Chronological
નબૂખાદનેસ્સાર રાજાનું બીજું સ્વપ્ન
4 રાજા નબૂખાદનેસ્સારે આ આજ્ઞા દુનિયાના દરેક દેશમાં, દરેક જાતિના અને ભાષાના લોકોને મોકલી:
2 સદા સૌ સુખ શાંતિમાં રહો. પરાત્પર દેવે મને જે ચિહ્નો અને આશ્ચર્યકારક કૃત્યોનો અનુભવ કરાવ્યો છે, તેના વિષે તમે બધા જાણો એવી મારી ઇચ્છા છે.
3 તે તો માનવામાં ન આવે તેવું હતું,
તેમના પરાક્રમો અતિ મહાન છે,
તેમનું રાજ્ય શાશ્વતકાળ ટકે એવું છે.
તેમનો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે.
4 હું નબૂખાદનેસ્સાર મારા મહેલમાં સુખ શાંતિમાં રહેતો હતો. અને વૈભવ માણતો હતો. 5 એક રાત્રે હું મારા પલંગમાં સૂતો હતો, એવામાં મને ભયંકર સ્વપ્ન આવ્યું. ત્યારે મારા મગજમાં પસાર થતાં આકારો અને સંદર્શનોએ મને ગભરાવી દીધો. 6 તેથી મેં હુકમ કર્યો કે, બાબિલના બધા હોશિયાર પુરુષોને મારી સમક્ષ હાજર કરવા, જેથી તેઓ મને મારા સ્વપ્નનો અર્થ સમજાવે. 7 તેથી બધા જાદુગરો, મંત્રવિદો ઇલમીઓ અને જ્યોતિષીઓ મારી સમક્ષ આવ્યા અને મેં તેમને મારું સ્વપ્ન કહી સંભળાવ્યું, પણ તેઓ મને તેનો અર્થ જણાવી શક્યા નહિ. 8 આખરે દાનિયેલ મારી આગળ આવ્યો, મારા દેવના નામ પરથી તેનું નામ મેં બેલ્ટશાસ્સાર રાખ્યું હતું. એ માણસોમાં પવિત્ર દેવોનો આત્મા છે. મેં તેને મારા સ્વપ્નની વાત કરી. 9 મેં કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, તું જાદુગરોમાં અગ્રગણ્ય છે, કારણ, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોની શકિતનો વાસ છે, કોઇ પણ રહસ્ય એવું નથી જેને તું ઉકેલી ન શકે. મારા સ્વપ્નનો અર્થ શો છે તે તું મને કહે. 10 હું ઊંઘતો હતો ત્યારે મને સંદર્શન થયું, પૃથ્વીની મધ્યમાં એક વૃક્ષ મેં જોયું, તેની ઊંચાઇ ઘણી વધારે હતી. 11 તે વૃક્ષ વધતું જ ગયું અને મજબૂત બન્યું અને તેની ટોચ આકાશે પહોંચી અને પૃથ્વીને છેડેથી પણ તે નજરે પડતું હતું. 12 તેના પાંદડાં સુંદર હતાં, ફળથી તે લચી પડ્યું હતું, તેને એટલાં ફળ લાગ્યાં હતાં કે, બધાં ધરાઇને ખાઇ શકે, વગડાનાં પશુઓ તેની છાયા નીચે આશ્રય પામતા અને આકાશના પંખીઓ તેની ડાળીઓમાં વાસો કરતા અને બધા જીવો તેના ઉપર વસતા.
13 “હું આ સંદર્શન જોતો હતો, ત્યારે મેં દેવના પવિત્ર દૂતોમાંના એકને સ્વર્ગમાંથી નીચે ઊતરતો જોયો. 14 તેણે મોટે સાદે મને કહ્યું, ‘આ વૃક્ષને કાપી નાખો; તેની ડાળીઓને પણ કાપી નાખો; તેના પાંદડાં ખંખેરી નાખો અને તેના ફળ વિખેરી નાખો. તેની છાયામાંથી પ્રાણીઓને અને તેની ડાળીઓ ઉપરથી પક્ષીઓને નસાડી મૂકો. 15 પણ એના થડ અને તેના મૂળને જમીનમાં રહેવા દો. અને તેના શરીરને લોઢાની સાંકળોથી બાંધી દો, અને તેને તે ખેતરના ઘાસ ઉપર જ રહેવા દો. 16 એનું મન માણસનું મટીને પશુનું થઇ જાઓ અને આમ સાત વર્ષ વીતી જવા દો!’
