Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
નીતિવચનો 8-9

જ્ઞાનનું સ્તવન

જ્ઞાન બોલાવે છે
    અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
ડુંગરની ટોચે,
    રસ્તે ઘાટે, ચોરેચૌટે
અને શહેરમાં પ્રવેશવાના દરવાજા
    આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:

“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું;
    હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો,
    અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું.
    અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
હું સાચું જ બોલીશ,
    જૂઠાને હું ધિક્કારું છું.
મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે,
    હું તમને જૂઠ્ઠું કે ગેર માર્ગે દોરનારું નહિ બોલું.
સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે.
    અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 રૂપાને બદલે મારી સલાહ લો
    અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે.
    એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.

જ્ઞાન શું કરે છે

12 “હું જ્ઞાન છું,
    વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે,
    અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું,
    અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ,
    અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે.
    મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે
    અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 મારે લીધે રાજકુમારો શાસન કરે છે
    અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું.
    અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 ધન અને સન્માન મારા હાથમાં છે.
    મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 મારા ફળ સોના કરતાં ચડિયાતા છે.
    અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 હું સદાચારને માર્ગે ચાલું છું,
    મારો રસ્તો ન્યાયનો છે.
21 મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું
    અને તેમના ભંડારો ભરપૂર કરું છું.

22 “યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં,
    લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
23 લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ
    મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા
    ત્યારે મારો જન્મ થયો હતો.
25 પર્વતોના પાયા નંખાયા તે પહેલાં,
    ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
26 હજી યહોવાએ પૃથ્વી સર્જી નહોતી કે ખેતરો પણ સર્જ્યા નહોતાં.
    અરે! ધૂળની કણી પણ સર્જી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું,
    અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ;
    અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
29 જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી
    અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી.
અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી;
    અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી;
    અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.
31 તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી.
    અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો.

32 “માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો;
કારણ કે જેઓ મારા માર્ગે ચાલે છે
    તેઓ સુખ પામે છે.
33 મારો ઉપદેશ સાંભળીને જ્ઞાની થાઓ,
    અને સુધારણાની ઉપેક્ષા કરશો નહિ.
34 તે વ્યકિત આશીર્વાદિત છે, જે મારું સાંભળે છે અને હંમેશા મારા દરવાજે,
    તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે.
35 કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે
    અને યહોવાની કૃપા પામ્યો છે.
36 પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાને, નુકશાન પહોંચાડે છે;
    જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”

જ્ઞાન-અજ્ઞાનની ઉજવણી

જ્ઞાને પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે; તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે. તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે, “કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે, આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ. તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માર્ગે ચાલો.”

જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે. ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે. જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

10 યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે. 11 જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વર્ષો વધશે. 12 જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.

મૂર્ખ સ્ત્રી કંકાસિપણ

13 મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે. 14 તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે. 15 ત્યાંથી તેણી પોતાને માર્ગે ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે. 16 “જે કોઇ મૂર્ખ હોય, તે અહીં અંદર આવે;” અને બુદ્ધિહીનને તેણી કહે છે કે, 17 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.” 18 પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે.

2 કરિંથીઓ 3

દેવના સેવકોનો નવો કરાર

શું ફરીથી આપણે આપણા વિષે બડાઈ મારવાનું શરું કરી રહ્યા છીએ? શું અમારે તમારા માટે કે તમારા તરફથી ઓળખપત્રની જરૂર છે? જે રીતે બીજા લોકોને હોય છે? તમે પોતે જ અમારો પત્ર છો. પત્ર અમારા હૃદયરૂપી પટો પર અંકિત થયો છે. તે બધાથી વિદીત છે અને દરેક વ્યક્તિ તે વાંચે છે. તમે બતાવ્યું છે કે તમે ખ્રિસ્ત તરફથી મોકલેલો પત્ર છો કે જે તેણે અમારી મારફતે મોકલ્યો છે. આ પત્ર શાહીથી નહિ પરંતુ જીવતા દેવના આત્માથી લખાયેલો છે; તે શિલાપટો[a] પર નથી લખાયો પરંતુ માનવ હૃદય પર લેખિત થયો છે.

