Old/New Testament
દેવની દ્રાક્ષવાટિકા
5 હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું.
ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની
એક દ્રાક્ષની વાડી હતી.
2 તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા.
અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા,
તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી
અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં
મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી.
પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.
3 દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે?
તમે ન્યાય કરો!
4 આથી વિશેષ હું શું કરી શક્યો હોત?
મારી દ્રાક્ષવાટિકાએ
મને મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ
શા માટે આપી?
5 “માટે હવે સાંભળો,
મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું:
હું એના વાડાઓ કાઢી
અને તેનો નાશ થવા દઇશ,
હું એના વાડાઓ તોડી નાખીશ,
તેને પગ નીચે કચડાવી દઇશ.
6 અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ,
કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ,
એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે.
હું વાદળોને આજ્ઞા કરીશ
કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”
7 ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે.
તેણે ન્યાયની આશા રાખી હતી.
પણ બદલો મળ્યો અન્યાય નો!
તેમણે આશા રાખી હતી સદાચારની પણ,
જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!
8 તમે માલમિલકતમાં ખેતરો અને મકાનો ખરીદીને ભેગાં કર્યા જાઓ છો, એટલી હદ સુધી કે દેશમાં તમે એકલા જ રહી જાઓ છો ને બીજા કોઇ માટે જગા જ રહેતી નથી તેમને અફસોસ. 9 પરંતુ સૈન્યોનો દેવ યહોવાએ વચન આપ્યું છે કે, “તમે અણધારી આપત્તિઓ વેઠશો. મારા પોતાના કાનોથી મેં તેમને આમ બોલતા સાંભળ્યાં છે. ધણાં સુંદર ઘરો ઉજ્જડ પડ્યાં રહેશે, કારણ કે તેના માલિકો કાંતો માર્યા જશે અથવા ઘર છોડીને જતાં રહેશે. 10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસ[a] ઊપજશે એક ઓમેર[b] બી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.”
11 જેઓ સવારમાં વહેલા ઊઠીને દ્રાક્ષારસ જ પીયા કરો છો. અને છાકટા થાઓ ત્યાં સુધી સાંજે મોડે સુધી જાગનારાઓ, હવે તમારું આવી બન્યું છે એમ સમજો. 12 તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.
13 પરિણામે મારા લોકો અજ્ઞાનતાને કારણે દેશનિકાલ થયા છે, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સામાન્ય લોકો તરસથી મરશે. 14 એથી શેઓલે અત્યંત ક્ષુધાથી પોતાનું મોં પહોળું કર્યુ છે, તેમાં કુલીન લોકો અને સામાન્ય લોકોનાં ખુશીથી કોલાહલ કરતાં ટોળાં હોમાઇ જશે.
15 સૌને નીચા પાડવામાં આવશે, સૌનું ગુમાન ઉતારવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે. 16 પરંતુ સૈન્યોના દેવ યહોવા નિષ્ઠાપૂર્વક ન્યાય કરશે અને આમ કરીને પોતાની મહાનતા પ્રગટ કરશે. પરમ પવિત્ર દેવ ન્યાયી આચરણ કરીને બતાવશે કે તે પવિત્ર છે. 17 હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોના પાયમાલ થયેલાં સ્થાનોને પારકાઓ ખાઇ જશે.
18 જેઓ અન્યાયને અને પાપના બંધનને વળગી રહે છે, અને તેને છોડી શકતા નથી, તેઓને અફસોસ! 19 તમે કહો છો કે, “દેવે ઉતાવળ કરવી જોઇએ. તેને તેનું કામ ઝડપથી સ્થપાવા દો, જેથી અમે જોઇ શકીએ છીએ! ભલે ઇસ્રાએલના પવિત્ર દેવ જે કરવા માગે છે તે ઝડપથી કરશે, અમે તે જાણીશું!”
20 જે લોકો પાપને પુણ્ય અને પુણ્યને પાપ કહે છે. અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં ફેરવી નાખે છે, કડવાનું મીઠું અને મીઠાનું કડવું કરી નાખે છે તેઓને અફસોસ! 21 જે લોકો પોતાની ષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને પણ અફસોસ! 22 તે લોકો દ્રાક્ષારસ પીવામાં શૂરા છે અને મધોનું મિશ્રણ કરવામાં બહાદુર છે. તેઓને અફસોસ! 23 તે લોકો લાંચ લઇને ગુનેગારને નિર્દોષ ઠરાવે છે અને નિર્દોષને ગુનેગાર ઠરાવે છે. 24 તેથી હવે જેમ વરાળ અને સૂકું ઘાસ અગ્નિમાં બળીને ભસ્મિભૂત થઇ જાય છે, તેમ તમારાં મૂળ સડી જશે અને તમારાં ફૂલ ચીમળાઇને ખરી પડશે.