17 “જાગ્રત ચોકીદાર સમા પવિત્ર દૂતોએ આ સજા કરેલી છે, તેમણે આ ચુકાદો આપેલો છે, જેથી સર્વ જીવો સમજે કે, માનવ-રાજ્યમાં પરાત્પર દેવ સવોર્પરી છે, તે જેને રાજ્ય આપવું હોય તેને આપે છે; અને તેના ઉપર નાનામાં નાના માણસને સ્થાપે છે.
18 “મેં, રાજા નબૂખાદનેસ્સારે, આ સ્વપ્ન જોયું હતું અને હે બેલ્ટશાસ્સાર, હવે તું મને તેનો અર્થ જણાવ, કારણકે બીજું કોઇ જ મને એનો અર્થ સમજાવી શકે એમ નથી. મારા રાજયના ડાહ્યાં માણસો નિષ્ફળ ગયા છે. તારામાં પવિત્ર દેવનો આત્મા વસે છે, તેથી તું સમજાવી શકે એમ છે.”
19 પછી દાનિયેલ ઉફેર્ બેલ્ટશાસ્સાર ક્ષણભર સ્તબ્ધ થઇ ગયો. તેના મનમાં જે વિચારો આવ્યા તેનાથી તે ભયભીત બની ગયો. પણ રાજાએ તેને કહ્યું, “બેલ્ટશાસ્સાર, સ્વપ્નથી કે, તેના અર્થથી તું ગભરાઇશ નહિ.”
બેલ્ટશાસ્સારે કહ્યું, “મારા ધણી, એ સ્વપ્ન અને એનો અર્થ આપના વેરીને લાગુ પડો. 20 પૃથ્વીના છેડાથી જોઇ શકાય તેવું તે વૃક્ષ ઊંચું હતું અને તેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. 21 જેને સુંદર તાજાં લીલાં પાંદડાં હતાં, વળી જે ફળોથી લચી પડ્યું હતું. જેમાંથી બધાનો નિભાવ થતો હતો. જેની છાયામાં વગડાના પશુઓ આશ્રય પામતા હતા અને જેની ડાળીઓમાં પંખીઓનો વાસ હતો. 22 હે રાજા, એ તો આપ પોતે જ છો. આપ મહાન અને બળવાન છો. તમારી મહાનતા વધીને છેક આકાશ સુધી પહોંચી છે. તમારું સામ્રાજ્ય પૃથ્વીના છેડા સુધી પહોંચ્યું છે.
23 “અને આપ નામદારે જાગ્રત ચોકીદાર સમા એક પવિત્ર દૂતને આકાશમાંથી ઊતરતો જોયો હતો જે કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપી નાખો, એનો નાશ કરો, પણ એનાં ઠૂંઠાને લોઢાના ને કાંસાના બંધથી બાંધીને એને જમીનમાં મૂળ સાથે ખેતરના ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશમાંથી પડતી ઝાકળથી ભીંજાવા દો. અને એને પશુઓ સાથે રહેવા દો આમને આમ સાત વર્ષ વીતી જવા દો.’
24 “હે નામદાર, પરાત્પર દેવે કહ્યું છે અને તે આપને માથે આવ્યું છે. 25 એટલે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, અને વગડાના પશુઓ ભેગા આપે રહેવું પડશે, અને આપે બળદની જેમ ઘાસ ખાવું પડશે અને આપે આકાશમાંથી વરસતી ઝાકળથી ભીંજાવું પડશે. સાત વરસ સુધી આપ આ પ્રમાણે જીવશો. આખરે તમે જાણશો કે, પરાત્પર દેવ મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને રાજ્ય જેને સોંપવું હોય તેને સોંપે છે.
