Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
સભાશિક્ષક 1-3

યરૂશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.

જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે. મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?

એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી. સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે.

પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે.

સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.

કશુંજ નવું નથી

ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.

10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.

11 ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.

શું જ્ઞાનથી આનંદ પ્રાપ્ત થાય છે?

12 હું સભાશિક્ષક, યરૂશાલેમમાં રહેનાર ઇસ્રાએલનો રાજા હતો. 13 વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે. 14 પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે. 15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી.

16 મેં મારી જાતને કહ્યું કે, “જુઓ, યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયેલા અન્ય રાજાઓ કરતાં વધારે જ્ઞાની છું. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ખૂબ અનુભવ મળ્યો છે.”

17 પછીં મેં જ્ઞાન તથા ગાંડપણ અને મૂર્ખતા સમજવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કર્યાં પણ ત્યારે મને સમજાયું કે આ પણ પવનને પકડવા જેવું હતું. 18 કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.

આનંદ પ્રમોદની નિરર્થકતા

તેથી મેં મારી જાતને કહ્યું કે, “ચાલ ત્યારે, હવે ભરપૂર આનંદ કર, હવે હું તારી પરીક્ષા કરીશ; માટે મોજશોખ કરી લે; પણ મને સમજાયું કે આ પણ નકામું કામ છે. મેં વિનોદ વિષે જણાવ્યું કે, હંમેશા હસતા રહેવું તે પણ મૂર્ખાઇ છે; તેનાથી શું ભલું થાય?”

પછી મેં મારા અંત:કરણમાં શોધ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી તરબોળ કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ દુનિયા ઉપર પોતાના સઘળા આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને સમજાય ત્યાં સુધી હું મૂર્ખાઇ ગ્રહણ કરું.

શું સખત પરિશ્રમથી આનંદ પ્રાપ્ત થાય છે?

પછી મેં મારે પોતાને માટે મોટાં કામો ઉપાડ્યાં. મે પોતાને માટે મહેલો બંધાવ્યાં અને દ્રાક્ષાવાડીઓ રોપાવી. મેં મારા પોતાને માટે બગીચા બનાવડાવ્યા અને સર્વ પ્રકારનાં ફળો આપે તેવી વાડીઓ રોપાવી. મેં મારાં વૃક્ષોને પાણી પીવડાવવાં માટે જળાશયો અને નહેરો બંધાવ્યા જેનાથી વનમાં ઊછરતાં વૃક્ષોને પણ પાણી સિંચાય. મેં પુરુષ નોકરો અને સ્ત્રી નોકરો ખરીદ્યાઁ. મારા ઘરમાંજ જન્મેલાં ગુલામો પણ મારી પાસે હતા. અગાઉ થઇ ગયેલા રાજાઓ પાસે હોય તેનાથીય ઘણાં વધારે ઢોરઢાંખરાં મારી પાસે હતાં.

મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

આ રીતે હું બળવાન અને શકિતશાળી થયો. અને જેઓ યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયા હતાં તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો; મારા જ્ઞાને મને આ બાબતો કરવા માટે શકિતમાન કર્યો. 10 મને જે પસંદ હતું તે મેં પ્રાપ્ત કર્યું. અને કોઇ પણ પ્રકારનાં આનંદથી મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં મારી જાતને રોકી નહિ. સખત પરિશ્રમમાં પણ મેં ઘણો આનંદ મેળવ્યો. આ આનંદ મારા સઘળા પરિશ્રમનો કેવળ બદલો હતો.

11 ત્યારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા તે પર, અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી; તો એ સઘળું વ્યર્થ તથા હવામાં બાચકાં ભરવા જેવું દેખાયું અને દુનિયા ઉપર મને કઇં લાભ દેખાયો નહિ.

જ્ઞાન આનો જવાબ હોઇ શકે

12 હવે મેં જ્ઞાની, ગાંડપણ અને મૂર્ખતાના લક્ષણોનો તુલનાત્મક અભ્યાસ શરું કર્યો. જ્યારે એક રાજાની જગ્યાએ બીજો રાજા આવે છે તો નવા રાજાએ કાંઇ નવું કરવાનું નથી. દરેક વસ્તુ બધી પહેલેથીજ કરી લીધેલી હોય છે. 13 પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રે છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઇ થી શ્રે છે. 14 કારણ કે જ્ઞાની માણસ જોઇ શકે છે જ્યારે મૂર્ખ દ્રષ્ટિહીન છે, તો પણ મેં જોયું કે જ્ઞાની અને મૂર્ખ, બંનેના પરિણામ સરખાજ આવે છે.

15 ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેમ મને પણ થશે જ, ત્યારે મને તેનાં કરતાં વધારે બુદ્ધિમાન હોવામા શો લાભ? ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, એ પણ નિરર્થક છે. 16 મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી; જ્ઞાની અને મૂર્ખ બંન્ને મૃત્યુ પામશે અને આવનાર દિવસોમાં બન્ને ભૂલાઇ જશે.

શું ખરેખર આનંદ સત્યજીવનમાં છે?

