Chronological
કઢાઇ અને માંસ
24 યહોયાકીન રાજાને બંદીવાન થયાને નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે મને યહોવાની આ પ્રમાણે વાણી સંભળાઇ. 2 તેમણે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આજની તારીખ નોંધી રાખ, કારણ, ‘આજે બાબિલના રાજાએ યરૂશાલેમને ઘેરો ઘાલ્યો છે.’ 3 એ બંડખોર ઇસ્રાએલી પ્રજાને તું આ દ્રષ્ટાંત કહી સંભળાવ. તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:
“‘કઢાઇને અગ્નિએ ચઢાવો,
ચૂલે ચઢાવો તેમાં પાણી રેડો,
4 એમાં માંસના કટકા નાખો,
પસંદ કરેલા સારામાં સારા ખભા
અને પગનાં માંસના ટુકડા નાખો.
5 ઉત્તમમાં ઉત્તમ ઘેટું લો,
ઉત્તમમાં ઉત્તમ હાડકાં પણ નાખો,
નીચે લાકડાં ગોઠવો,
ખૂબ ઉકાળો, હાડકાં પણ બફાઇ
જાય ત્યાં સુધી બફાવા દો.’
6 “‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે!
તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે,
જેનો કાટ કદી ઊખડે એમ નથી.
તું દુષ્ટતાથી ભરેલી છે.
તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે.
પણ કોઇ તે ખાવાના નથી.
7 તેણે ખૂબ હિંમતપૂર્વક ખૂન કર્યા છે.
બધાં જોઇ શકે છે કે મારી નંખાયેલનું રકત ખડકો પર એમનું એમ જ છે.
જે બધા જોઇ શકે છે.
જો એ લોહી જમીન પર રેડાયું હોત તો રેતી તેને ઢાંકી દેત;
8 ખડક પર એ રકત ખુલ્લું છે.
જેથી તે મારી આગળ તેની વિરુદ્ધ હાંક મારે છે
જેથી મારો કોપ સળગે અને હું બદલો લઉં.
9 “‘તેથી યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
હે યરૂશાલેમ, ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે!
હું પણ લાકડાનો મોટો ઢગલો કરીશ.
10 પુષ્કળ લાકડા લાવો, આગ પેટાવો!
માંસ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.
મસાલાઓને તેમાં ઉમેરો!
હાડકાં બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો.
11 પછી ખાલી કઢાઇને અંગારા ઉપર મૂકી
તેનો બગાડ અને કચરો બળી જાય ત્યાં સુધી તેને તપાવો.
12 “‘પણ કાટ એટલો બધો છે
કે જવાળાઓથી પણ નહિ જાય.
13 “‘હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ
દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ.
એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ
રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.
14 “‘આ મેં યહોવાએ કહ્યું છે અને તે, એ પ્રમાણે બનશે જ. હું એ પ્રમાણે જ કરીશ. જરા પણ પીછેહઠ કરીશ નહિ. દયા નહિ ખાઉં, ને હું મારો નિર્ણય પણ બદલીશ નહિ. તને તારી વર્તણૂંક માટે અને તારા દુષ્કૃત્યો માટે સજા થશે જ. આ યહોવા મારા માલિકના વચન છે.’”
હઝકિયેલની પત્નીનું અવસાન
15 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 16 “હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી. 17 તારા ડૂસકાં સંભળાવા જોઇએ નહિ, તારા ઉત્તમ સાફા અને ઉત્તમ પગરખા તું પહેરજે, તારા હોઠને તું ઢાકતો નહિ કે તું શોકની રોટલી ખાતો નહિ કે શોકના રીતરિવાજો પાળતો નહિ.”
18 સવારમાં તો હું લોકોને પ્રબોધ કરતો હતો અને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. બીજે દિવસે મને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે મેં કર્યું. 19 મને લોકોએ પૂછયું, “તમે આમ શા માટે કરો છો? આ બધાનો શું અર્થ છે?”
20 ત્યારે મેં તેમને કહ્યું, “મને યહોવાની વાણી સંભળાઇ છે. 21 તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે. 22 ત્યારે તમારે મેં કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ કે શોકના રીતરિવાજો પાળશો નહિ. 23 તમારે માથે ઉત્તમ સાફો અને ઉત્તમ પગરખા પહેરી લો, રડશો નહિ કે પશ્ચાતાપ કરશો નહિ, તમારાં પાપે તમે એકબીજા સામે રોદણાં રડતાં રિબાઇ રિબાઇને મરશો. 24 યહોવા કહે છે, હઝકિયેલ તમારે માટે દ્રષ્ટાંત રૂપ છે. મેં જેમ કહ્યું છે તેમ જ તમારે કરવાનું છે અને આ બનશે ત્યારે તમને ખબર પડશે કે એ યહોવા મારા માલિક છે.’”
