Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ઝખાર્યા 1-7

યહોવા પોતાના લોકોને પાછા લાવવા ઇચ્છે છે

દાર્યાવેશના અમલના બીજા વર્ષના આઠમા મહિનામાં પ્રબોધક ઇદૃોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા દ્વારા યહોવાનો સંદેશો મળ્યો હતો.

તું એ લોકોને કહે કે, યહોવા તમારા પિતૃઓ પર રોષે ભરાયો હતો; તેથી તું તેઓને કહે કે, સૈન્યોના દેવ યહોવા કહે છે કે, જો તમે પાછા મારે શરણે આવો તો હું તમારી પાસે આવીશ.

તમે તમારા વડીલો જેવા ન થશો, જેઓને પહેલાના પ્રબોધકોએ સાદ પાડીને કહ્યું હતું કે, “સૈન્યોનો દેવ યહોવા તમને તમારાં ખોટા માર્ગોથી અને દુષ્કૃત્યોથી પાછા વાળવા માગે છે. પણ તેમણે ન તો મારું સાંભળ્યું કે ન તો મારા કહેવા પર ધ્યાન આપ્યું.

“તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે? પરંતુ મેં મારા સેવકો પ્રબોધકો મારફતે આપેલી આજ્ઞાઓ અને ચેતવણીઓની અવગણના કરવાથી તમારા પિતૃઓએ અચાનક તેની સજા ભોગવવી પડી. આથી તેઓ નરમ પડ્યા અને કહ્યું, ‘સૈન્યોનો દેવ યહોવાએ આપણને શિક્ષા કરી આપણા વર્તાવ અને કૃત્યોને કારણે આપણી સાથે જે રીતે વર્તવા ધાર્યું હતું તે રીતે તે ર્વત્યા છે.’”

ચાર ઘોડાઓ

દાર્યાવેશના બીજા વર્ષના અગિયારમા મહિનાની, એટલે શબાટ મહિનાની, ચોવીસમી તારીખે ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા પ્રબોધકની પાસે યહોવાએ બીજો સંદેશો આપ્યો.

તે એ કે મને રાત્રે સંદર્શન થયું, એક માણસ રાતા ઘોડા પર સવાર થયેલો હતો. તે એક ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો, અને તેની પાછળ બીજા રાતા; કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા, હું બોલી ઊઠયો. “આ શું છે, મારા યહોવા?”

એટલે તે દેવદૂતે મને કહ્યું, “એ શું છે એ હું તને જણાવીશ.”

10 ત્યારબાદ મેંદી વચ્ચે ઊભેલા માણસે ઉત્તર આપ્યો, “એમને તો યહોવાએ પૃથ્વી પર ફરીને શું ચાલે છે તે જોવા મોકલેલા છે.”

11 અને તેણે મેંદીના છોડ વચ્ચે ઊભેલા યહોવાના દેવદૂતને કહ્યું, “અમે આખી પૃથ્વીની ચારેતરફ ફરી આવ્યાં છીએ અને સાચે જ આખી દુનિયા શાંતિમાં છે.”

12 ત્યારે યહોવાનો દેવદૂત બોલ્યો, “હે સૈન્યોનો દેવ યહોવા, સિત્તેર વર્ષથી તમે યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો ઉપર રોષે ભરાયેલા છો. ક્યાં સુધી તમે એમના પર દયા નહિ કરો?”

13 ત્યારે મારી સાથે વાત કરનાર દૂતને યહોવાએ મમતા અને આશ્વાસનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો,

14 અને તે દેવદૂતે મને કહ્યું: તું જાહેર કર કે, સૈન્યોનો દેવ યહોવા એમ કહે છે કે,

“મને યરૂશાલેમ અને સિયોન ઉપર એકનિષ્ઠ પ્રેમ છે.
15     જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે
તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું,
    મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો
    અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”
16 તેથી યહોવા કહે છે કે, “હું ફરીથી યરૂશાલેમ પર
    દયા દર્શાવીશ અને મારું મંદિર ત્યાં જરૂર બંધાશે,
    અને યરૂશાલેમમાં ત્યાં ફરી બાંધકામ શરૂ થશે.”

