મહેનત કરી કે તેમના વાળ ખરી પડ્યા અને તેમના ખભા છોલાઇ ગયા તેમ છતાં તેને કે તેના સૈન્યને પોતાની મહેનતનું કશું વળતર ન મળ્યું.” 19 તેથી યહોવા મારા માલિક કહે છે કે, “હું મિસરની ભૂમિ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને આપીશ અને તે એની સર્વ સંપત્તિ તેના શ્રમના બદલા તરીકે લઇ જશે. 20 તૂર સામે એણે કરેલી મહેનતના બદલામાં હું તેને મિસરની ભૂમિ આપી દઉં છું, કારણ, તેની સેના મારે માટે કામ કરતી હતી.” આ યહોવા મારા માલિક બોલ્યા છે.

21 “અને એવો દિવસ આવશે કે હું જ્યારે ઇસ્રાએલને તેનું અગાઉનું બળ ફરીથી આપીશ. જેથી એ લોકોની આગળ તું બોલી શકે, અને ત્યારે લોકો તારા શબ્દો પ્રત્યે આદર રાખશે અને મિસર જાણશે કે હું યહોવા છું.”

બાબિલનું સૈન્ય મિસર પર આક્રમણ કરશે

30 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે:

“‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો!
    “કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!”
તે દિવસ,
    એટલે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે;
વાદળોથી ઘેરાયેલો દિવસ,
    પ્રજાઓને માથે આફત ઉતારવાનો દિવસ!
એ દિવસે મિસરમાં
    અને કોનો સંહાર થશે,
તેની સંપત્તિ લૂંટાઇ જશે
    અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે.

“‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે.

“‘યહોવા મારા માલિકના આ વચન છે:
મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે
    અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે.
ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ
    તરવારથી નાશ પામશે.
    એમ યહોવા મારા માલિક જાહેર કરે છે.
તે તથા તેની સાથેના આસપાસના દેશો ઉજ્જડ થશે અને તેના નગરો તથા તેની આજુબાજુના નગરો ખંડિયેર થઇ જશે.
હું મિસરને આગ ચાંપીશ
    અને તેના બધા ટેકેદારોનો નાશ કરી નાખીશ,
ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.

“‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!’”

10 યહોવા મારા માલિકના આ વચન છે:
“હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે
    મિસરની પ્રજાનો અંત આણીશ.
11 તે અને તેની ઘાતકી સેના આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે.
    તેઓ મિસર સામે તરવાર ચલાવશે
    અને આખો દેશ મૂડદાંથી છવાઇ જશે.
12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ
    અને મિસરને બદમાશોને સોંપી દઇશ.
હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ.
    આ હું યહોવા બોલ્યો છું.”

મિસરની મૂર્તિઓનો નાશ કરવામાં આવશે

13 યહોવા મારા માલિકના આ વચન છે:
“હું મેમ્ફિસની મૂર્તિઓનો
    અને પૂતળાંઓનો નાશ કરીશ.
મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે.
    આખા દેશમાં ભય વ્યાપી જશે.
14 હું પાથોર્સને વેરાન બનાવી દઇશ
    અને સોઆનને આગ ચાંપીશ
    અને નોનોને સજા કરીશ.
15 હું મિસરના સૌથી મજબૂત કિલ્લાઓ પર મારો રોષ ઠાલવીશ
    અને નોફની જાહોજલાલી અને પાપનો નાશ કરીશ.
16 હું મિસરને આગ ચાંપીશ
    અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે.
નોફની દિવાલમાં ગાબડાં પડશે અને,
    મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે.
17 આવેનના તથા પી-બેસેથના યુવાનો તરવારથી માર્યા જશે
    અને બાકીના લોકોને ગુલામ તરીકે લઇ જવામાં આવશે.
18 જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે
    તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે
અને આખા મિસર પર વાદળ ઘેરાશે,
    અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે.
19 હું જ્યારે મિસરનું આવું કરીશ ત્યારે
    તે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”

મિસર કાયમ માટે દુર્બળ થશે

20 યહોયાકીન રાજાને બંદીવાન થયાના અગિયારમાં વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે મને યહોવા તરફથી આ સંદેશો મળ્યો: 21 “હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.”

