Old/New Testament
સુલેમાનના નીતિવચનો
10 જ્ઞાની પુત્ર પોતાના પિતાને હર્ષ ઉપજાવી સુખી કરે છે.
અને મૂર્ખ પુત્ર પોતાની માતાને ભારરુપ છે.
2 કુમાર્ગે પ્રાપ્ત કરેલી સંપત્તિથી કશો લાભ નથી. પરંતુ સદાચારી જીવન વ્યકિતને મોતથી ઉગારે છે.
3 યહોવા સદાચારી માણસને ભૂખ્યો રાખતા નથી, પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નકારે છે.
4 આળસુ હાથ ગરીબી લાવે છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
5 લણણી વખતે ડાહ્યો પુત્ર સંગ્રહ કરે છે પણ નિર્લજ્જ પુત્ર કાપણીના સમયે સૂઇ રહે છે.
6 સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે; પણ દુરાચારીનું મોઢું હિંસાને છુપાવે છે.
7 સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.
8 જ્ઞાની હૃદયવાળો આજ્ઞાને અનુસરશે: પણ લવારી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
9 જે વ્યકિત પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ કુટિલ રસ્તે ચાલનાર ઉઘાડો પડે છે.
10 જે વ્યકિત આંખ મિંચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે. અનેપરંતુ લવારી કરનાર નાશ પામશે.
11 સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.
12 ધિક્કાર ઝગડા ઊભા કરે છે પણ પ્રીતિ બધા ગુનાઓને ઢાંકે છે.
13 જ્ઞાની માણસની જીભને ટેરવે શાણપણ રહે છે.જ્યારે મૂર્ખને પીઠે ડફણાં પડે છે.
14 જ્ઞાની લોકો વિદ્યાનો સંગ્રહ કરે છે; પરંતુ મૂર્ખનું મોઢું ઝડપી નાશ નોતરે છે.
15 ધનવાનની સંપતિ કિલ્લેબંધ નગર છે, પરંતુ દરિદ્રતા દરિદ્રોનો નાશ કરે છે.
16 સદાચારી માણસની કમાણીં જીવન છે, પણ દુષ્ટમાણસે તેનાપાપો માટે ચૂકવ્યું છે.
17 જે શિખામણને સ્વીકારે છે, તે જીવનના રસ્તે છે,[a] પણ જેઓ ઠપકાને ગણકારતા નથી તેઓ ભૂલો કરે છે.
18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠા બોલો છે, પણ કૂથલી કરનાર મૂર્ખ છે.
19 બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ. જીભ પર લગામ રાખનાર તે ડાહ્યો છે.
20 સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે, પરંતુ દુષ્ટનું હૃદય મૂલ્યહીન છે.
21 ન્યાયી માણસની વાણી ઘણાને પોષે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.
22 યહોવાના આશીર્વાદ ધનવાન બનાવે છે, અને યહોવા તેમાં મુશ્કેલીઓ ઉમેરતો નથી.
23 દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે પરંતુ શાણપણ પ્રાપ્ત કરવું એ સમજુને મન આનંદ છે.
24 દુરાચારી જેનાથી ડરે છે તે જ તેને માથે આવી પડે છે, જ્યારે સદાચારી જે ઇચ્છે છે તે જ તેને મળે છે.
25 વાવાઝોડું પસાર થતાં દુરાચારીનું નામ નિશાન રહેતું નથી. પણ સદાચારી માણસ હંમેશાં અડીખમ ઉભો રહે છે.
26 જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો તેમ આળસુ નોકર, જે માણસ તેને કામે મોકલે છે તેના માટે આફત રૂપ છે.
27 યહોવાથી ડરીને ચાલનારનું આયુષ્ય વધે છે, પણ દુષ્ટ વ્યકિતનુ આયુષ્ય ઘટે છે.
28 ન્યાયીની આશાનું પરિણામ આનંદ છે; પણ દુષ્ટ વ્યકિતની આશાઓ ભાંગીને ભૂક્કો થઇ જશે.
29 જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેમના માટે યહોવાનો માર્ગ કિલ્લારૂપ છે; પરંતુ અનિષ્ટ આચરનારા માટે વિનાશરૂપ છે.