અમે આમ કહી શકીએ છીએ, કારણ કે ખ્રિસ્ત થકી અમે દેવ સમક્ષ ખાતરી અનુભવીએ છીએ. હું એમ નથી સમજતો કે અમે અમારી જાતે જે કાંઈ સારું છે તે કરવા અમે શક્તિમાન છીએ. તે દેવ એક છે જે આપણે કરીએ છીએ તે કરવાને આપણને શક્તિમાન બનાવે છે. દેવે જ અમને દેવ તરફથી તેના લોકોને પ્રાપ્ત થયેલા નવા કરારના સેવક બનવાને શક્તિમાન બનાવ્યા છે. આ નવો કરાર તે લેખિત નિયમ નથી તે આત્માનો છે. લેખિત નિયમ મૃત્યુ લાવે છે, પરંતુ આત્મા જીવન બક્ષે છે.

નવો કરાર ઉત્કૃષ્ટ મહિમા લાવે છે

સેવા જે મૃત્યુ લાવે છે તેના શબ્દો પથ્થર પર લખાયેલા હતા. તે દેવના મહિમા સાથે આવ્યા હતા. મૂસાના મુખ પરંતુ તેજ મહિમાથી એટલું પ્રકાશવાન હતું કે ઈસ્રાએલ ના લોકો સતત તેની સામે જોઈ શક્યા નહોતા. અને તે મહિમા પછીથી અદશ્ય થઈ ગયો હતો. નિશ્ચિત રીતે, જે સેવા આત્માનું અનુગમન કરાવે છે તેનો મહિમા તો આનાથી પણ મહાન થશે. મારું કહેવું આમ છે: કે સેવા લોકોને તેમના પાપના અનુસંધાનમાં મૂલવતી હતી, પરંતુ તે મહિમાવંત હતી. તેટલી જ નિશ્ચિતતાથી જે સેવા લોકોને દેવને અનુરુંપ બનાવે છે, તેનો મહિમા વધુ ઉત્કૃષ્ટ છે. 10 તે જૂની સેવાનો મહિમા છે. પરંતુ નવી સેવાના વધારે અધિક મહિમાવાન સાથે સરખાવતા તેના મહિમાનો ખરેખર છેદ થયો. 11 મહિમા સાથે આવેલી જે સેવા અદશ્ય થવાની હતી, પછી તો આ સેવા જે અવિનાશી છે તેનો મહિમા વિશેષ છે.

12 આપણી આ અભિલાષાને લીધે તો આપણે વધારે હિંમતવાન બની શકીએ છીએ. 13 આપણે મૂસા જેવા નથી. તેણે તો તેના મુખ પર મુખપટ નાખ્યું હતું. મૂસાએ તેનું મુખ ઢાંકી દીધું હતું કે જેથી ઈસ્રાએલ લોકો તે જોઈ ના શકે. મહિમા નું વિલોપન થઈ રહ્યું હતું, અને મૂસા નહોતો ઈચ્છતો કે તે લોકો તેનો અંત જુએ. 14 પરંતુ તેઓના માનસપટ બંધ હતાં-તેઓ સમજી શક્યા નહિ. આજે પણ જ્યારે તેઓ જૂના કરારનું વાંચન કરે છે ત્યારે એ જ આવરણ અર્થને ઢાંકી દે છે. તે આવરણ હજુ પણ દૂર કરાયુ નથી. તે માત્ર ખ્રિસ્ત દ્વારા દૂર કરાય છે. 15 પરંતુ આજે પણ જ્યારે આ લોકો મૂસાના નિયમનું વાંચન કરે છે, ત્યારે તેઓનું માનસપટ આચ્છાદિત છે. 16 પરંતુ જ્યારે વ્યક્તિ પરિવર્તીત થાય છે અને પ્રભુને અનુસરે છે, ત્યારે તે આચ્છાદન દૂર થાય છે. 17 પ્રભુ તે આત્મા છે. અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. 18 અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International