Chronological
શાસક અને ઉત્સવ
46 આ યહોવા મારા માલિકના વચન છે: “અંદરના ચોકનો પૂર્વનો દરવાજો કામ કરવાના છ દિવસોએ બંધ રહેશે, પરંતુ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શને દિવસે તે ઉઘાડો રાખવો. 2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. 3 દરેક સાબ્બાથ અને ચંદ્રદર્શન દિવસે બધા લોકોએ પણ દરવાજા આગળ નીચા નમીને યહોવાની ઉપાસના કરવી.
4 “સાબ્બાથને દિવસે રાજકુમારે દહનાર્પણ તરીકે યહોવા સમક્ષ ખોડખાંપણ વગરના છ ઘેટા તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો લાવવો. 5 દરેક ઘેટાં સાથે સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક મેંઢા સાથે જે કઇં ચઢાવવું હોય તે લાવવું, ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ લાવવું.
6 “ચંદ્રદર્શન દિવસે તેણે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરના છ ઘેટા અને એક મેંઢો ધરાવવા. 7 પ્રત્યેક વાછરડા અને મેંઢા દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક ઘેંટા દીઠ યથાયોગ્ય અર્પણ ચઢાવવું ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ પણ ચઢાવવું.
8 “સરદાર અંદર આવે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઇને દાખલ થવું અને એ જ રસ્તે બહાર નીકળવું.
9 “પરંતુ ઉત્સવને દિવસે જ્યારે લોકો યહોવાની ઉપાસના કરવા આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી દાખલ થાય તેઓ ભજન પછી દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણને દરવાજેથી દાખલ થાય તેઓ ઉત્તરના દરવાજેથી, તેઓ જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા ન જાય, તેઓએ સામેના દરવાજેથી જવું. 10 રાજકુમારે પણ તેમની સાથે તેમની જેમ જ અંદર આવવું અને તેમની જેમ જ બહાર જવું.
11 “ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં દરેક બળદ કે મેંઢા દીઠ ખાદ્યાર્પણ તરીકે સત્તર કિલો અનાજ અને દરેક ઘેટા દીઠ યથાશકિત અર્પણ ચઢાવવું, એ ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ સાથે ત્રણ લીટર તેલ અર્પણ કરવું.
12 “રાજકુમાર ઐચ્છિકાર્પણ તરીકે કે દહનાર્પણ કે શાંત્યર્પણ ચઢાવવા ઇચ્છતો હોય ત્યારે તેને માટે અંદરના ઓસરીનો પૂર્વનો દરવાજો ખોલવો, તેણે એ બલિદાન અર્પણ કરવું અને તેના બહાર ગયા પછી દરવાજો પાછો બંધ કરી દેવો.
દરરોજની ભેટ
13 “દરરોજ યહોવાને દહનાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષની ઉંમરનો ઘેટો ચઢાવવો, પ્રતિદિન સવારે આ અર્પણ કરવું. 14 એની સાથે દરરોજ સવારે ત્રણ કિલો જેટલો લોટ અને તેને મોહવા માટે એક લિટર જેટલું તેલ ચઢાવવું. આ ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવું એ કાયમનો નિયમ છે. 15 દરરોજ સવારે યહોવાને ખાદ્યાર્પણ તરીકે એક ઘેંટુ અને ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવવાં.”
પોતાના સંતાનને શાસક દ્વારા ભૂમિ આપવાના નિયમ
16 આ યહોવા મારા માલિકના વચન છે, “જો કોઇ રાજકુમાર પોતાના પુત્રને કઇં ઉપહાર આપે, તો તેના પુત્રની માલિકી ગણાય કારણ કે તે મિલકત કુટુંબની વારસાગત મિલકતનો ભાગ હશે. 17 પણ જો રાજકુમાર એવો ઉપહાર પોતાના કોઇ સેવકને આપે તો તેની માલિકી તે સેવક પાસે ઋણમુકિતના વર્ષ સુધી રહે. અને ત્યાર બાદ તે પાછી રાજા પાસે જાય. એ તેના પુત્રોની મિલકત ગણાય અને તેની માલિકી તેઓની ગણાય. 18 રાજકુમારે લોકોની કોઇ મિલકત લઇ લેવી નહિ, તેણે પોતાને મળેલી જમીનમાંથી પોતાના પુત્રોને જમીન આપવી જેથી મારા લોકોમાંથી કોઇને પોતાની મિલકત ખોવાનો વખત આવે નહિ.”