17 તેથી હવે હું જીવનને ધિક્કારું છું. દુનિયા પર થતાં કાર્યો મને કષ્ટદાયક લાગ્યાં, તે સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાં જેવું છે.

18 જે પરિશ્રમ મેં દુનિયા પર કર્યો તેના પર મને ધિક્કાર ઉપજ્યો; કારણ કે મારા પછી થનાર વારસ માટે મારે તે મૂકી જવું પડશે. 19 કોઇ કહી શકશે ખરું કે મારો વારસ જ્ઞાની થશે કે મૂર્ખ? છતાં જેના માટે મેં આ દુનિયામાં પરિશ્રમ કર્યો અને મારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેનો ધણી તે બનશે. પરંતુ આ પણ વ્યર્થતા છે.

20 તેથી મેં દુનિયા પર જે સર્વ કામો માટે પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે હું નિરાશ થઇ ગયો. 21 મનુષ્ય પોતાના જીવનમાં ડાહપણ, જ્ઞાન તથા કુશળતાથી પોતાના કામ કરે, પણ એ સર્વ એક દિવસ એવી વ્યકિતના હાથમાં જશે જેણે તેના માટે કઇ કામ કર્યું નથી. કોઇ પણ જાતની કિંમત ચૂકવ્યાં વિના તે વારસ બને છે.આ વ્યર્થતા છે અને સાથે અન્યાય છે.

22 પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું પ્રાપ્ત થાય છે? 23 કારણ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે; રાત્રે પણ તેનું મન ચિંતાગ્રસ્ત હોવાથી વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.

24 તેથી આખરે હું આ નિર્ણય પર આવ્યો છું કે માણસે સંતોષથી ખાવું, પીવું અને પોતાના દૈનિક કામમાં આનંદ માણવો, તેનાં કરતાં વધારે સારું બીજું કશું નથી. પછી મને ખ્યાલ આવ્યો કે આ પ્રમાણે વસ્તુઓ દેવ જ બનાવે. 25 પરંતુ દેવની કૃપા વિના કોણ ખાઇ શકે અથવા સુખ ભોગવી શકે? 26 જે લોકો દેવને પ્રસન્ન કરે છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે; પણ પાપીને તે અતિ ભારે પરિશ્રમ આપે છે તેથી તે સંગ્રહ કરે અને ધનવાન બને, અને જેઓ દેવને પ્રસન્ન કરે છે તેઓને માટે તે ધન મૂકીને જાય, અહીં પણ આપણે વ્યર્થ તથા નિરર્થક હવામાં બાચકાં ભરવા જેવું કરીએ છીએ.

પ્રત્યેક વસ્તુ માટે યોગ્ય સમય

પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે:

જન્મ લેવાનો સમય,
    મૃત્યુ પામવાનો સમય,
છોડ રોપવાનો સમય
    અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય;
મારી નાખવાનો સમય
    અને જીવાડવાનો સમય;
તોડી પાડવાનો સમય
    અને બાંધવાનો સમય;
રડવાનો સમય
    અને હસવાનો સમય;
શોક કરવાનો સમય
    અને નૃત્ય કરવાનો સમય;
પત્થરો ફેંકી દેવાનો સમય
    અને પત્થરો એકઠાં કરવાનો સમય;
આલિંગન કરવાનો સમય;
    તથા આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય;
શોધવાનો સમય;
    ગુમાવવાનો સમય;
રાખવાનો સમય;
    ફેંકી દેવાનો સમય;
ફાડવાનો સમય;
    સીવવા કરવાનો સમય;
શાંત રહેવાનો સમય;
    બોલવાનો સમય;
પ્રેમ કરવાનો સમય;
    ધિક્કારવાનો સમય;
યુદ્ધનો સમય
    સલાહ શાંતિનો સમય.

દેવ પોતાની દુનિયાનું નિયંત્રણ કરે છે

આટલો બધો સખત પરિશ્રમ કરવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? 10 દેવે જે ધંધો મનુષ્યોને તેઓને કાર્યરત રાખવા આપ્યો છે તે મેં જોયો છે. 11 યહોવાએ પ્રત્યેક વસ્તુ ને તેના યોગ્ય સમયમાં સુંદર બનાવી છે.જો કે દેવે મનુષ્યનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે. છતાં શરૂઆતથી અંત સુધીનાં દેવનાં કાર્યો મનુષ્ય સમજી શકતો નથી.

12 હું જાણું છું કે, પોતાના જીવન પર્યંત આનંદ કરવું ને ભલું કરવું, તે કરતાં તેના માટે બીજું કંઇ શ્રેષ્ઠ નથી. 13 તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.

14 મને ખબર છે કે દેવ જે કંઈ કરે છે તે ભવિષ્યમાં સદાને માટે રહેશે; તેમાં કશો વધારો કે ઘટાડો કરી શકાય નહિ, આમા દેવનો મુખ્ય હેતુ એ છે કે માણસ દેવનો ડર રાખે. 15 જે હાલમાં છે તે અગાઉ થઈ ગયું છે; અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે; અને જે વીતી ગયું છે તેને દેવ પાછું શોધી કાઢે છે.