26 “વૃક્ષના ઠૂંઠાને અને મૂળને જમીનમાં રહેવા દેવાનું જણાવવામાં આવ્યું હતું. આ દર્શાવે છે કે, સ્વર્ગના દેવ અધિકાર ચલાવે છે. તે તમે કબૂલ કરશો ત્યારે તમને તમારું રાજ્ય પાછું મળશે. 27 માટે આપ મહેરબાની કરીને મારી સલાહ માનો: પુણ્યકાર્યો કરી અને ગરીબો ઉપર દયા કરી, આપે કરેલા પાપોમાંથી મુકત થાઓ અને એમ કરીને આપ સુખ શાંતિભર્યું દીર્ધાયુષ્ય ભોગવો.”
28 આ બધું જ નબૂખાદનેસ્સારના જીવનમાં બન્યું. 29 આ સ્વપ્નને બાર મહિના વીતી ગયા પછી એક દિવસ તે બાબિલના વૈભવી મહેલમાં અગાસીમાં ફરતો હતો. 30 ત્યારે તેણે કહ્યું, “આ મહાનગર બાબિલ તો જુઓ! મારું ગૌરવ તથા મહિમા વધારવા માટે મારી પોતાની શકિત વડે એ પાટનગર બાંધ્યું છે!”
31 હજી તો આ શબ્દો તે બોલતો હતો, ત્યાં તો તેણે આકાશવાણી સાંભળી, “હે નબૂખાદનેસ્સાર રાજા, તારા માટે આ સંદેશો છે: તું હવેથી આ રાજ્યનો રાજા રહ્યો નથી. 32 અને તને માણસોમાંથી હાંકી મૂકવામાં આવશે. અને તારે વગડાના પશુઓ ભેગા રહેવું પડશે અને તારે બળદની જેમ ઘાસ ખાવું પડશે. આમને આમ સાત વર્ષ વીતી જશે. આખરે તને સમજાશે કે, સૌથી ઉંચો દેવ તે છે જે લોકોના રાજ્યો ઉપર શાસન કરે છે અને જેને પસંદ કરે, તેને જે આપવું હોય તે તેને આપે છે.”
33 તે જ સમયે આ ભવિષ્યવાણી પૂરી થઇ. નબૂખાદનેસ્સારને તેના મહેલમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને બળદની જેમ તે ઘાસ ખાવા લાગ્યો. તેનું શરીર ઝાકળથી પલળી ગયું. તેના વાળ ગરૂડના પીછા જેવા લાંબા વધી ગયા અને તેના નખ પક્ષીઓના પંજા જેવા થઇ ગયા.
34 મુદૃત પૂરી થતાં સાત વર્ષને અંતે મેં નબૂખાદનેસ્સારે ઊંચે આકાશ તરફ નજર કરી. એટલે મારી સમજશકિત મારામાં પાછી આવી; અને મેં પરાત્પર દેવની સ્તુતિ કરી. અને તેમનું ભજન કર્યું. જે શાશ્વત છે.
તેનું અધિપત્ય અનંત છે,
તેનું રાજ્ય યુગોના યુગો સુધી ચાલે છે.
35 પૃથ્વી પરના સર્વ માણસો
તેની સામે કોઇ વિસાતમાં નથી.
તેમને જે ઠીક લાગે તેમ કરે છે,
તેજ તે સ્વર્ગમાં તેમજ અહીં
પૃથ્વી પરના નિવાસીઓમાં કરે છે.
તેમના હાથને કોઇ રોકી શકતું નથી.
તેમને કોઇ પ્રશ્ર્ન કરી શકતું નથી કે,
તમે આ શું કર્યું?
36 જ્યારે મારી બુદ્ધિ ઠેકાણે આવી, અને મારું ગૌરવ, મારો પ્રતાપ અને મારો વૈભવ મને પાછા મળ્યાં. મારા સલાહકારો અને અધિકારીઓ મને શોધતા આવ્યા અને મને મારા રાજ્યના વડા તરીકે પુન:સ્થાપિત કરવામાં આવ્યો. અને મારા ગૌરવમાં અગાઉ કરતાં ઘણી વૃદ્ધિ થઇ. 37 હવે હું, નબૂખાદનેસ્સાર, સ્વર્ગાધિપતિની સ્તુતિ કરું છું, પ્રશંશા કરું છું, મહિમા ગાઉં છું અને ગુણગાન કરું છું, કારણ, તેના બધાં કાર્યો સાચાં છે, તેનો વ્યવહાર ન્યાયી છે, અને જેઓ ઘમંડી છે તેઓને તે નીચા પાડે છે.