વિશેષ રસોઇ ઘર
19 ત્યાર બાદ તે માણસ મને અંદરના ચોકમાં ઉત્તર તરફ યાજકો માટે જુદી રાખેલી ઓરડીઓ આગળ લઇ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ચિમ બાજુએ એક જગ્યા બતાવીને કહ્યું, 20 “આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.”
21 ત્યાર બાદ તે માણસ મને બહારના ચોકમાં લઇ જઇને તેને ચારે ખૂણે લઇ ગયો. એ દરેક ખૂણામાં એકએક ચોક હતો. 22 એ દરેક ચોક માપમાં સરખા હતાં; 40 હાથ લાંબા અને 30 હાથ પહોળા, 23 એ દરેકની આસપાસ ભીંત હતી અને ભીંતને અડીને રાંધવાના ચૂલાઓ હતા. 24 તે માણસે મને કહ્યું, “આ તો રસોડા છે, જ્યાં મંદિરના સેવકોએ લોકોના બલિદાનો રાંધવાના હતાં.”
મંદિરથી વહેતું પાણી
47 પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું. 2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું.
3 હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં. 4 એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં. 5 બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ. 6 તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.”
7 ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં. 8 તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. 9 જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. 10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે. 11 પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે. 12 એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”
કુળસમૂહો માટે ભૂમિના ભાગલા
13 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલના બાર કુળ સમૂહોને જમીન વહેંચવા માટે આ સૂચનો છે: યૂસફના કુળને તેના પુત્રોની જાતિઓ એફ્રાઇમ અને મનાશ્શા માટે બે ભાગ મળશે. 14 સર્વ કુળોને સરખો ભાગ મળશે, કારણ કે તમારા પિતૃઓને આ દેશ આપવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને તેનો વારસો મળશે. તેની હદ આ પ્રમાણે છે:
15 “ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી હેથ્લોન અને સદાદમાંથી પસુર થઇને, 16 હામાથ અનદ દમસ્ક અને હમાથની સરહદ વચ્ચે આવેલાં શેહરો બેરોથાહ અને સિબ્રાઇમ થઇને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાનીકોન સુધી જાય છે. 17 આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે.
18 “પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.
19 “દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.
20 “પશ્ચિમ સરહદે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે અને હમાથના ઘાટ સામેના બિંદુ સુધી એ જ સરહદની ગરજ સારે છે.
21 “ઇસ્રાએલના કુળો મધ્યે આ સરહદોનો વિસ્તાર તમારે વહેંચી આપવો. 22 તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે. 23 વિદેશીઓ જે જાતિ વંશની ભેગા વસતા હોય તેની સાથે તેમને પણ ભાગ મળવો જોઇએ.” આ મારા માલિક યહોવાના વચન છે.
ઇસ્રાએલના કુળસમૂહો માટે ભૂમિ
48 “હવે કુળોનાં નામ અને તેઓને મળનાર પ્રદેશની વિગતો નીચે પ્રમાણે છે. ઉત્તરની સરહદે દાન કુળ; ભૂમધ્ય સમુદ્રની ઇશાનથી હમાથના કાંઠા સુધી, હસાર-એનાન, અને દક્ષિણે આવેલા દમસ્ક અને ઉત્તરે આવેલા હમાથની વચ્ચે સુધી તે પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ તરફની આ સરહદો છે. 2 આશેરનો વિસ્તાર દાનની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો પણ તેના જેવી જ છે. 3 આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો. 4 પછી મનાશ્શા કુળનો પ્રદેશ નફતાલીની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો તેના જેવી જ છે. 5 મનાશ્શાની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો પ્રદેશ છે. 6 એફ્રાઇમની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રૂબેનનો પ્રદેશ છે. 7 રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે.
ભૂમિનો વિશેષ ભાગ
8 “એ પછીનો પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તે પવિત્ર ભૂમિ છે. એ 25,000 હાથ પહોળી અને વંશજોને આપેલા ભાગ જેટલી જ પૂર્વ પશ્ચિમ લાંબી હશે. એની મધ્યમાં મંદિર આવશે. 9 આમાંથી યહોવાને સમર્પણ કરેલો વિસ્તાર 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો હશે. 10 આ પવિત્ર ભૂમિમાંથી યાજકોને એક ભાગ મળશે. ઉત્તરદક્ષિણ 25,000 હાથ અને પૂર્વપશ્ચિમ 10,000 હાથ, એ ભાગના મધ્યસ્થાને યહોવાનું મંદિર આવશે.
11 “આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માર્ગે ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માર્ગે ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી. 12 આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે.