30 ન્યાયીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો ક્યાંય ઠરીઠામ થઇ કાયમ રહેશે નહિ.
31 ન્યાયીઓના મુખે ડહાપણ ઝરે છે, પરંતુ છેતરામણા શબ્દો નાશ પામે છે.
32 સંતોષકારક અને ઉચિત શું છે તે ન્યાયીની વાણી જાણે છે. પરંતુ દુષ્ટોની વાણી છેતરામણી હોય છે.
11 ખોટાં ત્રાજવાનો યહોવાને ગુસ્સો છે. પણ સાચાં કાટલાં જોઇ તેને આનંદ થાય છે.
2 અહંકાર આવે એટલે અપમાન આવ્યું જ જાણવું; પણ નમ્રતા જ્યાં હોય ત્યાં જ્ઞાન હોય છે.
3 પ્રામાણિક માણસની વિશ્વસનીયતા તેને દોરે છે, પણ ધોખેબાજની વક્રતા તેના દુષ્ટ ઇરાદાને છુપાવે છે.
4 જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.
5 પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.
6 માણસો પોતાની ભલાઈથી બચી જશે. પરંતુ કપટ કરનારા તેમની પોતાની ઇચ્છાઓની જ જાળમાં ફસાય છે.
7 દુષ્ટ માણસનું મોત આવતાં તેની અભિલાષાનો અંત આવે છે, તેણે પોતાની સંપત્તિમાં રાખેલી આશાનો પણ અંત આવે છે.
8 સદાચારી લોકો સંકટમાંથી ઊગરી જાય છે અને તેને બદલે દુષ્ટો તેમાં ફસાય છે.
9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.
10 ન્યાયી વ્યકિત સફળ થાય છે ત્યારે આખું નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે.
11 સદાચારીના આશીર્વાદથી નગરની ઉન્નતિ થાય છે, પણ દુરાચારીની વાણીથી તેનો નાશ થાય છે.
12 જે વ્યકિત પોતાના પડોશી માટે ખરાબ બોલે છે તેનામાં અક્કલ હોતી નથી. પણ સમજુ માણસ મૂંગો રહે છે.
13 કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે.
14 જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં પ્રજા નાશ પામે છે. અનેક સલાહકારોમાં સુરક્ષા રહેલી છે.
15 અજાણ્યાના જામીન થનારને વેઠવું પડે છે; જે બાયંધરી લેવાનું ટાળે છે તે સુરક્ષિત છે.
16 સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે.
17 દયાળુ માણસ પોતાની જાતનું ભલું કરે છે, પણ ક્રૂર માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે.
18 દુષ્ટ કર્મો કરનાર પોતાનો જૂઠાણાનો પગાર મેળવે છે પણ જે નીતિમત્તાનું બીજ વાવે છે તે સાચો હોવા બદલ વળતર મેળવે છે.
19 જે નીતિમત્તાને “હા” પાડે છે તે જીવશે; પણ જે ખરાબ વસ્તુઓનો પીછો કરે છે તે પોતાનું જ મોત આમંત્રે છે.
20 યહોવા માટે કપટી લોકો ઘૃણાસ્પદ છે; પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેને આનંદરુપ છે.
21 ખાતરી રાખજો દુષ્ટને સજા થયા વગર નહિ રહે, પણ સદાચારીઓનાં સંતાનો સજામાથી છટકી જશે.
22 અક્કલ વગરની સુંદર સ્ત્રીની સુંદરતા ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે.
23 ભલા માણસોની ઇચ્છાઓ સારી વસ્તુઓમાં પરિણમે છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ ફકત ગુસ્સામાંજ વિરમે છે.
24 કોઇ છૂટે હાથે આપે તોય વધે છે, કોઇ વધુ પડતી કરકસર કરે તોયે કંગાળ થાય છે.
25 જે બીજાને આશીર્વાદ આપે છે તે સમૃદ્ધ થાય છે.
26 અનાજ સંઘરી રાખનારને લોકો શાપ દે છે, પણ વેચનાર ઉપર આશીર્વાદ વરસાવે છે.
27 જેઓ ભલું શોધે છે તેઓ ઇશ્વરની કૃપા મેળવે છે. ખોટું શોધે છે તેનું ખોટું થાય છે.