25 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, જે દિવસે હું યરૂશાલેમમાંથી તેઓનાં હૃદયનો આનંદ તેઓનો મહિમા અને તેઓની પત્નીઓ અને તેઓના પુત્ર-પુત્રીઓ લઇ લઇશ. 26 જે દિવસે હું આ કરીશ, તે જ દિવસે એ વિનાશમાંથી ઊગરી ગયેલું કોઇ આવીને તને એ સમાચાર આપશે. 27 તે જ દિવસે તને તારી વાચા પાછી મળશે અને તું એની સાથે વાત કરીશ. આમ તું તેમને દ્રષ્ટાંતરૂપ થઇ પડીશ અને તેઓને ખાતરી થશે કે હું યહોવા છું.”
આમ્મોનની વિરુદ્ધ અગમવાણી
25 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, આમ્મોનીઓ તરફ મોં કરી તેમની વિરુદ્ધ મારી ચેતવણી ઉચ્ચાર. 3 તેઓને કહે: ‘યહોવા મારા માલિકના વચનો સાંભળો: જ્યારે મારું મંદિર અશુદ્ધ બનાવાયું હતું ત્યારે તમે મશ્કરી કરી; જ્યારે ઇસ્રાએલ દેશની તારાજી થતી હતી ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદાના લોકોને બંદીવાસમાં લઇ જવાતા હતા ત્યારે તમે આનંદ મનાવ્યો. 4 તેથી હું તમને પૂર્વની પ્રજાઓના હાથમાં સુપ્રત કરુ છું. તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને વસવાટ કરશે. તેઓ તમારા ફળ ખાઇ જશે અને તમારું દુધ પી જશે.
5 “‘હું રાબ્બાહ નગરને ઊંટોને ચરવાની જગ્યા બનાવીશ અને આમ્મોનીઓનો દેશ ઘેટાંબકરાંને ચરવાની જગ્યા થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 6 યહોવા મારા માલિક કહે છે કે: તમારા હૃદયમાં મારા ઇસ્રાએલી લોકો માટે તિરસ્કાર છે, તેથી ઇસ્રાએલની અવદશા જોઇને તમે તાળીઓ પાડીને નાચ્યા અને ખુશ થયા હતા. 7 તેથી હું તમારી સામે મારો હાથ ઉગામીશ અને ઘણી પ્રજાઓના હાથમાં તમને સોંપી દઇશ અને તમારો નાશ કરીશ. હું તમને તમારા દેશમાંથી બહાર કાઢી મૂકીશ. હું દૂરના રાષ્ટ્રોમાં તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.’”
મોઆબ અને સેઇર વિરુદ્ધ ભવિષ્યવાણી
8 આ યહોવા મારા માલિકના વચન છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘યહૂદા તો બીજી પ્રજાઓ જેવું જ છે;’ 9 તેથી હું એની સરહદોનું રક્ષણ કરતાં શહેરોને બેથ-યશીમોથ બઆલ-મેઓન અને કિર્યાથાઇમ સહિત એનાં સુંદરમાં સુંદર શહેરોને હુમલાનો ભોગ બનાવીશ. 10 હું આમ્મોનની સાથે મોઆબને પણ પૂર્વની પ્રજાઓને સોંપી દઇશ, જેથી આમ્મોનના લોકોનું પ્રજા તરીકેનું અસ્તિત્વ જ ભૂંસાઇ જશે. 11 એ રીતે હું મોઆબને સજા કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી
12 સૈન્યોના દેવ યહોવા કહે છે: “યહૂદાના લોકો પર વૈર વાળીને અદોમીઓએ મોટું પાપ કર્યું છે.” 13 તેથી યહોવા મારા માલિક કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેના લોકોનો, જાનવરોનો અને ઢોરઢાંખરાનો હું સંપૂર્ણ નાશ કરીશ. તેમાનથી માંડીને દેદાન સુધીનું સર્વ તરવારથી નાશ પામશે. અને દેશ વેરાન થશે. 14 મારા લોકો ઇસ્રાએલીઓ દ્વારા હું અદોમ પર વૈર વાળીશ અને તેઓ અદોમ સાથે મારા રોષ અને ક્રોધને છાજે એવો વર્તાવ કરશે. એ લોકોને ખબર પડી જશે કે મેં વૈર વાળ્યું છે.” આ યહોવા મારા માલિકના વચન છે.