13 “યાજકોના પ્રદેશની સરહદને અડીને લેવીઓનો પ્રદેશ છે, તે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો છે. 14 આ ખાસ પ્રકારની ભૂમિનો કોઇ પણ ભાગ વેચવામા આવશે નહિ, તેમજ વેપાર કરવામાં અથવા વિદેશીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ. કારણ કે આ શ્રેષ્ઠ ભૂમિ યહોવાની છે અને તે પવિત્ર છે.
શહેર સંપતિ માટે ભાગ
15 “બાકી રહેલો 5,000 હાથ પહોળો અને 25,000 હાથ લાંબો ટુકડો પવિત્ર નથી, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે. એની મધ્યમાં શહેર આવી શકે. 16 શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય. 17 નગરની ઉતરથી પશ્ચિમ તરફ 250 હાથ પહોળી ખુલ્લી જમીન રહેશે; તે ઘાસચારાની જમીન બનશે. 18 પવિત્રભૂમિની પાસેના ભાગમાં શહેર બાંધ્યા પછી બાકી રહેલી જમીન 10,000 હાથ પૂર્વમાં અને 10,000 હાથ પશ્ચિમમાં તે શહેરમાં કામ કરતાં લોકો દ્વારા ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવશે. 19 શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે.
20 “આ સમગ્ર વિસ્તાર, પવિત્ર ભૂમિ અને શહેરને પણ સમાવતો સમગ્ર વિસ્તાર, ચોરસ હશે અને તેની દરેક બાજુ 25,000 હાથની જમીન હશે.
21 “આ મોટા વિસ્તારમાંથી પવિત્ર ભૂમિનો પ્રદેશ અને નગર માટેનો પ્રદેશ છોડીને જે ભૂમિ બાકી રહે તે સરદારનો વિસ્તાર ગણાશે. પૂર્વમાં પવિત્ર ભૂમિની 25,000 હાથ લાંબી સરહદથી પૂર્વ દિશાએ આવેલી સરહદ સુધીનો પ્રદેશ અને એ જ પ્રમાણે પશ્ચિમે 25,000 હાથ લંબાઇની સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ આ બંને પ્રદેશો લંબાઇમાં કુળોના પ્રદેશ પ્રમાણે છે અને સરદારની માલિકીના ગણાશે. આ બંને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. 22 રાજાની માલિકીના આ પ્રદેશોની મધ્યમાં ત્યાં લેવીઓનો વિસ્તાર અને નગરનો વિસ્તાર આવશે. રાજકુમારની માલિકીનો આ વિસ્તાર યહૂદા અને બિન્યામીનના પ્રદેશની વચ્ચે હશે.
23 “બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: ઇસ્રાએલ દેશની પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો એક ભાગ બિન્યામીનનો. 24 બિન્યામીનના વિસ્તારની દક્ષિણે આવેલો એક ભાગ શિમયોનનો. બંનેની પૂર્વથી પશ્ચિમની સરહદ એક જ હશે. 25 તેની પાસે ઇસ્સાખારનો વિસ્તાર, પૂર્વથી પશ્ચિમ સુધી શિમયોનની સરહદની દક્ષિણે હશે. 26 ઝબુલોનનો જે પ્રદેશ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી ઇસ્સાખારની સરહદની દક્ષિણે હશે. 27 ગાદનો પ્રદેશ પૂર્વથી પશ્ચિમ સુધી ઝબુલોનની દક્ષિણે હશે.
28 “ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે.” 29 યહોવા મારા માલિકે કહ્યું, “આ રીતે તમારે ઇસ્રાએલના વંશજોને જમીન વહેંચવી જોઇએ અને આ એમના હિસ્સા ગણાશે.
શહેરના દરવાજાઓ
30 “નગરના દરવાજા આ પ્રમાણે છે:
“ઉત્તરની સરહદ 4,500 હાથ લાંબી છે. 31 નગરના દરવાજાના નામ ઇસ્રાએલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવા; ઉત્તરે ત્રણ દરવાજા એક રૂબેનનો દરવાજો, એક યહૂદાનો દરવાજો, અને એક લેવીનો દરવાજો;
32 “પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો.
33 “દક્ષિણ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલોનનો દરવાજો.
34 “પશ્ચિમ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો.
35 “ચારે તરફ દિવાલની લંબાઇ 18,000 હાથ છે, અને તે સમયથી શહેરને ‘યહોવા શામ્માહ’ નામ પડશે જેનો અર્થ છે, ‘યહોવા ત્યાં છે.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International