કારણ તમે સૈન્યોનો દેવ યહોવાના ઇસ્રાએલના પરમ પવિત્ર દેવના વચનોનો અનાદર કર્યો છે. 25 માટે યહોવા પોતાના લોકો ઉપર ખૂબ ગુસ્સે થયા છે; અને તેઓને કચડી નાખવા માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો છે. ટેકરીઓ ધ્રૂજશે, અને તેના લોકોના મડદાં શેરીઓમાં કચરાની જેમ ફેંકી દેવામાં આવશે. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થયો નથી; હજી તેમના લોકો પર તેમનો હાથ ઉગામેલો જ છે.
ઇસાએલને સજા કરવા માટે દેવ સૈન્ય લાવશે
26 આથી યહોવા દૂરથી લોકોને નિશાની કરે છે, પૃથ્વીને છેડેથી તેમને સૌને બોલાવવા માટે તે સીટી વગાડે છે અને જુઓ, તેઓ વેગથી સત્વરે આવી રહ્યા છે!
27 કોઇને થાક લાગતો નથી, કે કોઇ ઠોકર ખાતો નથી. નથી કોઇ ઝોકાં ખાતો કે નથી કોઇ ઊંઘતો. કોઇ કમરબંધ ઢીલો કરતો નથી કે કોઇ પગરખાંની દોરી છોડતો નથી. 28 તેમનાં બાણ ધારદાર કરેલા છે, અને ધનુષ્યો નમાવીને ખેચેલા છે. તેમના ઘોડાની ખરીઓ વજ્ર જેવી છે, અને તેમના રથના ચક્રો વંટોળિયા જેવા છે.
29 તેમની ગર્જના સિંહની ગર્જના જેવી છે! તેઓ સિંહની જેમ ઘૂરકાટ કરીને તેમનો ભક્ષ્ય પકડે છે. અને તેને ખૂબ દૂર લઇ જાય છે, અને તેને બચાવવા ત્યાં કોઇ નથી. 30 તેઓ તે દિવસે તેમના શિકાર બનેલા ઇસ્રાએલીઓ સામે સાગરના ઘૂઘવાટ જેવી ગર્જના કરશે. અને જો કોઇ ધરતી ઉપર ધારીને જોશે તો તેને અંધકાર અને આફત દેખાશે, પ્રકાશ વાદળાંથી ઘેરાતો દેખાશે.
યશાયાને સેવાની સોંપણી
6 રાજા ઉઝિઝયા જ્યારે મૃત્યુ પામ્યા તે વર્ષે મેં મારા માલિકને ઊંચા અને ઉન્નત આસન પર બેઠેલા જોયા. તેમના ઝભ્ભાની કિનારોથી મંદિર ભરાઇ ગયું હતું. 2 સરાફ દેવદૂતો તેમની પાસે ધુમરાતાં હતા તેમને દરેકને છ પાંખો હતી. બે પાંખો વડે તેઓ તેમના ચહેરા ઢાંકતા હતાં, બીજી બે પાંખો વડે તેમણે તેમના પગ ઢાંક્યાં હતાં અને બાકીની બે પાંખોનો તેઓ ઉડવા માટે ઉપયોગ કરતાં હતાં. 3 તેઓ સામસામે એકબીજાને પોકારીને કહેતા, “સૈન્યોનો દેવ યહોવા પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે! આખી પૃથ્વીમાં તેમનું ગૌરવ વ્યાપી ગયું છે!” 4 તેમના પોકારોથી બારસાખ પાયા સુધી હચમચી ઊઠી અને મંદિર ધુમાડાથી ભરાઇ ગયું.
5 ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”
6 પછી એક સરાફ દેવદૂત, વેદીમાંથી બળતો અંગારો લઇને સાણસીમાં પકડીને, મારી પાસે ઊડતો ઊડતો આવ્યો. 7 અને મારા મોંને અંગારો અડાડીને બોલ્યો; “જો, આ તારા હોઠને અડ્યો છે; તારો દોષ દૂર કરાયો છે, અને તારા પાપો દૂર કરવામાં આવ્યા છે.”
8 પછી મેં યહોવાને એવું બોલતા સાંભળ્યાં કે, “હું કોને મોકલું? કોણ મારા સંદેશા લઇ જશે?”
એટલે મેં કહ્યું, “આ હું હાજર છું, મને મોકલો.”