દાનિયેલ અને બેલ્શાસ્સાર
5 રાજા બેલ્શાસ્સારે પોતાના એક હજાર ઉમરાવોને મોટી ઉજાણી આપી અને એ હજાર ઉમરાવોની સમક્ષ તે છૂટથી દ્રાક્ષારસ પીવા લાગ્યો. 2 દ્રાક્ષારસ પીતાં પીતાં બેલ્શાસ્સારને યાદ આવ્યું કે, ઘણા સમય પહેલાં તેના પિતા નબૂખાદનેસ્સાર યરૂશાલેમના મંદિરમાંથી સોના ચાંદીના પાત્રો લૂંટી લાવ્યા હતા. તેણે એ પાત્રોને ઉજાણીમાં લઇ આવવાની આજ્ઞા કરી, જેથી તે અને તેના ઉમરાવો તથા તેની પત્નીઓ અને ઉપપત્નિઓ તે પાત્રોથી દ્રાક્ષારસ પી શકે. 3 યરૂશાલેમના મંદિરમાંથી લાવવામાં આવેલાં સોનાના પાત્રો હાજર કરવામાં આવ્યાં અને રાજાએ તથા તેના ઉમરાવોએ તે પાત્રોમાં દ્રાક્ષારસ પીધો. 4 દ્રાક્ષારસ પીને તેઓ સોનાચાંદી, કાંસાની અને લોઢાની તથા લાકડામાંથી બનાવેલ મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.
5 તે સમયે અચાનક કોઇ માણસના હાથની આંગળીઓ દીવીની સામે આવેલી રાજમહેલની ભીંત ઉપર કાંઇ લખતી દેખાઇ, અને રાજા હાથને લખતો જોઇ રહ્યો.
6 તે ભયથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનાં ગાત્રો શિથિલ થઇ ગયાં, અને તેના ઢીંચણ એકબીજા સાથે અથડાવા લાગ્યાં. 7 રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, “મંત્રવિદો, અને જાદુગરોને બોલાવી લાવો.” રાજાએ બાબિલના બુદ્ધિમાન પુરુષોને કહ્યું, “જે કોઇ આ લખાણ વાંચી શકશે અને એનો અર્થ મને કહી શકશે, તેને હું જાંબુડિયા રંગનો ઝભ્ભો અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન પામશે.”
8 પછી રાજાના સર્વ બુદ્ધિમાનો ત્યાં હાજર થઇ ગયાં, પણ તેઓમાંનો એક પણ બુદ્ધિમાન પુરુષ તે લખાણ વાંચી શક્યો નહિ. તથા સમજી શક્યો નહિ તેથી રાજાને તેઓ કશું સમજાવી ન શક્યા. 9 તેથી રાજા બેલ્શાસ્સાર ખૂબ ભયભીત થઇ ગયો અને તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તેના અધિકારીઓ પણ બહુ ગભરાઇ ગયા.
10 જ્યારે રાજમાતાએ જે થઇ રહ્યું હતું તે સાંભળ્યું ત્યારે તે તરત જ ઉજાણીના ખંડમાં દોડી આવી; તેણે બેલ્શાસ્સારને કહ્યું, “હે રાજા તમે ઘણું જીવો! તમે ગભરાઇ જશો નહિ. તમારે ફિક્કા પડી જવાની જરૂર નથી. 11 તમારા રાજ્યમાં એક માણસ એવો છે, જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના સમયમાં એ માણસ દિવ્યજ્ઞાન, બુદ્ધિમતા, અને હોશિયારી માટે જાણીતો હતો અને તમારા પિતા નબૂખાદનેસ્સારે એને જાદુગરો, મંત્રવિદોનો અધ્યક્ષ બનાવ્યો હતો. 12 તે માણસનું નામ દાનિયેલ છે પરંતુ રાજાએ તેનું નામ બેલ્ટશાસ્સાર પાડ્યું હતું. તેનું મન દૈવી જ્ઞાન અને સમજશકિતથી ભરેલું છે. તે સ્વપ્નનું અર્થઘટન કરી શકે છે. સમસ્યાઓને ઉકેલી શકે છે. અને કઠીન કોયડાઓને હલ કરી શકે છે. તે આ લખાણનો અર્થ શો છે તે તમને સમજાવશે.”