17 ફરીથી પોકારીને સૈન્યોનો દેવ યહોવા જાહેર કરે છે,
    “મારા નગરો ફરીથી પ્રગતિ કરશે અને ચોતરફ વૃદ્ધિ પામશે;
અને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે,
    ને હજી પણ તે યરૂશાલેમને પસંદ કરશે.”

ચાર શિંગડાં અને ચાર કામદાર

18 પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને પ્રાણીઓના ચાર શિંગડાં દેખાયાં! 19 એટલે મારી સાથે વાત કરી રહેલા દેવદૂતને મેં પૂછયું, “આ શું છે?”

તેણે મને જવાબ આપ્યો, “એ તો યહૂદિયા, ઇસ્રાએલ અને યરૂશાલેમના લોકોને વેરવિખેર કરી નાંખનાર શિંગડાં છે.”

20 ત્યારબાદ યહોવાએ મને ચાર લુહારો બતાવ્યાં; 21 મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?”

યહોવાએ કહ્યું, “આ શિંગડાઓએ યહૂદિયાને એવી રીતે વેરવિખેર કરી નાખ્યું હતું કે કોઇ માણસ પોતાનું માથું ન ઊંચકી શકે; અને આ લોકો યહૂદિયાની ભૂમિને અને પોતાનું માથું ઊંચુ કરનાર પ્રજાઓને ત્રાસ આપવા અને નાશ કરવા આવ્યા છે.”

યરૂશાલેમની માપણી

મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો. મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?”

ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”

પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો. બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,

‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે
    તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’
કારણ, યહોવા કહે છે કે,
‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું
    મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’”

દેવ પોતાના લોકોને ઘેર બોલાવે છે

યહોવા કહે છે;
“જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો.
    આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે.
બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે
    અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે,
    કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે.
જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ
    અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે,
અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો
    દેવ યહોવાએ મને મોકલ્યો છે.”

10 યહોવા કહે છે,
“સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ,
    હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.
11 તે દિવસે ઘણી પ્રજાઓ
    યહોવાની સાથે સંબંધ બાંધશે,
અને તેઓ એની પ્રજા થશે
    અને યહોવા તેમની વચ્ચે વસશે,”
અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ
    મને તમારી પાસે મોકલ્યો છે.

12 અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે.
    અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.
13 યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ,
    તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.

પ્રમુખ યાજકના અભિષેકનું દર્શન

ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો. યહોવાના દેવદૂતે શેતાનને કહ્યું, “યહોવા તને ઠપકો આપો, ઓ શેતાન! યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ઠપકો આપો! આ માણસ અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણાઁ જેવો નથી?”

યહોશુઆ ગંદા વસ્ત્રો પહેરીને દેવદૂત પાસે ઊભો હતો. દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.”

પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો. ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,

આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે:
“જો તું મારા માર્ગ પર ચાલશે
    અને મારી આજ્ઞા માથે ચડાવશે,
તો તું મારા મંદિરનો
    તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે
અને જેઓ મારી આગળ ઊભા છે,
    તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.
હે પ્રમુખ યાજક યહોશુઆ,
    તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ,
તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો.
    જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું.
    તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત
આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ.
    આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”

10 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“તે દિવસે તમારામાંનો એકેએક
    જણ પોતાની દ્રાક્ષની વાડી
અને અંજીરના ઝાડ નીચે
    પોતાના પડોશી સાથે સુખશાંતિમાં રહેશે.”