પલિસ્તીઓ વિરુદ્ધ ભવિષ્યવાણી
15 વળી યહોવા મારા માલિક કહે છે: “પલિસ્તીઓએ ધૃણાપૂર્વક પોતાના દુશ્મનો પર વૈર વાળ્યું છે, અને લાંબા સમયથી તેઓનો તિરસ્કાર કર્યા પછી તેમનો સંહાર કર્યો છે.” 16 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને પલિસ્તીઓનો નાશ કરીશ અને દરિયાકિનારાના બાકીના લોકોને સાફ કરી નાખીશ. 17 હું મારા ઉગ્ર રોષમાંને રોષમાં તેમના પર ભયંકર વૈર વાળીશ અને તેમને ભારે સજા કરીશ. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”
તૂરનો નાશ-દેવવાણી
26 અગિયારમા વર્ષમાં મહિનાના પ્રથમ દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તૂરના લોકોએ આનંદમાં આવીને યરૂશાલેમ વિષે કહ્યું છે કે, ‘આહા! પ્રજાઓના વેપારવાણિજ્યનું ધ્વાર તૂટી ગયું! એના દરવાજા આપણે માટે ખુલ્લા થઇ ગયા! એના વિનાશથી આપણે સમૃદ્ધ થઇશું!’”
3 તેથી યહોવા મારા માલિક કહે છે: “હે તૂર, હું તારી વિરુદ્ધ છું, હું અનેક પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા પર હુમલો કરવા લઇ આવીશ.
4 “તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને કમાનોને તોડી પાડશે. હું તારી બધી રેતીને ભૂંસી નાખીશ અને ફકત ખુલ્લા ખડક રહેવા દઇશ. 5 તેનો ટાપુ વસવાટ કરવા લાયક રહેશે નહિ, પણ ત્યાં માછીઓ પોતાની જાળો પાથરશે.” કારણ કે યહોવા મારા માલિક તે બોલ્યા છે. “પ્રજાઓ તૂરને લૂંટી લેશે. 6 અને મુખ્ય ભૂમિ ઉપરના તારાં પરાંઓ તરવારનો ભોગ બનશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”
નબૂખાદરેસ્સાર તૂર પર આક્રમણ કરશે
7 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “તૂરની વિરુદ્ધ હું બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદરેસ્સારને ઉત્તરમાંથી મોટું સૈન્ય, રથો તથા ઘોડેસવારો સાથે લાવીશ. 8 પહેલાં તે મુખ્ય ભૂમિ પરની વસાહતોમાં રહેતા લોકોનો નાશ કરશે. પછી તે નગરના કોટને ઘેરો ઘાલશે. તારા કોટ સામે મોરચા બાંધશે અને તેની ઢાલો તારી વિરુદ્ધ ઊંચી કરશે. 9 તે તારા કોટ ઉપર યંત્રોથી મારો ચલાવશે અને તારા બુરજો ઓજારોથી તોડી પાડશે. 10 તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે. 11 તેના ઘોડેસવારો નગરની પ્રત્યેક શેરીઓ કબજે કરી લેશે. તે તારા લોકોની હત્યા કરશે અને તારા પ્રખ્યાત અને મોટા સ્તંભો ભોંયભેગા થઇ જશે. 12 તારી સંપત્તિ પડાવી લેવામાં આવશે, તારો માલ લૂંટી લેવામાં આવશે, તારો કોટ ભોંયભેગો થઇ જશે અને તારી વૈભવશાળી હવેલીઓ તોડી પાડવામાં આવશે. તારા પથ્થરો કાટમાળ અને છારું દરિયામાં પધરાવી દેવામાં આવશે. 13 હું તારાં ગીતો થંભાવી દઇશ અને તારી વીણાના સ્વરો ફરી કદી નહિ સંભળાય. 14 હું ફકત તારા ટાપુને વેરાન ખડક બનાવી દઇશ, તેના પર માછીઓ પોતાની જાળો પાથરશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ. કારણ કે હું યહોવા તે બોલ્યો છું.” એમ યહોવા મારા માલિક કહે છે.
અન્ય રાષ્ટ્રો તૂર વિષે રડશે
15 યહોવા મારા માલિક તૂરને કહે છે: “તારા પતનથી, તારા લોકોની હત્યા થવાથી અને ઘવાયેલાઓના આર્તનાદથી સમુદ્ર તટના દેશોના લોકો ભયથી ધ્રુજી ઊઠશે. 16 તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે. 17 તેઓ તારે માટે આ મરશિયા ગાશે:
“‘ઓ વિખ્યાત નગરી!
આ તે તારો કેવો વિનાશ
તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ!
તું અને તારા વતનીઓ
સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં.