13 તેથી તાત્કાલીક દાનિયેલને રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા નબૂખાદનેસ્સાર રાજા ઇસ્રાએલમાંથી યહૂદી બંદીવાનોને લાવ્યા હતાં, તેઓમાંનો દાનિયેલ તે તું છે? 14 મેં એમ સાંભળ્યું છે કે, તારામાં પવિત્ર દૈવી આત્મા છે, અને તું દિવ્યજ્ઞાન, બુદ્ધિમતા, અને હોશિયારી ધરાવે છે. 15 દીવાલ પરનું લખાણ વાંચી તેનો અર્થ મને સમજાવવા માટે મારી પાસે બુદ્ધિમાન માણસોને અને મંત્રવિદોને લાવવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ તેનો અર્થ સમજાવી શક્યા ન હતા. 16 પરંતુ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું દરેક પ્રકારના રહસ્યોને ઉકેલે છે, જો તું મને તે શબ્દનો અર્થ કહેશે તો, હું તને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવીશ અને તારા ગળામાં સોનાની સાંકળી પહેરાવીશ અને રાજ્યમાં તને ત્રીજો અધિકારી બનાવીશ.”
17 ત્યારે દાનિયલે રાજાને જવાબ આપ્યો, “આપનું ઇનામ ભલે આપની પાસે જ રહેતું અને આપનાં ઇનામો આપ ભલે બીજા કોઇને આપો. તેમ છતાં હું આપને આ લખાણ વાંચી સંભળાવીશ અને એનો અર્થ આપને કહી બતાવીશ.
18 “હે રાજા, પરાત્પર દેવે તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાને રાજ્યો, સત્તા, મહિમા, માન અને ગૌરવ આપ્યા હતાં. 19 દેવે તેને એવો મોટો બનાવ્યો હતો કે, બધી પ્રજાઓ અને બધી ભાષાઓ બોલનારા લોકો તેનાથી ભય પામી થરથર ધ્રુજતા હતા. તે ઇચ્છે તેને મારી નાખતો, અને ઇચ્છે તેને જીવાડતો હતો, ઇચ્છે તેને ઊંચે ચઢાવતો હતો, અને ઇચ્છે તેને પાડતો હતો.
20 “પણ જ્યારે અભિમાનને લીધે તેમનાં હૃદય અને મન કઠણ થયાં, ત્યારે તેમને રાજ્યાસન પરથી દૂર કરવામાં આવ્યાં અને તેમનો મહિમા લઇ લેવામાં આવ્યો. 21 તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેનું મન પશુ સમાન થઇ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતો હતો, તેને જંગલી ગધેડા ભેગું રહેવું પડ્યું અને ખુલ્લા આકાશ નીચે સૂવાને લીધે ઝાકળથી પલળવું પડ્યું. આખરે તેને સમજાયું કે, પરાત્પર દેવ માનવોના રાજ્યમાં સવોર્પરી છે, અને ઇચ્છે તેને રાજ્ય સોંપે છે.
22 “હે બેલ્શાસ્સાર તમે તેમના જ પુત્ર છો અને તમે આ બધું જાણ્યાં છતાં, આપે નમ્રતા ધારણ કરી નથી. 23 ઊલ્ટું તમે સ્વર્ગાધિપતિ યહોવાની સામે માથું ઊંચક્યું છે. તેમના મંદિરનાઁ આ પાત્રો અહીં લાવીને તમે, તમારા અધિકારીઓને, આપની પત્નીઓ અને ઉપપત્નીઓને તે પાત્રોમાં દ્રાક્ષારસ પીવડાવ્યો છે. વળી તમે સોના, ચાંદી, લોખંડ, લાકડા અને પથ્થરની મૂર્તિઓની પૂજા કરી છે, જે કંઇપણ જોઇ કે, સાંભળી શકતી નથી. જેણે તમારામાં જીવનનો શ્વાસ મૂક્યો છે અને જેના હાથમાં તમારું ભવિષ્ય છે, તે દેવને તમે માન આપ્યું નથી. 24 તેથી તેણે આ હાથને મોકલીને આ લખાણ લખાવ્યું છે. 25 તે લખાણ આ છે:
મેને, મેને, તકેલ, ઉફાસીર્ન.