દીપવૃક્ષનું સંદર્શન

પછી મારી સાથે જે વાત કરતો હતો તે દેવદૂતે મને જગાડ્યો, કારણ, હું ઊંઘતો હોઉં તેવી સ્થિતિમાં હતો. પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?”

મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે. દીપવૃક્ષ પાસે બે જૈતૂનના વૃક્ષો છે, એક કૂંડાની જમણી બાજુએ અને એક ડાબી બાજુએ.” મારી સાથે વાત કરનાર દેવદૂતને મેં પૂછયું, “હે મારા યહોવા, તેનો અર્થ શું થાય છે?”

ત્યારે તેણે કહ્યું, “એ શું છે તે તું સાચે જ નથી જાણતો?”

મેં જવાબ આપ્યો, “ના, હું નથી જાણતો.”

પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.’ યહોવા કહે છે, ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.”

વળી યહોવા તરફથી મને બીજો સંદેશો મળ્યો; “ઝરુબ્બાબેલને હાથે આ મંદિરનો પાયો નંખાયો છે અને તેને હાથે જ તે પૂર્ણ થશે. ત્યારે લોકોને ખાતરી થશે કે મેં સૈન્યોનો દેવ યહોવાએ તને તેમની પાસે મોકલ્યા છે. 10 આરંભમાં થોડું થોડું કામ થતું જોઇને જેઓ એનો તિરસ્કાર કરતા હતા તેઓ ઝરુબ્બાબેલને હાથે તેની પૂર્ણાહુતિ થતી જોઇને ખૂબ હરખાશે, આ સાત દીવા પ્રતીકરૂપે દર્શાવે છે કે, યહોવાની આંખો સમગ્ર પૃથ્વી પર સર્વત્ર સઘળું નિહાળે છે.”

11 પછી મેં તેને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે બે જૈતવૃક્ષો છે, તે શું છે?” 12 વળી ફરી મેં તેને પૂછયું, “સોનાની બે નળીઓ વડે સોનાના કટોરામાં તેલ લઇ જતી જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ શું છે?”

13 તેણે મને પૂછયું, “એ શું છે તે શું તું નથી જાણતો?”

મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”

14 પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.”

ઊડતું ઓળિયું

ફરી મેં ઊંચે જોયું તો હવામાં ઊડતું એક ઓળિયું મારી નજરે પડ્યું. દેવના દૂતે મને પૂછયું, “તને શું દેખાય છે?”

મેં કહ્યું, “એક ઊડતું ઓળિયું, એ વીસ હાથ લાંબું અને દશ હાથ પહોળું છે.”

ત્યારે તેણે મને કહ્યું, “આ ઓળિયું સમગ્ર દેશ પર આવનાર દેવના શાપના શબ્દોનું પ્રતિક છે. એમાં લખ્યા મુજબ ચોરી કરનાર અને ખોટા સમ ખાનાર એકેએક જણને હવે હાંકી કાઢવામાં આવશે.” સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “હું આ શાપ દરેક ચોરના ઘરમાં અને જેણે મારા નામે ખોટું વચન આપ્યું છે તે દરેકના ઉપર મોકલું છું. મારો શાપ તેના ઘર પર રહેશે અને તેનો સંપૂર્ણપણે નાશ કરશે.”

સ્ત્રી અને ટોપલો

પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને મને કહ્યું, “હવે તારી આંખો ઊંચી કરીને આ જે બહાર આવે છે તે શું છે, તે જો.”

મેં પૂછયું, “એ શું છે?” એટલે તેણે કહ્યું, “વસ્તુ જે બહાર આવે છે તે ટોપલી છે.”

અને તેણે કહ્યું, “આ દેશના લોકોના પાપોને માપવાનો ટોપલો છે.”