28 જેઓ પોતાની સંપત્તિ ઉપર વિશ્વાસ કરે છે તેઓ વિનાશને આરે જઇને પડે છે, પણ સદાચારી તંદુરસ્ત છોડની જેમ ફૂલેફાલે છે.
29 જે પોતાના જ કુટુંબને દુ:ખી કરે છે, તે કંઇ નહિ મેળવે. અને મૂર્ખ માણસ જ્ઞાનીનો દાસ બનશે.
30 ન્યાયી માણસ જે કરે તે જીવનનાં ઝાડ સમાન છે. પણ શાણો માણસ બીજા આત્માઓને બચાવે છે.
31 નીતિમાંન લોકોને ભલાઇનો બદલો મળતો હોય તો દુષ્ટો અને પાપીને તો બદલો મળે જ મળે.
12 જે વ્યકિતને જ્ઞાન વહાલું છે તેને શિખામણ પણ વહાલી છે, પણ જે વ્યકિત સુધારણાને ધિક્કારે છે તે ઢોર જેવો છે.
2 ભલા માણસો યહોવાની કૃપા મેળવે છે, પણ જેઓ દુષ્ટ યોજનાઓ ઘડે છે તેઓ સજા પામે છે.
3 દુષ્ટતા દ્વારા વ્યકિત સુરક્ષિત ઉભી ન રહીં શકે, ન્યાયનાં મૂળ કદી નહિ ઉખડે.
4 સદ્ગુણી સ્ત્રી પતિને મુગુટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
5 ભલાના વિચાર ભલા હોય છે, ખોટાના મનસૂબા કપટભર્યા હોય છે.
6 દુરાચારી લોકોની વાણી લોહિયાળ હોય છે, પણ પ્રામાણિક લોકોનું મોઢું તેમને બચાવે છે.
7 દુષ્ટો એકવાર નાશ પામ્યા એટલે કંઇ બચતું નથી, પણ સદાચારીનું ઘર કાયમ રહે છે.
8 લોકો વ્યકિતની તેની વિવેક બુદ્ધિ પ્રમાણે પ્રસંશા કરે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તિરસ્કૃત થશે.
9 અન્ન વગરના સમ્માન કરતાં મામૂલી વ્યકિત થઇને નોકર થવું એ વધારે સારૂં છે.
10 ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે પણ દુષ્ટ માણસ ક્રૂર હોય છે.
11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતોની પાછળ દોડનાર અક્કલ વગરનો છે.
12 દુષ્ટ લોકો અનિષ્ટ યોજનાઓની ઇચ્છા રાખે છે પણ સદાચારીના મૂળ તો ફળદ્રુપ છે.
13 દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.
14 માણસ પોતે બોલેલા શબ્દોને કારણે સારાપણાથી ભરાઇ જાય છે, તેને તેના કામનો બદલો મળે છે.
15 મૂર્ખ સમજે છે કે હું સાચો છું, પણ જે વ્યકિત સલાહ સાંભળે છે તે ડાહી છે.
16 મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે.
17 એક ભરોસાપાત્ર સાક્ષી સત્ય કહે છે, પણ જૂઠો સાક્ષી છેતરે છે.
18 વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.
19 જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે.
20 જેઓ ભૂંડી યોજનાઓ કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.
21 સજ્જન પર કદી આફત આવતી નથી, પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે.
22 યહોવા અસત્યને ધિક્કારે છે, પણ સાચા માણસ પર પ્રસન્ન રહે છે.
23 ડાહ્યો પુરુષ જ્ઞાનને છુપાવે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ છાપરે ચડીને જણાવે છે.
24 ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે; પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે.
25 ચિંતાઓ વ્યકિતને ગમગીન બનાવે છે, પણ પ્રોત્સાહક શબ્દો તેને ખુશ કરે છે.
26 ભલો સાચો માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, દુર્જન તેને આડે માર્ગે દોરે છે.
27 આળસુ વ્યકિત પોતે કરેલો શિકાર રાંધતો નથી. પણ ઉદ્યમી માણસ મહામૂલી સંપત્તિ માણે છે.
28 ન્યાયીપણાનો રસ્તો માં જીવન છે. એને માર્ગે મોત તો છે જ નહિ.