16 વળી મેં આ દુનિયામાં જોયું કે સદાચારની જગાએ અનિષ્ટ હતું; અને ન્યાયની જગ્યાએ અનિષ્ટ હતું. 17 મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”

શું મનુષ્યો પશૂવત્ છે?

18 પછીં મે મારા મનમાં વિચાર્યુ કે, “યહોવા મનુષ્યની કસોટી કરે છે. જેથી તેઓ જાણે કે તેઓ પશુ સમાન છે. અને પશુઓથી વધારે સારા નથી. 19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા! 20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે. 21 મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુ આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની ખબર કોને છે?”

22 તેથી મેં જાણ્યુ કે, માણસ પોતાના કામમાં આનંદ માણે, તેથી વધારે સારું કાંઇ નથી. એ જ તેનો ભાગ છે; ભવિષ્યમાં શું બનવાનું છે તે તેને કોઇ દેખાડી શકે તેમ નથી.

2 કરિંથીઓ 11:16-33

પાઉલ તેની વ્યથા વિષે વાત કરે છે

16 હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું. 17 હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું. 18 દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ. 19 તમે શાણા છો, તેથી હર્ષસહિત મૂર્ખાઓ સાથે તમે ધીરજ ઘરશો. 20 હું જાણું છું કે, તમે ધીરજવાન છો, કારણ કે જે માણસ તમને અમુક વસ્તુ કરવાની ફરજ પાડે છે અને તમારો લાભ લે છે. તેની સાથે પણ તમે ધીરજ ધરો છો. જે વ્યક્તિ તમને છેતરે, અથવા જે એમ માને કે તે તમારા કરતા સારો છે અથવા તમને મોંઢાં પર મારે તેની સાથે પણ તમે ધીરજવાન છો! 21 મારે માટે આમ કહેવું શરમજનક છે, પરંતુ આવી વસ્તુ તમારી સાથે કરવા માટે અમે ઘણા જ “નિર્બળ” છીએ.

પરંતુ જો કોઈ વ્યક્તિ બડાઈ મારવામાં બહાદુર હોઈ શકે, તો હું પણ બહાદુર બનીશ અને બડાશ મારીશ. (હું મૂર્ખની જેમ બોલું છું.) 22 શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું. 23 શું તે લોકો ખ્રિસ્તની સેવા કરે છે? હું તેની વધારે સેવા કરું છું. (હું આમ બોલવામાં ઘેલો છું.) મેં પેલા લોકો કરતાં વધારે સખત પરિશ્રમ કર્યો છે. ધણીવાર હું જેલમાં પૂરાયો છું. હું ઘણો માર ખાઈને ઘાયલ થયો છું. હું ધણીવાર લગભગ મૃતઃપ્રાય બન્યો છું.

24 પાંચવાર યહૂદિ લોકોએ 39 કોરડા મારવાની સજા મને કરી છે. 25 ત્રણ વખત મેં લોખંડના સળિયાથી માર ખાધો. એકવાર પથ્થરોથી મને મારવામાં આવ્યો હતો. ત્રણ વખત હું એવા વહાણોમાં હતો જે તૂટી પડ્યા, અને એક વખત આખી રાત અને પછીનો દિવસ મેં દરિયામાં ગાળ્યો હતો. 26 મેં ઘણીવાર મુસાફરી કરી છે. અને હું નદીઓ, લૂંટારાઓ અને મારા પોતાના લોકો દ્વારા ભયમાં મૂકાયો છું. હું એવા લોકો દ્વારા પણ ભયમાં મૂકાયો છું. જેઓ બિનયહૂદિ છે. હૂં શહેરોમાં, જ્યાં માનવ વસતો નથી ત્યાં, કે દરિયામાં પણ ભયમાં મૂકાયો છું. અને જે લોકો એમ કહે કે તેઓ મારા ભાઈઓ છે પણ ખરેખર ન હોય તેમના થકી પણ ભયમાં મૂકાયો છું.

27 મેં સખત અને થકવી નાખનાર કામો કર્યા છે, અને ધણીવાર હું સૂતો પણ નથી. હું ધણીવાર ભુખ્યો અને તરસ્યો રહ્યો છું. ધણીવાર હું ઠંડીથી પીડાયો છું અને વસ્ત્રહીન રહ્યો છું. 28 અને બીજી ઘણી સમસ્યાઓ છે. તેમાંની એક તે મારે બધી મંડળીઓની સંભાળ રાખવાની તે છે. દરરોજ હું તેમના વિષે ચિંતીત રહું છું. 29 જ્યારે અન્ય વ્યક્તિ શીથિલ બને છે ત્યારે હું પણ શીથિલ બનું છું. જ્યારે અન્ય વ્યક્તિ પાપ તરફ દોરાય છે ત્યારે અંદરથી હું બળુ છું.

30 જો મારે બડાઈ મારવી જ હોય તો, હું એ વસ્તુની બડાઈ મારીશ જે બતાવે છે કે હું નિર્બળ છું. 31 દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે. 32 જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા. 33 પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International