અને અચાનક ટોપલાં પરનું ભારે ઢાંકણ ઊંચું થયું તો ટોપલાની અંદર બેઠેલી એક સ્ત્રીને મેં જોઇ! અને પેલાં દેવદૂતે કહ્યું, “તે સ્ત્રી દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તે સ્ત્રીને પાછી ટોપલામાં મૂકી દીધી અને સીસાનું ભારે ઢાંકણ બંદ કરી દીધું. પછી મેં ઉપર નજર કરી અને બે સ્ત્રીઓને આગળ આવતી જોઇ તેમને બગલાના જેવી પાંખો હતી. તેઓની પાંખોથી તેઓ હવામાં ઊડી. જમીન અને આકાશની વચ્ચે તેઓએ મોટો ટોપલો ઉંચકયો હતો. 10 પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “એ લોકો ટોપલો ક્યાં લઇ જાય છે?”

11 તેણે જવાબ આપ્યો, “તેઓ તેને બેબિલોન લઇ જશે અને તેની આરાધના કરવાને મંદિર બાંધશે, અને જ્યારે તે તૈયાર થશે ત્યારે એ લોકો ટોપલાને એને સ્થાને ગોઠવી દેશે.”

ચાર રથોનું દર્શન

પછી મેં ફરીથી નજર ઊંચે કરીને જોયું, તો ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા. એ પર્વતો કાંસાના હતા. પહેલા રથના ઘોડા રાતા હતા, બીજાના કાળા હતા, ત્રીજાના સફેદ હતા અને ચોથાના ટપકાં ટપકાંવાળા હતા. પછી મેં મારી સાથે વાત કરનાર દેવદૂતને પૂછયું, “અને આ શું છે મુરબ્બી?”

તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે. કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.”

પૃથ્વી પર સર્વત્ર ફરવા માટે લાલ ઘોડા અધીરા થઇ રહ્યાં હતા, તેથી યહોવાએ કહ્યું, “જાઓ, પૃથ્વીમાં સર્વત્ર ફરો.” આથી તેઓ એકદમ ત્યાં જવાને નીકળ્યાં.

અને યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, “જેઓ ઉત્તરમાં ગયા છે તેઓએ ત્યાં મારા ન્યાય ચુકાદાનો અમલ કર્યો છે, અને મારા ગુસ્સાને શાંત પાડ્યો છે.”

યાજક યહોશુઆને મુગટ મળે છે

મેં યહોવાનો સંદેશો સાંભળ્યો જે નીચે પ્રમાણે છે; 10 “બાબિલથી હેલ્દાય, ટોબિયા અને યદાયામાં યહૂદી બંદીવાનોએ આણેલી ભેટસોગાદો લઇ તે જ દિવસે તું સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. 11 અને તેણે આપેલાં ચાંદી અને સોનું લઇ એક મુગટ ઘડાવી તે મુખ્યયાજક યહોસાદાકના પુત્ર યહોશુઆના માથે મૂકજે. 12 અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે.

‘આ રહ્યો એ માણસ જેનું નામ “શાખા” છે.
    અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે
    અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
13 એ જ યહોવાનું મંદિર ફરી બંધાવશે, કીર્તિ પામશે,
    પોતાના રાજ્યાસન પર બેસશે
અને રાજવી અધિકારથી અમલ ચલાવશે.
    તેના રાજસિંહાસનની બાજુમાં તેને મદદગાર તરીકે
અને શાંતિથી સાથે કામ કરવા યાજક ઊભા રહેશે.’

14 પછી એ મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા અને સફાન્યાના પુત્ર હેનની યાદગીરી તરીકે યહોવાના મંદિરમાં રહેશે.”

15 દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.

યહોવાની દયા અને કરૂણા

રાજા દાર્યાવેશના અમલના ચોથા વર્ષના એટલે કે કિસ્લેવ મહિનાની ચોથી તારીખે ઝખાર્યાને યહોવાની વાણી સંભળાઇ. હવે બેથેલ નગરના યહૂદી લોકોએ રાજાના મુખ્ય વહીવટી અધિકારી શારએસેર અને રેગમ-મેલેખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ યરૂશાલેમમાં મોકલ્યું કે તેઓ યહોવાની કૃપા માટે વિનંતી કરે. અને તેમના મંદિરના યાજકોને અને પ્રબોધકોને એવું પુછવા માટે મોકલ્યા હતા કે, “અમે ઘણા વર્ષથી કરતા આવ્યા છીએ તે પ્રમાણે પાંચમાં મહિને મંદિરના થયેલા વિનાશ માટે શોક પાળવો અને ઉપવાસ કરવો?”