22 તેથી યહોવા મારા માલિક, કહે છે, કે “હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું એનો સાજો અને પહેલાં મેં ભાંગેલો એમ બંને હાથ ભાંગી નાખનાર છું. અને તેના હાથમાંથી તરવાર પડી જશે. 23 હું મિસરીઓને બીજી પ્રજાઓમાં અને વિદેશીઓમાં વેરવિખેર કરી નાખીશ. 24 ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે.

25 “હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું. 26 હું મિસરવાસીઓને બીજી પ્રજાઓમાં અને અન્ય દેશોમાં વિખેરી નાખીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

આશ્શૂર એક કેદાર વૃક્ષની જેમ છે

31 યહોયાકીન રાજાને બંદીવાન થયાને અગિયારમે વર્ષે ત્રીજા માસની મધ્યમાં યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે:

“‘તારા જેવો મહાન
    અને વૈભવી બીજો કોણ છે?
તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે.
    તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે
    તું વાદળાને અડકે છે.
વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે.
    પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે.
તેના રોપાઓની આસપાસ
    નદીઓ વહેતી હતી;
અને તેના વહેણાંથી વનમાંના
    સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.
પુષ્કળ પાણીને લીધે જંગલના બીજા
    સર્વ વૃક્ષો કરતાં તે ઊંચું થયું
અને તેની ડાળીઓ ભરાવદાર
    અને પુષ્કળ થઇ.
દરેક જાતના પંખીઓએ
    તેમાં માળા બાંધ્યા,
એની છાયામાં બધાં જંગલી પશુઓએ
    બચ્ચાંને જન્મ આપ્યાં
અને અસંખ્ય પ્રજાઓએ
    એની છાયામાં વિશ્રામ કર્યો.
એ વૃક્ષ સુંદર અને મજબૂત હતું.
    અને તેની ડાળીઓ વિસ્તરેલી હતી,
    કારણ કે તેનાં મૂળ પાણી
    સુધી ઊંડા પહોંચેલા હતા.
દેવના ઉદ્યાનનું કોઇ પણ દેવદાર વૃક્ષ
    તેની બરાબરી કરી શકતું નહોતું, કોઇ પણ સરુના
કે ચિનારના વૃક્ષને એના જેવી શાખા નહોતી,
    મેદાનના કોઇ પણ વૃક્ષોને
તેની સુંદરતા સાથે સરખાવી ન શકાય.
    દેવના ઉદ્યાનનું કોઇ પણ વૃક્ષ તેની બરોબરી ન કરી શકે.
મેં યહોવાએ, તેને ઘટાદાર
    અને વિશાળ ડાળીઓ આપીને જે શોભા આપી હતી
તેથી એદેનવાડીના બીજાં
    વૃક્ષો તેની ઇર્ષા કરતા.’”

10 તેથી હવે હું, યહોવા મારા માલિક, આ પ્રમાણે કહું છું: “એ વૃક્ષ વધતું વધતું વાદળને અડે એટલું ઊંચું થયું, પણ એ જેમ જેમ ઊંચું થતું ગયું તેમ તેમ એનો ગર્વ વધતો ગયો. 11 તેથી મેં તેને પ્રજાઓમાં જે પરાક્રમી રાજા છે તેના હાથમાં સોંપી દીધું છે. તે તેની દુષ્ટતાની તેને યોગ્ય શિક્ષા કરશે. મેં પોતે તેને ફેંકી દીધું છે. 12 પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે. 13 પક્ષીઓ તેના તૂટી ગયેલા થડ પર બેસશે અને વન્ય પશુઓ તેની ડાળીઓ પર સૂઇ જશે.

14 “તેથી કરીને હવે પછી કોઇ પણ વૃક્ષ, તેને ભરપુર પાણી મળ્યું હશે તોયે, એટલું ઊંચું નહિ વધે કે વાદળને અડી શકે. બધાં જ વૃક્ષો ર્મત્ય માનવીની જેમ મરવાને સજાર્યા છે. અને જેઓ ઊંડી ખીણમાં નીચે જાય છે અને જેઓ બીજી દુનિયામાં વસે છે તેમને જઇ મળશે.”

15 યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા. 16 તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં. 17 તેની છાયામાં વસતી બધી પ્રજાઓ પણ, પહેલા જેઓ કપાઇ ગયા હતા તેમની વચ્ચે શેઓલમાં પહોંચી જશે.

18 “એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે.

“અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International