અને આખા સાગરકાંઠાના વતનીઓ
તારાથી ડરતા રહેતા હતા.
18 તારા પતન વખતે આજે
કાંઠાપ્રદેશ ધ્રુજી ઊઠયો છે,
અને સમુદ્રના બધાં દ્વીપો
તારા સર્વનાશથી કાંપી ઊઠયા છે.’”
19 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, “જ્યારે હું તૂરને વેરાન અને નિર્જન બનાવી દઇશ અને સમુદ્રના તોફાની પાણી નીચે ડૂબાડી દઇશ. 20 ત્યારે હું તને ભૂતકાળના ઘણાં લોકો જ્યાં છે ત્યાં નરકના ખાડામાં ધકેલી દઇશ, ત્યાં નીચેની ધરતીમાં, પ્રાચીન ખંડિયેરોમાં, નરકના ખાડામાં ગયેલા લોકો સાથે તારે રહેવું પડશે. ફરીથી તને આ જીવલોકમાં આવીને વસવા દેવામાં આવશે નહિ. 21 હું તારો અંત લાવી દઇશ અને તારુ અસ્તિત્વ રહેશે નહિ. લોકો તારી શોધ કરશે, પણ તું કદી મળશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.
તૂર સમુદ્ર પર વ્યાપાર માટેનું મહાન સ્થળ
27 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું તૂર વિષે આ મરશિયો ગા. 3 ‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:
“‘હે તૂર, તું કહેતી હતી કે
હું સુંદર મુગટ છું.
4 હે તૂર, તું કહેતી હતી, મારા સૌદર્યમાં કોઇ ઊણપ નથી.
તારી સરહદ ઠેઠ મધદરિયા સુધી વિસ્તરેલી છે.
તારા બાંધનારાઓએ તારામાં કોઇ ઉણપ રાખી નથી.
5 તારા પાટિયાં તેમણે સનીર પર્વતના
સરૂના લાકડાનાં બનાવ્યા હતાં,
અને તારા સ્તંભો બનાવવા માટે
લબાનોનના એરેજકાષ્ટનો ઉપયોગ કર્યો હતો.
6 તેઓએ તારાં હલેસાં બાશાનના
એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં.
તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી
લાવેલા સરળવૃક્ષના લાકડાનું
અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું.
7 તારા સઢ મિસરના ભરતભરેલા કાપડમાંથી બનાવ્યા હતાં,
જે તારા માટે વાવટાનું કામ કરતા હતા.
તારી છત અલીશાહ ટાપુઓના નીલ
અને જાંબુડિયા કાપડમાંથી બનાવી હતી.
8 તારાં હલેસાં મારનારા સિદોન અને આર્વાદના રહેવાસીઓ હતાં.
તારા પોતાના કુશળ માણસો તારા ખલાસીઓ હતા.
9 ગેબાલથી આવેલા કુશળ કારીગરો
તારું સમારકામ કરતાં હતાં.
દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ
તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
10 “‘તારા સૈન્યમાં પારસ, લૂદ અને પૂટના માણસો સૈનિકો તરીકે સેવાઓ આપતા હતા. તેઓ તારી ભીતો ઉપર ઢાલો અને ટોપો લટકાવતા હતા અને તારી શોભા વધારતા હતા. 11 આર્વાદ અને સિસિલના સૈનિકો તારા કિલ્લાનું રક્ષણ કરતા હતા. ગામ્માદના માણસો તારા બુરજોમાં ફરજ બજાવતા હતા. તેઓની ઢાલો તારી દિવાલોની ઉપર લટકાવેલી હતી, જે તારા ગૌરવમાં વધારો કરતી હતી,
12 “‘તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાશીર્શ વેપાર કરતું હતું. અને તારા બજારમાં તારા માલના બદલામાં ચાંદી, લોખંડ, કલાઇ અને સીસું લવાતું હતું. 13 ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા. 14 બેથતોગાર્માહના લોકો તારા માલના બદલામાં તને ભારવાહક ઘોડા, લડાયક ઘોડા અને ખચ્ચર આપતા હતા. 15 દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. 16 અરામ તેના વેપારીઓ મોકલીને તારી ઉત્પન્ન કરેલી વસ્તુઓ ખરીદતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ કરેલી વસ્તુઓ, બારીક મલમલ, પરવાળાં તથા કિંમતી પત્થરો આપતા હતા.