ત્યારે સૈન્યોનો દેવ યહોવાનું વચન મારી પાસે આવ્યું; “જ્યારે તમે બેથેલ પાછા ફરશો ત્યારે તમારા સર્વ લોકોને અને તમારા યાજકોને કહો, બંદીવાસનાં સિત્તેર વર્ષ દરમ્યાન તમે ઓગષ્ટ અને ઓકટોબર મહિનામાં ઉપવાસ કરતા હતા. અને શોક પાળતા હતા ત્યારે શું તમે તમારા પાપોનો ત્યાગ કરીને મારી તરફ પાછા ફરવામાં પ્રામાણિક હતા? ના, તમે તેમ કર્યું નહોતું. અને જ્યારે તમે ખાઓ છો અને પીઓ છો ત્યારે તમે તમારે પોતાને માટે જ ખાતાપીતા નથી? જ્યારે યરૂશાલેમ અને તેની આસપાસના નગરો વસેલાં અને શાંતિમાં હતા અને દક્ષિણમાં નીચાણના પ્રદેશ વસ્તીવાળા હતા. ત્યારે પહેલાના પ્રબોધકો મારફતે યહોવાએ આ જ ઘોષણા નહોતી કરી?”

યહોવાની વાણી ઝખાર્યાને આ મુજબ સંભળાઇ:
“સૈન્યોનો દેવ યહોવા કહે છે:
‘સાચો ન્યાય આપો,
    એકબીજા પ્રત્યે દયા
    અને કરૂણા દર્શાવો.
10 તેઓને જણાવો કે વિધવાઓ, અનાથો, વિદેશીઓ
    અને ગરીબ લોકો પર જુલમ કરવાનું બંધ કરે.
અને તમારામાંનો કોઇ મનમાં પણ પોતાના ભાઇનું ખોટૂ ન વિચારે.’”

11 તમારા પિતૃઓએ તેમને સાંભળવાનો ઇન્કાર કર્યો,
    તેઓ હઠીલા થઇને દૂર ગયા
અને મારું વચન ન સાંભળવા માટે
    તેઓએ તેઓની આંગળીઓ પોતાના કાનમાં ખોસી.
12 સૈન્યોનો દેવે પવિત્ર આત્મા દ્વારા અગાઉના
    પ્રબોધકોને પ્રેરણા કરી કે તેઓ દેવનાં વચનો
અને નિયમશાસ્ત્ર લોકોની આગળ પ્રગટ કરે,
    પણ તે લોકોએ પોતાના હૃદય વજ્ર જેવા કઠોર બનાવી દીધાં,
જેથી પહેલાના પ્રબોધકો મારફતે નિયમો અને સંદેશા સાંભળવા ન પડે.
    તેથી એમના પર સૈન્યોનો દેવ યહોવાનો ભયંકર કોપ ઉતર્યો.
13 સૈન્યોનો દેવ યહોવા કહે છે;
“મેં તેઓને જ્યારે બોલાવ્યા,
    ત્યારે તેમણે નહોતું સાંભળ્યું;
તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો
    ત્યારે મેં પણ ન સાંભળ્યું.
14 અને મેં તેમને વંટોળિયાની જેમ
    અજ્ઞાત પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં.
તેમના પાપે તેઓ જે ભૂમિ છોડીને ગયા હતા
    તે ઉજ્જડ થઇ ગઇ, ત્યાં કોઇની અવરજવર ન રહી.
એ રમણીય પ્રદેશ વેરાન થઇ ગયો.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International