26 “એનો અર્થ છે:
મેને: એનો અર્થ એ છે કે, દેવે આપના રાજ્યના દિવસો ગણ્યા છે અને તેનો અંત આણ્યો છે.
27 તકેલ: અર્થાત્ વજન કરેલું, જોખેલું, તમને દેવના ત્રાજવામાં તોળવામાં આવ્યા છે, અને તમે ઓછા માલૂમ પડ્યા છો.
28 પેરસ: અર્થાત્ ભાગલા પાડેલું; તમારા સામ્રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. અને મિદિયા અને પશિર્યાના લોકોને વહેંચી આપવામાં આવ્યા છે.”
29 ત્યારપછી બેલ્શાસ્સારની આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબલી ઝભ્ભો પહેરાવવામાં આવ્યો, તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવવામાં આવી અને તેને રાજ્યમાં ત્રીજો અધિકારી જાહેર કરવામાં આવ્યો. 30 તે જ રાત્રે બાબિલના રાજા બેલ્શાસ્સારનો વધ થયો. 31 માદીના દાર્યાવેશે રાજ્યની રાજસત્તા સંભાળી. તેની ઉંમર આશરે બાસઠ વર્ષની હતી.
દાનિયેલ સિંહોની ગુફામાં
6 દાર્યાવેશને આખા રાજ્યમાં 120 સૂબાઓ નીમવાની ઇચ્છા થઇ. 2 એ બધા ઉપર તેણે ત્રણ અધિક્ષકો નીમ્યા, જેમાંનો એક દાનિયેલ હતો; જેથી પેલા અધિક્ષકો તેમને જવાબદાર રહે, ને રાજાને કઇં નુકશાન થાય નહિ. 3 પોતાનામાં રહેલી ઉત્તમ શકિતને કારણે દાનિયેલ બીજા અધિક્ષકો અને સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો અને રાજાએ તેને આખા રાજ્યોનો ઉપરી બનાવવાનો વિચાર કર્યો. 4 આને કારણે એ અધિક્ષકો અને સૂબાઓ દાનિયેલના રાજ્યવહીવટમાં ખોટ શોધવા લાગ્યા, પરંતુ તેમને કોઇ ખોટ કે, દોષ જડ્યા નહિ, કારણ દાનિયેલ પોતાની ફરજ વફાદારીપૂર્વક બજાવતો હતો.
5 “જ્યારે તેઓને ભૂલ કે, ખોડખાંપણ જડી નહિ, ત્યારે તેઓને પ્રતિતી થઇ કે, તેઓ તેની કામગીરી બાબત કોઇ દોષ શોધી નહિ શકે, અને તેથી તેમણે તેના નિયમ બાબતે કોઇ દોષ શોધીને, તેની સામે તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ.”
6 ત્યારબાદ એ અધિક્ષકો અને સૂબાઓએ ભેગા મળીને રાજા પાસે જઇને કહ્યું, “મહારાજ દાર્યાવેશ, અમર રહો! 7 અમે આપના રાજ્યના બધા અધિક્ષકો, સૂબાઓ, સરસૂબાઓ, નાયબસૂબાઓ અને દરબારીઓ ચર્ચા-વિચારણા પછી એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે, આપે એવી આજ્ઞા કરતો વટહુકમ બહાર પાડવો જોઇએ કે, જે કોઇ આવતા ત્રીસ દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇ પણ દેવ કે, માણસની આગળ અરજ કરશે, તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. 8 નામદાર, આપ એવો હુકમ બહાર પાડી તેના ઉપર સહીસિક્કા કરો, જેથી તેમાં ફેરફાર ન થઇ શકે. કારણ મિદિયા અને પશિર્યાના લોકોના કાયદાઓમાં ફેરફાર થઇ શકતો નથી કે, તેને રદ કરી શકાતો નથી.” 9 આથી રાજા દાર્યાવેશે હુકમ ઉપર સહી કરી.
10 હુકમ ઉપર સહી થઇ છે એવી જાણ થતાં દાનિયેલ ઘેર આવ્યો. એના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમની દિશામાં પડતી હતી. તેણે હંમેશની માફક રોજ ત્રણ વાર ઘૂંટણિયે પડીને દેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું.