માટીની બરણીઓમાં આધ્યાત્મિક ખજાનો
4 દેવે આપણને તેની દયાથી અમને આ કામ સોંપ્યું છે. તેથી અમે તેને છોડી દેતા નથી. 2 પરંતુ અમે રહસ્યમય અને લજજાસ્પદ રીતોથી વિમુખ થયા છીએ. અમે કાવતરાંનો ઉપયોગ કરતા નથી, અને દેવના ઉપદેશમાં કશો ફેરફાર કરતા નથી. ના! અમે ફક્ત સત્યનો જ સ્પષ્ટતાથી ઉપદેશ કરીએ છીએ. અને આ રીતે અમે કોણ છીએ તે લોકોને દર્શાવીએ છીએ અને આ રીતે તેઓના હૃદયમાં તેઓ જાણે કે દેવ સમક્ષ અમે કેવા લોકો છીએ. 3 સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે. 4 આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે. 5 અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ. 6 દેવે એકવાર કહ્યું હતું, “અંધકારમાં જ્યોતિ પ્રગટશે!” અને આ એ જ દેવ છે જેનો પ્રકાશ આપણા હૃદયમાં ચમકે છે. ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તે વિષેના જ્ઞાનનું આપણને પ્રદાન કરીને દેવે આપણને આ જ્યોતિનું અનુદાન કર્યુ છે.
7 આ ખજાનો અમને દેવ તરફથી મળ્યો છે. પરંતુ અમે તો માત્ર માટીનાં પાત્રો જેવા છીએ જે આ ખજાનાને ગ્રહણ કરે છે. આ બતાવે છે કે આ પરાક્રમની અધિકતા દેવ અર્પિત છે, અમારી નથી. 8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી. 9 ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો. 10 અમારા શરીરમાં ઈસુનું મરણ છે. અમે આ મરણ સદા ઊંચકીને ફરીએ છીએ કે જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રતિબિંબિત થાય. 11 અમે જીવિત છીએ, પરંતુ ઈસુ માટે હંમેશા અમે મરણનો સામને કરીએ છીએ. અમારી સાથે આમ થયું કે જેથી અમારા ક્ષણભંગુર શરીરમાં ઈસુનું જીવન પ્રતિબિંબિત થાય. 12 મરણ અમારામાં કાર્યશીલ છે. પરંતુ જીવન તમારામાં કાર્યશીલ છે.
13 શાસ્ત્રલેખમાં લખ્યું છે કે, “હું બોલું છું, કારણ કે મને વિશ્વાસ છે.”(A) અમારી પાસે પણ વિશ્વાસનો આત્મા છે તેથી અમે બોલીએ છીએ. 14 દેવે પ્રભુ ઈસુને મરણમાંથી ઊઠાડયો અને અમે જાણીએ છીએ કે દેવ અમને પણ ઈસુની સાથે ઊઠાડશે. દેવ અમને તમારી સાથે ભેગા કરશે, અને આપણે તેની સમક્ષ ઉપસ્થિત થઈશું. 15 આ બધી વસ્તુ તમારા માટે છે અને તેથી દેવની કૃપા વધુ ને વધુ લોકોને આપવામાં આવી છે. આ વાત દેવના મહિમાને અર્થે વધુ ને વધુ આભારસ્તુતિ કરાવશે.
વિશ્વાસથી જીવવું
16 તેથી અમે ક્યારેય પણ નિર્બળ થતા નથી. અમારો ભૌતિક દેહ વધારે વૃદ્ધ અને દુર્બળ થાય છે. પરંતુ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. 17 થોડા સમય માટે અત્યારે અમને સામાન્ય વિપત્તિઓ છે, પરંતુ આ વિપત્તિઓ અનંત મહિમા સદાય માટે પ્રાપ્ત કરવામાં અમને મદદરૂપ થાય છે. આ અનંત મહિમા મુશ્કેલીઓ કરતાં વધારે ઉન્નત છે. 18 અમે તે વસ્તુનો વિચાર કરીએ છીએ જે જોઈ શકાતી નથી જે વસ્તુ અમે જોઈએ છીએ તે ક્ષાણિક છે. અને જે વસ્તુ અમે જોઈ શકતા નથી તેનું સાતત્ય અનંત છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International