17 “‘યહૂદા અને ઇસ્રાએલના લોકો તારો માલ ખરીદી બદલામાં તને ઘઉં, જૈતુન, મધ, લાખ, તેલ તથા સુગંધીત દ્રવ્યો આપતા હતા. 18 તારે ત્યાં એટલી બધી વસ્તુઓ બનતી હતી અને તારે ત્યાં એટલો બધો માલ હતો કે દમસ્કના લોકો તારી સાથે વ્યાપાર કરતાં અને બદલામાં તને હેલ્બોનનો દ્રાક્ષારસ અને સહારનું ઊન આપતા હતા. 19 દેદાનના લોકો અને ઉઝાલના યુવાનો તને ઘડતરનું લોઢું અને તેજાના અને શેરડી આપી તારો માલ ખરીદતા. 20 દેદાનના લોકો તારા માલના બદલામાં તને ઘોડાના જીન માટે ધાબળા આપતા. 21 અરબસ્તાનના લોકો અને કેદારના આગેવાનો તારા માલની કિંમત ઘેટાબકરાંમાં ચૂકવતાં. 22 શેબા અને રાઅમાહના વેપારીઓ ઉત્તમ જાતના તેજાના, રત્નો અને સોનું આપીને તારો માલ ખરીદતા. 23 હારાન, કાન્નેહ અને એદેન, શેબાના શહેરો અને આશ્શૂર તથા ખિલ્માદના લોકો સાથે તારો વેપાર ચાલતો હતો. 24 તેઓ તને જાતજાતનો કિંમતી માલ, મોંઘું જાંબુડિયા રંગનું કાપડ અને કિનખાબ, ભભકાભર્યા રંગોના ગાલીચા અને ગૂંથેલા મજબૂત દોરડાં વેચતા હતા.
25 “‘મોટાં મોટાં વહાણોમાં તારો માલ દેશવિદેશ જતો હતો.
તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
26 પરંતુ હવે તારા કુશળ ખલાસીઓ તને ભરસમુદ્રમાં લઇ ગયા છે.
તારું સમર્થ વહાણ પૂર્વના તોફાની પવનોમાં સપડાયું છે અને મધદરિયે તારા ભુક્કેભુક્કા ઉડાવી દીધા.
27 તેં બધું જ ગુમાવ્યું છે,
તારી બધી દોલત,
તારો બધો જ માલ અને સરસામાન,
તારા બધા ખલાસીઓ અને સારંગો,
તારા મરામત કરનારાઓ,
વેપારીઓ અને બીજા બધા જ યોદ્ધાઓ,
બધા જ માણસો-ટૂંકમાં બધું જ ડૂબતાં
તારી સાથે સમુદ્રમાં ડૂબી ગયું.
28 “‘તારા નાવિકોની ચીસોથી દરિયા કિનારો કંપી ઊઠયો.
29 તે સાંભળીને બધા હલેસા મારનારાઓ,
બધા નાવિકો, અને સારંગો પોતપોતાના વહાણ ઉપરથી ઊતરીને કિનારે જઇ ઊભા.
30 તેઓ તારું દુ:ખ જોઇને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે
અને માથા પર ધૂળ નાખી રાખમાં આળોટશે.
31 તેઓ ભારે શોકમાં પોતાનાં માથાં મૂંડાવશે.
તેઓ શણના વસ્ત્રો પહેરશે
અને પોતાના હૃદયમાં ભારે દુ:ખ સાથે તારા માટે વિલાપ કરશે.
32 “‘તેઓ શોકમાં તારા માટે વિલાપગીત ગાશે,
“‘તૂર જેવું કોણ છે?
એ તૂરનગરી અત્યારે સાગરમાં શાંત પોઢી ગઇ છે!
33 જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઠલવાતો ત્યારે
તું દરેક પ્રકારની પ્રજાઓને સંતોષતી હતી.
તારા માલ દ્વારા મેળવાતા પુષ્કળ દ્રવ્યથી રાજાઓના ભંડાર ભરાતાં હતાં.
34 હવે મહાસાગરે તારા ભુક્કા ઉડાવી દીધા છે,
અને તું સમુદ્રને તળિયે ડૂબી ગઇ છે.
તારો બધો માલ અને તારા બધા માણસો
તારી ભેગા સમુદ્રને તળિયે પહોંચી ગયા છે.
35 સમુદ્રકાંઠે રહેનારા સર્વ તારી
દશા જોઇને સ્તબ્ધ થઇ ગયા છે.
તેઓના રાજાઓ ભયભીત થઇ ગયા છે
અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
36 દુનિયાભરના વેપારીઓ ડરીને ચીસો પાડી ઊઠયા છે;
કારણ કે તારો અંત ભયંકર આવ્યો છે.
સદાને માટે હવે તારો નાશ થયો છે.
હવે તો તું ફરિ કદી હયાતીમાં આવશે નહિ!’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International