11 ત્યારે પેલા માણસો એક સાથે દાનિયેલના ઘર તરફ ઘસી ગયા અને ત્યાં તેને પોતાના દેવને પ્રાર્થના કરતાં અને તેમની સહાય માટે યાચના કરતો જોયો. 12 તેથી તેમણે રાજા પાસે જઇને તેને પેલા હુકમની યાદ આપીને કહ્યું, “હે મહારાજ, આપે એવા હુકમ ઉપર સહી નહોતી કરી કે, જે કોઇ 30 દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે?”
રાજાએ જવાબ આપ્યો, “હા, એ તો માદીઓ અને ઇરાનીઓનો કાયદો છે, જે કદી બદલાતો નથી અથવા રતબાતલ થતો નથી.”
13 ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદાના કેદીઓમાંનો એક દાનિયેલ આપની અને આપે સહી કરેલા હુકમની અવજ્ઞા કરે છે. તે રોજ ત્રણ વખત પોતાના દેવને પ્રાર્થના કરે છે.”
14 આ સાંભળ્યું ત્યારે રાજાને આવા કાયદા ઉપર સહી કરવા બદલ ખૂબ દુ:ખ થયું. તેણે દાનિયેલને બચાવવાનો કોઇ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને સૂર્યાસ્ત સુધી એ પ્રયત્ન ચાલુ રાખ્યો. 15 સાંજે ફરીથી લોકો રાજા પાસે આવ્યા અને પૂછયું, “નામદાર, આપે જાણવું જોઇએ કે, મિદિયા અને પશિર્યાના કાયદા મુજબ રાજાએ કરેલો કોઇ હુકમ કે, કોઇ આજ્ઞા બદલી ન શકાય.”
16 છેવટે રાજાએ દાનિયેલની ધરપકડ માટે આદેશ આપ્યો અને તેને સિંહોની ગુફામાં નાખવા લઇ જવામાં આવ્યો. તેણે દાનિયેલને કહ્યું, “જે દેવની તું સતત સેવા ઉપાસના કરે છે તે તને બચાવો.” 17 પછી એક મોટો પથ્થર લાવીને ગુફાના મોઢા ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના દરબારીઓની મુદ્રા વડે સીક્કો માર્યો, જેથી કોઇ દાનિયેલને બચાવી ન શકે. 18 પછી રાજા પોતાના મહેલમાં પાછો ગયો. આખી રાત તેણે કશું ખાધું નહિ; તેમ વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યાં નહિ; અને તેને ઊંઘ ન આવી.
19 બીજા દિવસે વહેલી પરોઢે રાજા ઉતાવળો સિંહોની ગુફા આગળ ગયો. 20 ગુફા આગળ તે પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારીને કહ્યું, “હે દાનિયેલ, હે જીવંત દેવના સેવક! જેની તું સતત સેવા કરે છે, તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો?”
21 એટલે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, તમે અમર રહો. 22 મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઇજા નથી કરી શક્યા. કારણ, દેવની નજરમાં હું નિર્દોષ ઠર્યો છું. અને હે મહારાજ, આપનો પણ મેં કોઇ ગુનો કર્યો નથી.”
23 રાજાને ઘણો આનંદ થયો; તેણે હુકમ કર્યો કે, દાનિયેલને ગુફામાંથી બહાર કાઢવામાં આવે. તેના શરીર ઉપર એક ઊઝરડો પણ જોવા મળ્યો નહિ. કારણકે તેને પોતાના દેવમાં વિશ્વાસ હતો.
24 પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.
25 ત્યારપછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વીના, જુદીજુદી પ્રજાના તથા જુદી જુદી ભાષા બોલનારા લોકોને પત્ર લખ્યો કે,
26 સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું.
કારણકે તે જીવંત દેવ
અને અધિકારી છે.
તેમનું રાજ્ય અવિનાશી છે
અને તેમની સત્તાનો અંત આવતો નથી.
27 તે બચાવે છે અને છોડાવે છે.
આકાશમાં અને પૃથ્વી પર ચમત્કારિક નિશાનીઓ અને ચમત્કારો કરે છે.
તે એક જ છે જેણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.
28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન અને ઇરાની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International