9 ત્યારે યહોવાએ કહ્યું, “જા, ને આ લોકોને કહે કે, ‘સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.’ 10 એ લોકોની બુદ્ધિ મંદ થઇ ગઇ છે, એમના કાન બહેરા થઇ ગયા છે, અને આંખ આંધળી થઇ ગઇ છે. આથી તેઓ આંખે જોઇ શકતા નથી કે કાને સાંભળી શકતા નથી. તેમજ બુદ્ધિથી સમજી શકતા નથી, એટલે તેઓ મારી પાસે પાછા ફરતા નથી અને સાજા થતા નથી.”
11 પછી મેં પૂછયું, “તે ક્યાં સુધી આમ ચાલ્યા કરશે, હે માલિક?”
તેણે કહ્યું, “શહેરો ખંડેર અને વેરાન બની જાય અને ઘરો માનવ વસ્તી વગરનાં બની જાય. અને ધરતી વેરાન અને ઉજ્જડ બની જાય ત્યાં સુધી.”
12 હું એ લોકોને દૂર દૂર મોકલી દઉં અને આખો દેશ વિશાળ વેરાનવગડો બની જાય ત્યાં સુધી. 13 તે છતાં જો તેનો દશમો ભાગ પણ બચી જાય, તો તેને ફરીથી બાળી નાખવામાં આવશે. જ્યારે મોટું ઝાડ કાપી નાખવામાં આવે છે ત્યારે ઠૂંઠા બાકી બચે છે. ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે ઠૂંઠા જેવા હશે.
1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઈચ્છાથી હું પ્રેરિત થયો છું. એફેસસમાં રહેલા, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવતા, સર્વ દેવના સંતો પ્રતિ.
2 આપણા દેવ બાપ અને પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ.
ખ્રિસ્તમાં આત્મિક આશીર્વાદ
3 આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. 4 વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. 5 અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. 6 તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
7 ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. 8 દેવે તે કૃપા આપણને ઊદારતાથી અને મુક્તપને આપી. તેની રહસ્યપૂર્ણ યોજનાની માહિતી દેવે આપણને પૂરી સમજ અને જ્ઞાનથી આપી. 9 આપણે તેના ગૂઢ રહસ્યોને જાણીએ. આ બધી જ દેવની ઈચ્છા હતી. અને ખ્રિસ્ત થકી આમ કરવાનું તેનું આયોજન હતું. 10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય.
11 ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે. 12 જેઓને ખ્રિસ્તમાં આશા હતી તેવા આપણે સૌથી પહેલા લોકો હતા. અને આપણે દેવના મહિમાની સ્તુતિ કરીએ તે માટે આપણે પસંદ કરાયા હતા. 13 તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું. 14 દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે.
પાઉલની પ્રાર્થના
15-16 આ કારણે જ મારી પ્રાર્થનામાં હમેશા હું તમને યાદ કરું છું. તમારા માટે દેવનો આભાર માનું છું. જ્યારથી મેં પ્રભુ ઈસુમાં તમારો વિશ્વાસ અને દેવના લોકો પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે ત્યારથી મેં હમેશા આમ કર્યુ છે. 17 મેં હમેશા આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તના દેવ-મહિમાવાન પિતાને પ્રાર્થના કરી છે. મેં પ્રાર્થના કરી છે કે તેઓ તમને એવી આત્મિય સમજ આપશે જે તમને દેવનો સાચો પરિચય કરાવે-એ પરિચય કે જેનું દર્શન તેણે કરાવ્યું છે.
18 હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે. 19 અને તમે જાણશો કે વિશ્વાસી લોકો માટે દેવની શક્તિ મહાન છે. આ શક્તિ એ મહાન સાર્મથ્ય છે. 20 જેનો ઉપયોગ દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવા માટે કર્યો હતો. દેવે ખ્રિસ્તને સ્વર્ગમાં પોતાની જમણી બાજુ સ્થાન આપ્યું છે. 21 બધા જ રાજ્યસત્તા, અધિકારીઓ, પરાક્રમ, અને રાજાઓ કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપ્યું છે. આ વિશ્વ કે આના પછીના વિશ્વમાં કોઈનાં પણ સાર્મથ્ય કરતા ખ્રિસ્તનું સાર્મથ્ય વધુ મહિમા ઘરાવે છે. 22 દેવે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના સાર્મથ્ય નીચે મૂકી, અને દેવે સર્વ પર તેને મંડળીના શિર તરીકે (અધિપતિ) નિર્માણ કર્યો. 23 મંડળી ખ્રિસ્તનું શરીર છે. ખ્રિસ્ત થકી મંડળી ભરપૂર છે. તે સઘળાંને સર્વ પ્રકારે પરિપૂર્ણ કરે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International